ભારતની સંસદે ૧૧મી ડિસેમ્બરે ‘નાગરિકતા કાયદો-૧૯૫૫’માં સુધારો કરીને ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લઘુમતીના સભ્યોને ભારતીય નાગરિકતા આપવાનો રસ્તો સરળ બનાવ્યો છે, પરંતુ મુસ્લિમોને આને માટે પાત્ર ગણ્યા નથી. ભારતીય રાષ્ટ્રીયતાના કાયદા હેઠળ નાગરિકતા પ્રદાન કરવા માટે પહેલી વખત ધર્મનો ખુલ્લી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણનું આ ખુલ્લેઆમ ઉલ્લંઘન છે જેમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખાવવામાં આવ્યો છે અને જેમાં લોકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની બાંહેધરી આપવામાં આવી છે. ભારતનું બંધારણ એ પહેલો દસ્તાવેજ છે જે નાગરિકતા નક્કી અને પ્રદાન કરે છે જેને આધારે નાગરિકો બીજા અધિકારો માટે પાત્ર બને છે, જે કેવળ આમુખનો જ નહીં પરંતુ સમગ્ર બંધારણના માળખાનો ભાગ છે. બંધારણના આર્ટીકલ ૧૪માં પ્રત્યેક વ્યક્તિને સમાનતાનો મૂળભૂત આધિકાર આપવામાં આવ્યો છે. ધર્મને આધારે નાગરિકતા આપવી એ આમ સંપૂર્ણ રીતે બંધારણની વિરુદ્ધ છે. જ્યારે કોઈ એક ધર્મની વ્યક્તિઓને નાગરિકતામાથી બાકાત રાખવામા આવે છે ત્યારે એ એક જાતની કબૂલાત છે કે દેશને ધર્મને આધારે ઓળખવામાં આવે છે. આ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે.
પ્રશ્ન એ ઊઠે છે કે કાયદામાં આવો સુધારો શા માટે કરવામાં આવ્યો? દેશમાં શરણાર્થીઓ માટેનો કાયદો છે એમાં ફેરફાર કરી શકાયા હોત. ઉપરાંત ગેરકાનૂની સ્થળાંતર કરનાર વ્યક્તિ સામે પગલાં લેવા ‘ફોરેનર્સ ઍક્ટ ૧૯૪૬’ પણ છે. આ કાયદો રજૂ કરવા પાછળનો આશય શો હોઇ શકે? એનો મુખ્ય હેતુ ‘નાગરિકતા’ના વિચારને મૂળભૂત અર્થમાં બદલવાનો છે. એની પાછળનો તર્ક સમજવાની જરૂર છે. શા માટે કેવળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીના સભ્યોને જ નાગરિકતા આપવામાં આવશે? શા માટે શ્રીલંકા, મ્યામાર અને ચીનના લઘુમતીના સભ્યોને નહીં? શ્રીલંકા કે મ્યામાર તેમ જ ચીનથી આવેલા શરણાર્થીઓને આ લાભ નહીં મળે. એ શા માટે? એટલા માટે કે ત્યાંના સત્તાધીશો મુસ્લિમો નથી? એ સ્પષ્ટ છે કે આમાં કેવળ મુસ્લિમ સત્તાવાળા દેશોમાથી આવેલા અમુક શરણાર્થીઓને નાગરિકતાનો લાભ મળશે. આ કાયદાનો આશય આમ કેવળ મુસ્લિમોને જ અત્યાચારી તરીકે રજૂ કરવાનો છે. બીજી બાજુ, આ કાયદો આ વિસ્તારમાં જેમના પર સૌથી વધુ જુલમ થયો છે તે રોહિઙ્ગ્યા અને ચીનના વીગર [ˈwiːɡʊərz, uːiˈɡʊərz] લોકોને શરણાર્થી તરીકે નથી સ્વીકારતો. ઉપરાંત, જે દેશોમાં મુસ્લિમ રાજ્યકર્તા છે ત્યાં પણ અમુક મુસ્લિમ સમૂહો જેવા કે અહમદિયા અને શિયા મુસ્લિમો પર અત્યાચાર થાય છે તેમને પણ નાગરિકતામાથી બાકાત રાખવામા આવશે. તાજેતરમાં પાકિસ્તાનમાં શિક્ષણવિદ્દ જૂનેદ હાફિઝને મોતની સજા ફરમાવવામાં આવી છે. રાજકીય જુલમનો ભોગ બનેલી મુસ્લિમ વ્યક્તિઓ નાગરિકતા માટે પાત્ર ન બની શકે? આમ આ કાયદો એક તરફ મુસ્લિમોને અત્યાચારી ઠેરેવે છે તો બીજી બાજુ મુસ્લિમોને અત્યાચારનો ભોગ બનેલા સ્વીકારતો નથી. બધી જ ત્રસ્ત વ્યક્તિઓને મદદ કરવાને બદલે મુસ્લિમોને અલગ કરીને, એમને અત્યાચારી જાહેર કરીને આ સત્તાધારી વિમર્શની મદદથી રાજ્યે બહુમતીવાદની વિચારધારા દ્વારા મુસ્લિમોને નૈતિક અને રાજકીય રીતે કાયદાકીય લક્ષ્ય બનાવ્યા છે.
ખરેખર ચિંતાનો વિષય તો એ છે કે સરકાર પોતાનો મુસ્લિમ વિરોધ છુપાવવા પણ નથી માંગતી. ગૃહમંત્રીનાં અનેક જાહેર બયાનોમાં આનો ઉલ્લેખ છે. ચૂંટણી પ્રચારમાં એમને માટે ‘ઊધઈ’ જેવા શબ્દનો પ્રયોગ કરીને એમને ઉખાડીને ફેંકી દેવાનો નિર્ધાર એમણે જાહેર કર્યો હતો. સંસદમાં કાયદો પસાર કરતી વખતે દુનિયાના મુસ્લિમોને આશ્રય આપવાનો વિરોધ કરીને પોતાનો અણગમો પ્રગટ કર્યો હતો. જ્યારે આ કાયદાનો જાહેરમાં વિરોધ થયો ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે વિરોધીઓ એમના પહેરવેશ પરથી ઓળખી શકાશે ત્યારે એ મુસ્લિમો પ્રત્યે આડકતરી રીતે સૂચન હતું. કાયદો પસાર થયા બાદ ઉત્તર પ્રદેશમાં પોલીસે રાજ્યની મદદથી મુસ્લિમો પર બેફામ હિંસા આચરી ત્યારે એમને જાહેરમાં ચોખ્ખું સંભળાવ્યું કે આ કાયદો એમને પાકિસ્તાન મોકલવા માટે છે અને એમનાં ઘરો અને મિલ્કત હવે પોતાના/હિન્દુઓના થશે.
મુસ્લિમોને ભારતમાંથી દેશનિકાલ કરવાના વિચારનો ઇતિહાસ લગભગ સો વર્ષ જૂનો છે. ૧૯૩૯માં, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં, હિંદુત્વના પાયાના વિચારક વિનાયક દામોદર સાવરકરે ટીકા કરી હતી કે ‘જો આપણે હિન્દુઓ મજબૂત બનીએ, તો થોડા સમયમાં જ મુસ્લિમ લીગ જેવા મુસ્લિમ મિત્રોએ જર્મન-જ્યુ જેવો ભાગ ભજવવો પડશે.’ સાવરકરની વિચારધારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – જેની ભા.જ.પ. રાજકીય પાંખ છે – માટે પ્રેરણાસ્રોત હતી. વર્ષોથી ભા.જ.પ.ના ઘોષણાપત્રમાં, એની નીતિઓના દસ્તાવેજોમાં, એના નેતાઓનાં ભાષણોમાં, મુસ્લિમો પ્રત્યે નફરત અને કટ્ટરતા પ્રગટ થતી આવી છે જે ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસ અને ૨૦૦૨માં ગુજરાતમાં જનસંહારમાં સીધી હિંસારૂપે પરિણમી છે. ભા.જ.પ.નું ભારતદર્શન મુસ્લિમવિરોધી છે. ૨૦૧૪માં અને ૨૦૧૯માં એનો વિજય એ આ દર્શનની ફલશ્રુતિ છે. આ સત્તાકાળ દરમ્યાન ભા.જ.પ.નો એજેંડા મુસ્લિમો પર મોટા પાયે થયેલા અત્યાચારોમાં પરિણમ્યો છે. ગૌહત્યા સબંધી થયેલી મોટા ભાગની હિંસાઓ મોદી સત્તા પર આવ્યા પછી બનેલી ઘટનાઓ છે. આ હિંસા આદરનાર પ્રત્યે કોઈ સજાના અભાવે, એટલું જ નહીં, ભા.જ.પ.ના નેતાઓ દ્વારા એમની જાહેરમાં પ્રશંસાએ પણ, લોકોમાં ભયની લાગણી ફેલાવી છે. આટલી હિંસા પૂરતી ન હોય તેમ ‘લવ જિહાદ’ની દંતકથા કે મુસ્લિમ પુરુષો હિન્દુ સ્ત્રીઓને લલચાવીને ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવે છે એ ફેલાવીને મુસ્લિમ પુરુષોને રાક્ષસી ચીતરવામાં આવ્યા છે. ઉપરાંત, મુસ્લિમોની સંખ્યા અનેકગણી વધી છે એ બીજી દંતકથાનો પ્રચાર કરવામાં આવ્યો છે.
૨૦૧૯ની ચૂંટણીઓ પછી કાયદાકીય રીતે મુસ્લિમોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. મુસ્લિમ વિરોધી વિમર્શને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ‘ત્રિપલ તલાક’ના કાયદા દ્વારા તલાકને ફોજદારી ગુનો ઠેરવી મુસ્લિમ પુરુષોને જેલની સજા ઠેરવવામાં આવી છે અને મુસ્લિમ સ્ત્રીઓને ઇસ્લામ દ્વારા સતત પીડિત બતાવીને સરકારને એમના તારણહાર તરીકે રજૂ કરી છે. હિન્દુ પુરુષો માટે છૂટાછેડા એ ફોજદારી ગુનો નથી. થોડા સમય પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે કાશ્મીરનું બંધારણીય સ્વરૂપ બદલી નાખીને કાશ્મીરી મુસ્લિમોના હકો છીનવ્યા છે અને તેમને દુનિયાથી અલગ કરવામાં આવ્યા છે. સિટીઝનશિપ અમેન્ડમેંટ ઍક્ટ નાગરિકતા સંશોધન કાયદો, (હવે પછી સી.એ.એ.) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ રાષ્ટ્રીય નાગરિક નોધણી, (હવે પછી એન.આર.સી.) એ મુસ્લિમોને અલગ કરવાની આ પ્રક્રિયાનાં છેલ્લા અને આખરી પગલાં છે. છેલ્લા છ મહિનાના કાયદાઓ – કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦નું નિષ્ક્રિયકરણ, અયોધ્યામાં રામ મંદિર અને સી.એ.એ. – એ કેવળ સરકારની આર્થિક નિષ્ફળતા અને બીજા મહત્ત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે જ નથી બન્યા. આ કાયદાઓ સ્પષ્ટ રીતે જમણેરી તત્ત્વોના ‘હિંદુત્વ’ના દર્શનને, જેમાંથી મુસ્લિમો બાકાત છે, હકીકત બનાવવા માટે બનાવવામાં આવ્યા છે.
સી.એ.એ.નો કાયદો પસાર કર્યા બાદ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં હવે નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવશે. અમૂક પુરાવાને આધારે નક્કી થશે કે નાગરિક કોણ છે અને આ નિર્ણય સરકારી અધિકારીઓ લેશે. અનેક વખત આ બંને પ્રક્રિયા વચ્ચેના ‘ઘટનાક્રમ’[chronology]નો જિકર કરીને ગૃહમંત્રીએ આ બંને વચ્ચેનો સંબંધ સ્પષ્ટપણે બતાવ્યો છે. આસામમાં એન.આર.સી.ની પ્રક્રિયા પૂરી થતાં લગભગ ૧૯ લાખ જેટલા લોકો નાગરિકતાના હકમાંથી બહાર નીકળી ગયા હતા જેમાં ૧૨ લાખ જેટલા બિન-મુસ્લિમો હતા. હવે સી.એ.એ. અમલમાં આવતાં આ મુસ્લિમ સિવાયના લોકોને માટે નાગરિકતા મેળવવાનું સરળ બનશે. સંસદમાં ગૃહમંત્રીએ બંને વચ્ચેનો સંબંધ સમજાવતા સ્પષ્ટતા કરી હતી કે સી.એ.એ. શરણાર્થીઓ[બિન-મુસ્લિમો]ને મદદ કરશે અને એન.આર.સી. ઘૂસણખોર[મુસ્લિમો]ની નાગરિકતા છીનવી લેશે. આ તફાવત આમ ધાર્મિક અને કોમવાદી અર્થ ધરાવે છે. એક સાથે આ બંને પ્રક્રિયાઓ ભા.જ.પ.ની હિંદુત્વને કાયદાકીય નક્કર સ્વરૂપ આપવાની મહેચ્છાને સાકાર કરે છે.
એન.આર.સી.ની પ્રક્રિયા પૂરેપૂરી નીચલી કક્ષાના સ્થાનિક અધિકારીઓના હાથમાં રહેશે જે છે જે વ્યક્તિની નાગરિકતા વિશે નિર્ણય લેશે. આને લીધે મુસ્લિમો ઉપરાત અનેક ગરીબ, નિરક્ષર, આદિવાસી, વિચરતી જાતિ, સ્ત્રીઓ વગેરે જેમની પાસે દસ્તાવેજો નથી અને બિન-કાર્યક્ષમ તેમ જ ભ્રષ્ટ અમલદારશાહી સામે ટકવા કોઈ આર્થિક કે સામાજિક મૂડી નથી એમને માટે નાગરિકતાના હકથી વંચિત રહેવાની શક્યતાઓ વધે છે. ઉપરાંત, ભારતે પોતાના પાડોશી દેશો સાથે પુનઃસ્વદેશનિવાસની કોઈ સમજૂતી કરી નથી. આજે ‘ઘૂસણખોરો’ માટે દેશભરમાં ડિટેન્શન સેંટર્સ, અટકાયતની છાવણીઓ, બનાવવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં એમને એ સમાવી શકે એમ નથી. અટકાયત અને દેશનિકાલ વગર એન.આર.સી.માંથી બહાર ફેંકાયેલા ‘પરદેશી’ દરજ્જાવાળા લોકો આમ છેવટે નાગરિકતાના હક્કો – મત આપવો કે મિલકત હોવી સુધ્ધાં-થી વંચિત રહેશે અને દેશમાં રાજ્યવિહીન નાગરિકનો[stateless citizen]નો હોદ્દો ધરાવશે. તાજેતરમાં યુરોપિયન સંસદના ૭૫૧માથી ૬૨૫ સાંસદોએ સી.એ.એ.ના વિરોધમાં ઠરાવ રજૂ કરતાં જણાવ્યુ છે કે નાગરિકતા નક્કી કરવાની આ ભયાનક પ્રક્રિયા ‘દુનિયામાં સૌથી મોટી રાજ્યવિહોણા નાગરિકોની કટોકટી’ સર્જશે.
એક સાદીસીધી વાત એ છે કે તમે જો નાગરિક ન હો તો મત જ ન આપી શકો. કેવળ નાગરિક હોય એ જ મત આપી શકે. આમ જેટલા લોકો પાસે મતાધિકાર છે એ બધા જ સ્વાભાવિક રીતે નાગરિક છે. નાગરિકની નોધણી કરવા એ પુરાવો પૂરતો છે. તો પછી બીજી યાદી બનાવવાની શા માટે જરૂર છે? દેશનો કીમતી સમય [એકલા આસામમાં ચારથી પણ વધુ વર્ષ લાગ્યા હતા], માનવશક્તિ [૧.૩૩ કરોડ અમલદારોને કામે લગાડાશે] અને અઢળક નાણાં[૪.૨૬ લાખ કરોડ રૂ.ના ખર્ચનો અંદાજ છે]નો આ નિરર્થક વ્યય શા માટે? દેશમાં આજે ગંભીર આર્થિક અને બીજી સમસ્યાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. તો આ કરવા પાછળનો આશય શો હોઈ શકે? મોટી સંખ્યામાં મુસ્લિમો અને ગરીબ, આદિવાસી, સ્ત્રીઓ વગેરેને નાગરિકતાના હકથી બાકાત રાખવા એ? આ આખી પ્રક્રિયાનો હેતુ એક વિશાળ જનસમુદાયને મત આપવામાથી અને નાગરિકતાના અધિકારોથી વંચિત કરવાનો, બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો, કલ્યાણ યોજનાઓના લાભોથી વંચિત રાખવાનો, અને છાવણીઓમાં ગુલામીની મજૂરી કરાવવાનો તેમ જ કોર્પરેટોને માટે સસ્તા મજૂરો બનાવવાનો જણાય છે.
એન.આર.સી. પહેલાં એન.પી.આર. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર એટલે કે રાષ્ટ્રીય જનસંખ્યા નોંધણી કરવામાં આવશે જે એન.આર.સી.નો ભાગ છે અને એન.આર.સી. માટેની પૂર્વ તૈયારી છે. આ આખી પ્રક્રિયા નીચા દરજ્જાના સ્થાનિક અમલદારો સંભાળશે જેમને કોઈ પણ રહેવાસીને જૂનાપુરાણા દસ્તાવેજોની રજૂઆત દ્વારા એ નાગરિક છે કે નહીં એ નક્કી કરવાની અસામાન્ય સત્તા આપવામાં આવશે. એટલું જ નહીં, વધુ ચિંતાજનક બાબત એ છે કે આ જનસંખ્યાની નોધણી જાહેરમાં મૂકવામાં આવશે અને કોઈને, કોઈ વ્યક્તિ કે કુટુંબના સમાવેશ સામે વાંધો હોય તો તે માંગવામાં આવશે જેને સ્થાનિક અધિકારીઓ ધ્યાનમાં લેશે. આ આખી પ્રક્રિયા દેખીતી રીતે સખત દુરુપયોગ માટે ખુલ્લી છે. જાણે એ આવા પ્રકારના દુરુપયોગ માટે જ બનાવાઇ હોય એમ લાગે છે. સ્થાનિક અધિકારીને કોઈ પણ ન્યાયિક વિધિ વગર વ્યક્તિઓને નાગરિકતાના અધિકારોથી વંચિત કરવાની નિરંકુશ સત્તા આપવામાં આવી છે. આ સત્તા અમલદારોને અસલી નાગરિકોને હેરાન કરવાની પણ સત્તા આપે છે. નાગરિકતા એ વ્યક્તિની મૂળભૂત ઓળખ છે; એ વ્યક્તિની કાનૂની ઓળખનો પાયો છે જે એને બીજા અધિકારો માટે પાત્ર હોવાનો અધિકાર આપે છે. આટલો મોટો પાયાનો નિર્ણય સામાન્ય અધિકારીની વિવેકબુદ્ધિ પર છોડી દેવો એ આ પ્રક્રિયાનો ભયંકર અને અસંવેદનશીલ ભંગ છે. આ દેશમાં જ્યાં ઘણા મોટા પ્રમાણમાં લોકો પાસે કાનૂની દસ્તાવેજો નથી હોતા ત્યાં આવા સ્વચ્છંદ નિર્ણયો દરેકની નાગરિકતાને શંકાશીલ બનાવશે. આસામમાં થયેલા એન.આર.સી.ના પ્રયોગને જોઈએ તો એક નાનામાં નાની જોડણીની ભૂલ વ્યક્તિને નાગરિકતામાંથી બાકાત કરી શકે છે. ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો જ્યાંના મુખ્યમંત્રી ખુલ્લંખુલ્લા પોતાની મુસ્લિમો પ્રત્યેની નફરત જાહેરમાં બતાવે છે ત્યાંના અધિકારીઓના હાથમાં આવી સત્તા આવે તો શું થાય અને એ કયા નાગરિકોને ‘શંકાસ્પદ’ જાહેર કરશે અને આર.એસ.એસ.ના લોકો કઈ કોમની વ્યક્તિઓ પ્રત્યે જાહેરમાં વાંધા ઉઠાવશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. આ આખી પ્રક્રિયા રાજ્યના શાસન અને એના વૈચારિક પ્રચારકો દ્વારા એક આખી કોમને નફરતનું લક્ષ્ય બનાવી શકે છે. વળી, સી.એ.એ.ને લીધે મુસ્લિમ સિવાયની વ્યક્તિઓને, જેમની પાસે દસ્તાવેજો ન હોય અને એન.આર.સી. તેમ જ એન.આર.પી.ની પ્રક્રિયામાં નાગરિકતા સાબિત ન કરી શકે તો પણ, નાગરિકતા મળી શકશે . આ ફાયદો કેવળ મુસ્લિમોને જ નહીં મળે કેમ કે સી.એ.એ.માં મુસ્લિમોને બાકાત રાખવામા આવ્યા છે. આમ આ કાયદાનું પાલન સાંપ્રદાયિક બનશે અને એ માન્યતાને પુષ્ટિ આપશે કે હિન્દુઓ ભારતના જન્મજાત નાગરિકો છે અને મુસ્લિમોની વફાદારી બહારની દુનિયા સાથે છે. છેવટે, આ સુધારો સરકાર જે કોઈ વ્યક્તિને અનિચ્છનીય ગણે છે એવા નાગરિકો માટે શસ્ત્ર બનશે.
‘હમ દેખેંગે’
આજે અચાનક દેશમાં ‘નાગરિક’ અને ‘ઘૂસણખોર’ના દ્વંદ્વનો વિમર્શ ઊભો કરીને લોકોને વિભાજિત કરવાની આક્રમક હિલચાલ શરૂ થઈ છે. પરંતુ બંધારણને અવગણીને હિન્દુ રાષ્ટ્રને સાકાર બનાવવાના આ હિંસક વ્યૂહને દેશના ખૂણેખૂણેથી લોકોએ જબરદસ્ત પડકાર્યો છે. લોકોને વિભાજિત કરવાની પ્રક્રિયા એ લોકો માટે પુનર્ગઠિત થવાની ક્ષણ પણ બની છે એ આ આખી ઘટનાનું અકલ્પ્ય પરંતુ અનન્ય અને નિશ્ચિતરૂપે સકારાત્મક પરિણામ છે. વિરોધનાં આંદોલનનું એક સચોટ સૂત્ર છે કે ‘તમે અમને વિભાજિત કરો છો; અમે વધતાં જઈએ છીએ.’ બંધારણ અને ધર્મનિરપેક્ષતા પર આ છેલ્લો પ્રહાર છે અને જવાબદાર નાગરિકો માટે ચુપકીદી તોડવાનો આ સમય છે. આજે દેશભરમાં આ ગેરબંધારણીય પગલાં સામે એક નિર્ભય, બુલંદ અવાજનું પ્રચંડ મોજું ઉછળ્યુ છે જે ભારતના સ્વાતંત્ર્યોત્તર ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે. દેશભરના ગુજરાત સિવાય શહેરો અને ગામોમાં લાખો લોકો સડક પર ઊતરી આવ્યા છે. આ એક સ્વયંભૂ ઘટના છે જેમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓની આગેવાની છે.
આ આંદોલનનું સ્વરૂપ અનેકવિધ છે. એમાં રાજકીય નેતાઓ, બૌદ્ધિકો, પ્રખ્યાત હસ્તીઓની નેતાગીરી નથી. સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, મુસ્લિમો, કામદાર વર્ગના લોકો, આમાં આગળ છે અને એમની સાથે આ દેશમાં દરેક ધર્મના લોકો જે બંધારણમાં વિશ્વાસ ધરાવે છે અને ભારતની ધર્મનિરપેક્ષતા અને વિવિધતા ટકાવી રાખવા માંગે છે, તે ભળ્યા છે. આમ મુસ્લિમોની એક બીબાંઢાળ, સમાન [homogeneous] ઓળખ તોડવાનો પણ આ વિરોધ એક પ્રયત્ન છે. પ્રજાના વિરોધનું આ એક મહત્ત્વનુ આગેકદમ છે જે વિરોધનાં બીજાં સ્વરૂપો જે રાજકીય નેતાગીરીથી દોરાયેલાં હોય છે એને અપ્રસ્તુત બનાવે છે. ઉપરાંત, આ આંદોલન કેવળ રાજ્યના હેતુ અને મનસૂબાને જ પડકારતું નથી, પરંતુ છેવટે ‘નાગરિકતા’ની વ્યાખ્યા સામે પણ પ્રશ્ન ઉઠાવે છે અને એ દ્વારા સૂચવે છે કે ‘રાષ્ટ્ર-રાજ્ય’નું સ્વરૂપ અત્યારે અસ્તિત્વની કટોકટીની પરિસ્થિતિમાં છે.
આજે મૂડીવાદે એનું પહેલાનું, ઉદારમતવાદી લોકશાહીનું, સ્વરૂપ બદલીને નવું, નવ-ઉદારીકરણની મૂડીની આપખુદશાહીનું વૈચારિક સ્વરૂપ અપનાવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય નિભાવતું નથી. પોતાની નબળાઈઓને ઢાંકવા અને વિરોધોને ડામવા રાજ્ય આર.આર.એસ. પોલીસ અને સૈન્યનો ઉપયોગ કરીને શાંતિપૂર્ણ લોકતાંત્રિક વિરોધો પર હિંસક પ્રહાર કરે છે. જામિયા યુનિવર્સિટીમાં સી.એ.એ.નો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા બેશરમ પાશવી હુમલો કરી ભારતીય મુસ્લિમોને ડરાવવાની સરકારની યોજના નિષ્ફળ નીવડી. ઊલટાનું, આ હુમલાએ દેશભરના મુસ્લિમોને સી.એ.એ. અને એન.આર.સી. સામે સ્વયંસ્ફુરિત વિરોધ માટે પ્રવૃત્ત કર્યા અને દેશની અનેક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને એમના સમર્થનમાં મોટા વિરોધ પ્રદર્શનો કરવા દોર્યા અને સી.એ.એ.ના વિરોધમાં એક તણખો જગાવ્યો જે આજે એક જ્વાળા બનીને ક્રાંતિની મશાલ બની છે.
આજના વિરોધ પ્રદર્શનની જો કોઈ સૌથી મોટી ફળશ્રુતિ હોય તો તે એ છે કે ભારતના મુસ્લિમોએ પોતાની રાજકીય ઓળખ મેળવી છે અને ભારતમાં પોતાના પ્રતિનિધિત્વનો પ્રશ્ન નિર્ધારિત કર્યો છે. સી.એ.એ.ના વિરોધ પ્રદર્શનમાં દેશભરમાં મુસ્લિમોની મોટી સંખ્યામાં હાજરી એ એક મક્કમ અને પ્રતીકાત્મક તેમ જ વ્યૂહાત્મક જાહેર એકરાર છે. છેલ્લાં છ વર્ષોથી અત્યાચારોના ભોગ બનેલા અને ભયમાં જીવતા મુસ્લિમોનો આક્રમક હિંદુત્વ સામે આ પડકાર છે. નવો નાગરિકતાનો કાયદો એમના રાજકીય, ખરેખર તો એમના સામાજિક જીવન સાથે સંકળાયેલો છે. એણે એમને ભારતીય તેમ જ મુસ્લિમ તરીકે પોતાના હકનો દાવો કરવા અને એ દ્વારા રાષ્ટ્રીયતાની નવી, બધાને સમાવી લેતી, વ્યાખ્યા રજૂ કરવા ફરજ પાડી છે. પોતાની નાગરિકતાની ઘોષણા કરવા તેઓ બંધારણને યોગ્ય રાજકીય સાધન માને છે અને બંધારણના ઉદારમતવાદી મૂલ્યોનું, ખાસ કરીને આમુખનું, સરકારના વિભાજીત કરનારા એજેંડાને પડકારવા સર્જનાત્મક અર્થઘટન કરે છે. રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રધ્વજ અને બંધારણ આ વિરોધનાં મુખ્ય પ્રતીકો છે. ગાંધી, આંબેડકર, ભગતસિંહ વગેરેના ફોટા વિરોધના સ્થળે સાથેસાથે મૂકેલા હોય છે. વિરોધનાં સ્થળે ધાર્મિક ગ્રંથો – ગીતા, કુરાન, બાઇબલ, ગ્રંથસાહેબ વગેરેનું પઠન થાય છે. પ્રતીકાત્મક રાષ્ટ્રીયતાની આ જાતની સર્જનાત્મક પ્રસ્તુતિ એ મુસ્લિમોની માની લીધેલી સંકુચિત ઓળખથી પર છે. અત્યાર સુધી, ખાસ કરીને હિંદુત્વ બળો દ્વારા મુસ્લિમોની એક ચુસ્ત, આક્રમક ધાર્મિક બીબાંઢાળ ઓળખ ઘડવામાં આવી હતી, એ મુસ્લિમો આજે પોતાની મુસ્લિમિયતને ભારતીય ઓળખના સંદર્ભમાં રજૂ કરે છે. આ કોઈ ઓછી ક્રાંતિકારી ઘટના નથી કેમ કે મુસ્લિમોની આ નવી પહેચાન ઈસ્લામિક માન્યતાઓ અને દેશપ્રેમ વચ્ચેના માની લીધેલા વિરોધને ખોટો ઠરાવે છે. આજે ભારતીય-મુસ્લિમ એ મુસ્લિમ-ભારતીય નાગરિક તરીકે ભારતના વૈવિધ્યની અને ધર્મનિરપેક્ષતાની આગેવાની કરે છે. મુસ્લિમ આંદોલનકારીઓ કોઈ મુસ્લિમ સંગઠન કે વ્યક્તિઓ અને રાજકીય કે ધાર્મિક નેતાઓથી દોરાતા નથી અને આને કેવળ ‘મુસ્લિમો’નો પ્રશ્ન બનાવવા માંગતા નથી. સી.એ.એ.ના મુસ્લિમ-વિરોધી સ્વરૂપને એ ‘બંધારણના આત્મા પર હુમલો’ કહી આ ચળવળનો વ્યાપ વધારે છે અને દરેક પ્રકારના, દરેક ધર્મના, લોકો એમની સાથે જોડાયા છે. આજે જ્યારે હિંદુત્વ બળો મુસ્લિમોની ઓળખ ભૂંસવા માંગે છે ત્યારે મુસ્લિમો પોતાની ઓળખ ફરીથી જાહેરમાં રજૂ કરે છે જેમાં બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતા છે અને જે રાજ્ય અને ધર્મોના સહઅસ્તિત્વની ખાતરી આપે છે. કદાચ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં પહેલી વખત આજે હિન્દુ અને મુસ્લિમ નજીકથી એકબીજાને સમજી રહ્યા છે અને ભેગા થઈ રહ્યા છે. ભારતના વૈવિધ્ય વિશેનો રાજકીય વિચાર આજે નવેસરથી આકાર લઈ રહ્યો છે. ટૂંકમાં, મુસ્લિમો પોતાના ધર્મને ત્યજ્યા વગર, દેશના બંધારણના રક્ષકો તરીકે બહાર આવ્યા છે. એમની ધાર્મિક ઓળખનો એકરાર એ બંધારણ પ્રત્યેના તેમની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. એમાં ભારતની વિવિધતાનું સૂચન છે. આ ચળવળે એક નવું સૂત્ર આપ્યું છેઃ ‘હમ અનેક હૈ; ફિર ભી હમ એક હૈ.’ આ ચળવળની દિશા અનિશ્ચિત છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ મુસ્લિમ એકરાર એ ભવિષ્યમાં બધાંને સમાવિષ્ટ કરનાર રાષ્ટ્રવાદને પુનર્વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખશે. ભારતના રાજકીય જીવનની આ એક ઐતિહાસિક, ક્રાંતિકારી ક્ષણ છે. આ વિરોધની ભાષા જોશની, જોસ્સાની, કવિતાની અને સંગીત તેમ જ અન્ય કળાઓની છે. ફૈઝ અહમદ ફૈઝનું બહુચર્ચિત ગીત ‘હમ દેખેંગે’, જે સંઘર્ષમાં રહેલી પડકાર અને આશાની ભાવનાનું પ્રતીક છે, તે આ સંઘર્ષનું સ્તોત્ર છે.
આ વિરોધમાં સૌથી આગળ મુસ્લિમ સ્ત્રીઓ છે જેમણે ગજબની રાજકીય જાગૃતિનું પ્રદર્શન કર્યું છે. જામિયાની વિદ્યાર્થિનીઓ ફરઝાના અને આયેશા રેન્નાનો એક સહ-વિદ્યાર્થીને પોલીસના મારથી બચાવતો વાયરલ થયેલો વીડિયો નોંધપાત્ર એટલા માટે નથી કે એ સ્ત્રીઓ છે પરંતુ એટલા માટે પણ છે કે એ લઘુમતી કોમની સ્ત્રીઓ છે જે રાજ્ય અને હિંદુત્વ સંગઠનના ભય નીચે જીવે છે. એમનો હિજાબ એમને જુદા તારવે છે. હિજાબમાં વીંટળાયેલા એમના ચહેરાઓ હિમ્મત અને પ્રતિકારનાં ચિહ્નો છે. દિલ્હીની શાહીન બાગની સ્ત્રીઓએ વિરોધની એક અનન્ય સામૂહિક ઓળખ ઊભી કરી છે. એમાંની મોટા ભાગની સ્ત્રીઓ પહેલી વખત રાજકીય ચળવળમાં જોડાવા ઘરની બહાર આવી છે અને એમાં મોટી સંખ્યામાં ગૃહિણીઓ અને દાદીમાઓ તેમ જ જુવાન છોકરીઓ છે. એમણે વિરોધની એક એવી જગા ઊભી કરી છે જેમાં દરેક પ્રકારનું સમર્થન આવકાર્ય છે. અહી અંગત અને જાહેર વચ્ચે, ઘર અને દુનિયા વચ્ચે એક અનોખી એકતા અને ગતિશીલતા રચાઇ છે. ભારતમાં પહેલાં કદી પણ જોવા ન મળેલા સ્ત્રી-પ્રધાન વિરોધોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે આજે દેશમાં ઠેરઠેર શાહીનબાગ ઊભા થયા છે જ્યાં મુસ્લિમ સ્ત્રીઓએ આગેવાની લીધી છે.
સ્ત્રીઓમાં વિરોધની ભાવના જાગવાનાં અનેક કારણો છે. એનું પ્રત્યક્ષ કારણ એન.આર.સી. માટે પુરાવાઓ રજૂ કરવા સ્ત્રીઓને કદાચ સૌથી વધારે સહન કરવું પડશે એ છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પાસે ઓછા પુરાવા હોય છે; જમીન કે મિલકત વગેરેના દસ્તાવેજો ભાગ્યે જ હોય છે; જન્મનું સર્ટિફિકેટ નથી હોતું અને ખાસ તો લગ્ન પછી સ્થળ અને કુટુંબ બદલાતાં જૂનાપુરાણા દસ્તાવેજો મેળવવાનું એમને માટે લગભગ અશક્ય બને છે. પરંતુ આનાથી પણ મોટું કારણ એ છે કે સ્ત્રીઓ સૌથી વધારે ઊંડાણથી જાણે છે કે કોઈ વસ્તુમાંથી બાકાત હોવું, અધિકારોથી વંચિત હોવું, એ અનુભવ કેવો છે. છેવટે આ વિરોધ હિંદુત્વનું હિંસક પૌરુષત્વ જે સ્ત્રીવિરોધી છે અને સ્ત્રીઓ સાથે નિર્દયતાથી વર્તે છે એની સામે સ્ત્રીઓની નેતાગીરીનો છે જેની ઉર્જા સૌમ્ય છે, ખુશમિજાજી છે, અહિંસક છે, કાળજી કરનારી છે અને મજબૂત અને દ્રઢ નિરધારની પ્રતીતિ કરાવનારી છે. દેશમાં હિંદુત્વની ઝેરી મર્દાનગીને પડકારનો આ અવાજ છે. આ બધી સ્ત્રીઓ રૂઢિચુસ્ત કુટુંબોમાંથી આવે છે જ્યાં બોલવાની કે લડવાની સ્વતંત્રતા નથી. આજે એકાએક એમને અવાજ અને સ્વતંત્ર ઓળખ મળ્યા છે. આ એક અભૂતપૂર્વ અને અતુલ્ય, માની ન શકાય એવી ઘટના છે. કલકત્તાની ૨૫ વર્ષની વિદ્યાર્થિની શફકત રહિમ જે એક રૂઢિચુસ્ત મુસ્લિમ કુટુંબમાંથી આવે છે એ અજબ આત્મ-વિશ્વાસથી કહે છે : “અમે, સ્ત્રીઓ ફાસીવાદી સત્તાધારીઓને હટાવીશું.” આ કેવળ સી.એ.એ. સામેની લડત જ નથી પરંતુ સ્ત્રીઓની મુક્તિનો પણ સંઘર્ષ છે. દેશને માટે સામાજિક ન્યાયની, દરેક પ્રકારના અત્યાચારોમાંથી અને અસમાનતાઓમાથી ‘આઝાદી’ની, એક નવી દિશા નિશ્ચિતરૂપે ઉઘડી છે.
શાહીનબાગ એ આજે કોઈ એક ભૌગોલિક જગાનું નામ નથી પરંતુ એક નવા પ્રકારના સત્યાગ્રહનું નામ છે જેમાં સ્ત્રીઓ મોખરે છે; જેમાં દરેકને પોતાના વિચારો, પ્રશ્નો, શંકાઓ રજૂ કરાવાનો આત્મ-વિશ્વાસ છે; જેમાં વ્યવસ્થાપકો છે પરંતુ નેતાઓ નથી. સંઘર્ષના ઇતિહાસમાં આવી નેતા-વિહીન સ્વશિસ્ત એ પ્રતિકારનું અનન્ય સ્વરૂપ છે. ગાંધીના સત્યાગ્રહની આ આંદોલન યાદ અપાવે છે પરંતુ ગાંધી જેવા પ્રભાવશાળી નેતા અહીં કોઈ નથી જે બધાને આકર્ષી શકે. હિમ્મત, આત્મ-શ્રદ્ધા, સહકાર્યતા અને આશામાંથી વિરોધનું એક નવું જ વ્યાકરણ જનમ્યું છે. આ ચળવળની કેટલી લાંબી અસર થશે એ કહેવું મુશ્કેલ છે. આજે જે પક્ષ રાજય પર નિયંત્રણ ધરાવે છે એની પાસે પૂરતા નાણાં, લશ્કરી દળ, અને નિરંકુશ સત્તા છે જેનો દુરુઉપયોગ એ કરે જ છે. પરંતુ જે હિમ્મત અને જુસ્સાએ આ ઝુંબેશને જગાડી છે એણે સત્તાધારી પક્ષને વિક્ષિપ્ત તો અવશ્ય કર્યો છે. ભારતના રાજકીય ઇતિહાસમાં આ એક નિર્ણયાત્મક ક્ષણ જરૂર છે.
તા.ક.
ગયા મહિને દિલ્હીમાં થયેલા કોમી જનસંહાર પહેલાં આ લખાયું હતું. દિલ્હીમાં ભડકેલી હિંસા બતાવે છે કે જમણેરી તત્ત્વો આ જન-આંદોલનથી કેટલા વિક્ષિપ્ત છે અને તેને ખતમ કરવા કેટલા મરણિયા પ્રયાસો કરે છે. ભડકાઉ ભાષણો દ્વારા નફરતનું ઝેર ફેલાવી, વ્હોટ્સએપ દ્વારા ફેલાવેલાં જૂઠાણાં અને અફવાઓ, એકતરફી મીડિયાએ ઉશ્કેરેલી લાગણીઓ, સરકારની મૂક સાક્ષી, ન્યાયાલયની નિષ્ક્રિયતા અને પોલીસની સામેલગીરીની મદદથી અમાનુષી હિંસા દ્વારા શાંતિપૂર્ણ અને અહિંસક વિરોધોને ડામવાનો પ્રયત્ન દેશના પાટનગરમાં થયો જેમાં હિન્દુઓ અને મોટા પ્રમાણમાં મુસ્લિમોની હત્યા તેમ જ મુસ્લિમોનાં ઘરો અને મિલકતનો નાશ એ હદે થયાં કે એમને એ વિસ્તાર છોડીને જવું પડે. આ આવનાર સમયનું બિહામણું ચિત્ર ખડું કરે છે. ‘દેશકે ગદ્દારોકો ગોલી મારો’નો નારો આજે દેશની ગલીઓમાં ગૂંજી રહ્યો છે. શું આપણને આ સ્વીકાર્ય છે? દિલ્હીમાં દંગાગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક નાગરિકો-હિન્દુ, મુસ્લિમ, શીખ, બધાં-એ એક સાથે આ હિંસાને વખોડી અને એકતા અને સહઅસ્તિત્વનું દર્શન કરાવ્યું છે. હિંસા અને નફરત ફેલાવી લોકો અને દેશને વિભાજિત કરનારી તાકાતોનો વિરોધ કરવો એ એકતા અને અમન ચાહનાર પ્રત્યેક નાગરિકની આજે ફરજ છે.
E-mail : svati.joshi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 11-13 તેમ જ 07