પ્રાયોજિત સોશિયલ મીડિયાનો ઉદ્રેક અને ઉત્પાત, સેક્સ સીડીનો સંજય જોશી-ખ્યાત રાબેતો અને ગાંડા વિકાસનું ગુજરાત મોડેલ : જામતા ચૂંટણી માહોલમાં એટલું સારું છે કે મનમોહન અને ચિદમ્બરમ્ કે યશવંત સિંહાના અધિકૃત અવાજો વિપરીતપરિણામી નોટબંધી-જી.એસ.ટી. જેવા મુદ્દે સંભળાતા થયા છે. જો કે, આ અર્થનીતિ (વિકાસને નામે જૉબલેસ ગ્રોથ થકી મસમોટો રસોળો) ક્યાં લઈ જઈ રહી છે એની અરુણકુમારે ગુજરાતની મુલાકાત દરમિયાન આપેલી સંવેદનમંડિત સમજૂત કે તમે એ તો જુઓ કે વંચિતો વધવાનું ચાલુ છે, અને જેઓ છેવાડાના કહેતાં સીમાન્ત છે તે અતિસીમાન્ત અનવસ્થામાં મુકાઈ રહ્યા છે – હજુ આપણા વિમર્શના કેન્દ્રમાં નથી. હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ ઉદ્રેકે આંદોલિત ને ઉદ્યુક્ત સમુદાયોથી કૉંગ્રેસ પોતાને કંઈક વાજીકૃત અનુભવે છે એ સાચું; અને ગુજરાતમાં ભા.જ.પ. બે દાયકાની જે જવાબદેહી માટે બંધાયેલ છે તે દૃષ્ટિએ એ ઠીક જ છે. માત્ર, આ પ્રક્રિયામાં જે હાંસલ થશે તેણે આગળ ચાલતાં સીમાન્ત તબકાનો પથ પ્રશસ્ત કરવો રહેશે.
ખરું જોતાં, જવાબદેહીની સાદી સમજૂતથી હટીને સ્વરાજના લાંબા પટ પર ઇતિહાસપ્રક્રિયાની રીતે આખી વાતને જોવી રહે છે. ગુજરાતના ભાજપી સત્તાપ્રતિષ્ઠાનને એ વાતે કદરબૂજ નહીં તો પણ કંઈક તો ઓસાણ હોવાં ઘટે છે કે કોઈ એકલદોકલ ધારાસભ્યને બદલે ગુજરાત વિધાનસભામાં એના ધોરણસર પ્રવેશ ને પ્રતિષ્ઠાનું શ્રેય જયપ્રકાશના આંદોલનની આબોહવામાં બનેલ જનતા મોરચાને (જનસંઘ ઘટકને નાતે) ઘટે છે. ગુજરાતમાં ૧૯૯૫માં ભા.જ.પ.ને જે સુવાંગ જનાદેશ મળ્યો એ જનસંઘના જનતા અવતારને આભારી છે. ૧૯૭૫-૭૭માં જે જનતાઅવતાર કોળ્યો એ સ્વરાજ પરંપરામાં આવેલો એક વિકલ્પ હતો, કૉંગ્રેસને ચડેલ મેદ અને કાટ બાદ કરતાં બેઉ હતા તો સ્વરાજધારામાં જ. બલકે, ખરેખર તો આ જેપી જનતા અવતારે જ સંઘ-જનસંઘ માથેનું મહેણું (તમારા પૂર્વસૂરિઓ સ્વરાજની લડત વખતે ક્યાં હતા) ભાંગવાની પશ્ચાદ્વર્તી આસાએશ પણ કરી આપી. ૧૯૪૭માં ગાંધીનેહરુપટેલ એકંદરમતીથી ચાલતી કૉંગ્રેસનો આછોપાતળો ને કાલોઘેલો સ્વરાજવિકલ્પ જેપી કૃપાએ જનતા મોરચારૂપે શક્ય બન્યો હતો. એમાં અનુસ્યૂત સર્વધર્મ સમભાવ અને બિનસાંપ્રદાયિકતાના સંસ્કારો, મધ્યમમાર્ગી ને ડાબે ઝૂકતી ભૂમિકા, અને સ્વરાજની રાષ્ટ્રીય પ્લેટફોર્મશી કૉંગ્રેસની નવ્ય આવૃત્તિ રૂપે ધોરણસરના વિકલ્પનું કદ ને કાઠી સંપડાવી શકે એવી આશા અસ્થાને નહોતી. એક રીતે, ઇંદિરાઈ એકાધિકાર સામે ગાંધીનેહરુપટેલ એકંદરમતીનું એ ગુજરાત મોડેલ હોઈ શકતું હતું.
નરેન્દ્ર મોદી જે ગુજરાત મોડેલ વેચી વેચીને નવી દિલ્હી પહોંચ્યા એ જેને સહારે જનસંઘ-ભા.જ.પ.ને ગુજરાતમાં વિધિવત પ્રવેશ ને પ્રતિષ્ઠા મળ્યાં તે ૧૯૭૫-૧૯૭૭ના જનાદેશથી બિલકુલ વિપરીત હતું અને છે. આ મોડેલની તળેઉપર તપાસ વાસ્તે વીસબાવીસ વરસ એ તરત સામે આવતો ગાળો હશે; પણ ૧૯૯૫ના જનાદેશે નહીં અટકતાં ભા.જ.પે. વસ્તુતઃ ૧૯૭૫ના જનાદેશને ધોરણે હિસાબ આપવો રહે છે અને જાતતપાસ પણ કરવી રહે છે. જે સૌએ વિકલ્પની લાયમાં ભા.જ.પ.વટું કીધું હતું તે પૈકી જેમણે (ભલે અત્યાર સુધી એમણે તટસ્થ નાગરિક તપાસ અને ટીકાટિપ્પણ ભણી, એક સમાંતર વિચાર ભણી, દુર્લક્ષ સેવ્યું હોય) તેમણે પણ પુનર્વિચારની આ પળ પકડવી ઘટે છે.
વસ્તુતઃ ૧૯૪૭ કે ૧૯૭૫-૭૭ના જનાદેશથી પણ લાંબે અને ઇતિહાસપ્રક્રિયાની રીતે જોઈએ તો ૧૯૧૫માં ગાંધીના ભારતપ્રવેશ પછીની હર શતવર્ષી કને પ્રજાસત્તાક સ્વરાજનાં આગેકદમની સંબલસામગ્રી પડેલી છે. નવેમ્બર ૧૯૧૭માં તમે જુઓ કે ગોધરામાં ગુજરાતની પહેલી રાજકીય પરિષદ મળી હતી જેને પગલે ગાંધીની અધ્યક્ષતામાં ને વલ્લભભાઈના સંયોજનમાં ગુજરાતમાં ધોરણસરના રાજકીય જીવનની હવા બની હતી. એમાં અલબત્ત અગાઉનાં મવાળ પ્રવાહનીયે એક ભૂમિકા હતી. ગોધરા ૨૦૦૨માં બહુ જ વરવી રીતે દેશના નકશે મૂકાયું, કેમ કે ૧૯૧૭ની ગોધરા પરિષદે કંડારેલા રાહથી ચાતરતી વિચારધારાઓ થકી આપણો વિમર્શ બલાત્કૃત, અપહૃત, વિકૃત શો હતો. ગોધરાની રાજકીય પરિષદે ટિળક અને ઝીણાની વિશેષ ઉપસ્થિતિ(અને સહભાગિતા)માં હિંદુ-મુસ્લિમ એકતા તેમ જ અંત્યજોદ્ધાર(અસ્પૃશ્યતા નાબૂદી)ને ધોરણે સ્વરાજ ઝંખ્યું હતું. વેઠ પ્રથાની નાબૂદી સહિતનાં વાનાં એના એજન્ડા પર હતા. અને હા, મોટી વાત તો એ પણ બની હતી કે નેકનામદાર અંગ્રેજ સરકાર બહાદુર બાબત વફાદારીનો શ્રી ગણેશાય નમઃ સરખો રસમી ઠરાવ આ પરિષદે પસાર કરવાપણું જોયું નહોતું. ૧૯૧૭થી ૨૦૦૨ સુધી પહોંચતે પહોંચતે, ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપણે ! ગમે તેમ પણ, ૨૦૦૨એ રક્તરંજિત કોમી ધ્રુવીકરણની રાહે ભા.જ.પ.નો પથ પ્રશસ્ત કર્યો અને ૨૦૧૭માં એ અંગે સ્વરાજસુધારના અવસર શી ચૂંટણી આપણાં દ્વાર ખખડાવી રહી છે.
નાગરિક વકટલેંડ, કાશ, તું ઉંબરે ઊભી આ વાલમબોલ સાંભળતી હો!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 01-02
![]()


ભલે તમે એને વરસી કહો કે વરસગાંઠ, કાળો દિવસ કહો કે કાળાં નાણાં સામેની દે ધનાધન જેહાદ જયંતી, પણ નાગરિક છેડેથી પૂરી તપાસ તો કરવી જોઈએ. ગુજરાતમાં જે બધી પ્રતિભાઓ આ ગાળામાં ઊતરી પડી એમાં પક્ષોથી ઉપર એવા એક અભ્યાસીનો અવાજ પૂરતું ધ્યાન ખેંચી ન શક્યો હોય એવું બને. અથવા, એણે ધ્યાન ખેંચ્યું હોય તો પણ વિપક્ષી ટોળા પૈકીના જ એકમાં એમને ખતવી દેવાયા હોય એવું બને. જે.એન.યુ.ના નિવૃત્ત પ્રોફેસર અરુણકુમાર આપણે ત્યાં પ્રવર્તતી ‘બ્લેક ઈકોનોમી’ના નિસબતી પંડિત રહ્યા છે અને 1999ની એમની પેંગ્વિન કિતાબની ચોથી શોધિત-વર્ધિત આવૃત્તિ નવેમ્બર 2016ના નોટબંધી દિવસોની વાંસોવાંસના મહિનાઓમાં ચાલુ વરસે પ્રકાશિત થઈ છે. એમના અવલોકન પ્રમાણે દેશનો છેવાડાનો સમૂહ, સીમાન્ત માનવદ્રવ્ય, નોટબંધી અને જીએસટી સાથે વધુ હાંસિયામાં ધકેલાયો છે. ‘માર્જિનલાઇઝિંગ ધ માર્જિનલાઇઝ્ડ’ એવી અનર્થ પ્રક્રિયાના એક કારક તેમ જ ચિહ્ન તરીકે તે આ આખા ઘટનાક્રમને જુએ છે.
રહો, એમની વાત ઘડીક રહીને કરીએ. પણ આપણી લોકશાહી અને આપણું સમવાયતંત્ર, બેઉને જેબ આપે એવી એક બીના કેરળના ડાબેરી સરકારના નાણામંત્રી થોમસની સાખે નોંધી લઈએ. 2016ના નવેમ્બરની આઠમીએ રાતે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે એમની તત્ક્ષણ પ્રતિક્રિયા ‘અ ક્રેઝી આઇડિયા’ની તરજ પર હતી. એક સનકી કે ઉન્માદી વિચારતરંગ અગર ખ્યાલ જેવી આ વાત એમને કેમ લાગી હશે? થોમસે હમણાં આ સંદર્ભમાં એક કિસ્સો કહ્યો છે. લગભગ પેરેબલ (નીતિકથા) લગોલગનો એ કિસ્સો આવે છે: તળાવ માછલાંથી અને મગરોથી ઉભરાઈ ગયું હતું. માલિકે એમાંથી મુક્ત થવા સારું શોધી કાઢેલો રામબાણ નુસખો, તળાવને ખાલી કરી નાખવાનો હતો. એને હતું, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! ભાઈસાહેબે તબિયતથી પાણી બહાર કઢાવ્યું ને સાતમા આસમાનમાં મહાલવા લાગ્યા. પછી ખ્યાલ આવ્યો કે માછલાં મરી ગયાં, પણ મગર તો પાણીની જેમ જમીન પર પણ રહી શકે એટલે મગરોએ તો તાબડતોબ ચલતી પકડી. માછલાં, પાણી, મગર સઘળું ગયું!