એક સાથે જ, આ બે વાતો બની : ચૂંટણી પંચે મતદાન માટેનું સમયપત્રક જાહેર કર્યું અને સુદૂર બેંગલોરથી દેવે ગૌડાએ પોતે 'વન્સ-અપોન-અ-ટાઇમ' નથી એની ખાતરી આપતા હોય તેંમ હયાતીના પ્રમાણપત્ર રૂપે ત્રીજા મોરચાની જાહેરાત કરી.
ચર્ચાની રીતે, બને કે, આ મુદ્દો જરી ખેંચાયેલો, કંઈક દૂરાકૃષ્ટ લાગે. પણ દેવે ગૌડાએ આપવા ધાર્યું તે હયાતીનું પ્રમાણપત્ર માત્ર નથી. તેઓ રાજકીય જીવન માટે વિધિવત્ પરવાનો આગળ ધરી રહ્યા છે. એક પેરેલલ સંભારું તો મારું કહેવું કદાચ વધુ સ્પષ્ટ થશે. ૧૯૮૯માં દેશે વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર જોઈ હતી ; ૧૯૯૬માં સંયુક્ત મોરચાની દેવે ગૌડા અને ગુજરાલની. મતલબ, જેમ ૧૯૮૯માં અને ૧૯૯૬માં તેમ એક અંતરાલ પછી વળી બાર-તેર વરસે બિનકૉંગ્રેસ-બિનભાજપ વિકલ્પ દિલ્હીને તખતે એક સ્પર્ધક તરીકે ઉભરી શકે છે.
અલબત્ત, પરિસ્થિતિ પ્રવાહી છે અને ચિત્ર તરતમાં પૂરું સ્પષ્ટ થવાનું પણ નથી. દેવે ગૌડા જેની જિકર કરે છે તે મોરચામાં હરાવલ દસ્તા તરીકે બેશક ડાબેરી પક્ષો છે, પણ ૧૯૯૬માં આ મોરચાની વિશેષતા પ્રાદેશિક પક્ષોની ગૂંથણીની હતી. ૧૯૮૯નો વીપી વ્યૂહ સંભારીએ તો એ પ્રક્રિયામાં રાષ્ટ્રીય મોરચો અને સમવાયી મોરચો, એમ બે ઘટકો હતા. દેવે ગૌડા (જનતા-એસ) અને માર્ક્સવાદી પક્ષ તેમજ સામ્યવાદી પક્ષ અત્યારે જે મોરચા વ્યૂહ ભણી જઈ રહ્યા જણાય છે તેવો પ્રયાસ એમ તો તાજેતરના ભૂતકાળમાં પણ થયો હતો. પણ એમાં મુખ્ય બળ પૈકી સમાજવાદી પક્ષે અમેરિકા સાથેની સમજૂતીને મુદ્દે કૉંગ્રેસ સાથે જવું પસંદ કર્યું તે સાથે ડાબેરીઓની મનની મનમાં રહી ગઈ હતી. હવે જોકે તેઓ માયાવતી, ચૂંટણીપરિણામો પછી જોડે હોઈ શકે એવી ગણતરી પર જરૂર મદાર રાખે છે. બેશક તેઓ માયાવતી જોડે હશે, કે માયાવતી એમની જોડે, એ જુદી વાત થઈ !
આમ જે રચના બની રહી છે – કૉંગ્રેસ અને સાથીઓ, ભાજપ અને સાથીઓ તેમજ ડાબેરીઓ અને સાથીઓ – એ દરેકમાં નાના પક્ષો કે પ્રાદેશિક પક્ષો ચૂંટણી પહેલાં કે પછી આઘાપાછી કરશે એ વળી જુદો જ મુદ્દો છે, કેમ કે હાલનો મુકાબલો એમાં દેખીતી અને જરૂર ચર્ચવા લાયક સૈદ્ધાંતિક ભૂમિકા છતાં બહુધા સત્તાના અંકગણિત આસપાસ એક પછી એક દિવસ સાથે વધુ ને વધુ ગંઠાતો ગૂંથાતો જશે.
તેમ છતાં, મહાસંગ્રામના પહેલા પહેલા દિવસોમાં જ એક અવલોકન તો ૧૯૮૯, ૧૯૯૬, ૨૦૦૯ની આ સહોપરિસ્થિતિઓ વચ્ચે રજૂ કરી જ દેવું જોઈએ. ૧૯૮૯નો ઘટનાક્રમ ૧૯૯૬ અને ૨૦૦૯ કરતાં ગુણાત્મકપણે જુદો હતો. વીપી પરિબળ અને એનું પ્રભામંડળ એક લોકઆંદોલન અથવા તો વ્યાપક જનઝુંબેશને આભારી હતાં. ૧૯૯૬નો ઘટનાક્રમ અને ૨૦૦૯નો ઘટનાક્રમ બહુધા અંકગણિત આસપાસનો છે. એમાં એવું કોઈ લોકતત્ત્વ અથવા પ્રજાકીય પરિમાણ નાખી નજરે દેખાતું નથી.
૨૦૦૪ અને ૨૦૦૯ની વચ્ચેનું એક અત્યંત નોંધપાત્ર ચૂંટણીપરિણામ ઉત્તરપ્રદેશમાં માયાવતીના સર્વજનવ્યૂહની બહુજન ફતેહનું હતું. એમાં પણ દલિતશક્તિ ગઠનની મૂળ ચાલના હતી તે બાદ કરતાં નાતજાતના સમીકરણની ફોર્મ્યુલા જ મુખ્ય હતી. એ ખોટું હતું એમ સાગમટે અહીં કહેવાનો ખયાલ નથી, કેમકે રાજકાજની ચાલક વાહિનીઓમાં સમાજના સર્વ વર્ગોનું પ્રતિબિંબ ને પ્રતિનિધિત્વ હોવું તો જોઈએ જ. મંડલ-મંદિર (અને હવે 'વિકાસ')ની મેળવણીથી સત્તા ટકાવી રહેલા નરેન્દ્ર મોદીએ પણ આચાર સંહિતા અમલમાં આવે એના થોડાક જ કલાક પહેલાં જે છ નવા સંસદીય સચિવો જોતર્યા તે પૈકી પાંચ બહોળી રીતે જેને આદિવાસી-ઓબીસી કહીએ એમાંના છે. વિશ્વનાથ પ્રતાપ સિંહ પર ભલે મંડલાસ્ત્ર નિમિત્તે જ્ઞાતિવાદનું તહોમત મુકાતું હોય, નમો એનો પણ કસ કાઢે તો છે જ.
મુદ્દે, નવાં નવાં બળોને છેવાડેથી મધ્ય પ્રવાહમાં લાવવા સારુ સામાજિક ઇજનેરીનો ખયાલ ખોટો નથી. માત્ર, ફૂલે – ગાંધી પરંપરામાં કોઈ સમાજમંથન (સોશિયલ ચર્નિંગ) નથી. એટલે આમૂલ પરિવર્તન કેવળ અંકગણિતમાં સમેટાઈને રહી જાય છે.
મહાસંગ્રામના બીજાં પણ પાસાં, લાંબા અને ટૂંકા ગાળાની રીતે યથા પ્રસંગ જોતાં રહીશું.
![]()

