2011ની જાતિ, સામાજિક અને આર્થિક ગણતરી બતાવે છે કે, ભારત હજુ ય મુખ્યત્વે ગ્રામીણ અને ગરીબ છે
આધુનિક ભારતના સર્જનાત્મકાળમાં આપણે ગાંધીની ગેરહાજરીના કારણે ભારતના લાખો ગામડાંની પ્રાથમિક જરૂરતો પર પૂરતુ ધ્યાન ન આપ્યું. ખેતીની અનદેખી કરી અને ગ્રામ્યવસ્તીની સાવ ઓછી ટકાવારી વાળા યુરોપ અને અમેરિકા જેવાં રાષ્ટ્રોની જેમ ઔદ્યોગિક વિકાસની આંખમીંચી પાછળ પડ્યા. ડો. સ્વામીનાથન જેવાં અનેક કૃષિ અર્થશાસ્ત્રીઓના અહેવાલોને અલમારી પર ચડાવ્યા. માત્ર અનાજની ખાધ પુરવા માટે હરિતક્રાંતિ કરી ભારત અન્ન ઉત્પાદન(ઘઉં, ચોખા)માં સ્વાવલંબી જ નહીં પણ નિકાસ કરતું થયું.
બસ સ્વાર્થ સર્યો કે વેરી થઈ ગયા. એના કારણે ભારતનાં લાખો ગામડાંનું અર્થતંત્ર સ્વરાજ પછી કેવું ખોખરું થઈ ગયું છે. એનું સાચું દિલ હચમચાવી નાખે એવું ચિત્ર તાજેતરની જાતિ આધારિત વસ્તી ગણતરીના પરિણામોમાંથી બહાર આવ્યું છે. આજે આપણે ચીનના વિકાસની હરીફાઈ કરવા માગીએ છીએ પણ ભૂલી જઈ રહ્યાં છીએ કે, ચીન આઝાદ થયા પછી માઓ ત્સે તુંગે ચીનની ખેતીની કાયાપલટ કરી, ગામડાને સો ટકા સાક્ષર બનાવ્યા.
મહિલાઓને પુરુષ સમોવડી બનાવી એના કારણે જ ચીન અત્યારની સફળતા મેળવી શક્યું. ચીને ખેતી માટે પાણી, ગ્રામ્ય પ્રદેશમાં બસો પાંચસો મિટરને અંતે ખેતરોને શેઢે ખાતરના કૂવા, છાણ આધારિત ગેસ પ્લાન્ટો, ગામડાને ઘર આંગણે જ સિમેન્ટ મળી રહે. એટલે મીની-સિમેન્ટ પ્લાન્ટો બનાવી માઓએ ગ્રામ નવરચનાનો- ગ્રામ જાગૃતિનો પાયો નાખ્યો હતો. જમીનની માલિકી ખેડૂતોની નહોતી તો ય હેક્ટર દીઠ અન્ન પ્રદેશમાં ચીન ભારત કરતાં ય ક્યાં ય આગળ નીકળી ગયું છે. ભારતમાં આમાં ય એન.ડી.એ. સરકાર આવ્યા પછી તો ખેતીની જમીન પડાવી ત્યાં કારખાનાના ભૂંગળા ઊભા કરવામાં ગૌરવ લેવાય છે. આ રહી એની નગ્ન હકીકતો. ગ્રામીણ ગરીબ, કોણ, કેટલા, કેવી હાલતમાં જીવે છે?
1. ભારતના 24 કરોડ કુટુંબોના 73.5 ટકા કુટુંબો આજે ય ગામડામાં વાસ કરે છે.
2. આમાંથી અડધાથી થોડા ઓછા પોતાના જીવન માટે ખેતી પર આધાર રાખે છે. આ પૈકી માત્ર 30 ટકા ખેતી જોડા જોડાયેલા છે. આ બતાવે છે કે, ભારતનાં ગામડાંમાં આપણે ધારીએ છીએ એટલી ખેતી નામશેષ થઈ નથી. આ બતાવે છે કે, રાષ્ટ્રે જે લોકો ગામડાં છોડી આવે છે તેને માટે જ નહીં પણ જે ખેતી પર ભાર ઘટાડવા ચાહે છે એને ગામડાંમાં રોજગારી પૂરી પાડવાની રહેશે.
3. ગામડાંના આ કુટુંબોના અડધા 51 ટકા, ખેતીને લગતા વાવણી, કાપણી વગેરે કામો કે બીજા છુટક કામ પર નભે છે.
4. આ પૈકી 74.5 ટકા કુટુંબોની સરેરાશ આવક માત્ર મહિને રૂ. પાંચ હજાર છે.
5. આ પૈકી 38.3 ટકા કુટુંબો એવા છે કે, જેની પાસે તસું જમીન નથી. જે મજૂરી પર નભે છે. બીજા 30 ટકા પાસે સિંચાઈ વગરની સૂકી ખેતીની જમીન છે. જો અછત કે દુકાળ પડે તો આ બંનેને રોટલા માટે ગામડાંથી બીજે જવું પડે છે.
6. પિરામીડનો ઉપરનો ભાગ કેટલો પાતળો છે. એ વાત એના પરથી સમજાશે કે, આ પૈકી માત્ર 12.6 ટકા કુટુંબો પાસે સરકારી કે ખાનગી નોકરી, અથવા સરકારને ચોપડે નોંધાયેલ ધંધો રોજગાર છે. આ વર્ગ હકીકતમાં જે કુટુંબોની આવક મહિને રૂ. 10,000 છે તેવા 8.3 ટકા પછી આવે છે.
7. સરેરાશ પાંચ વ્યક્તિનું કુટુંબ હોય જેમાં બાળકો અને વૃદ્ધ મા-બાપના કારણે વધારો પણ હોય અને કુટુંબને ખોરાક, શિક્ષણ, માંદગી પાછળની લઘુત્તમ જરૂરિયાત ગણીએ તો, ગામડાંના એ જ કુટુંબો દરિદ્ર ન ગણાય જેની માસિક આવક દસ હજાર રૂપિયા હોય.
8. બીજી તરફ ગામડાંના 17 ટકા પાસે દ્વિ-ચક્રી વાહન અને 11 ટકા પાસે ફ્રિઝ છે. આનો અર્થ એમ છે કે, ભારતનાં ગામડાંઓના કુટુંબોમાંથી બિન-ગરીબનું પ્રમાણ દસ ટકાથી વધુ હશે.
આ હકીકતો એ સત્યને ઉજાગર કરે છે કે, ભારતનો વિશાળ ગ્રામીણ પ્રદેશ વ્યાપક ગરીબીમાં જીવે છે અને જે તત્કાળ ઉકેલ માગે છે. આ ગરીબી પર અસર પહોંચાડવા માટે જાહેર આરોગ્ય અને શિક્ષણ પરનું ખર્ચ વધારવું એ જ અસરકારક ઉપાય છે.
સારા શિક્ષણયુક્ત અને તંદુરસ્ત કામ કરનારાઓ જ ઊંચો વિકાસદર લાવી શકે. સામાજિક વિકાસ પાછળ વધુ અને સમજ ભર્યો જાહેર ખર્ચ અનિવાર્ય છે. આ વાત જોડે સમાધાન થવું ન જોઈએ. અત્યંત હૃદયવેધક હકીકત એ છે કે, એન.ડી.એ. સરકારે આવા સામાજિક વિકાસ પાછળના ખર્ચમાં જબરો કાપ મૂકવાનું મુનાસિબ માન્યું છે. ગામડાંની આવી સ્થિતિ નવ કે દસ ટકાનો વિકાસ દર હાંસલ થતાં આપોઆપ સુધરી જશે. એ ગ્રામીણ ગરીબીનું પ્રમાણ જોતા મૂર્ખાના સ્વર્ગમાં રાચવા જેવું છે. ટૂંકી જમીન ધરાવનારા સરકારના વલણના કારણે અર્ધભૂખમાં જીવે છે તો જે જમીનવિહોણા છે. એની હાલત કેવી હશે? વધુમાં ગણતરી બતાવે છે કે, ભારતનાં ગામડાંમાં આજે ય 23 ટકા કુટુંબો એવાં છે. જેના ઘરમાં 25 વરસથી વધુ ઉંમરની શિક્ષિત વ્યક્તિ નથી.
ગરીબી+નિરક્ષરતા એટલે બધી રીતે વંચિત!
આ હકીકતો પછીએ આપણે ખેતી, ખેડૂત અને ગામડાંમાં વસતાં ભારતીયો વિષે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભારત જ નહીં બચે!
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 23 જુલાઈ 2015
http://www.divyabhaskar.co.in/news/ABH-varavi-reality-not-to-save-the-villages-of-india-will-also-be-saved-5061132-PHO.html?seq=2