એ સાહિત્યપુરુષ, સર્જક-કલાકાર, પોતાનાં લેખન-સર્જન પ્રકાશિત કરે છે ત્યારે પોતાના સ્વીકારનું કામ સહૃદયસમાજ પર કે સમીક્ષકમંડળી પર છોડતો હોય છે.
સહૃદય અને સમીક્ષક હમેશાં સાહિત્યિકતાની પરવા કરતા હોય છે, પૂરતી કાળજી પણ રાખતા હોય છે.
ગયા લેખમાં સહૃદયસમાજની વાત કરી હતી, આજે, સમીક્ષકમંડળી વિશે.
પ્રાદેશિક સાહિત્યોમાં સમીક્ષકોની મંડળી હોય છે. એ લોકોએ પ્રાચીન, અર્વાચીન અને સમકાલીન સાહિત્યનું કામ ઉપાડી લીધું હોય છે. એ મંડળીમાં પણ બે પ્રકાર જોવા મળે છે : એક સમીક્ષકો એવા કે સાહિત્યમાં જે કંઈ બન્યું હોય તેની વાતો, વ્યાખ્યાનો અને ચર્ચાવિચારણાઓ માંડ્યા કરે; કહેતા હોય – પદ ફાગુ કે અખો પ્રેમાનંદ આમ હતા; ટૂંકીવાર્તા એકાંકી નવલકથા કે પન્નાલાલ પટેલ ચન્દ્રકાન્ત બક્ષી કે કિશોર જાદવ આમ હતા : બીજા પ્રકારના સમીક્ષકો કૃતિની વાત કરતા હોય છે – જેમ કે, ‘વસંતવિલાસ’ વિશે કહે ને ‘વસંતવિજય’ વિશે પણ કહે. ‘લોહીની સગાઈ’ વિશે કહે ને ‘લોહીનું ટીપું’ વિશે પણ કહે. કહે -નો અર્થ લખે, છપાવે, એમ પણ કરવાનો છે.
‘સમીક્ષક’-ને બદલે કટુતાથી ‘વિવેચક’ શબ્દ વાપરીને કેટલાક સાહિત્યકારો કશી ગુપ્ત મજા લેતા હોય છે. કેટલાક પોતાને સર્જક ઠેરવવા ડંફાસ મારતા હોય છે : તમે તો વિવેચક છો : માણસને અમુક સ્થાને ચળનો વ્યાધિ હોય તો કોઈની યે શરમ રાખ્યા વિના ખંજવાળી લે છે. એનાથી બીજાએ દુ:ખી થવાનું કારણ નથી રહેતું તેમ એ વિવેચક ભાઈએ કે બહેને પણ એ ડંફાસિયાથી પણ દુ:ખી થવાનું કારણ રહેતું નથી.
પણ, પ્રત્યેક સમીક્ષક મૂળે સહૃદય હોવો જોઇશે એ વાત પાયાની છે. ખરેખર તો, સાહિત્યજગતમાં પ્રવેશેલો નાનો કે મોટો જીવ જો સહૃદય ન હોય તો એણે ઝટ નીકળી જવું જોઇએ. નહિતર, અહીં પણ ‘કાલો ગચ્છતિ’ તો થશે જ પણ એના માટે તો એ એના જીવનકાળની બરબાદી કહેવાશે.
ઘણા ‘ટીકા’ શબ્દ વાપરીને પણ વિવેચનકર્મને અને વિવેચકને ઉતારી પાડે છે, કહેતા હોય છે : એનું તો કામ જ છે, ટીકાઓ કરવાનું ! : એણે એમ કહ્યું તે પણ વિવેચકની ટીકા જ કે કંઈ બીજું? એવી ટીકાને લોકવ્યવહારમાં ડાંડાઈ કહેવાય છે.
ખરી વાત એ છે કે મનુષ્યમાત્ર ‘ક્રીએટિવ ફૅકલ્ટી’ લઈને જન્મ્યો છે તેમ એ ‘ક્રિટિકલ ફૅકલ્ટી’ લઈને પણ જન્મ્યો છે. એટલે તો, બાળક પણ મોટાને કહી દે છે – અન્કલ, તમારી પોસ્ટઑફિસ ખુલ્લી છે ! પત્ની જ્યારે પતિને એમ કહે છે કે – તમે જે શર્ટ પ્હૅર્યું છે એ આ પ્રસંગે નહીં ચાલે; કે પતિ જ્યારે પત્નીને એમ કહે છે કે – તેં આજે અમ્બોડો વાળ્યો છે એ તારી સુન્દરતામાં ચાર ચાંદ લગાવી દે છે; ત્યારે એ બન્ને જણે સમીક્ષા જ કરી હોય છે.
ટીકા એટલે ગુણદર્શન સહિતનું મર્યાદાસૂચન અથવા મર્યાદાદર્શન સહિતનું ગુણસૂચન. સમગ્ર સંસ્કૃત પરમ્પરામાં ‘ટીકા’ એના યથાર્થ સ્વરૂપમાં સર્વત્ર જોવા મળે છે. મને ગોવર્ધનરામે આગળ કરેલો વિવેચકધર્મ વસી ગયેલો છે : ગુણ શોધવા જતાં મર્યાદા પરખાય તો દર્શાવવી …
પણ એ બાળક કે એ પત્ની-પતિએ કરેલી સમીક્ષા નીચે કશો સિદ્ધાન્ત હોતો નથી, હોય તો તેની એ ત્રણેયને ખબર પણ નથી હોતી, જરૂર પણ નથી હોતી. નૉંધપાત્ર ફર્ક એ છે કે સાહિત્યકલાની સમીક્ષા સિદ્ધાન્ત-સમવેત હોય છે. એટલે, સાહિત્યનો સમીક્ષક બાગમાં ફરવા નીકળ્યો હોય એમ બોલતો રહે કે – આ ફૂલ સરસ છે પણ આ છોડ નકામો છે – આ કૃતિ ચાલે પણ આ સાહિત્યકાર ન ચાલે, તો એના એ બોલ બકવાસ કહેવાય. સર્જકે કે સમજદાર વાચકે એને ખખડાવીને પૂછવું જોઈએ : ભૈલા, તારી હેસિયત શું છે? : કેમ કે એના એ બોલ સિદ્ધાન્ત પર નથી ઊભા હોતા, એના કુણ્ઠિત અહંકાર પર ઊભા હોય છે. એણે પોતાને કહેવું ઘટે કે – જરા જાતતપાસ કર, તું સુગરીનો માળો ફૅંદવા તો નથી નીકળ્યો ને …
સાહિત્ય રચાતું હોય છે, મનુષ્યના રસકોષના સંતર્પણને સારું, અને તેથી સમીક્ષા સાહિત્યપદાર્થને વિશેની જવાબદારી તો છે જ પણ મનુષ્યત્વને વિશેની મોટી જવાબદારી છે. થતા રહેતા અથવા જાણીને કરાતા મૂરખવેડાને એમાં સ્થાન નથી.
હું માનું છું કે દાયિત્વને વરેલો સમીક્ષક માનવજાતને સંતુલિત સમીક્ષણ પૂરું પાડે છે.
એટલે, કાવ્યશાસ્ત્ર અને સાહિત્યસિદ્ધાન્ત રૂપે પૂર્વમાં અને પશ્ચિમમાં જે કંઈ લખાયું છે તેનું સમીક્ષકને જ્ઞાન હોવું જોઈએ. એ દિશામાં, વર્તમાનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની એને ઉત્કણ્ઠા હોવી જોઈએ. હા, બધા પાસે એટલું બધું ન યે હોય, પણ એની પાસે રસવૃત્તિ, રીઢી રસવૃત્તિ, અને કલાસૌન્દર્યને પરખવા માટેની ખાસ ‘ઇન્દ્રિય’ તો હોવી જ જોઈશે.
સાહિત્યશબ્દ વિશે એને જો કશી લગની જ નથી, કલાના મહિમાગાનમાં જો એને જોડાવું જ નથી, બલકે કશો ય શ્રમ કર્યા જો એને સાહિત્યકાર ઠરવું છે, તો એણે બીજા કામે લાગી જવું જોઇશે – સ્ટે ઇક્વિપ્ડ્ ઑર ગેટ આઉટ ! – સજ્જ રહો અથવા ચાલ્યા જાઓ !
સાહિત્યસામયિકોના તન્ત્રીઓ અને સાહિત્યનું અધ્યાપન કરતા અધ્યાપકો પણ સમીક્ષકો જ છે. તેઓ પણ સાહિત્યિકતાની પરવા કરતા હોય છે, જતન કરતા હોય છે. પરન્તુ તેઓ પાસે પણ સહૃદયત્વ અને ઉપર દર્શાવી તે સ્વરૂપની ઇક્વિપ્મૅન્ટ વગેરે સમ્પદા તો હોવી જ જોઈશે.
જો કે, એ છે એમ શી રીતે જાણવું?
તન્ત્રીની વાત કરું : એ સમ્પદા તન્ત્રી તરીકેનાં એનાં અવારનવારનાં સર્જનો / લેખનો / વ્યાખ્યાનોમાં દેખાય. પોતાના સામયિકમાં એણે પ્રકાશિત કરેલાં અન્યોનાં લેખનો / સર્જનો પરથી પણ એની એ સમ્પદાનો ખયાલ આવી જાય. જે તન્ત્રી થડે બેસીને નરી સુસ્તીથી સામયિક ચલાવતો હોય છે તે પરખાઇ જતો હોય છે. પ્રમાણ એ કે એ નિ:સામાન્ય કક્ષાનું સાહિત્ય જ ઠઠાડ્યા કરતો હોય છે, અને એ શ્રીમાનને રોકનારું કે ટોકનારું કોઈ હોતું નથી.
અમદાવાદમાં જૂના શૅઅરબજારવાળાનું ચવાણું એટલા માટે વખણાય છે કે વરસોથી એ એકધારું એટલું જ સરસ વેચે છે, માગો એટલું પૂરું પાડે છે. પણ આપણી વાત તો મહામૂલના સાહિત્યપદાર્થની છે. ચવાણાથી થયેલું નુક્સાન ફીટી શકે છે પણ સાહિત્ય નામે નિકૃષ્ટ લેખનોથી થનારું નુક્સાન અદૃશ્ય હોય છે, દેખાશે નહીં, પણ હશે જરૂર. દેખાશે ત્યારે ઘણું મૉડું થઈ ગયું હશે. નુક્સાન ભરપાઈ કરવાની તક જ નહીં જડે.
તન્ત્રીએ ઠેકઠેકાણેથી જાતભાતનો માલ લાવીને દુકાન નથી માંડવાની; એ કામ તો આ ઇન્ટરનેટના જમાનામાં સાવ સરળ છે. જરૂરી એ છે કે એનું સામયિક એવી ચીજો રજૂ કરે જે એના સારાસાર વિવેકને પ્રતિબિમ્બિત કરતી હોય. કોઈ સાદું સંકલન-સમ્પાદન પણ એના કર્તાની દૃષ્ટિ સૂચવતું હોય છે. તન્ત્રીનો છેલ્લો ધર્મ શું છે, તે જાણો : સરખું મૅટર ન મળતું હોય એમાં – શું કરીએ આજકાલ લખાય છે જ આવું એમ કહીને, એ જો લેખકોનો વાંક કાઢે, અને તેમ છતાં પણ, જો પોતાનું સામયિક ચાલુ રાખે, તો એને પણ ડાંડાઈ જ કહેવાય. સારા શબ્દોમાં એને આપમતલબી ઠાવકાઈ કહેવાય. બાકી, એની એ હઠને પ્રજ્ઞાપરાધ કહેવાય.
કેટલાક અધ્યાપકો સારા શિક્ષક હોય છે. પોતે સર્જક કે વિવેચક હોવું એમને અનિવાર્ય નથી લાગતું, તે સારી વાત છે. કેમ કે શાન્તચિત્તે નિરાંતે સરસ ભણાવી જાણે છે. પણ સર્જક જો અધ્યાપક હોય અને જો પોતાનાં નવાં કાવ્યોની વાતોથી વ્યાખ્યાનને સ્વસ્વરમધુરગન્ધી બનાવી મૂકે, તો એ પણ પ્રજ્ઞાપરાધ જ કરે છે. એની વાણીની ભૂરકીથી અને જાણી કરીને વધારેલાં દાઢી અને વાળની દૃશ્ય નજાકતથી વિદ્યાર્થીઓને એ અધ્યાપક નહીં પણ કવિ જ લાગ્યા કરતો હોય છે; પરિણામે, વિદ્યાર્થીઓ વિષયમુદ્દો શો હતો તે જ ભૂલી જાય છે ! ખરેખર તો, કવિએ પોતાની સર્જકતાને વ્યાખ્યાનમાં વ્યાપારવતી કરીને વર્ગમાં સાહિત્યજ્ઞાનને પ્રગટાવવાનું હોય, પૂરાકાળે પ્રગટેલા જ્ઞાનને પ્રોજ્જવલ કરવાનું હોય. વર્ગખણ્ડ આત્મપ્રશસ્તિ માટે યથેચ્છ વાપરી લેવાની જગ્યા નથી.
અધ્યાપક-સમીક્ષકોની વાતમાં એક વિચારણીય મુદ્દો ઉમેરવા માગું છું. આપણા લગભગ બધા જ સમીક્ષકો અધ્યાપક હોય છે. એક રીતે એને સદ્ભાગ્ય કહેવાય કેમ કે અધ્યાપકો શાસ્ત્ર અને સિદ્ધાન્ત તો સાચવે જ; તેમ છતાં, કોઈ કોઈને એનું રસીલું અધ્યાપન નથી આવડતું હોતું, કદાચ એના અધ્યાપકને ય નહીં આવડેલું.
એ મિત્ર શાસ્ત્ર અને સિદ્ધાન્તનો ‘અતિ’ કરતો હોય છે; પોતે વિદ્વાન જ છે એમ ઠસાવવા ગોખી રાખેલા સંસ્કૃત શ્લોકોની અને વિદેશી સાહિત્યકારોના સાચા-ખોટા અંગ્રેજી ઉચ્ચારો વગેરેની ભારે ઠોક બોલાવતો હોય છે. કોઈ શાણો વિદ્યાર્થી બગાસું ખાઈને સ્મિત કરતો હોય પણ એને એનો વ્યંગ્યાર્થ નથી સમજાતો. હું આને ‘અસલી પાણ્ડિત્ય’ કહેવા તૈયાર નથી. એ ગુરુવર્યો તો ગયા.
વાત એ રીતે વણસે છે કે એ ‘અતિ’-વાનો સમીક્ષાક્ષેત્રે દાખલ થાય છે અને ત્યાં પણ એ જ ચેષ્ટાઓ આદરે છે. કોઈ કોઈ તો અમેરિકા રહી આવ્યો હોય એટલે ધાણીફૂટ અંગ્રેજી વરસાવતો હોય છે; પોતે જે બોલ્યો તેને અનુવાદથી કદી સમજાવતો નથી; ભૂલી જાય છે અને ભુલાવી દે છે કે સભા ગુજરાતી સાહિત્ય માટે મુકરર થયેલી છે.
આ અનુપકારક લાદણકારીઓએ – ડમ્પરોએ – પણ વર્ગને સ્વર્ગ નથી બનવા દીધો અને સમીક્ષાને ફળવતી નથી થવા દીધી, કેમ કે એમણે કરેલી સમીક્ષા સમીક્ષ્ય કૃતિ કરતાં પણ વધારે દુરુહ હોય છે. જો કે, એઓ પણ હવે ઘટી રહ્યા છે.
વર્ગની દીવાલો અને ડાળે ઉદાસીન પંખિણી સમી સમીક્ષા કો પરિવર્તનકારી અવતારની રાહ જુએ છે.
= = =
(December 17, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર