ત્રણ મહિનાથી લૉક ડાઉન,, દોઢ મહિનાથી આંશિક કરફ્યૂ. ત્રણ અઠવાડિયા માટે ૨૪ કલાકનો સજ્જડ કરફ્યૂ. છતાં કુવેતમાં અસરગ્રસ્તોની સંખ્યા ૧૮,૦૦૦થી વધુ છે, ૨૧ ફેબ્રુઆરીથી સમયસર સાવચેતીનાં પૂરતાં પગલાં લેવાની શરૂઆત કર્યા પછી આપત્તિનાં બદલાતા સ્વરૂપ, પ્રકાર અને પ્રમાણનાં આધારે તેમાં કડકાઈ વધાર્યા છતાં, ૨૧મી મે, ૨૦૨૦ની સ્થિતિ એ છે કે કુવેતમાં રોજના સરેરાશ એક હજાર કેસનો ઉમેરો નોંધાઈ રહ્યો છે.
રોજના પાંચ હજાર ટેસ્ટ, ૨૨-૨૫ ટકા ટેસ્ટ પૉઝિટિવ. પરિણામે કુવેતની વસતી, વિસ્તાર અને વ્યવસ્થાની સરખામણીમાં અહીંનાં અસરગ્રસ્તોનો દર ઘણો ઊંચો છે. દંડની અસામાન્ય જોગવાઈઓ હેઠળ સાવચેતીનું શક્ય તેટલું પાલન કરાયા પછીનો આંકડો ગમે તેટલો મોટો હોય, પણ તેમાં એક-બે મીંડા ઘટાડી શક્યાનો જશ લૉક ડાઉનના અમલ અને પાલનને આપવો પડે.
કુવેતના મજૂરવર્ગની સતત કામ કર્યા કરવાની મજબૂરી અને રહેવાની જગ્યા ચેપને ફેલાવવામાં નિમિત્ત બન્યાં. સ્થાનિકોને બહારના કામદારો પર દોષનો ટોપલો નાંખવાનું મજબૂત કારણ મળી ગયું. બહારના લોકો ગમે નહીં ને બહારના લોકો વિના ચાલે નહીં. વળી, સારવારની વ્યવસ્થાઓ અને ગુણવત્તાનાં ધારાધોરણમાં સ્થાનિકો અને પરદેશીઓ વચ્ચે એટલા ભેદભાવ છે કે ચેપ લાગે તો ય સામે ચાલીને કોઇ સારવાર માટે જાય જ નહીં, એટલે સરકારી તંત્ર કરફ્યૂ લાદીને ફરજિયાત ટેસ્ટ કરી રહ્યું છે.
૨૬ મેના સવારના આંકડા પ્રામાણે, કુવેતમાં અત્યાર સુધી ૨૧,૯૬૭ કેસ અને ૧૬૫ મૃત્યુ નોંધાયાં છે. મે મહિનામાં કુવેતમાં કેસની સંખ્યાનો આલેખ એકદમ ઊંચો ચડવા લાગ્યો. તેને ઉતારવામાં હજુ ધારી સફળતા મળતી નથી.
(કુવેત)
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020