યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: |
સૃષ્ટિના અણુએ અણુમાં વ્યાપેલી શક્તિની વંદનાનો આ શ્લોક સ્ત્રીનું પણ મહિમા ગાન કરે છે. આજે 8 માર્ચ. વિશ્વ મહિલા દિવસ. આજે થોડી મહિલાઓનું સન્માન થશે, ક્યાંક એવોર્ડ અપાશે, શાલ ઓઢાડાશે, થોડાં ગુણગાન ગવાશે, થોડી કવિતાઓ વંચાશે ને એની સમાંતરે કોઈ ખૂણે કોઈ મહિલા પર અત્યાચાર થશે, ક્યાંક કોઈ સ્ત્રી પોતાનાં જ નવજાત શિશુને કોઈ બેગમાં ભરીને ટ્રેનમાં છોડી દેશે તો ક્યાંક કોઈ મહિલા દહેજની ખોટી વાત ઉપજાવી સાસરાને સળિયા પાછળ ધકેલવાની પેરવી કરતી પણ હશે ને એ બધાંની વચ્ચે 9મી માર્ચ ઊગશે કે ફરી 8મી માર્ચે વળી ગવાશે – યા દેવી સર્વભૂતેષુ …
તાત્પર્ય એ છે કે આપણે કોઈ પણ ઉત્સવને નિર્જીવ કેમ કરવો તે શીખી ગયા છીએ. થોડો દેખાડો, થોડું ગુણસંકીર્તન અને થોડી તાળીઓ કે વાત પૂરી. બહુ થશે તો 1909માં અમેરિકામાં કપડાં બનાવનાર સ્ત્રી મજૂરોના અધિકારની રક્ષા માટે આ દિવસની શરૂઆત થઈ તેનો ઇતિહાસ વાગોળાશે કે પછી આ દિવસની ફેબ્રુઆરી, 1913ની રશિયન ઇતિહાસની કોઈ ભૂમિકા અપાશે કે યુરોપમાં નીકળેલી 8 માર્ચની મહિલા રેલીની વાત કરીને ઔપચારિક્તાઓ સાથે દિવસ પૂરો થશે. તો, કોઈ 19 નવેમ્બરે પુરુષ મહિલા દિવસ નક્કી કરેલો છે, છતાં તે આવી રીતે નથી ઉજવાતો એવું રડશે. અત્યારની સ્થિતિ તો એવી પણ છે કે પુરુષો પણ સ્ત્રીઓથી પીડિત છે. દુષ્કર્મ-દહેજના ખોટા કેસ કરીને લાખો રૂપિયા પડાવતી મહિલાઓનો તોટો નથી. આવી મહિલાઓથી પીડિત પુરુષોનો કેસ એક મહિલા લડે છે એવા સમાચાર પણ તાજા જ છે. હકીકત એ છે કે પીડિત બંને છે ને બંને એકબીજાને પીડે છે. એટલે આવનાર સમયમાં પુરુષ દિન ઉજવાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. આશ્ચર્ય એ છે કે બહુ ઓછી જગ્યાએ તાત્ત્વિક વાતો થાય છે. મોટે ભાગે તો આ દિવસ સન્માનની માંગણી કે વહેંચણીનો દિવસ થઈને રહી ગયો છે. માતૃભાષા દિવસ કે મહિલા દિવસ કે એવા બીજા દિવસોમાં બધું સારું સારું બોલી-સાંભળીને, ઉપલક ખુશી દેખાડીને દિવસ સમેટી લેવાતો હોય છે. સ્ત્રીની વાસ્તવિક પરિસ્થિતિની ખાસ ચર્ચા થતી નથી ને ઉપક્રમ, મોટે ભાગે શેતરંજી નીચે કચરો સંતાડવાનો જ હોય છે. સવાલ એ થવો જોઈએ કે એક તરફ ઉન્નત મસ્તકે વિશ્વમાં માથું ઊંચું રાખીને ફરતી મહિલા છે તો કોઈ ખૂણે દુષ્કર્મનો ભોગ બનતી મહિલા પણ છે. એક અભણ મા બાળકને માટે જીવ આપી દેવા સુધી જાય છે, તો બીજી શિક્ષિત સ્ત્રી, પોતાનાં જ બાળકનું નિર્મમપણે ગળું પણ દબાવી દે છે ને તેને તેમાં કશું ખોટું પણ લાગતું નથી. બંને માતા છે, તો બંને વચ્ચે આટલો ફરક કેમ છે? એને માટે શિક્ષણ તો જવાબદાર નથીને?
સ્ત્રી શિક્ષિત ન હતી ત્યારે પણ દીકરી જન્મતી તો હતી ને સમાજ તેને દૂધપીતી કરતો હતો, હવે સમાજ શિક્ષિત થયો છે, તો દીકરીનો ગર્ભમાં જ નિકાલ કરી દેવાય છે. પ્રાણીઓમાં પણ માદાને જન્મવા તો દેવાય છે, મનુષ્યોમાં જ એવું છે કે સ્ત્રીને જન્મ પહેલાં જ મૃત્યુ અપાય છે. અગાઉ ક્યારે ય ન હતી એટલી સ્ત્રી આજે અસુરક્ષિત છે. શિક્ષણ, સંસ્કાર, સભ્યતામાં જો વધારો થયો હોય તો સ્ત્રીઓ તરફના ગુનાઓમાં ઘટાડો કેમ થતો નથી? શિક્ષણ વધે ને અપરાધો પણ વધે એ તો બરાબર નથીને ! એ સાચું કે સ્ત્રીઓ તરફના ગુનાઓમાં ઘણુંખરું પુરુષો જ સંડોવાયેલા છે ને તેને એ અંગે સજા મળે એ જરૂરી પણ છે, પણ સ્ત્રીઓ તરફી સુધારાઓમાં પણ પુરુષો કેન્દ્રમાં છે, એ પણ ભૂલવા જેવું નથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજારામ મોહનરાય, જ્યોતિબા ફૂલે જેવા સુધારકોએ વિધવા પુનર્લગ્ન, બહુપત્નીત્વ પ્રથા નાબૂદી, સતી થવાનો ચાલ, કન્યા કેળવણીની શરૂઆત જેવા ઘણા સુધારા એ સુધારકોએ દાખલ કર્યા. એને પરિણામે સ્ત્રીઓમાં જાગૃતિ આવી. આ બધા સુધારાઓ પહેલાં મીરાંબાઈ ઈશ્વર ભક્તિ માટે રાજપાટ છોડનારી પહેલી મહિલા હતી તેને પણ યાદ કરવી પડે. જે સુધારાઓ કે શોધખોળો આપણને આજનાં જીવનમાં જોવા મળે છે, એ સુધારાઓ કે શોધખોળો કરવામાં સ્ત્રી-પુરુષોએ અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે.
એ ખરું કે ધરતીથી આકાશ સુધીનાં અનેક ક્ષેત્રોમાં સ્ત્રીએ હરણફાળ ભરી છે. તે શિક્ષણમાં, રક્ષણમાં, નોકરીમાં, વ્યાપારમાં, વિજ્ઞાનમાં, રાજકારણમાં, અર્થકારણમાં, અનર્થકારણમાં … એમ અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાનો પર સફળ રહી છે અને પોતાને સ્વતંત્ર રીતે સિદ્ધ કરતી આવી છે. કોઈ ક્ષેત્ર એવું નથી જે તેણે સર ન કર્યું હોય, પણ આમ કરવામાં તેણે કુટુંબ જીવન લગભગ ગુમાવ્યું છે. એક સમય હતો જ્યારે કુટુંબ જ તેનું સર્વસ્વ હતું, જ્યારે ઉચ્ચ સિદ્ધિ ને સ્થાન પ્રાપ્ત ઘણી સ્ત્રીઓ આજે કુટુંબથી દૂર થતી ગઈ છે. મોટે ભાગે તે પુરુષથી, લગ્નથી, બાળકથી દૂર રહી છે. આવું ઘણુંખરું શિક્ષિત સ્ત્રીઓમાં બન્યું છે. જો કે, શિક્ષણને દોષ દેવાનો અર્થ નથી. શિક્ષણ પામ્યા પછી એનો જે અર્થમાં ઉપયોગ થવો જોઈતો હતો, તે અર્થમાં થયો નહીં, એટલું જ ઉમેરવાનું રહે. જે સ્ત્રીઓએ પુરુષ વગર જીવવાનું નક્કી કર્યું ને લગ્ન, બાળકથી દૂર રહેવાનું સ્વીકાર્યું, તે સિવાય પણ જે શિક્ષિત સ્ત્રીઓ લગ્નથી પુરુષ સાથે જોડાઈ, એને પણ પતિ, કુટુંબથી સમસ્યાઓ થઈ. આમ તો શિક્ષણ-નોકરી-વ્યવસાયથી સ્ત્રી-પુરુષો વચ્ચે લગ્ન સંબંધ મજબૂત થવો જોઈતો હતો, પણ તેવું ના થયું. સ્ત્રી-પુરુષ વચ્ચે આત્મીયતા વધવી જોઈતી હતી, તેને બદલે અસમાનતાઓ વધી, સરખામણી વધી, સ્પર્ધા વધી ને પરિણામ સાથે થવાને બદલે અલગ થવામાં આવ્યું. શિક્ષિતોમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું.
એક બાબત બહુ સ્પષ્ટ છે કે કુદરતે તો સ્ત્રી-પુરુષ એવી બે જાતિઓ એકબીજાને પૂરક બને એ હેતુથી બનાવી. એકલી સ્ત્રી બનાવવાથી કે એકલો પુરુષ બનાવવાથી સૃષ્ટિનું સંચાલન સરળ થયું હોત તો કોઈ એક જ જાતિ કુદરતે પૃથ્વી પર રમતી મૂકી હોત, પણ આજની તારીખે પણ સ્ત્રી અને પુરુષ જન્મે છે, એ સૂચવે છે કે સ્ત્રી, પુરુષના વિરોધ માટે કે પુરુષ, સ્ત્રીના વિરોધ માટે નથી, છતાં કુદરતની વિરુદ્ધ જઈને કેટલાક પુરુષો, સ્ત્રીઓની વિરુદ્ધ અને કેટલીક સ્ત્રીઓ, પુરુષોની વિરુદ્ધ સક્રિય છે. આ યોગ્ય નથી. આપણી પાસે શિવ-શક્તિનું અભિન્ન એવું અર્ધનારીશ્વર રૂપ, સ્ત્રી-પુરુષની અનિવાર્યતા સમજાવવા પૂરતું છે. આ સ્વરૂપ અહમ હોય ત્યાં શક્ય નથી. સ્વતંત્રતા અહમ જન્માવે છે ને સમર્પણ પ્રેમ પ્રગટાવે છે. પ્રેમમાં સમર્પણ જ હોય એનું ‘અર્ધનારીશ્વર’ અદ્દભુત ઉદાહરણ છે, પણ કોણ જાણે કેમ તે ધ્યાને ચડતું નથી.
શિક્ષિત ન હતી, ત્યાં સુધી તો સ્ત્રી પિયરમાં પિતાને આશરે ને સાસરામાં પતિને આશરે જીવન વિતાવતી હતી. એ પછી શિક્ષણ વધ્યું, નોકરી-વ્યવસાય દ્વારા સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ ને ક્યાંક તો પુરુષથી પણ આગળ નીકળી. એનો લાભ કુટુંબને મળવો જોઈતો હતો, બંનેનું સહિયારું થવું જોઈતું હતું તેને બદલે અંગત ગણતરીઓ દ્વારા લાભ-ગેરલાભના દાખલા ગણાવા લાગ્યા. એનું પરિણામ સંઘર્ષમાં આવ્યું. જરૂર તો બંનેને એક બીજાની હતી જ, પણ અહમનો ટકરાવ એકબીજાને એક થવા દેતો ન હતો. એ કેવું વિચિત્ર છે કે એકબીજાની વિરુદ્ધ પડીને છૂટાછેડા લેતાં સ્ત્રી-પુરુષો, છૂટાછેડા પછી ફરી બીજું લગ્ન કરવા તૈયાર થાય છે. જો કોઈને, કોઇની જરૂર જ ન હોય તો ફરી લગ્ન કરવા સુધી જવાની જરૂર જ ન રહેને !
આ તો અંગત જીવનમાં સ્ત્રી-પુરુષની બદલાઈ રહેલી ભૂમિકાની વાત થઈ, પણ જાહેર જીવનમાં હજી સ્ત્રીને અન્યાય થયાની વાતો આવતી રહે છે. બીજી વાત જવા દઈએ, પણ સેનામાં પણ સમાનતા નથી. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું છે કે સેનામાં પુરુષ અને મહિલા અધિકારીઓની ભરતી સંદર્ભે પ્રક્રિયા સરખી છે? આ સવાલ સુપ્રીમે એટલે પૂછવો પડ્યો, કારણ સેનાની મહિલા અધિકારીઓ તરફથી વરિષ્ઠ મહિલા વકીલ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો કે સેનામાં પ્રમોશન માટે ભરતીની પ્રક્રિયામાં ભેદભાવ કરવામાં આવે છે. સેનામાં આ સ્થિતિ હોય તો બીજે શી સ્થિતિ હશે તેની કલ્પના કરવાનું અઘરું નથી. જાતીય સતામણીથી ત્રાસીને એક મહિલા જજે ગયા ડિસેમ્બરમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી. જજ કક્ષાની સ્ત્રીની આ વ્યથા હોય તો વધારે શું કહેવું?
1949માં સિમોન દ બોવરે નામની વિદેશી લેખિકાએ સ્ત્રીને બીજે નંબરે જ મૂકવામાં આવે છે એ સંદર્ભનું પુસ્તક ‘સેકન્ડ સેક્સ’ લખ્યું. તે પછી સ્ત્રીઓ માટે અનેક ક્ષિતિજો વિસ્તરી, છતાં આજે પણ કુટુંબ, સમાજ કે સંસ્થાનોમાં સ્ત્રીઓનું શોષણ અનેક રીતે થાય છે. નોકરી વગેરે ક્ષેત્રોમાં તો શોષણની યુક્તિઓ એવી બદલાઈ છે કે હોય શોષણ પણ દેખાય સમર્પણ ! પુરુષોને સ્ત્રીઓ દ્વારા અન્યાય થતો હશે કે તેનું પણ શોષણ થતું હશે, પણ અનામત, શિક્ષણ વગેરેની આટલી તકો છતાં સ્ત્રીઓને થતો અન્યાય ઓછો થતો નથી. કાયદા સુધર્યા છે, છતાં સ્ત્રીઓ પર થતા અત્યાચારમાં વધારો જ જોવા મળે છે.
આવું કેમ થાય છે? સજાનો ખોફ પણ ન રહે તો સમજવાનું કે ગરબડ ઘરથી જ શરૂ થાય છે. ઘરમાં જ બાળક પિતાનું માતા પ્રત્યેનું કે ભાઇનું બહેન પ્રત્યેનું વર્તન જોતો હોય, પિતાનો હાથ મા પર ઉપડતો હોય, તો નાનેથી જ બાળકના મનમાં એ વાત ઘર કરે છે કે સ્ત્રી સાથે તો આમ જ વર્તાય. આ સ્થિતિ ઘરમાં સુધરે તો આગળ જતાં સ્ત્રી બહાર પણ માન પામતી થાય. કેટલીક માનસિક્તાઓ બદલવાનું અઘરું છે, પણ જ્યાં પણ શક્ય છે, કોશિશ થવી જોઈએ. આવી એક કોશિશનો ઝીણો સંકલ્પ પણ કોઈ કરે તો આજનો દિવસ સફળ…
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 માર્ચ 2024