ઔરંગાબાદ દુર્ઘટના પછી
એક મૃતકે
ચિત્રગુપ્ત સમક્ષ
મરણોત્તર નિવેદન નોંધાવ્યાના
વાવડ છે.
એણે લખાવ્યા મુજબ :
એવું લગીરે નહોતું કે
અમે થાકેલા હતા.
અમે તો રોજ થાકતા હતા ..
ક્યાંક
મશીન ચલાવીને
શાળ ચલાવીને
હળ ચલાવીને
દાતરડું ચલાવીને
કોદાળી ચલાવીને
દવાઓનું પૅકિંગ કરીને
નહેર બાંધીને
બીજાં અનેક શારીરિક શ્રમનાં કામ કરીને ..
પરંતુ એ થાક, થોડું ઊંઘી લઈને
ઉતારી દેતા હતા.
ફરી પાછા કામે લાગી જતા.
ફરી થાકતા, ફરી કામ કરતા.
પણ કાલે એવું બન્યું કે
અમે પૂનમની અજવાળી રાતે
દૂર દેખાતા રેલવેના સિગ્નલની
લાઈટ જોઈને ચાલવા માંડેલા
મનમાં હતું કે બસ ત્યાં પહોંચી જાશું
એટલે ઘરે પહોંચ્યા જ સમજો.
બસ પછી કોઈ ચિંતા નહીં રહે.
પણ અધવચ્ચે, પાટા પર ભરોસો મૂકી
નસીબથી થાકેલા
અમે ઊંઘી જ ગયા
ને બીજી બાજુ
અમારાં ભાઈબહેનોએ બનાવેલો
માલસામાન ભરી આવતી માલગાડીમાં
ક્યાંકથી મોત બેસી ગયું.
અમને તો ખબર જ ન રહી કે
મોત માલગાડીમાં છૂપાઈને આવે છે.
ભાન જ ના રહ્યું કે
મોત ભરેલી માલગાડીને
ક્યારે ગ્રીન સિગ્નલ અપાયું
અને
અમારા માટે
રેડ સિગ્નલ !
વાવડ એવા છે કે
ચિત્રગુપ્તે મૃતકને નામ લખાવવા કહ્યું
ત્યારે એણે કહ્યું કે
હવે હું
નામ મટીને
માત્ર આંકડો બની ગયો છું!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020