‘આપણે પાછા ભેગા થઈ જવું જોઈએ’ એવી ફેન્ટસીમાં રાચવા કરતાં વધુ સંગત અને તાર્કિક સવાલ એ છે કે ‘શું આ વિભાજન થયું તે સારા માટે ન હતું?
જે દિવસે (મસ્તાની ફેમ) બાજીરાવ સિનેમાઘરોમાં મુઘલ સામ્રાજ્યની સરહદો કાપીને મરાઠા સામ્રાજ્યનું વિસ્તરણ કરવા માટે ખાંડાં ખખડાવી રહ્યો હતો ત્યારે દોહા સ્થિત અલ જઝીરા ટીવી ચેનલના ઇન્ટરવ્યૂઅર મહેંદી હસન સાથે ખાંડાં ખખડાવીને ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે ‘આશા’ વ્યક્ત કરી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માને છે કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દિવસ ભેગાં થશે અને અખંડ ભારત બનશે.
બાજીરાવના સમયમાં મુઘલોનો ‘મુસ્લિમ પાવર’ સંક્ષિપ્ત કરીને મરાઠાઓનો ‘હિન્દુ પાવર’ પશ્ચિમમાં કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ અને દક્ષિણમાં તામિલનાડુ સુધી છવાયો હતો. બાજીરાવની જેમ જ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ હકીકત સાથે સામંજસ્ય સ્થાપી શક્યો નથી કે ‘હિન્દુસ્તાન’ બે ટુકડામાં વહેંચાઈ ગયું છે. આના માટે સંઘ ‘મુસ્લિમો’ને જવાબદાર માને છે. સંઘની ‘સ્કીમ’માં પાકિસ્તાનનું અસ્તિત્વ અતાર્કિક અને અનાવશ્યક છે અને હિમાલયથી શરૂ કરીને સિંધુ નદીના તટમાં રહેતા તમામ ઇલાકાઓએ હિન્દુ જાતિ અને હિન્દુ રાષ્ટ્ર તરીકે રહેવું જોઈએ.
વિનાયક દામોદાર સાવરકરે લખ્યું છે કે ‘સંસ્કૃતમાં સિંધુનો મતલબ માત્ર નદી જ નહીં, સાગર પણ થાય છે. એટલે સિંધુનો પટ (પશ્ચિમમાં) આપણી ભૂમિની સરહદ છે. સિંધુસ્તાનના નામમાં આપણી માતૃભૂમિની છબી છે; જે સિંધુ અને સિંધુ-નદીથી સાગર સુધીની છે. હિન્દુઓ (આ) હિન્દુ રાષ્ટ્રના ખાલી નાગરિક તરીકે જ સંગઠિત નથી, સમાન ખૂનથી પણ બંધાયેલા છે.’ આ વિભાજન અખંડ ભારતના ખયાલનો વિશ્વાસઘાત છે, એમ સંઘ માને છે.
અખંડ ભારતનું સ્વપ્ન ખાસું લોકપ્રિય છે અને એ ઘણા બધાની નીંદમાં આવતું રહે છે. તમારા અને મારા માટે તો 60 વર્ષ બુઢાપાની ઉંમર કહેવાય પણ એક રાષ્ટ્ર માટે તો એ બાળપણ કહેવાય. એ કારણથી જ, ભારત-પાકિસ્તાનના વિભાજનને લઈને હજુ ય ગહન અને ભાવુક ચર્ચા-વિચાર થતો રહે છે. એમાં કૉંગ્રેસ, મુસ્લિમ લીગ, ગાંધી, જીન્હા, નહેરુ, સરદારને વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે ઉત્તરદાયી ગણવામાં આવતા રહે છે અને એવા ય ખયાલને પંપાળવામાં આવે છે કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો ભેગા હોત તો વધુ સુખી અને સમૃદ્ધ હોત.
ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ હવે જમીની હકીકત છે અને એ હકીકત નકારી શકાય તેમ નથી. એ વાત સાચી છે કે આ વિભાજન રક્તરંજિત અને દર્દનાક હતું. એટલા માટે જ ઇતિહાસકારોથી લઈને રાજકીય પક્ષો અને આમજનતા ભાવુક થઈને ‘આ વિભાજન નિવારી શકાયું હોત’ અથવા ‘આપણે પાછા ભેગા થઈ જવું જોઈએ’ એવી ફેન્ટસીમાં રાચતા રહે છે. છતાં, વધુ સંગત અને તાર્કિક સવાલ એ છે કે ‘શું આ વિભાજન થયું તે સારા માટે ન હતું?’
પાછાં ભેગાં થવાની વાત તો એવી છે કે પાકિસ્તાનીઓ પાછા હિન્દુઓના પ્રભુત્વ નીચે આવી જાય અથવા ભારતીયો પાછા અંગ્રેજોના ગુલામ થઈ જાય. આ અશક્ય જ નહીં, અપમાનજનક પણ છે. પહેલી વાત તો એ કે વિભાજન અનિવાર્ય હતું. અંગ્રેજોએ ભારતનાં બે ફાડિયાં કર્યાં હતાં એવી એક મિથ યુવાન પેઢીને ભણાવવામાં આવી છે. અંગ્રેજોએ વર્ષો સુધી એવી દલીલ કરી હતી કે હિન્દુ-મુસલમાનોએ સાથે રહેવું જોઈએ. છેલ્લે 1946-47માં વચગાળાની કેબિનેટમાં નહેરુ, સરદાર અને જીન્હાને ભેગા બેસાડવામાં આવ્યા હતા એ પ્રયોગ પણ નાકામ રહ્યો હતો. એમાં લીગના નાણામંત્રી લિયાકત અલી ખાને (જે સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા) દ્વિતીય મહાયુદ્ધમાં ઢગલો રૂપિયા બનાવનારા ઉદ્યોગો પર કરવેરા ઝીંક્યા તે ‘હિન્દુ વિરોધી’ હોવાની લાગણી બળવત્તર બની ગઈ અને કૉંગ્રેસે મન બનાવી લીધું કે જીન્હા સાથે કોઈ કાળે કામ કરવું શક્ય નથી અને સાફ-સૂથરું વિભાજન જ અંતિમ ઉપાય છે.
આ જ કેબિનેટ પ્લાન હેઠળ રાજા-રજવાડાંને લઈને મગનું નામ મરી પાડવામાં આવ્યું઼ ન હતું. આ પ્લાન જો પાર પડ્યો હોત તો આ નવાબો અને મહારાજાઓએ કેવી દાદાગીરી અને કેવા બ્લેકમેઇલ કર્યા હોત એ કલ્પના કરવા જેવી છે. સ્વતંત્ર ભારતમાં ય સરદાર પટેલે રીતસર કાપાકાપીની ધમકી આપી તે પછી આ નવાબજાદાઓ લાઈન પર આવ્યા હતા અને સાલિયાણાના બદલામાં સત્તા જતી કરવા તૈયાર થયા હતા. એટલે સુધી કે બ્રિટિશ ટોરી પક્ષની (જેને ભારતની સ્વતંત્રતા સામે જબ્બર વાંધો હતો) ચઢામણીથી કેટલાંક રજવાડાંઓએ તો અખંડ ભારતમાં રહીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યપદ માટે પણ અરજીઓ કરી હતી.
કેબિનેટ મિશન પ્લાનનો ઉદ્દેશ જ વિભાજિત ભારત સારું કે અખંડ ભારત સારું એ પ્રશ્નનો જવાબ શોધવાનું હતું. અંગ્રેજોએ કૉંગ્રેસ અને લીગની કામચલાઉ સરકારને જે ‘લબાચો’ પકડાયેલો તે આ રાજા-રજવાડાંનું શું કરવું તે. વિભાજન ન થયું હોત તો આ ‘લબાચો’ ઉકેલાયો ન હોત અને એમણે અખંડ ભારતના નાકમાં દમ લાવી દીધો હોત. વિચાર કરો કે એક જ સંવિધાન, સમાન રેલ વ્યવસ્થા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સંલગ્ન ઇલાકા વગરનું ભારત કેવું હોત?
કેબિનેટ મિશનનો ઉદ્દેશ હિન્દુ-મુસ્લિમોના સહ-અસ્તિત્વ અને સહ-સરકારનો હતો. આ મિશનનો અસ્વીકાર ભારતના ટકી રહેવા માટે અગત્યનો બની ગયો હતો. આ યોજનાનો ડૂચો વાળી દેવામાં આવ્યો તે પછી જ ભારતીય સંવિધાન, ન્યાયિક વ્યવસ્થા, મુક્ત લોકતંત્ર અને બહુ પક્ષીય ગોઠવણ શક્ય બની હતી. અવિભાજિત ભારતમાં આ શક્ય બન્યું ન હોત કારણ કે અવિભાજિત ભારતના 33 પ્રતિશત મુસ્લિમો તમામ પ્રકારની યોજના, વિચાર, ચર્ચામાં હાવી રહ્યા હોત. 30 અને 40ના દાયકામાં સામાજિક-રાજકીય સુધારની કોશિશ એટલે જ નાકામ રહી હતી.
કેબિનેટ મિશન પ્લાનની હિન્દુ-મુસ્લિમ સત્તા સાઝેદારીમાં એક ગોઠવણ મુસ્લિમો માટે અલગ નિર્વાચન-મંડળ (ઇલેક્ટ્રોરેટ)ની હતી. નહેરુ આના વિરોધી હતા. અલગ નિર્વાચન મંડળ હોય એવી લોકશાહી લોકશાહી ગણાઈ હોત? અવિભાજિત ભારતમાં પંજાબ, સિંધ, બલુચીસ્તાન અને પૂર્વ બંગાળમાં હિન્દુ-મુસ્લિમ વસતીનું અસંતુલન માથાનો દુખાવો રહ્યું હોત અને કોંગ્રેસ ક્યારે ય શાંતિથી શાસન કરી શકી ન હોત. વિભાજનના કારણે જ મહાત્મા ગાંધી, નહેરુ અને સરદાર બહુમતી કોમના ઝેરને બેઅસર કરી શક્યા હતા.
જીન્હાને શરૂઆતથી જ ખબર હતી કે હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ ફોલ્ટ-લાઈન થીંગડાં મારવાથી સરખી નથી થવાની. નહેરુ અને સરદારને મોડે મોડે પણ ડહાપણ લાધેલું. ગાંધીજી આ ક્યારે ય નહીં સમજ્યા. અગર સમજ્યા હતા તો ક્યારે ય એનો સ્વીકાર કર્યો ન હતો. જીન્હા, નહેરુ અને સરદારની આ સમજના કારણે જ હિન્દુ અને મુસ્લિમો એક ખુલ્લી શાંતિ હેઠળ જીવી રહ્યા છે. અવિભાજિત ભારતમાં એ કોમી વિસંવાદ ખાસો અઘરો સાબિત થયો હોત. આ નેતાઓની દૂરંદેશીના કારણે જ ભારત હિન્દુ રાષ્ટ્ર કે હિન્દુ પાકિસ્તાન બનવામાંથી બચી ગયું. કોમી અસંતુલનના કારણે જ ભારત લેબનોન બન્યું નથી જ્યાં 60 પ્રતિશત મુસ્લિમો અને 40 પ્રતિશત ઈસાઈઓના મિશ્રણથી હિંસાની ભયાનક કોકટેલ બની છે.
કુલદીપ નાયર નામના પ્રસિદ્ધ પત્રકાર અને શાંતિ-દૂતે કહ્યું હતું કે વિભાજન તો અનિવાર્ય હતું જ, પણ એમના અંગત મત પ્રમાણે, મુસ્લિમો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વિભાજિત થઈ ગયા એમાં મુસ્લિમોનું જ અહિત થયું છે. આ મુસ્લિમો એકઠા હોત તો એમની તાકાત કેટલી મોટી હોત, એમ નાયરે કલ્પના કરી હતી. એક્ચુઅલી, લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતાની સલામતી માટે આ વિભાજન તાર્કિક હતું.
પાકિસ્તાનમાં આજે જે પરિસ્થિતિ છે તેના પરથી ભારતે પોતાના ટુકડા થવા દીધા તે ઉચિત લાગે છે. ભારત આજે જે પ્રગતિ કરી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય સમાજ આંતરિક તનાવો, ધાર્મિક સંઘર્ષ અને જરી-પુરાણી પરંપરાઓથી મુક્ત રહ્યો છે. હકીકત એ છે કે (લોકતંત્રથી વિપરીત) ધર્મતંત્રો હંમેશાં આપસમાં અને અંદરથી લડાઈ-ઝઘડો જ કરતા રહ્યાં છે. ધર્મતાંત્રિક વ્યવસ્થા ત્યાં જ કારગત નીવડી છે જ્યાં દેશ નાનો ટચૂકડો કે સંપ્રદાય જેવો હોય.
ભારત વિભાજનના કારણે જ ધર્મતાંત્રિક બનતું રહી ગયું. નહીં તો બે પ્રબળ કોમોના સહઅસ્તિત્વથી કોમવાદી વિસંવાદ હજાર ઘણા તીવ્ર હોત અને લોકતાંત્રિક તથા ધર્મનિરપેક્ષ અવાજોનાં ગળાં ઘોંટાઈ ગયાં હોત. ઇન્ટરનેશનલ રિલેશન્સ નામની એક વેબ સાઇટના અભ્યાસ મુજબ દુનિયામાં અત્યારે (પાકિસ્તાન સહિત) 10 દેશોમાં સશસ્ત્ર ગૃહયુદ્ધો ચાલે છે, જેમાં પ્રતિવર્ષ 1000થી વધુ મૃત્યુ થાય છે. પાંચ દેશોમાં ઓછા ગંભીર ગૃહયુદ્ધ ચાલે છે. જેમાં પ્રતિવર્ષ 200થી વધુ મૃત્યુ થાય છે.
ભારતનો સમાવેશ આ બીજા જૂથમાં કરવામાં આવ્યો છે, જેનું કારણ કાશ્મીર અને ઉત્તર-પૂર્વનાં રાજ્યો હોઈ શકે. ભારત સીરિયા અને ઈરાક (જે પ્રથમ જૂથમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પર છે)ની જેમ ગંભીર ગૃહયુદ્ધનો શિકાર નથી બન્યું તેનું કારણ વિભાજન છે. એ દૃષ્ટિએ, ભારત વોર-ઇન-પ્રોગ્રેસ નહીં, પણ વર્ક-ઇન-પ્રોગ્રેસ છે.
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રસરંગ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 17-01-2016
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5224663-NOR.html