આ યોજના સામાજિક એકતા, સમાનતા અને ભાઈચારાની દિશામાં કેટલાં ડગ માંડી શકી છે તે ચકાસવું જોઈએ
નવ દાયકા કરતાં વધુ સમય પૂર્વે, ઈ.સ. 1923માં, મદ્રાસ મ્યુિનસિપલ કોર્પોરેશને શહેરી વિસ્તારોની શાળાનાં બાળકો માટે પોષક આહાર યોજના શરૂ કરી હતી. 1930માં પોંડિચેરીમાં ફ્રેન્ચ વહીવટી તંત્રે પણ આવો પ્રયાસ કર્યો હતો. આઝાદી બાદ 1962-63માં તામિલનાડુમાં કે. કામરાજે નાના પાયે અને પછી એમ.જી. રામચંદ્રને 1982માં સમગ્ર રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી. મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હતું. કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 19મી નવેમ્બર 1984ના રોજ ગુજરાતમાં આ યોજના શરૂ કરી હતી. આરંભે રાજ્યના 68 તાલુકામાં શરૂ થયેલી આ યોજના ડિસેમ્બર 1984થી સમગ્ર રાજ્યમાં અમલી બની હતી. 2001 અને 2004ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પછી એ યોજના સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવી. 1995થી આ યોજના માટે કેન્દ્ર સરકાર 75% અનુદાન આપે છે. આજે ગુજરાતનાં તમામ ગામો અને શહેરી વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો જોગ બપોરાંની આ યોજના અમલી છે, જેમાં 450 કેલેરીનો 180 ગ્રામ આહાર સરેરાશ 200 દિવસ આપવામાં આવે છે.
મધ્યાહ્ન ભોજન યોજના એના આરંભ કાળથી જ ચર્ચા અને વિવાદમાં રહી છે. તેનો ઉદ્દેશ બાળકોને શાળા શિક્ષણ તરફ વાળવાં, શિક્ષણનો વ્યાપ વધારવો, નિરક્ષરતાનિવારણ કરવું, બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડી ગરીબીનિવારણ કરવું, બાળકોનું સ્વાસ્થ્ય સુધારવું, રોજગારી પૂરી પાડી બેરોજગારીની સમસ્યા હળવી કરવી, શાળાની બહાર ધકેલાતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, બાળકોમાં જાતિ, ધર્મ કે લિંગના ભેદભાવ સિવાય સામાજિક એકતા વિકસાવવી અને રાષ્ટ્રીય એકતા સ્થાપવી, એવો હતો. પરંતુ આ યોજના તેના મોટા ભાગના ઉદ્દેશો પાર પાડવામાં નિષ્ફળ ગઈ હોવાનું અને તે ભ્રષ્ટાચારનો પર્યાય હોવાનું માનવામાં આવે છે. કેટલાક સરકારી-બિનસરકારી મૂલ્યાંકન અહેવાલો પણ આ વાતની ગવાહી પૂરે છે. ગુજરાતમાં આ યોજના આરંભાયાના બે જ વરસ પછી ખુદ સરકારે જ એના મૂલ્યાંકનનું કામ જાણીતી સંશોધન સંસ્થા ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’(સુરત)ને સોંપ્યું હતું. આ મૂલ્યાંકનનું એક તારણ, યોજનાના નબળા અમલીકરણનું, રાજકીય ઈચ્છાશક્તિના અભાવનું અને વહીવટી તંત્રની ઉપેક્ષાનું હતું. આજે 30 વરસો પછી વગર મૂલ્યાંકને પણ આ તારણ યથાવત રહે એવી સ્થિતિ છે.
આયોજન પંચે 2010માં તમામ રાજ્યોની મધ્યાહ્ન ભોજન યોજનાનું મૂલ્યાંકન કરાવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે 13 લાખ પ્રાથમિક શાળાઓના લક્ષિત બાળકો પૈકી 94 % બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં સફળતા મળી છે. જ્યાંથી આ યોજનાનો આરંભ થયો હતો તે તામિલનાડુમાં આ યોજના સહુથી વધુ સફળ રહી છે. ત્યાં 98,228 શાળાઓના 53 લાખ બાળકોને વરસે 220 દિવસ ગરમ રાંધેલો ખોરાક મળે છે. જો કે આ સમીક્ષામાં 56% શાળાઓમાં પાકાં રસોડાં ના હોવાનું, 76% શાળાઓમાં અનાજના સંગ્રહ માટે પાકા ઓરડા ના હોવાનું અને 17% શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોવાનું જણાયું હતું. ઘણાં રાજ્યોમાં યોજનાની વ્યવસ્થા સ્વૈચ્છિક-સામાજિક-ધાર્મિક સંસ્થાઓ હસ્તક હોવા છતાં બાળકોને ગુણવત્તાવાળો ખોરાક ન મળવાના, ખાધા પછી બાળકો બીમાર પડ્યાના કે મૃત્યુુ થયાના બનાવો પણ બન્યા છે.
યોજનાને કારણે બાળકોનું પ્રાથમિક શાળામાં દાખલ થવાનું પ્રમાણ નિ:શંક વધ્યું છે. પરંતુ ગુણવત્તાવાળા શિક્ષણથી એ દૂર રહી જાય છે. એટલે જ આ યોજના પર દલિત-આદિવાસી- પછાત-ગરીબ બાળકોને કાયમ નબળા રાખવાના ષડયંત્રનું પણ આળ છે. આ યોજના કુપોષણ નાબૂદીનું લક્ષ ધરાવે છે, પરંતુ દેશમાં 5 વરસથી નાની ઉંમરના કુપોષિત બાળકોનું પ્રમાણ 48% જેટલું હોય, ત્યારે 5 વરસથી મોટી ઉંમરના બાળકોને મધ્યાહ્ન ભોજનનું બટકું ફેંકીને કુપોષણની સમસ્યા સંપૂર્ણ હલ કરી શકાશે નહીં. ઉત્તર ભારતનાં ગરીબ પછાત રાજ્યોમાં આ યોજનાની સફળતા 40 થી 60% હોય અને દેશમાં તેનો સફળતા દર 72% હોય ત્યારે કુપોષણમુક્તિ પણ આંશિક રહેવાની.
‘શાળાઓમાં જાતિ, ધર્મ અને લિંગ આધારિત કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય બાળકોને એક સાથે જમવાનું આપવામાં આવે’ એવો યોજનાનો મહત્ત્વનો અને ઉમદા હેતુ છે. આ યોજના થકી સામાજિક એકતા, સામાજિક સમાનતા સધાય અને બાળકો બચપણથી જ જ્ઞાતિ-ધર્મના પૂર્વગ્રહોથી મુક્ત બને તેવો યોજનાનો હેતુ હોય અને બીજી તરફ ન માત્ર ગુજરાતમાં દેશભરમાં દલિત બાળકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠે ત્યારે આ યોજના સામાજિક સમાનતા સ્થપવામાં ઊણી ઉતરી હોવાનું લાગે છે.
જાણીતા સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈના 1976ના ‘ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા’ના અભ્યાસમાં સંશોધન હેઠળના 59 માંથી 58 ગામોમાં દલિત બાળકો સાથે શાળામાં આભડછેટ રાખવામાં આવતી ન હોવાનું જણાયું હતું. પરંતુ 1986-87માં બે સંશોધકો કિરણ દેસાઈ અને સત્યકામ જોશીએ નોંધ્યું હતું કે, ‘મધ્યાહ્ન ભોજન યોજનાના અમલે શિક્ષકોના જ્ઞાતિકીય પૂર્વગ્રહોને સપાટી પર આણ્યા છે. ઉચ્ચ વર્ણીય શિક્ષકો ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં સભાનપણે હરિજન બાળકોને અલગ બેસાડે છે. આમ, હરિજન બાળકોને સામાજિક દૂષણનું જ્ઞાન બચપણથી જ થાય છે.’ ગુજરાતના 56 તાલુકાના 2589 ગામોમાં પ્રવર્તતી આભડછેટનો 2010નો રોબર્ટ કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઈટ્સ અને નવસર્જન ટ્રસ્ટનો અભ્યાસ આપણી આંખો ખોલી નાંખે છે. આ અહેવાલ જણાવે છે તેમ, ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં દલિત બાળકો પ્રત્યે આચરવામાં આવતી આભડછેટનું પ્રમાણ 53.8 ટકા જેટલું ઊંચું છે.
ભારતની જડ જાતિ પ્રથા અને ઉચ્ચનીચ કોટિક્રમ કેટલો જડબેસલાક છે અને દલિતોમાં આંતરિક આભડછેટ પણ કેટલી વ્યાપક છે તેનો નિર્દેશ કરતાં આ અહેવાલ નોંધે છે કે ગુજરાતમાં 17.4 % શાળાઓમાં દલિત બાળકો તેમનાથી કહેવાતા નીચી જાતિના વાલ્મિકી બાળકો પ્રત્યે આભડછેટ પાળે છે. એટલે કે 17.4% શાળાઓમાં મધ્યાહન ભોજન આરોગતાં બાળકોની દલિત અને બિનદલિત એવી બે જ પંગતો હોતી નથી પણ બિનદલિત, દલિત અને દલિતમાં દલિત એવા વાલ્મીકિ એવી ત્રણ પંગતો હોય છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને ગુજરાતની 186 શાળાઓની મધ્યાહ્ન ભોજન યોજનામાં 41 સંશોધન સંસ્થાઓ દ્વારા ઓકટોબર 2010 થી સપ્ટેમ્બર 2012 વચ્ચે થયેલી તપાસમાં પણ દલિત વિદ્યાર્થીઓ પ્રત્યેનો ભેદભાવ ઉજાગર થયો હતો.
દેશના લગભગ 12 કરોડ બાળકોને આવરી લેતી મધ્યાહ્ન ભોજન યોજના દુનિયાની સહુથી મોટી યોજના છે. કલ્યાણ રાજ્યને વરેલી આપણી સરકારો માટે આ એક મહત્ત્વની યોજના છે. પરંતુ તેની સફળતા માત્ર આંકડાઓની માયાજાળથી ન આંકતા વાસ્તવમાં આ યોજના સામાજિક એકતા, સમાનતા અને ભાઈચારાની દિશામાં કેટલાં ડગ માંડી શકી છે તે પણ ચકાસવું જોઈએ. આ યોજના સામાજિક સમાનતા સ્થાપવામાં કેટલી ખરી કે ઊણી ઉતરી છે તેના પરથી તેની સફળતા મૂલવવી જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘સામાજિક માપદંડ’, “દિવ્ય ભાસ્કર”, 13 જાન્યુઆરી 2016