‘આખરે …. આઝાદ’ મૂળ લેખક : ડેનિયલ ગ્રીનબર્ગ, અનુવાદ : ક્ષમા કટારિયા, પ્રકાશન : ઓએસીસ પ્રકાશન, વડોદરા. પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૪, પૃષ્ઠ : ૨૦૮, કિંમત : ૨૦૦
એક બાજુ ગુજરાતના કેળવણીકારો, ચિંતકો અને તેજસ્વી અધ્યાપકોથી માંડી તમામ મનીષીઓ ગુજરાતમાં શિક્ષણમાં અંગ્રેજી માધ્યમ વિશે બળાપો વ્યક્ત કરતા રહ્યા છે. ‘માતૃભાષામાં શિક્ષણ’ની ઝૂંબેશ ચલાવી રહ્યા છે. આમ છતાં પ્રજાજનમાં તેનો કોઈ પ્રતિસાદ કે પડઘો પડતો હોય એવું અનુભવાતું નથી. અંગ્રેજી ભાષાની સજ્જતા માટે અંગ્રેજી શિક્ષણ (ખાસ કરીને પ્રાથમિક કક્ષા) મહત્ત્વનું નથી. બલકે બાળકના વિકાસને અવરોધે છે, તેવી સ્વયંસ્પષ્ટ સમજ વાલીઓને ગળે ઊતરતી નથી તેવા આ સમયમાં આ પુસ્તક શિક્ષણની નવી દિશા ચીંધનારું બની રહે છે.
આ પુસ્તક ‘સડબરી વેલી શાળા’ની શિક્ષક પ્રક્રિયા-અનુભવો વિશે વાત માંડે છે. ઈ.સ. ૧૯૬૦ના પાછલા દાયકામાં ડેનિયલ ગ્રીનબર્ગ નામના અમેરિકન ભૌતિકશાસ્ત્રી તેમનાં પોતાનાં બાળકો માટે બોસ્ટનની નજીક બાળકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને ચાલતી હોય એવી શાળાની શોધમાં હતા. તેઓે તે ન શોધી શક્યા તેથી કેટલાક સમાન માનસિકતા ધરાવતા વાલીઓ ભેગા મળ્યા અને તેમણે મેસેચ્યુએટ્સમાં ઈ.સ. ૧૯૬૮માં સડબરી વેલી સ્કૂલની સ્થાપના કરી. બાળકોને જવાબદાર નાગરિક તરીકે નિર્માણ કરતી આ સ્કૂલના રોમાંચક અનુભવો આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
આ એક એવી શાળા છે જ્યાં કોઈ અભ્યાસક્રમ નથી, કોઈ વર્ગો નથી. કોઈ ગ્રેડ નથી, કોઈ ગણવેશ નથી, કોઈ ઘંટ વાગતો નથી. ટૂંકમાં કહીએ તો ચીલાચાલુ શાળાની વ્યાખ્યામાં આવતા કોઈ દૈનિક કાર્યો જ નથી. ત્યાં બાળકો બંધનમુક્ત રીતે ખીલે છે. આ શાળાનું દૃષ્ટિબિંદુ એ છે કે શીખવાની પ્રક્રિયા સ્વ-પ્રેરણા, સ્વ-નિયમન અને સ્વ-વિવેચનથી જ શ્રેષ્ઠ રીતે વિકસી શકે.
આ શાળામાં બાળકોને એક જવાબદાર નાગરિક તરીકે જોવામાં આવે છે. બાળક કશુંક શીખવા માટે ઉત્સુક થાય તેની પ્રતીક્ષા કરવામાં આવે છે. બાળકો પોતે ગમતા વિષયો શોધી કાઢે છે અને સહજ રીતે જ શિક્ષકો તેની સાથે અનુસંધિત થાય છે. સમયનો કોઈ વિચાર કર્યા વિના એ પ્રક્રિયા સહજ રીતે ચાલતી રહે છે. મનુષ્ય માત્ર જીવનના પ્રાકૃતિક, સહજ ભાગરૂપે સતત શીખતા જ હોય છે. શીખવાની આ કુદરતી પ્રક્રિયાને અહીં સાકાર કરવામાં આવી છે.
અહીં બાળકો પ્રવેશે છે ત્યાર પછી પોતા પર નિર્ભર હોય છે. પોતે જ પોતાના નિર્ણયો લેવાના હોય છે. શાળા, સ્ટાફ, મકાનો, સાધન-સામગ્રી, પુસ્તકાલય વગેરે બધાં જ સ્રોત મોજુદ હોય છે. બાળકો પોતાના રસ મુજબ આસપાસના વિશ્વને સંવેદે છે. તેમાંથી શીખવું શોધી કાઢે છે અને એને હાંસલ કરવા પ્રયાસો કરે છે. વાતો કરતા, રમતા, વિકસતા જોવા મળે છે. બાળકો પોતાની આગવી ઓળખ માટે તીવ્ર ભાવના વિકસાવે છે અને ભવિષ્યનાં ધ્યેયો નક્કી કરે છે. કોઈપણ જાતની બળજબરી, લાલચ, દબાણ વિના બાળક પોતાની જાતને વિષયની અંદર નાંખે છે. શાળાની ભૂમિકા માત્ર વિદ્યાર્થીઓના પ્રયત્નોને પ્રતિભાવ આપવા પૂરતી હોય છે. શાળાનું વાતાવરણ ખુલ્લું, પ્રામાણિક, વિશ્વાસપાત્ર અને ભયમુક્ત રાખવામાં આવ્યું છે.
ભાગ-૧માં એકવીસ પ્રકરણમાં બાળકો જુદા જુદા વિષયો કેવી રીતે પસંદ કરે છે, શીખવાનું કેવી રીતે શરૂ કરે છે, શિક્ષકો અને શાળાની ભૂમિકા કેવી રહે છે અને બાળકો એ વિષયમાં આગળ જતાં કેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેના અનુભવો વ્યક્ત કર્યા છે. વિષયો જુઓ : અંકગણિત, જાદુગરનો ખેલ, રસોઈ, રમત, રસાયણશાસ્ત્ર, માછલી પકડવી વગેરે વગેરે … બાળકોનાં અનેક કૌશલ્યોનો સહજ વિકાસ કેવી રીતે થાય તે પણ બતાવ્યું છે.
બીજા ભાગમાં ‘શાળા જીવન’ના કેટલાક મુદ્દાઓ સંદર્ભે આ શાળા કેવી રીતે કામ કરે છે તેનો ચિતાર અપાયો છે. શાળા-સભા, જોખમો, ખેલદિલીભર્યું દૃશ્ય, પ્રવાસ, કમિટીઓ અને કલાર્કો, સાફસફાઈ, સ્ટાફ, બજેટ, વાલીઓ, મુલાકાતીઓ, સમસ્યા પેદા કરનારાં બાળકો વગેરે શીર્ષકથી શાળાની અનોખી કાર્યપ્રણાલિનો ખ્યાલ આવે છે.
આ પુસ્તકમાંથી પસાર થયા પછી આપણી આજની હાટડી બની ગયેલી શિક્ષણ સંસ્થાઓનો વિચાર આવે છે. સંચાલકો માત્ર આર્થિક ઉપાર્જનને કેન્દ્રમાં રાખી બાળકોના ભવિષ્ય સાથે જે રીતે ચેડાં કરે છે તે વિશે ચિંતા થાય. નિસર્ગ, સહજતા, માનવમૂલ્યો, વગેરેનો સમૂળગો છેદ ઉડાડી માત્ર ટકા લઈ આપવાની ગેરંટી સાથે સંકડાશમાં ફૂટી નીકળેલી શિક્ષણની દુકાનો આપણને ક્યાં લઈ જશે ?
માત્ર શિક્ષણનો જ નહીં પરંતુ સંતાનનો વિચાર કરનાર, ચિંતા અને ચિંતન કરનારે આ પુસ્તકમાંથી પસાર થવું રહ્યું.
ગુજરાતીના અધ્યાપક, માંગરોળ
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2017; પૃ. 17-18