પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે
જો કે એમ.બી.બી.એસ.ની એક્ઝામ બંધ છે
પણ નવથી બારની ચાલુ છે
એમ.બી.બી.એસ. કરતાં
એ વધારે ઈમ્પોર્ટન્ટ છે
ઇમ્પોટન્ટ નહીં ,સ્ટુપિડ, ઈમ્પોર્ટન્ટ!
આમ તો આ ફેમિલી એક્ઝામ છે
એમાં આખું કુટુંબ જોડાઈ શકે છે
એનું સુખ એ છે કે એના જવાબો
ફુરસદે આપવાના છે
જવાબ લખતાં થાય કે બાથરૂમ જવું છે
તો જઈ આવવાનું
પણ કાપલાં જોવા બાથરૂમ જવાનું નથી
ખરેખર તો કાપલાં બનાવવાની જ જરૂર નથી
પપ્પાને પૂછો, દાદાને પૂછો
બધાં મદદ કરી શકશે
મમ્મીને ના પૂછો તો ચાલશે
એ જવાબ આપવા બેસશે
તો એ કયા સવાલનો જવાબ છે
તેની ખબર નહીં પડે
હવે આ પ્રશ્નનો જવાબ આપો:
ઇતિહાસમાં સૌથી તરંગી કોણ હતું?
દાદાજી?
ગલત જવાબ
મંત્રીશ્રી?
આજનું નથી પૂછ્યું,ઇતિહાસનું પૂછ્યું છે
નથી આવડતું?
મને ય નથી આવડતું!
આ સવાલ છે, માણસને કાન કેટલા હોય છે?
નથી ખબર?
સારું, બીજાના કાન પકડીને ગણી લો
ના, ના. એ ચોરી નથી.
મમ્મી જમવા બોલાવે છે?
જાવ, હમણાં જ બધું લખવું જરૂરી નથી
દસમી ઓગસ્ટ સુધીમાં જવાબો આપવાના
શું? પરીક્ષા જ નથી આપવી?
જેવી તમારી મરજી!
અરે, 1200 સ્કૂલોએ પરીક્ષા નથી આપી
તો એનું શું ઉખાડી લીધું?
આ તો બોર્ડને ચળ ઉપડે તો પરીક્ષા લે
તમારે આપવી હોય તો આપો
ના આપવી હોય તો તમારી મરજી!
ખાતાં આપો, પીતાં આપો
નો પ્રોબ્લેમ!
હેલો, ભણાવવાનું શું એમ?
કેવી વાત કરો છો, ભણાવીને તે પરીક્ષા લેવાય?
હવે તો પહેલાં પરીક્ષા, પછી ભણવાનું!
કોમનસેન્સ છે કે નહીં?
સર્ટિફિકેટ પરીક્ષાનું કામ લાગે છે,
ઓનલાઈન કેટલું ભણ્યા તે કોણ જુએ છે?
હવે તો એવી પ્રગતિ થવાની છે
કે પરીક્ષા આપ્યા વગર જ
સર્ટિફિકેટ ઘરે આવી જાય
ફી, ડોનેશન આપો કે સર્ટિફિકેટ હાજર!
બોર્ડમાં ફર્સ્ટ આવવું છે?
અવાયને!
એનો ભાવ જરા વધારે છે.
એક નંબર પર આવવા હજારેક તૈયાર છે
કાલે હરાજી થશે
એમાં જે ઊંચા ભાવ આપશે તે ઉપર જશે
ને જે નહીં આપે તે ય 'ઉપર' તો જશે જ …
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 05 ઑગસ્ટ 2020
![]()


૨૯ જુલાઈએ કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે ને તે સંસદની મંજૂરી મેળવી લેશે તો ૨૦૨૧થી લાગુ થાય એમ બને. ૩૪ વર્ષે શિક્ષણની નીતિ બદલવાનું સૂઝ્યું છે તે આવકાર્ય છે. બીજું, આઝાદી પછી કદાચ પહેલીવાર માતૃભાષા અને પ્રાદેશિક ભાષાનું આટલું મહત્ત્વ શિક્ષણ નીતિમાં સ્વીકારાયું છે. આટલાં વર્ષોમાં અંગ્રેજી આપણા લોહીમાં એટલું ઘૂસી ગયું છે કે માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની વાત કેટલી સ્વીકારાશે તે પ્રશ્ન જ છે.
૩૪ વર્ષ પહેલાં રાજીવ ગાંધીના કાળમાં શિક્ષણ નીતિ બદલાયેલી ને તે પછી ૧૯૯૨માં નજીવા ફેરફાર થયેલા, તેટલું બાદ કરતાં શિક્ષણ નીતિને નામે ઘણી અનીતિઓ ચાલી અને એમાં શિક્ષણ તો ખાડે ગયું જ, પણ નોન ગ્રાન્ટેડ સંસ્થાઓની મનમાની પણ ચાલી. એમાં ઘણાની આર્થિક સ્થિતિ સુધરી ને વાલીઓ તથા શિક્ષકોનું શોષણ વધ્યું તે નફામાં!