ગરીબ-દલિત પરિવારમાં જન્મીને પારાવાર યાતનાઓ વેઠીને, ચૂલો-પાણિયારું ને સૂવાનું જેમનું એક જ નાનકડી ઓરડીમાં હતું એવાં અશિક્ષિત મજૂર માતા-પિતાને ખોરડે ઉછરેલા અને રાત્રે ઘરમાં સૂવાની જગ્યા ન હોવાને કારણે ગામની સમાજવાડીના ઓટલે નર્યાં માંકડો-મચ્છરો વચ્ચે રાત્રીઓ વિતાવનારા, એમના સમાજમાં સૌ પ્રથમ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરનારા, મહારાષ્ટૃના ટાકલીવાડી(કોલ્હાપુર જિલ્લા)માં જન્મેલા ઉત્તમ કામ્બલેની છાપાંના ફેરિયાથી શરૂ થયેલી સફર મહારાષ્ટૃના ખ્યાતિપ્રાપ્ત દૈનિક “સકાળ”ના એડિટર ઇન ચીફ અૅન્ડ ડાયરેક્ટર સુધી પહોંચી, તે યાત્રા જેટલી રોમહર્ષક અને અચરજકારી છે, એટલી જ પ્રેરણાદાયી પણ છે.
દારુણ ગરીબી – અધમતમ અપમાનો વેઠતા રહીને, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર છાપું વેંચતા-વેંચતા, એક પત્રકાર બનવાનું સ્વપ્ન પાળીને બેઠેલા ઉત્તમ કામ્બલે, નીજ પરિશ્રમથી જે મુકામ પર પહોંચ્યા, તેની સફળતાકથા તેમની મરાઠી આત્મકથા ‘વાટ તુડવતાના’ યાને ‘અગનપથ’ હિન્દીમાં આલેખાઈ છે.
રાજ્યશાસ્ત્રના સ્નાતક હોવા છતાં, નોકરી ન મળતાં છાપાંના ફેરિયા, હોસ્પિટલના કમ્પાઉન્ડર, પ્રિન્ટીંગ પ્રેસમાં બાઈન્ડર અને “સમાજ” નામક પત્રમાં સાવ નીચલા સ્તરેથી શરૂઆત કરી, “સકાળ” દૈનિકના ખબરપત્રી, સિનિયર સબ એડિટર, ન્યૂઝ એડિટર, એક્ઝિક્યુૂટિવ એડિટર, ચીફ એડિટર અને એડિટર ઇન ચીફ તેમ જ નિયામકના પદ સુધી પહોંચેલા ઉત્તમ કામ્બલેની જીવનગાથા ભારતીય પત્રકારત્વ જગતની એક બે-મિસાલ ઘટના છે.
પત્રકારત્વ ક્ષેત્રની ઝળહળતી સિદ્ધિઓ બદલ મહારાષ્ટૃ સરકારનો ગૌરવ પુરસ્કાર, મરાઠી પત્રકાર સંઘનો ગૌરવ ભૂષણ પુરસ્કાર, મરાઠી ન્યૂઝ ચેનલ ‘સહ્યાદ્રિનો ઉત્કૃષ્ટ પત્રકાર પુરસ્કાર સહિત અનેક કીર્તિમાનો સ્થાપિત કરનાર ઉત્તમ કામ્બલે ન માત્ર એક પત્રકાર અપિતુ એક ખ્યાતિપ્રાપ્ત સર્જક-સાહિત્યકાર પણ છે.
આત્મકથા, પાંચ નવલકથાઓ, પાંચ વાર્તાસંગ્રહો, આઠ નિબંધસંગ્રહો, આઠ સંશોધન ગ્રંથો સહિત સાહિત્યના તમામ પ્રકારોમાં વ્યાપક ખેડાણ કરનારા ઉત્તમ કામ્બલે મહારાષ્ટૃ – મરાઠી સાહિત્યજગતના પણ એક આદરપાત્ર સર્જક છે. મરાઠી સાહિત્ય પરિષદના અનેક સત્રોના અધ્યક્ષપદ તેમણે શોભાવ્યા છે. સાથે જ એક સંવેદનશીલ – નિષ્પક્ષ પત્રકાર તરીકે તેમનું લક્ષ્ય હંમેશાં ‘સામાજિક ન્યાય’ની પ્રાપ્તિનું રહ્યું છે.
વેશ્યાઓની – દેવદાસીઓની – ફૂટપાથ પરના ભિખારીઓની – અસ્પૃશ્યોની કરુણકથાઓ, ઉચ્ચવર્ગ દ્વારા નિમ્નવર્ગના થતા શોષણની હૃદયવિદારક કથાઓ, સત્તાધીશો દ્વારા સતાવાયેલા – રીબાયેલા ગરીબ બેસહારા – સર્વહારા વર્ગની કરમકહાણીઓ ઉત્તમ કામ્બલેએ જીવનાં જોખમે આલેખી છે.
એ સમયે પગે ચાલીને સમચાર મેળવવા જતા ઉત્તમ કામ્બલેને એકથી વધુ વડા પ્રધાનશ્રીઓ, મુખ્ય મંત્રીશ્રીઓ, ફિલ્મ જગતની − આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિતની – દમામદાર પ્રતિભાઓની લંબાણ મુલાકાતો લેવાના પણ અવસર પ્રાપ્ત થયા. રાષ્ટૃપતિ અને વડા પ્રધાનના વિદેશના કાર્યક્રમોમાં તેમની સાથે પત્રકાર તરીકે જોડાવાના અવસર મળ્યા છે. ઉત્તમ કામ્બલેના લેખોનો એવો તો પ્રભાવ કે “સકાળ” દૈનિકના આખેઆખા પાર્સલોને એકવાર કદરદાન વાચકોએ રીતસર લૂંટી લીધા હતા !
વેશ્યાઓની કરુણકથાઓને આલેખવા દિવસો સુધી કમાટીપુરા(મુંબઈ)ની બદનામ ગલીઓમાં રોકાયેલા ઉત્તમ કામ્બલે પર સમાજે તો આંગળી ઉઠાવી જ, તેમની માતા પણ અત્યન્ત નારાજ થયાં. કિન્તુ એક દિવસે રક્ષાબંધન આવતાં કમાટીપુરામાંથી બે હાથે છેક બાવડાંઓ સુધી રાખડીઓ બંધાવીને પરત આવેલા ઉત્તમ કામ્બલેને માતાએ તે પછી કદી ટોક્યાં નહીં. ઉત્તમ કામ્બલે કહે છે : ‘આ દુર્ભાગી નારીઓને બધા જ પ્રકારના હાથ મળે છે, કેવળ રાખડી બંધાવનારા હાથ જ નથી મળતા.’
કર્ણાટકમાં પરંપરાથી ચાલી આવતી યુવાન દલિત દીકરીઓને દેવદાસીઓ બનાવતી નગ્ન પદયાત્રાનું લેખન કરતા રુઢિવાદીઓને હાથે મરણતોલ મારા ખાનાર ઉત્તમ કામ્બલેના અહેવાલને કારણે જ, કર્ણાટક સરકારે એક વટહુકમથી એ કુપ્રથાને રદ્દ કરી, એને આજે પાંત્રીસ વર્ષ થયાં છે.
પ્રેસ સેમિનારમાં કામ્બલેએ કહ્યું, ‘એ દિવસે મને એટલો માર પડ્યો કે જો હું દોડીને ભાગ્યો ન હોત તો તેમણે મને જાનથી મારી જ નાખ્યો હતો. આજે મને લાગે છે કે, ત્યારે જો હું મરી ગયો હોત તો સારું જ હોત. એક ઉત્તમ કારણ સાથે મરી જવાની એક તક મારી પાસેથી ચાલી ગઈ છે. હવે તો મોત પણ મારી પાસે આવતાં ડરી રહ્યું છે !’
પ્રેસ સેમિનારમાં દોઢ કલાક અસ્ખલિત વહેલી ઉત્તમ કામ્બલેની વાણીમાં શ્રોતાઓ પણ ભાવપ્રવાહમાં વહી રહ્યા હતા.
કહે છે કે ગુજરાતી દલિત સાહિત્યની પ્રેરણા મરાઠી દલિત સાહિત્ય છે. કિન્તુ અહીં ઉત્તમ કામ્બલેના દલિત સાહિત્ય પરના વિચારોને સાંભળ્યા પછી કોઈને ય એ સવાલ ઊઠે : ‘શું મરાઠી દલિત સાહિત્ય કે એના સાહિત્યકારોમાંથી આપણે કોઈ પ્રેરણા લીધી છે ખરી ?!’
પ્રેષક : કે.બી. રાઠોડ [રાજકોટ]
સૌજન્ય : “બિરાદર”, ડિસેમ્બર 2017; પૃ. 11-12