કોઈ પણ પ્રશ્ન પરથી પ્રજાનું ધ્યાન હટાવવું હોય તો સહેલો રસ્તો એ પ્રશ્નને અઘરો કરવાનો, ગૂંચવી મારવાનો છે. સાહિત્યિક સંસ્થાઓની સ્વાયત્તતાના પ્રશ્નને એ રીતે ગૂંચવી મારવાની યુક્તિઓ કાબિલેદાદ છે, પણ પ્રજાવિઘાતક છે. તો સ્વાયતત્તા અંગે થોડીક સીધી વાત કરીએ.
સવાલ સરકાર અને સાહિત્ય વચ્ચેના સમ્બન્ધનો છે. (ન કે કોઈ બે સાહિત્યિક સંસ્થાઓ વચ્ચેના કોઈ વિખવાદનો.) સવાલ એ છે કે પોતાની પ્રજામાં જે સાહિત્યકારો છે, સાહિત્યના લેખકો, વાચકો, વગેરે, એમના ઉપર સરકારે ભરોસો રાખવો જોઈએ કે નહીં ? પોતપોતાના લોકશાહી બંધારણ અનુસાર ચૂંટણી દ્વારા રચાયેલા કાર્યકારી મંડળો (પ્રમુખ, મંત્રીઓ, કારોબારી, મધ્યસ્થ આદિના સભ્યો) જે-તે સાહિત્યિક મંડળનું સંચાલન કરે, એ એક રીત થઈ. સ્ટાલિનના સોવિએટ યૂનિયનમાં, અને પાકિસ્તાન જેવા ધર્મ-આધારિત રાષ્ટ્રમાં કે અર્થકારણ વડે નિયંત્રિત સમૂહમાધ્યમોમાં એ લોકશાહી રીત ન ચાલે. સવાલ એ છે કે ગુજરાતમાં શુ ચાલે ? ગુજરાતની હાલની સરકારને પોતાની પ્રજામાં રહેલા સાહિત્યકારો (લેખકો-ભાવકો) ઉપર વિશ્વાસ છે ? કે પછી એ સરકાર એમ માને છે કે સાહિત્યકારો હજી એને લાયક નથી ? હાલ તો સરકારે નીમેલા પ્રમુખ-મંત્રી (હવે તો પોતે નીમેલા સલાહકાર કે સંચાલક મંડળને પણ રુખસદ આપી દેવાઈ છે), એવી સરકાર નિયુક્ત કોઈ બેલડી દ્વારા સાહિત્યિક સંસ્થા ચલાવવી?
અંગ્રેજોએ ૧૯મી સદીમાં આવું વલણ અપનાવેલું. ‘વ્હાઈટ મેન્સ બર્ડન’ના સુશોભિત નામે એ વલણ એમણે ઓળખાવેલું. એવી કોલોનિયલ સત્તા કહેતી કે આ ભારતીયોને પોતાનું રાજય ચલાવતાં, પોતાની અન્ય સંસ્થાઓ ચલાવતાં આવડતું નથી. એટલે એ બોજો, એમના લાભાર્થે, અમે ઉંચકીએ છીએ. ભારતની શી દુર્દશા એ કોલોનિયલ પાવરે કરી, એ આજના આપણા લોકશાહી ઢબે ચૂંટાઈ આવેલા દરેક પક્ષના અગ્રણીઓ જાણે છે.
પ્રજાની કલ્પનાશીલતાને, સંવેદનશીલતાને, વિચારશીલતાને પોતાની પકડમાં રાખવાનું વલણ ગમે તે નામે હોય, ગમે તે એને ‘માય બર્ડન’ ગણતું હોય, પણ એ વલણ પ્રજાની અને રાષ્ટ્રની, સમાજની અને રાજ્યની પાયમાલી તરફ જ દોરી જાય.
ભારતીય સંસ્કૃતિ ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’ એમ માને છે. છ દર્શનોને, ઉપરાંત ત્રણ એથી અલગ દર્શનોને પોષનારી ભારતીય સંસ્કૃતિમાં કોલોનિયલ કલ્ચર ઘુસી ન જાય, એકવીસમી સદીમાં, એની તાકીદ સહુ કોઈ વિચારવંત રાખે.
રાજાને પણ ટપારનાર તેજસ્વી ચારણી કવિઓમાં કેટલાક કઢીદાનજીઓ પણ પાક્યા. રાજ્યાશ્રયી, ધર્માશ્રયી, વિત્તાશ્રયી લેખન કરવું છે કે આપમહેનતે આપસૂઝથી, પોતાની રીતે આગળ વધવું છે ? ગુજરાતી લેખક નક્કી કરે. આજની રાજ્યસરકાર શું ચાહે છે ? પ્રજાની, પોતાના સાહિત્યકારોની, સ્વતંત્ર ચેતનાનું પ્રફુલ્લન કે પછી નિયંત્રણ?
નક્કી કરીએ. કોલોનિયલ પાવર સામે, જીતવી અશક્ય લાગે એવી લડાઈ, એવા સ્વાતંત્ર્યસંગ્રામો, ભારતીય પ્રજા લડી જાણે છે. હસતી હસતી. અંગ્રેજો સામેની લડાઈમાં એક ગીત હતું : ‘રેંટિયા રૂપી તોપો સરકાર મેલે પોકો.’ – હસી હસીને લડત જારી રાખી શકતા ગુજરાતે એમાં રમૂજી ફેરફાર કર્યો હતો ‘રેંટિયા ઉપર ટોપો’ – મૂકી તો જોયો પણ તો ય – ‘સરકાર મેલે પોકો’.
મારા ભાઈઓ, સ્વાયત્તતા લેવી સ્હેલ છે – જો કઢીદાનજી તમે ન હો અને કોલિનિયલ સરકાર ગાંધીનગરમાં ન હોય તો તો તરત …
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 08