જીવનમૂલ્યશ્રેણી – 09
સહિષ્ણુતા : Tolerance
દેશ આખામાં અસહિષ્ણુતા કશા ઝૅરી પવનની જેમ પ્રસરી રહી છે.
સરકાર, નેતાઓ અને અમુક પ્રજાજનો એક એવા હીન પ્રકારની બાલિશતા દાખવી રહ્યાં છે જે લોકશાહીય વિકાસને ઘણો રૂંધી રહી છે.
ગિરીજાશંકર માસ્તર અમને ભણાવતા – જુઓ વિદ્યાર્થીઓ ! જીવનમાં સહી લેતાં શીખજો, સુખી થશો. રમણીમાસી દીકરીને કહેતાં – જો બેટા, સાસરામાં થોડું વેઠી લઈશ, તો સુખી થઈશ. ચન્દુકાકા કહેતા – જેને દરેક વાતે ચલાવી લેતાં આવડે, એવિયો સુખી થાય. સહી લેવું વેઠી લેવું ચલાવી લેવું જેવાં ગુજરાતી ભાષાનાં ક્રિયાપદો એમ સૂચવે છે કે આપણે ગુજરાતીઓ સુખવાદી પણ એક સહિષ્ણુ પ્રજા છીએ.
તેમ છતાં, છાપાંમાં આવતા રહેતા બનાવો દર્શાવે છે કે અંગત જીવનમાં આજકાલ અસહિષ્ણુતા વધી ગઈ છે. રકઝક તડાતડી ગૃહક્લેશ તેમ જ ડોમેસ્ટિક વાયોલન્સ વધી ગયાં છે. દામ્પત્યજીવનમાં જીભાજોડી વધી ગઈ છે. પત્નીનાં સાચાં વૅણ પતિ સાંખી શકતો નથી. પતિની નાનકડી સલાહ પણ પત્નીને ભારે પડે છે. મિત્ર, મિત્ર જોડે ભા.જ.પ.ના કોઈ મુદ્દે છેડો ફાડી લે છે. જુવાનિ યાં મામૂલી કારણોસર બ્રેક-અપ અને વળી પૅચ-અપનાં ચક્કરમાં અટવાયા કરે છે અને એટલે લાગે કે સપાટી પરનું પ્રેમજીવન જીવી રહ્યાં છે.
રાષ્ટ્ર સમસ્તના જાહેરજીવનની તો શી વાત જ કરવી? દેશમાં ઠંડી હજી એટલી તીવ્ર અને વ્યાપક નથી બની. કોરોનાવાયરસ ચીનથી જરૂર પ્રવેશ્યો છે; પણ એવો કંઇ વ્યાપક નથી થયો. પરન્તુ દેશ આખામાં અસહિષ્ણુતા કશા ઝૅરી પવનની જેમ પ્રસરી રહી છે.
જેમ કે, Caa, Nrc તેમ જ Npr-ના વ્યાપક વિરોધ માટે કે એની વ્યાપક સ્વીકૃતિ માટે તાજેતરમાં ઠૅર ઠૅર તોફાનો થયાં. ભ્રમિત રાજનેતાઓના મુખેથી પ્રસવેલાં ‘ગોલી માર દો’ જેવાં દુષ્ટ વચનો પ્રસવ્યાં અને ‘મૈં હું રામભક્ત, મેં આઝાદી દૂંગા’ મતલબનાં જોશ-વૅણ સાથે પેલાએ, ગોલી, માર ભી દી …
Caa વગેરે ધારાઓના વિરોધકો અસહિષ્ણુ ગણાય કે કેમ, તેમનો વિરોધ કરનારા સ્વીકારકો પણ અસહિષ્ણુ ગણાય કે કેમ, એ વિવાદનો છેડો ન આવે, સરવાળે એ વ્યર્થ નીવડે. પરન્તુ તેમ છતાં વિરોધ કે સ્વીકારને માટેની ભૂમિકાઓ જો તાર્કિક હોય તો સ્વસ્થ ચર્ચાઓને જરૂર જગ્યા મળે. બાકી, કોઈ આજે કોઈને સાંખી લેવા તૈયાર નથી. ભાવાવેશો અને છેવટે નાસંભાગ મારઝૂડ ને નિર્દોષોની હાલાકી …
વાણી-સ્વાતન્ત્ર્યને નામે વાતે વાતે બકવાસ કરનારાઓની સંખ્યા દરેક સૅક્ટરમાં વધતી ચાલી છે. એ જ અધિકારે કરીને કેટલાક પાગલો જાહેરજીવનને રંજાડી રહ્યા છે. જાતજાતનાં તૂત અવારનવાર કાઢતા ચાલે છે. એ શૂરવીરો કશું પણ કરતાં જરા પણ ખંચકાતા નથી બલકે એવા ભ્રમને સેવે છે કે પોતે કેવા તો જાગ્રત નાગરિક છે. કાયદાની સુરક્ષા કરનારાં તન્ત્રો નમાલાં દીસે છે. સરકાર, નેતાઓ અને અમુક પ્રજાજનો એક એવા હીન પ્રકારની બાલિશતા દાખવી રહ્યાં છે જે લોકશાહીય વિકાસને ઘણો રૂંધી રહી છે.
જીતને જીરવી જાણવી, હારને પણ સહી લેવી, જીવનમૂલ્ય છે. અંગત જીવનવ્યવહારોમાં, ખાસ તો બૌદ્ધિકોના દાખલાઓમાં, હાર-જીતની દલીલબાજી વધી ગઈ છે. દરેક જણો સામાની દલીલને જીતવા કરે છે. સાહિત્યકલાનું સર્વ કંઈ હું જ જાણું છું – એવી અહંભાવી શેખીમાં કેટલાક મોવડી સાહિત્યકારો કારકિર્દી-વિજય જોઈ રહ્યા છે. કોઈ કોઈ સંસ્થાકીય પ્રમુખો સંતોષી સ્મિત ધારણ કરીને એમ ચીંધી રહ્યા છે કે સાહિત્યનાં પરમ સત્યો એમને હાથ આવી ગયાં છે. જ્યારે, વિનમ્ર વિનયીઓ કશા વાંક વિના પોતાને હારેલા સમજે છે.
રાષ્ટ્રના જાહેરજીવનમાં ચૂંટણી હાર-જીતની એક બહુ મોટી ગુરુચાવી છે. રાજકારણીઓ માટે તો એ જીવનજંગ છે. યુ.કે. અને અમેરિકામાં ચૂંટણી જીતવા બુદ્ધિધનના ભારે સહયોગની જરૂર પડે છે. પણ ભારતમાં ચૂંટણી જીતવા શુદ્ધ બુદ્ધિની તો જરૂર જ નથી. બ્રહ્માણ્ડ-વિજ્ઞાની કાર્લ સગાન એવું કહેતા કે જ્યાં ગરીબી હશે ત્યાં વસતી જરૂર વધશે. એમની રીતે એમ કહી શકાય કે જે દેશોમાં લોકશાહી હશે, સાથે ગરીબી અને કાવાદાવાભરી કુટીલતા હશે, ત્યાં ચૂંટણીઓ જરૂર ‘ફળ’દાયી નીવડશે.
સરપંચની ચૂંટણી હારી ગયેલા છત્તીસગઢના પેલા ઉમેદવારની બુદ્ધિ જુઓ. લોકોને કહે કે મેં તમને કૂકર-મિક્સર ભેટ કરેલાં એ મને પાછાં આપી દો. લોકો ડહાપણને વરેલા હતા તે પાછાં આપી દીધાં, ચૉકમાં ઢગલો કરી મેલ્યો. આવી ભેટ-સોગાદોને ચૂંટણીપંચ ગેરકાનૂની ગણે કે કેમ? તદનુસાર, એ ઉમેદવારને કશી સજા ફરમાવે કે કેમ? વગેરે જાણવામાં રસ ધરાવનારા પ્રજાજનો બહુ ઓછા મળે છે. એ મુદ્દે સ્વસ્થ ચર્ચાઓ જગવનારા બહુ ઓછા મળે છે. વાર્તાના સર્જક તરીકે મને રમૂજી વિમાસણ થાય છે કે સરપંચની ચૂંટણી જીત્યા એ ભાઈએ તો કૂકર-મિક્સરથી પણ મૉંઘી ભેટો આપી જ હશે ને ! વળી, એમ પણ થાય કે જીતને તેઓ શી રીતે જીરવી શક્યા હશે. જીતની ખુશીમાં પોતાના મળતિયાઓને શું ને કેવું કેવું ખવરાવ્યું-પીવરાવ્યું હશે. લોકશાહી જો આવી બેહૂદી હરકતોથી હાસ્યાસ્પદ બની રહેવાની હોય તો દેશની એથી મોટી કરુણતા શી હોઈ શકે? ચૂંટણીઓ ‘ફળ’દાયી, પણ લોકશાહી આભાસી, મુડદાલ …
હું ઈન્ટર આર્ટ્સમાં હતો ત્યારે tolerance વિષયનો એક નિબન્ધ ભણવામાં આવેલો. લેખક, ઇ.ઍમ. ફૉર્સ્ટર. એમાં ટૉલરન્સને એમણે ‘નૅગેટિવ વર્ચ્યુ’ કહેલો. – મારે સહી લેવાનું? – શું હું નમાલો છું? એ પ્રકારે તો એમ લાગે કે સહી લેવું એ દીનતા છે, નકારાત્મકતા છે; પણ ફૉર્સ્ટર કહે છે એમ સહિષ્ણુતા વર્ચ્યુ છે, સદ્ગુણ છે. આગળ વધીને હું ઉમેરું કે સહિષ્ણુતા માણસની બહુ મોટી શક્તિ છે. સહીને પણ સુખે જીવી જવાય છે …
= = =
( 10 Feb 2020: INDIA )
https://www.facebook.com/suman.shah.94/posts/3061870887177137