ભારતના અંતિમ વાઇસરોયના પદે રહેલા માઉન્ટબેટનનું નામ હાલ ચર્ચામાં છે અને તેનું કારણ છે નેટફ્લિક્સ પર રજૂ થયેલી ‘ધ ક્રાઉન’ નામની સિરીઝ. આ સિરીઝ યુનાઇટેડ કિંગ્ડમના વર્તમાન ક્વિન એલિઝાબેથ બીજાનાં જીવન પર આધારિત છે. તેઓ છેલ્લાં સિત્તેર વર્ષથી આ પદે છે અને તેમના આ કાળમાં રાજવી પરિવારની કેટલીક ઘટનાઓ અંગે રહસ્ય રહ્યું છે. આ રહસ્યને ઉજાગર કરતી આ સિરીઝની પ્રથમ સિઝન 2016માં રજૂ થઈ હતી, હાલમાં તેની ચોથી સિઝન રિલીઝ થઈ છે. ‘ધ ક્રાઉન’ સિરીઝને નિર્માણ કરવાનું સાહસ જાણીતા પ્રોડ્યુસર-રાઇટર પિટર મોર્ગન લીધું છે અને તે માટે આધાર 2006માં રજૂ થયેલી ‘ધ ક્વિન’ ફિલ્મમાંથી લીધો છે. આ ફિલ્મના લેખક પણ તેઓ પોતે જ હતા. ‘ધ ક્રાઉન’ના ચાર સિઝનમાં 40 એપિસોડ રજૂ થઈ ચૂક્યા છે અને તેમાં એક હિસ્સો લોર્ડ માઉન્ટબેટનની હત્યા અંગેનો છે. લૂઇ માઉન્ટબેટનનું નામ ભારતના આઝાદીકાળના ઇતિહાસમાં અવારનવાર આવે છે. આઝાદી વખતે તેમની ભૂમિકા ચાવીરૂપ રહી હતી. અતિ ઘટનાપ્રચૂર આ સમયગાળામાં લૂઇ માઉન્ટબેટનની જે રીતે ઉપસ્થિતિ રહી છે, તે કારણે ભારતના વાઇસરોય તરીકે આપણી સ્મૃતિમાં એ છે. જો કે ભારત સિવાય માઉન્ટબેટનનાં જીવનની ભાગ્યે જ ચર્ચા થઈ છે. ‘ધ ક્રાઉન’ સિરીઝ દ્વારા હાલમાં માઉન્ટબેટનના હત્યા વિશે પ્રશ્નો થઈ રહ્યા છે. માઉન્ટબેટનનું જીવન અને તેમની સાથે સંકળાયેલા વિવાદોની યાદી લાંબી છે. ઉપરાંત, તેમની હત્યાને લઈને પણ તર્કવિતર્ક છે.
આઝાદી બાદ ભારતના ગવર્નર જનરલ તરીકે વિદાય લીધા બાદ તેમની હત્યા થઈ ત્યાં સુધી તેઓ ‘મેમ્બર ઓફ ધ હાઉસ ઓફ લોર્ડ્સ’ રહ્યા હતા. ‘ધ હાઉસ ઓફ લોર્ડ્સ’ની સરખામણી આપણે ત્યાંની રાજ્યસભ્ય સાથે થઈ શકે. આ તો તેમને મળેલું ઓનરરી પદ હતું, પણ તે સિવાય તેમણે સૈન્ય પદાધિકારી તરીકે અનેક જવાબદારી નિભાવી. ભારતની આઝાદી બાદ તેઓને જે પ્રથમવાર અગત્યનું પોસ્ટિંગ મળ્યું તે ‘મેડેટિરિયન ફ્લિટમાં સેકન્ડ ઇન કમાન્ડ’ તરીકેનું. આ પદ બ્રિટિશ નૌસેનાનું અતિ મહત્ત્વનું પદ ગણાય છે અને ત્યાર બાદ 1956માં તેઓ નૌસેનામાં સૌથી ઉચ્ચ પદ ‘એડમિરલ ઓફ ધ ફ્લિટ’ પર બિરાજ્યા. પછીના ગાળામાં તેમણે જે પદ પર સેવા આપી છે તેની યાદી લાંબી છે. ઢળતી ઉંમરે જે ભૂમિકા માઉન્ટબેટને ભજવી, તે વર્તમાન પ્રિન્સ ફિલિપ અને ક્વિન એલિઝાબેથના સૌથી મોટા દીકરા પ્રિન્સ ચાર્લ્સના માર્ગદર્શક તરીકેની. આ લાંબી કારકિર્દીમાં માઉન્ટબેટનને ઇગ્લંડ સરકાર વતી કટોકટી વેળાએ અનેક નિર્ણય લેવાના થયા, પણ તેમાં સૌથી પડકારભર્યો કાળ ભારતની આઝાદીની બાગડોર સંભાળવાની હતી. તેમની આ ભૂમિકાની જેટલી ચર્ચા થાય છે તેટલી જ ચર્ચા યુરોપના દેશોમાં તેમના હત્યા અંગે થાય છે.
માઉન્ટબેટનનું જીવન જાણવા અર્થે કેટલીક આપણને અપ્રસ્તુત લાગે તેવી વિગતોમાં પ્રવેશવું પડે. જેમ કે, તેમની હત્યાનું પ્રકરણમાં પ્રવેશતા અગાઉ બ્રિટિશ-આયરલેન્ડ સંબંધોને તપાસવા રહ્યા. ભારતની જેમ અંગ્રેજોએ પોતાની આસપાસ જે ક્ષેત્રો પર કબજો જમાવ્યો હતો તેમાં એક આયરલેન્ડ પણ હતું. અંગ્રેજોથી આઝાદી મેળવવાનો આઇરીશ પ્રજાનો લાંબો ઇતિહાસ છે, પણ તેનો અંતિમ અધ્યાય લખાયો ઓગણીસમી સદીના આરંભમાં. આ સમયગાળામાં આઇરીશ પ્રજા દ્વારા એક સેના ગઠિત થઈ અને તે ‘આઇરીશ રિપબ્લિકન આર્મી’ તરીકે ઓળખાતી હતી. આ આર્મીએ બ્રિટીશ સેના સામે ત્રણ વર્ષ સુધી ગેરીલા યુદ્ધ લડ્યું. અને 1921માં જ્યાં સુધી એંગ્લો-આઇરીશ સંધિ ન થઈ ત્યાં સુધી આ ગેરીલા યુદ્ધ ચાલતું રહ્યું. એક સમય આવ્યો, જ્યારે આઇરલેન્ડ પૂર્ણ રીતે ઇંગ્લંડથી સ્વતંત્ર થઈ ગયું, જો કે તેનો ઉત્તરનો ભાગ પર ઇંગ્લંડના શાસન હેઠળ રહ્યો. આઇરલેન્ડના એક મોટા હિસ્સાને સ્વતંત્રતમાં મળ્યા છતાં ભૂતકાળમાં આ બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધોથી સંબંધમાં આવેલી ખટાશ દૂર થઈ નહોતી અને વિશેષ કરીને આઇરીશ રાષ્ટ્રવાદી જૂથો તેનો બદલો હજી પણ લેવા માંગતા હતા. રાષ્ટ્રવાદી આ જૂથની બ્રિટિશર્સ વિરુદ્ધ સમયાંતરે હિંસક પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ જ કારણે તેઓએ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સાથે રહીને બ્રિટન સામે રહ્યા હતા. આ રીતે ઉત્તરના ભાગને મુક્ત કરવાની જે લડાઈ હતી તેમાં આઇરીશ આર્મીએ સિમ્બોલિક ટારગેટ તરીકે માઉન્ટબેટન પર નિશાન સાધ્યું હતું.
માઉન્ટબેટન પર આ હૂમલો થયો તે વખતે તેમની ઉંમર 79 હતી અને તેઓ આઇરલેન્ડના જ મુલઘામોર નામના એક ગામમાં પરિવાર સાથે પ્રવાસે હતા. ઢળતી ઉંમર છતાં માઉન્ટબેટને રાજવી પરિવાર પર દબદબો રહ્યો હતો અને તે એક સન્માનીય વ્યક્તિ ગણાતા હતા. આ ઉપરાંત, તેઓ પ્રિન્સ ચાર્લ્સના માર્ગદર્શક બની ચૂક્યા હતા. જો કે આવાં અગત્યના પદ અને રાજાના કરીબી હોવા છતાં તેઓને ટારગેટ કરવું સરળ હતું અને એટલે જ આઇરીશ આર્મીએ તેમને નિશાને લીધા. એવું નથી કે તેમને આ જોખમનો અણસાર નહોતો. તેમને અનેકવાર આઇરીશ આર્મી દ્વારા ધમકી મળી ચૂકી હતી અને તેમ છતાં તેમણે પૂરતી સુરક્ષા ન લીધી. એક વખત તો તેમણે કહ્યું પણ હતું કે, “કોણ વળી આ વૃદ્ધને મારવા તત્પર હશે?” જો કે તેમણે વિચાર્યું તેમ ન થયું અને તેમના પર હૂમલો થયો. કમનસીબી એ હતી કે તેમની સાથે પરિવાર પ્રવાસમાં સામેલ હતો અને તેમાં પરિવારનાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં.
ઉચ્ચ હોદ્દા પર રહેલી કોઈ વ્યક્તિની આમ હત્યા થઈ તેવાં જૂજ નામોમાં એક માઉન્ટબેટન પણ છે. માઉન્ટબેટનની હત્યા બાદ જ ઉત્તરીય આઇરલેન્ડના સંઘર્ષના અંતની શરૂઆત થઈ. ‘ધ ટ્રબલ્સ’ નામથી ઓળખાતો આ સંઘર્ષનો અંત 1998માં આવ્યો જ્યારે બ્રિટિશ અને આઇરીશ સરકાર વચ્ચે સંધિ થઈ. આ સંધિ હેઠળ જેમણે માઉન્ટબેટનની હત્યા માટે જેણે બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો તેને પણ છોડવામાં આવ્યો. આઇરીશ અને અંગ્રેજોનો આ સંઘર્ષ અહીંયા જે રીતે વર્ણવ્યો છે તેટલો સરળ નથી. આ બંને દેશો વચ્ચે ક્ષેત્રો, શાસન અને ધર્મની પણ આંટીઘૂંટી છે, જે અહીંયા વિસ્તૃત રીતે આલેખવી મુશ્કેલ છે. અહીંયા માત્ર માઉન્ટબેટનની હત્યાને સમજવા અર્થે વિગત આપી છે.
માઉન્ટબેટનની હત્યાના સંબંધિત ચર્ચા અંગ્રેજ અને આઇરીશ મીડિયામાં સમયાંતરે થતી રહી છે. પરંતુ અત્યારે ‘ધ ક્રાઉન’ સિરીઝે માઉન્ટબેટનના હત્યાના પ્રકરણને ફરી સપાટી પર લાવ્યું છે. ભારતમાં માઉન્ટબેટનના વિદાય પછીના તેમના જીવનનો ઉલ્લેખ ભાગ્યે જ થાય છે. ઇવન, ભારતમાં પદ સ્વિકારતા અગાઉ બ્રિટિશ સેનામાં તેમનું યોગદાન આપણે ત્યાં વિસરાયેલું છે. માઉન્ટબેટન રાજવી પરિવાર સાથે સંકળાયેલા હોવા છતાં માત્ર સોળ વર્ષની ઉંમરે તેમની સૈન્ય કારકિર્દી આરંભાઈ ચૂકી હતી. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં તેઓનું એક સૈનિક તરીકે પદાર્પણ થઈ ચૂક્યું હતું. આ પછી પણ યુરોપમાં જે આંતરિક સંઘર્ષ ચાલતાં તેમાં યુદ્ધ ક્ષેત્રમાં તેમની નિમણૂંક થતી રહી. તેમના યુદ્ધ ક્ષેત્રના આ લાંબા અનુભવના કારણે જ બીજા વિશ્વયુદ્ધમાં તેઓને કિ પોઝીશન પર મૂકવામાં આવ્યા હતા. યુદ્ધક્ષેત્રના તેમના અનુભવના કારણે જ તેઓ પર્લ હાર્બર પર હૂમલો થયો તેના ત્રણ મહિના અગાઉ ત્યાં વિઝિટ લઈને આવ્યા હતા અને અમેરિકા યુદ્ધની તૈયારી નથી ધરાવતું તેની પણ નોંધ લીધી હતી. આ ઉપરાંત, જાપાન પર્લ હાર્બર પર અચાનક હૂમલો કરશે અને પછી અમેરિકા યુદ્ધમાં સામેલ થશે તેવી પણ અગાઉથી શંકા વ્યક્ત કરી હતી, પછી બન્યું પણ એમ જ. તેમની આ કાબેલિયતના કારણે જ તેઓ બ્રિટનના તત્કાલિન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના પ્રિય બની રહ્યા. પછી તો તેઓને એક પછી એક યુદ્ધ ક્ષેત્રની જવાબદારી સાથે બઢતી મળતી રહી. એશિયામાં તેમણે લાંબી સેવા બર્મા ખાતે બજાવી, જ્યારે જાપાનના હૂમલા સામે તેઓ અમેરિકા અને ચીન સાથે મળીને લડી રહ્યા હતા. બર્માનું 1944-45નું આ કેમ્પેઇનમાં તમામ મિત્ર દેશોએ માઉન્ટબેટનનું નેતૃત્વ સ્વિકાર્યું હતું. આ પછી પણ બ્રિટનના વડા પ્રધાન તરીકે આવેલા ક્લેમેન્ટ એટલી માટે પણ માઉન્ટબેટનું સ્થાન વિશેષ રહ્યું. બર્માના યુદ્ધ દરમિયાન માઉન્ટબેટનને એશિયામાં જે અનુભવ અર્જિત કર્યો હતો તે કારણે જ તેમને આઝાદી આપતી વખતે તેમની નિમણૂક કરવામાં આવી.
ભારત સાથે અભિન્ન રીતે જોડાયેલા માઉન્ટબેટનની આ તો આછીપાતળી ઝલક છે. તેમનું પૂરું જીવન સમજવા અર્થે તો તેમના જીવન પર પણ ‘ધ લાસ્ટ વાઇસરોય’ એવી લાંબી સિરીઝ નિર્માણ કરવી રહી.
e.mail : kirankapure@gmail.com