સક્રિય રાજનિષ્ઠા અને રાજદ્રોહ એ બે વચ્ચે કોઈ વચલો માર્ગ નથી. ન્યાયાધીશ સ્ટીવનનું એક વચન છે કે રાજદ્રોહના ગુનામાંથી મુક્ત ઠરવાને માટે માણસે પોતાને સક્રિય રાજનિષ્ઠ સિદ્ધ કરવો જોઈએ. લોકશાસનના આજના દિવસોમાં વ્યક્તિ વિષે સક્રિય નિષ્ઠા જેવી કોઈ વસ્તુ હોઈ શકે નહિ, એટલે રાજદ્રોહી છીએ, એનો અર્થ કોઈ વ્યક્તિનો નાશ કરવા ઇચ્છતા નથી, પણ સંસ્થાનો નાશ કરવા ઇચ્છીએ છીએ. આજનું રાજતંત્ર એક એવી સંસ્થા છે કે જો તેનું સાચું સ્વરૂપ સમજવામાં આવે, તો કોઈ પણ જણ રાજનિષ્ઠ રહી શકે જ નહીં. એ તંત્ર સડેલું છે. વ્યક્તિઓનાં વર્તન વિષેના એના ઘણા કાયદા તદ્દન ઘાતકી છે, અને એનો અમલ તેથીયે વધારે ખરાબ છે. ઘણીવાર આ રાજતંત્રમાં એક માણસની મરજી એ જ ફાયદો થઈ પડે છે. બલકે એમ કહેવામાં વાંધો નથી કે આ દેશમાં જેટલા જિલ્લા છે, તેટલા જ રાજકર્તા છે. કલેક્ટરો કહેવાતા આ અમલદારોને ન્યાય કરવાની અને વહીવટ કરવાની બંને સત્તા છે. કહેવાય છે તો એવું કે આ અમલદારો અતિશય ખામીવાળા છતાં કાયદાને નામે ચાલતા કાયદા પ્રમાણે વર્તે છે, તોપણ આ અમલદારો ઘણીવાર મનસ્વી હોય છે, અને પોતાના તરંગો સિવાય બીજા કશાનો તેમને અંકુશ હોતો નથી. લોકોના કલ્યાણની દૃષ્ટિએ અમલ કરવાને બદલે તેમને પોતાના પરદેશી શેઠો અથવા સિદ્ધાંતોને અનુસરવું પડે છે. આવા લગભગ ત્રણસો અમલદારોની એક સોનેરી ટોળી છે જેના જેવી સત્તા ધરાવનારી ટોળી જગતમાં બીજી એકે નથી. તેમને અમુક મહેસૂલ ઉઘરાવવાનું જ હોય છે, એટલે લોકની પાસે તેટલી રકમ ઉઘરાવવામાં તેમને કશો વિધિનિષેધ નડતો નથી. આ આખું તંત્ર હિંદુસ્તાનના કરોડો ગરીબોને ઘાતકી રીતે ચૂસીને ચલાવવામાં આવે છે અને એ વસ્તુ તેઓ પોતે કબૂલ કરે છે. પટેલથી માંડીને તે પોતાના ચિટનીસ સુધી આ રાજાઓએ નીચલા અમલદારોનો એક એવો વર્ગ પેદા કર્યો છે કે જે પોતાના પરદેશી શેઠોની એક બાજુએ ખુશામત કરે છે અને બીજી બાજુએ લોકોની સાથેના પોતાના નિત્યવ્યવહારમાં એવી તો બેજવાબ અને ઘાતકી રીતે વર્તે છે કે લોકોમાં શહૂર રહેતું નથી, અને નાદીરશાહીને લીધે લાંચરુશ્વતની સામે થવાની શક્તિ રહેતી નથી. હિંદુસ્તાનમાં રાજતંત્રનું આ ભયંકર અનિષ્ટ જેઓ સમજે છે તેમનો તે તંત્ર પરત્વે રાજદ્રોહનો ધર્મ થઈ પડે છે અને ખુલ્લી રીતે રાજદ્રોહનો પ્રચાર કરવાનો ધર્મ થઈ પડે છે સાચી વાત તો એ છે કે આવા સડેલા રાજતંત્રને વિષે વફાદારી રાખવી એ પાપ છે, બેવફા થવું એ પુણ્ય છે.
ત્રણસો માણસોના ભયથી ત્રાસેલા ત્રીસ કરોડ લોકોનું આ દર્શન એ જુલમગારો માટે તેમ જ તેમના જુલમના ભોગ થઈ પડેલા ગુલામોને માટે ભૂંડું છે. આ તંત્રની કેટલીક વસ્તુઓ સ્વતંત્ર રીતે ભલે આકર્ષક લાગે, પણ એકંદર રીતે તે તંત્ર તો અનિષ્ટ જ છે. આવું જેને જ્ઞાન થાય, તેણે એ તંત્રનો વિનાવિલંબે નાશ કરવો જ રહ્યો, અને એ નાશ કરવાને અર્થે જે જોખમ લેવું ઘટે તે લેવાનો તેમનો ચોખ્ખો ધર્મ થઈ પડે છે.
બીજા પક્ષે આ ત્રીસ કરોડ લોકો જો આ તંત્રના ઘડનારા અથવા ચલાવનારા ત્રણસો માણસોનો નાશ કરવા તૈયાર થાય, તો તે નામર્દાઈ જ કહેવાશે, એમાં કશી શંકા નથી. આ વહીવટદારો અથવા ભાડૂતિયાઓનો નાશ કરવાના ઉપાય યોજવા એ હડહડતા અજ્ઞાનની નિશાની છે. એ તો બિચારા પોતાના સંજોગોને વશ છે. આવા તંત્રમાં દાખલ થનાર પવિત્રમાં પવિત્ર માણસને પણ તેના પાપના છાંટા લાગ્યા વિના રહેશે નહિ, અને એ પાપનો પ્રચાર કરવામાં તેને સાધન થવું પડશે. એટલે આવા તંત્રને નાબૂદ કરવાનો ઉપાય આ વહીવટદારોની સામે ક્રોધ કરી તેમનું નુકસાન કરવામાં નથી, પણ તંત્રની પાસેથી જેટલી ઇચ્છાપૂર્વક મદદ લેતા હોઈએ તે મદદ ન લેવામાં અને તેના કહેવાતા લાભો ન લેવામાં જ છે, એટલે કે અસહકાર જ એક ઉપાય છે. જરાક વિચાર કરીશું, તો જણાશે કે સવિનય કાનૂનભંગ એ અસહકારનું આવશ્યક અંગ છે. કોઈ પણ તંત્રના કાયદા અને હુકમોને વશ વર્તવાથી તે તંત્રને આપણે વધારેમાં વધારે મદદ કરીએ છીએ. પાપી તંત્રને એવી નિષ્ઠા ઘટતી નથી. એવી નિષ્ઠા રાખવી કે સેવા કરવી એ તેના પાપમાં ભાગ લેવા બરાબર છે. એટલે સારો માણસ હમેશાં પાપી તંત્રની સામે તન, મન અને ધનથી વિરોધ કરશે. પાપી તંત્રના કાયદાનો ભંગ એ ધર્મ થઈ પડે છે. આ ભંગ જો અવિનય અથવા હિંસક અંગ હશે, તો એ તંત્ર ચલાવનારા માણસોને નુકસાન કરશે પણ તંત્રને કાયમ રાખશે, બલકે તેમનું પાપ વધારશે. એટલે અહિંસક અથવા તો સવિનય કાનૂનભંગ એ જ માત્ર એક અમોઘ ઉપાય છે. અને તેનો પ્રયોગ કરવો એ પાપની સાથે અસહકાર કરનારનો ધર્મ થઈ પડે છે.
સવિનય કાનૂનભંગમાં જોખમ રહેલું છે; કારણ કે એ શસ્ત્રનો પ્રયોગ હજી સંપૂર્ણપણે થયો નથી, અને હંમેશાં હિંસાથી ભરેલાં વાતાવરણમાં એ પ્રયોગ કરવો પડે છે. કારણ જુલમનો દોર વર્તાતો હોય ત્યારે જુલમના ભોગ થઈ પડેલા લોકોને વિષે પુષ્કળ ક્રોધ પેદા થાય છે. તેમની નબળાઈને લીધે તેમનો ક્રોધ તેમનામાં સમાઈ રહે છે, પણ જરાક સરખું બહાનું મળતાં તે ભભૂકી ઊઠે છે. આ નિરંકુશ પ્રાણઘાત ગુપ્ત ક્રોધશક્તિને પ્રાણપોષક અને નિયમવશ શક્તિ બનાવનાર પારસમણિ એ સવિનયભંગ છે. આ પલટો થાય છે, ત્યારે સંપૂર્ણ વિજય થયા વિના રહેતો જ નથી. આ શુભ પરિણામનો વિચાર કરીએ, ત્યારે એ શસ્ત્રના પ્રયોગમાં રહેલું જોખમ એ કશી વિસાતમાં નથી. જ્યારે જગત એના પ્રયોગથી પરિચિત થઈ જશે અને તેનાં અનેક સફળ પ્રદર્શન જોશે, ત્યારે આજે હવાઈ વહાણ ચલાવવામાં એ શાસ્ત્રની થયેલી પુષ્કળ પ્રગતિ છતાં જેટલું જોખમ રહે છે, તેના કરતાં ઓછું જોખમ સવિનયભંગના પ્રયોગમાં રહેશે.
(યં.ઇ.માંથી) “નવજીવન”, ૩૦ માર્ચ, ૧૯૩૦
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 01-02