૨૦મી સદીમાં અર્થશાસ્ત્રીઓએ વિકાસની એરણે જગતને ત્રણ હિસ્સામાં વહેંચ્યું હતું; વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને અવિકસિત દેશો.
વિકાસની એરણ વિશે અનેક પ્રશ્નો પૂછાતા આવ્યા છે અને આજે પણ પૂછવામાં આવી રહ્યા છે. પહેલા મોટા પ્રશ્નકર્તા મહાત્મા ગાંધી હતા. તેમણે ૧૯૦૯માં ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખીને કહ્યું હતું કે પશ્ચિમમાં વિકાસની જે અવધારણા વિકસી છે અને અત્યારે ત્યાં જે વિકાસનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે એ ભૂખાળવું છે અને માટે વિનાશાક છે. પરિશ્રમ કર્યા વિના ખાવું, બીજાના હકનું પણ ખાવું, જરૂર ન હોય તો પણ ખાવું અને ઉપરથી સંગ્રહ કરવો એ કુદરતવિરોધી જીવનશૈલી છે જેને આપણે સુખ તરીકે ઓળખાવીએ છીએ. જો વિકાસ આવું સુખ આપતો હોય તો એ વિકાસ ન કહેવાય. મૂળમાં આ પ્રમેય જ ભૂલભરેલો છે અને માનવીએ તેની કિંમત ચૂકવવી જ પડશે. સાચો વિકાસ આનાથી બિલકુલ ઊલટી દિશાનો છે. મહેનત કરીને ખાવું, પોતાના હકનું હોય એટલું જ ખાવું, કારણ વિના ન ખાવું અને ઓછામાં ઓછો સંગ્રહ કરવો.
સુખકેન્દ્રી વિકાસની પાશ્ચાત્ય અવધારણાની સામેના ગાંધીજીના ઊહાપોહને ત્યારે અવ્યવહારુ આદર્શવાદ તરીકે હસી કાઢવામાં આવ્યો હતો. ભારતમાં પણ એ સમયે ગાંધીજીની ‘હિન્દ સ્વરાજ’માં કહેલી વાતોને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. ગાંધીજીની ઠેકડી ઉડાડવામાં આવતી હતી અને ગાંધીજી પાછા દરેક વખતે એક જ જવાબ આપતા હતા કે મને મારા વિચારમાં કાનોમાત્રનો પણ ફરક કરવાની જરૂર લાગતી નથી અને હું સાચો છું કે નહીં એનો જવાબ સમય આપશે.
સમયે જવાબ આપી દીધો છે. વિકસિત દેશોએ કોરોના સામે પછડાટ ખાધી છે. કોરોનાના ૩૧ લાખ કેસોમાંથી વીસ લાખ કરતાં વધુ કેસો એકલા વિકસિત દેશોમાં છે. કોરોનાના દરદીઓમાં પ્રત્યેક ત્રીજો દરદી સૌથી વધુ વિકાસ પામેલ અમેરિકન છે. પરિશ્રમ કર્યા વિના ખાનારું, બીજાના હકનું પણ ખાનારું અને જરૂર ન હોય તો પણ ખાનારું સુખી શરીર કોરોના સામે હારી રહ્યું છે. સુખ, સમૃદ્ધિ અને વિકાસને શરીરસુખની બહાર કોઈક જગ્યાએ શોધવાનો વખત આવી ગયો છે. એક નવો અનુભવ જગતની શ્રીમંત પ્રજાને થઈ રહ્યો છે.
વિકાસની એરણે જે દેશોને વિકાસશીલ તરીકે ઓળખાવવામાં આવ્યા છે તેનો અનુભવ બંને બાજુનો છે અને જો બોધ લેવો હોય તો વધારે બોધપ્રદ છે. વિકસિત દેશો અને વિકાસશીલ દેશોના વિકાસની યાત્રામાં મૂળભૂત ફરક એ છે કે વિકસિત દેશો પરાયાના ખભે ચડીને વિકસિત થયા છે અને વિકાસશીલ દેશોમાં જે વર્ગ વિકસિત થયો છે એ પોતાનાંને ખભે ચડીને વિકસિત થયો છે.
યુરોપના વિકસિત દેશો ભારત જેવા દેશોને ગુલામ બનાવીને એટલે કે સંસ્થાનોને લૂંટીને સમૃદ્ધ થયા છે. દરેકને ખીલે પાંચ-દસ દૂઝણી ગાયો બાંધેલી હતી. તેનો કાચો માલ મફતના ભાવે પોતાને ત્યાં લઈ જતા હતા અને બનાવેલો માલ ગુલામ દેશોમાં પોતાના ભાવે વેચતા હતા. સંસ્થાનવાદનો અંત આવ્યો એ પછીથી અમેરિકા અને યુરોપના દેશોએ ગરીબ દેશોના સંસાધનો પર નજર કરી હતી. દાદાગીરી એવી હતી કે સંસાધનો ગરીબ દેશોના વપરાય, પર્યાવરણનો દાટ ગરીબ દેશોનો વળે અને સમૃદ્ધ એ લોકો થાય. તેમની પાસે વિજ્ઞાન, ટેકનોલોજી અને મૂડી હતાં.
હવે સંસ્થાનવાદના અંત પછી જે દેશોએ સફર શરૂ કરી તેની પાસે વિકસિત દેશો જેવી અનુકૂળતા તો હતી નહીં. બીજાનાં સંસાધનો અને વિશ્વમાર્કેટનો ઉપયોગ કરી શકે એવી સ્થિતિમાં પણ તે નહોતા. એની પાસે એવી કોઈ શક્તિ નહોતી કે પરાયાનું શોષણ કરીને પોતે સમૃદ્ધ થઈ શકે. પાછો વિકાસનો માર્ગ તો એ જ અપનાવવો હતો જે વિકસિત દેશોએ અપનાવ્યો હતો. વિકાસનો આ જ એકમાત્ર રાજમાર્ગ છે એમ કહેવામાં આવતું હતું અને તેમનું વિકાસનું દર્શન વિકાસશીલ દેશોમાં શાસકોને અને અર્થશાસ્ત્રીઓને ગળે ઊતરતું હતું. ચાલવું તો એ જ માર્ગે જોઈએ જે માર્ગે ચાલીને વિકસિત દેશો વિકસિત થયા છે.
પણ સમસ્યા એ હતી કે સંસાધનો, ઉપભોક્તાઓ અને માર્કેટ ક્યાંથી લાવવાં? તો આનો ઉત્તર એ હતો કે આપણાં પોતાનાં. વિકાસ માટે આપણે જંગલ, જમીન, પાણી, ખનીજ-સંપદાઓ વાપરવાં પડશે. ત્યાં જે લોકો વસે છે અને એક પ્રકારની આત્મનિર્ભર જિંદગી જીવે છે તેને ત્યાંથી ખસેડવા પડશે અને ખસશે નહીં તો ખદેડવા પડશે. વિકાસના નામે કાચો માલ કબજે કરવો પડશે અને કારખાનાંઓમાં બનાવેલો માલ વેચવો પડશે. તેમના પરંપરાગત હુન્નરો અને ગ્રામોદ્યોગને અને તેને મળી રહેતા માર્કેટને તોડી પાડવા પડશે. ટૂંકમાં ભારતમાં અને જગત આખાના વિકાસશીલ દેશોમાં શાસકવર્ગે અને ઉદ્યોગપતિઓએ એ જ માર્ગ અપનાવ્યો હતો જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં અપનાવ્યો હતો. આ એક પ્રકારનો આંતરિક સંસ્થાનવાદ (internal colonialism) છે જેને વિકાસવાદી અર્થશાસ્ત્રીઓ દેશહિતમાં વિકાસની ચૂકવવી પડતી અનિવાર્ય કિંમત તરીકે ઓળખાવે છે.
હવે વિકાસશીલ દેશોમાં કોરોના ઉપદ્રવની પેટર્ન જુઓ. ભારતની પેટર્ન જુઓ. ભારતમાં કોરોનાના કુલ ત્રીસ હજાર કેસોમાંથી ૨૫ હજાર કેસો માત્ર દસ શહેરોમાં જ જોવા મળી રહ્યા છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, જયપુર, થાણે, પૂના, ઇન્દોર, ચેન્નઈ અને હૈદરાબાદ. બીજી બાજુ વિકસિત ભારતમાં જે પ્રદેશો અવિકસિત છે અને વિકસિત કે વિકાસશીલ ભારતના વિકાસ માટે જેણે કિંમત ચૂકવી છે એ લગભગ સુરક્ષિત છે. જેવી સ્થિતિ ભારતની છે લગભગ એવી જ સ્થિતિ બીજા વિકાસશીલ દેશોની છે. એ દેશોનો વિકસિત હિસ્સો કોરોનાગ્રસ્ત છે અને અવિકસિત હિસ્સો કોરોનામુક્ત છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ ભારતના કુલ ૭૩૬ જિલ્લાઓમાંથી ૬૦૭ જિલ્લાઓમાં કોરોનાના કેસ બહુ જ ઓછા છે અને તે વિકાસશીલ દેશના અવિકસિત પ્રદેશો છે. વિકાસની કિંમત ચૂકવનારા પ્રદેશ છે.
અહીં એક તક છે. અમેરિકા અને પશ્ચિમના દેશોની હાલત જોઈને વિકાસની અવધારણા વિશે જ પુનર્વિચાર કરવો જોઈએ. સુવિધાપરસ્તી એ વિકાસ નથી. ઓછું કામ કરવું અને વધારે ખાવું એ સુખ નથી. કોઈને વિકાસની કિંમત ન ચૂકવવી પડે એવો સમ્યક વિકાસ હોવો જોઈએ. કોઈએ એટલે કે કોઈ માણસે નહીં, કોઈ પ્રજાએ નહીં, કોઈ પ્રદેશે નહીં અને કુદરતે પણ નહીં. જો વિકાસની ફિલસૂફી વિશે જ પુનર્વિચાર નહીં કરવામાં આવે તો ૨૧મી સદી કિંમત વસૂલ કરનારી નિવડનારી છે. વારંવાર વાયરસ ત્રાટકશે, કુદરત વિફરશે, બેરોજગારી વધશે, ભૂખમરો વધશે, જેનો કાયમી ઈલાજ નથી એવી બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ વધશે, માનસિક બીમારીઓ વધશે, પરિવારો તૂટશે, આત્મહત્યાઓ વધશે, વગેરે.
મને ખબર છે કે હજુ તમને આ વાત ગળે નહીં ઉતરે. એક દાયકો રાહ જુઓ!
રહી વાત અવિકસિત દેશોની તો એવા દેશો લગભગ કોરોનામુક્ત છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2020