ભારતીય સિનેમાનાં સો વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી આખું વર્ષ ચાલશે. આપણે આ નિમિત્તે સદીના શ્રેષ્ઠ દિગ્દર્શક ગુરુ દત્તને યાદ કરીને આજની સ્થિતિની કેટલીક વાતો કરીએ. બેકાર શાયર વિજય (ગુરુ દત્ત) જ્યારે રેડ લાઇટ વિસ્તારમાંથી પસાર થતો હોય છે, ત્યારે અહીં જે સ્થિતિ જુએ છે, તે જોઇને ભારતની સંસ્કૃિતની ભવ્યતા પર ગૌરવ કરનારને તેઓ કહે છે.
‘યે કુચે એ નીલામધર દિલકશી કે, યે લુટતે હુએ કારવાં ઝીન્દગી કે,
કહાં હૈ કહાં હૈ મુહાફીઝ ખુદી કે, જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ ?
આજે દેશની જે સ્થિતિ છે તેનું સંપૂર્ણ બયાન સાહિર લુધિયાનવીએ ‘પ્યાસા’ ફિલ્મમાં હીરો શાયર વિજયને કંઠે બયાન કર્યું છે. ચારે બાજુ છડેચોક આચરાતાં કૌભાંડો અને તે પણ જેની પાસે દેશને નેતાગીરીની, ચારિત્ર્યની અને સ્પોર્ટ્સમેન સ્પિરિટની અપેક્ષા રાખી રહ્યો છે, જેને લોકો પોતાના આદર્શો માની રહ્યા છે, તેમની પાસેથી આવા અપરાધયુકત આચરણ દાખવવામાં આવે, એટલું જ નહીં પરંતુ આવા અપરાધો બદલ લાજવાને બદલે આ લોકો જ્યારે ગાજે ત્યારે એમ લાગે છે કે હવે કોની પાસે જઇને ફરિયાદ કરવી ? ફરી એકવાર એક હિન્દી સિનેમાને યાદ કરીએ, સુપર સ્ટાર રાજેશ ખન્ના ગાય છે.
મઝધાર મેં નૈયા ડોલે, તો માંઝી પાર લગાયે,
માંઝી જબ નાવ ડુબોયે, ઉસે કૌન બચાયે?
જેની પાસે તમે રક્ષણની આશા રાખીને બેઠા છો, તે જ ભક્ષક બને ત્યારે કોની પાસે ફરિયાદ કરવા જવું ? જરા છેલ્લા બે મહિનાની કેટલીક ચમત્કૃિતઓ જોઇએ.(૧) દિલ્હીમાં છડેચોક એક યુવતીની આબરુ લૂંટાઈ, દેશ આખો જાગી ઊઠ્યો અને સ્વયંભૂ આંદોલન થયું. પછી સરકારે ઝૂકી જઈને વચન આપવું પડ્યું કે ગુનેગારોની સખત નશ્યત થશે અને એવું વાતાવરણ ઊભું કરવામાં આવશે કે આવા બનાવો ન બને. પરંતુ પછીના સો દિવસોના સમાચારો જોઈ લેજો, રોજના એક કરતાં વધુ બનાવો બન્યા છે અને હજી સુધી બહેન-દીકરીઓની લાજ બચાવવા માટે કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. ( ૨) ગુજરાતની વાત કરીએ તો છેલ્લા સો દિવસોમાં બહેનોના અછોડા લુટાવાના અને સામાન્ય માણસોના ઘરે ચોરીઓ થયાના જે સમાચારો આવ્યા છે, તેમાંથી દસ ટકા પણ પકડાયા નથી. તે સામે વી.આઇ.પી.નો કૂતરો ગુમ થાય તો પોલિસ દોડધામ કરી મૂકે છે. (૩) ગુજરાતમાં પાણીની અછત છે ત્યારે એક ધાર્મિક નેતાએ (તેમને સંત કહેવા એ સંત શબ્દનું અપમાન છે) લાખો ગેલન પાણી હોલિકા ઉત્સવ રમવામાં ખર્ચી નાખ્યું. પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો ત્યારે તેઓ પત્રકારો પર ગુસ્સો ઉતારવા લાગ્યા. ધાર્મિક નેતા સામે હજી બે બાળકોના વધના અપરાધનો કેસ તો ચાલે જ છે. (૪) આપણે પ્રગતિશીલ રાજ્ય કહીએ છીએ. સરકારે જાહેર કર્યું હતું કે આ વર્ષે કોઈ બાળલગ્નો નથી થયાં. મારી જાણ મુજબ અનેક બાળલગ્નો થયાં છે, પરંતુ તેની નોંધ તંત્ર લેતું નથી. દારૂ બંધી વિષે તો જેટલું કહીએ એટલું ઓછું છે. (૫) આ દેશમાં રાજકીય નેતાઓના ભ્રષ્ટાચારે તમામ સીમાડા વટાવી દીધા છે …. હવે તો લોકોએ ગણતરી કરવાનું મૂકી દીધું છે. લોકોએ માની લીધું છે કે નેતા હોય એટલે ભ્રષ્ટાચારી હોય જ.2જી કૌભાંડમાં આટલો હોબાળો બોલાવ્યો પછી તે ખાતાના પ્રધાન એ. રાજાને ઘેર બેસવું પડ્યું. હજી કેસ ચાલે છે, કદાચ છુટી પણ જાય. પછી કોલસાના બ્લોકની ફાળવણીનું કોલગેટ કૌભાંડ થયું એ બાકી હોય તેમ પછી રેલ ગેટ કૌભાંડ થયું જેને આપણે શુદ્ધ માનતા હતા તે મંત્રીએ ઘેર બેસવું પડ્યું. છેલ્લા દસ દિવસોમાં બે મંત્રીઓ ઘેર બેઠા, બેમાંથી હજી એકેયે હજી જાહેરમાં શરમ અનુભવી નથી અને હજી પોતે નિર્દોષ હોય તેવો દાવો કરી રહ્યા છે. (૬) ભારતની પ્રજા સિનેમાના રીલના હીરોને રિયલ હીરો માને છે. હવે તેમનું વર્તન જુઓ, સંજય દત્તને ગેરકાયદે હથિયાર બદલ સજા કરવામાં આવી ત્યારે તેને બચાવવા માટે કેટકેટલી ફિલ્મી અને બિનફિલ્મી સેલિબ્રિટીઓ નીકળી પડી. એકવાર ગુનો સાબિત થયા પછી તેને સજા ન થવી જોઇએ તેમ કહેવામાં આ મહાનુભાવોને શરમ પણ નહીં આવતી હોય ? આ તો જાહેર વાત થઈ. અમદાવાદમાં જ્યારે કોઇ નબીરો ઝડપથી કાર ચલાવી અકસ્માત સજેઁ છે ત્યારે તેને બચાવવા માટે મહાનુભાવોની મોંઘીદાટ ગાડીઓ પોલિસ સ્ટેશન સામે ઊભી રહી જાય છે. (૭) આઇ.પી.એલ.ના સટ્ટા કૌભાંડે તો તમામ હદો વટાવી દીધી છે. રેલો છેક ક્રિકેટ બોર્ડના અધ્યક્ષના ઘર સુધી પહોંચી ગયો છે. બે વર્ષ પહેલાં જ્યારે આઇ.પી.એલ.ના કમિશનર લલિત મોદીને કાઢી મૂકવા પડ્યા ત્યારે જ આપણે ચેતી જવા જેવું હતું.
વાડ ઊઠીને ચીભડાં ગળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મને કવિ દલપતનું નાટક જીવરામ ભટ્ટ અને તેમનું એક પત્ર દલા તરવાડી યાદ આવે છે. સટ્ટાકાંડનો ઘાટ બરાબર દલા તરવાડી જેવો થયો છે આમાં પછી મહત્ત્વની વાત એ છે કે કેટલાક વેપારીઓ સટ્ટાને વાયદાનો વેપાર માને છે, ગુનો માનતા નથી. તો કેટલાક લોકો સટ્ટાને ખેલ માને છે અને સટ્ટો ખેલ્યો ગણાય છે. સંપૂર્ણ નિષ્ઠાવાન એવા કર્મશીલો ગાંધીજનો, આર.એસ.એસ.ના સ્વયંસેવકો, કમિટેડ બિરાદરો વગેરે હતપ્રભ બનીને રહી ગયા છે. અણ્ણા હજારેનું આંદોલન પણ નબળું પડી ગયું છે. આ બધી બદીઓ ૧૯૯૦ પછીના ઉદારીકરણને પગલે આવી છે. જે ઉદારીકરણ અને ખાનગીકરણ અમેરિકા અને યુરોપને પણ ન છોડે તે ભારતને તો શું છોડશે ? વળી આ સવાલ ભાજપ વી કોંગ્રેસનો નથી કે વી. દેશનો પણ નથી.
હર સાખ પે ઉલ્લુ બૈઠે હૈ, અંજામે ગુલિસ્તાં ક્યા હોગા?
એવા મુકામ આવીને ઊભો છે કાફલો …
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ,
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ.
(લેખક જાણીતા સમાજશાસ્ત્રી છે)
સૌજન્ય: “દિવ્ય ભાસ્કર”, May 24, 2013