‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’ લેખક – કર્મશીલ – અનુવાદક અને આજીવન શિક્ષક એવા નડિયાદનિવાસી કાન્તિભાઈ મકવાણાની જીવનસફર વર્ણવતું પુસ્તક છે.
કાન્તિભાઈ કહે છે કે તેમની આ જીવનસફરના આલેખનનો ઉદ્દેશ તેમના સમયનો, ત્યારના સામાજિક જીવન – રીતરિવાજોનો વર્તમાન અને ભવિષ્યની પેઢીને એક સંદર્ભ સંપડાવવાનો અને તેની સરખામણીએ વર્તમાન પેઢી ક્યાં ઊભી છે અને તેનું ભવિષ્ય કેવું હશે, તેનો એક અંદાજ પૂરો પાડવાનો છે. તો તે સાથે જ આ જીવનસફરનું સંકલન-સંપાદન કરનાર જાણીતા પત્રકાર-લેખક બીરેન કોઠારીનો મત છે કે, લેખક કાન્તિભાઈની જીવનસફરનો માર્ગ ઊબડખાબડ અનેક ચડાવઊતારથી – કાંટાઓ સાથેનાં ફૂલોથી સભર છે અને તે જ તેમણે આલેખ્યું છે.
લેખક અને સંપાદક બે ય તેમનાં આ નિવેદનોમાં સાવ સાચા છે, તેની પ્રતીતિ, ‘જ્યોં કી ત્યોં ઘર દીની ચદરિયા’માંથી પસાર થનાર હર કોઈને થશે.
ત્રણ વિભાગો હેઠળ બાવીસ પ્રકરણોમાં પથરાયેલ, ચિત્રો-પ્રશસ્તિપત્રો સાથેના બસ્સો જેટલાં પૃષ્ઠોમાં સમાયેલ આ જીવનગાથા, ખેડા જિલ્લાના ચરોતર પ્રદેશના દલિતજીવન અને વિશેષ કરીને લેખક જે સમાજમાંથી આવે છે, તે વણકરોનાં દોહ્યલાં જીવનનો પણ પરિચય કરાવે છે.
જીવનસફર લખનાર ખુદ દલિત હોય ત્યારે જાતિવાદી પીડાની લોહીઝાણ વેદનાઓ જે એણે વેંઢારી છે, તેનો ને તેમાંથી તેને મુક્તિ અપાવનારા મુક્તિદાતા ડૉ. ભીમરાવ આંબેડકરનો ઉલ્લેખ એના લેખનમાં સહજપણે વણાતો જતો હોય છે.
માતા-પિતાએ વેઠેલી જાતિગત વેદનાનો વારસો કાન્તિભાઈ સુધી પણ પહોંચેલો છે. લેખક ટુંડેલની પ્રાથમિક શાળામાં હતા, ત્યારે કેવી હતી એ સમયની સામાજિક પરિસ્થિતિ ? લેખક લખે છે : ‘ગામમાં આભડછેટનું રાજ હતું. કોઈ પણ દલિતને ગામમાંથી પસાર થતી વખતે ફરજિયાત ટોપી પહેરવી પડતી. ગામ વચ્ચેથી સાઇકલ પર બેસી દલિત નીકળી શકતો નહીં. સાઇકલ દોરીને જ જવું પડતું. ગામનાં મંદિરોમાં દૂર ઊભા રહીને જ દલિતોએ દર્શન કરવા પડતા. દુકાને દૂર ઊભા રહીને જ ખરીદી કરવી પડતી. ભૂલેચૂકે કોઈ (દલિત) આગળ સહેજ વધી જાય, તો ગાળો સાંભળવી પડતી …. અમારા ગામના ભાથીજી મંદિરના તળાવના આરા પર દલિતોને કપડાં કે વાસણ ધોવાની છૂટ ન હતી ….. હું શિયાળામાં સ્કૂલે જવા ગામમાંથી પસાર થતો, ત્યારે ગામના ઉજળિયાતો જો સામે મળી જતા તો એવી હાડ થીજવી દેતી ઠંડીમાં ય મને જોતાંવેંત તેઓ તેમની જાતને મારાથી દૂર કરી દેતા.’
૪-૪-૧૯૪૪ના રોજ ટુંડેલ(તાલુકા નડિયાદ, જિલ્લા ખેડા)માં જન્મેલા કાન્તિભાઈને જીવનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહામાનવનો પ્રથમ પરિચય થયો, જ્યારે તેઓ બાર વર્ષના હતા. એ દિવસ હતો ૬ ડિસેમ્બર, ૧૯૫૬ – ડૉ. બાબાસાહેબ નિર્વાણદિન. કાન્તિભાઈ લખે છેઃ ‘પિતાજી સાંજે મિલમાંથી ઘેર આવ્યા ને મહોલ્લાના સૌને તેમણે ભેગા કર્યા ને કહ્યું કે આપણા પછાત વર્ગના મહાન નેતા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અવસાન થયું છે અને તે નિમિત્તે મિલમાં આજે કામ બંધ છે. બસ આ વાત મેં પહેલી વાર સાંભળી ને મને બહુ જિજ્ઞાસા થઈ આવી કે કોણ હશે આ ડૉ. બાબાસાહેબ આંબેડકર ?’
બાર વર્ષની સાવ કિશોર વયે ઘર કરી ગયેલી એ જિજ્ઞાસા લેખક જ્યારે આજે ઉંમરના ૭૭માં વર્ષના પડાવે ઊભા છે, ત્યારે કેવો રંગ લાવી છે ? લેખકને એણે કઈ હદે પ્રેરિત કર્યા છે ? તેનો એક સુરેખ આલેખ આપણને કાન્તિભાઈની જીવનકથામાંથી મળે છે.
૧૯૬૬માં ૨૧ વર્ષની યુવાન વયે અમદાવાદના સરકારી પ્રેસમાં ક્લાર્કની નોકરી મળી ને એ નિમિત્તે અમદાવાદની આંબેડકરમય ચાલીઓમાં રહેવાનું થયું અને અહીં યોજાતા મેળાવડાઓમાં ડૉ. આંબેડકર અને આંબેડકરીય – દલિતસાહિત્યનો કાન્તિભાઈને વિશેષ પરિચય મળ્યો. લેખક એ હદે આંબેડકરીય વિચારધારાને અનુસરતા ગયા કે બાબાસાહેબના દળદાર પુસ્તકનો ‘જીવનસંઘર્ષ’ હેઠળ ગુજરાતી અનુવાદ, ધ્યાનસંદેશ ભાલેકરના પુસ્તકનો વધુ એક અનુવાદ ‘આંબેડકર : ઓશોની આંખે’, જ્યોતિબા ફુલે પરના પુસ્તકનો અનુવાદ, બુદ્ધ વિચાશરણીને વ્યક્ત કરતું સ્વતંત્ર પુસ્તક ‘મંગલપથ’ સુધી એમની આ શબ્દયાત્રા પહોંચી. લેખનથી જ નહિ અટકીને એક સાચા દલિત કર્મવીર-કર્મશીલ બની ચૂકેલા કાન્તિભાઈએ, ૧૪ એપ્રિલ, ૧૯૭૩ – ડૉ. બાબાસાહેબના જન્મદિને એમના નાના એવા ગામ ટુંડેલમાં, ખુદ બાબાસાહેબના જ્યેષ્ઠ પુત્ર એવા ભૈયાસાહેબ – યશવંતરાવને નોતર્યા ને તેઓ આવ્યા પણ !
આંબેડકરી આદર્શોને વરેલા છોટુભાઈ બુદ્ધિસ્ટ નામના ગામના સજ્જનનું પણ લેખકના વિચારોના ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન છે.
ક્લાર્કની નોકરી છોડી શિક્ષક બનેલા ને તે પછી આજીવન શિક્ષક જ રહેલા કાન્તિભાઈએ, સ્વજનોની વિદાય, પારિવારિક આફતો, આર્થિક બેહાલીના એ દિવસોમાં પણ સમાજ માટે કંઈ કરી છૂટવાના ધ્યેય સાથે, પરિવાર કે સમાજસેવા એવા બે વિકલ્પો વચ્ચે માર્ગ કાઢતા રહી, સમાજ પ્રત્યેના પોતાના દાયિત્વને જે કુનેહ અને જુસ્સા સાથે નિભાવ્યું છે, ખરેખર તો તેની આ કથા છે, જે નવી દલિત પેઢીને પ્રેરણાદાયી છે.
વતનના ગામે ભાદરવા સુદ ચૌદશે, ગામની પરિક્રમા અને મહાયજ્ઞનો રિવાજ. એ માટેનાં લાકડાં એકઠાં કરવાનું કામ પરંપરાથી ગામના વણકરોએ કરવાનું રહેતું. આવા જ એક દિવસે ૧૯૬૫માં ૨૧ વર્ષની ધગધગતી યુવાન વયે આગેવાની લઈને આ કામનો ઇન્કાર કર્યો. પરિણામ, વણકરો તમામનો બહિષ્કાર, તીક્ષ્ણ હથિયારોથી હુમલો ને ભર્યાભાદર્યાં ઘર, ખેતર, ખોરડાં છોડીને રાતોરાત વણકરોની ટુંડેલથી નડિયાદ હિજરત. પોલીસ-ફરિયાદ, વિધાનસભા સુધી આ બનાવનો પડઘો અને જીવસટોસટના સંઘર્ષ પછી-સરકારી ખાતરી પછી વતનના ઘરે સૌની વાપસી.
આ સનસનીખેજ ઘટના આ યુવાન એના આવનાર જીવનમાં શું કરવાનો છે યા શું કરી શકે તેમ છે ? તેનો જ અણસાર આપતી હતી.
ત્યારે એ દિવસો હતા જ્યારે સામાજિક રીતે નિઃસ્વાર્થભાવે સક્રિય રહેનારાઓની શાસકો, અધિકારીઓ ને રાજકારણીઓ પણ નોંધ લેતા. કાન્તિભાઈની સક્રિયતાને કારણે ‘ખેડા જિલ્લા શિક્ષણ સમિતિ’માં તેઓ કોઑપ્ટ સભ્ય નિમાયા અને આ સંસ્થાના મુખપત્ર ‘શિક્ષણ સુવાસ’ના સંપાદક પણ નિમાયા. એમની આ સક્રિયતાની કૉંગ્રેસી આગેવાનોએ વિશેષ નોંધ લઈ એમને કૉંગ્રેસ પક્ષમાં જોડ્યા, રાજ્ય સ્તરના પ્રાથમિક શિક્ષણ બોર્ડના બિનહરીફ સભ્ય બનાવ્યા અને ૧૯૮૧માં ગુજરાત રાજ્યમાં જ્યારે સૌપ્રથમ વાર ‘ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ’ની રચના થઈ, ત્યારે ત્યાં પણ તેમની બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં નિયુક્તિ થઈ. જ્યાં કાન્તિભાઈએ ૧૯૮૧થી ૧૯૯૦નો પૂરો દાયકો નિષ્ઠાભરી સમાજસેવા બજાવી.
પોતાના ભાઈઓ એવા વણકરો માટે વતનના ગામે ગાલીચા વણાટકેન્દ્રને ભારે આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે ચલાવ્યું ને તેની જમીન હજી હમણાં ૨૦૧૯માં સરકારશ્રીને અનુદાનમાં આપી દઈને તેમણે સમગ્ર દલિતસમાજના છાત્રો માટેના છાત્રાલયનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
જીવનકથા લખવાને પૂરતા એવા અનુભવો સાથે એક પક્વ ઉંમરે તેને લખી રહેલા લેખક, સમાજબંધુઓની સેવા કરવાને ઊભી થતી સંસ્થામાં પત્ની શારદાબહેને પોતાના ઘરેણાં ગીરવે મૂક્યાં, નોકરી નહિ મળતા આ ગાલીચાકેન્દ્રને તૂટતું નહિ બચાવી શકેલા દીકરા નિરંજનની અણધારી વિદાય, પોલિયોગ્રસ્ત પુત્રને કારણે પૂરા પરિવારની વ્યથા, ઑસ્ટ્રેલિયા જઈ વસેલા ને ‘કલર્સ ઑફ ડાર્કનેસ’ (રંગભેદ / જાતિવાદને juxtapose કરતી) ફિલ્મ દ્વારા આંતરરાષ્ટ્રીય સન્માન પામેલા ગિરીશ મકવાણાના એ ઓચ્છવમાં સપરિવાર હાજરી, છેક લંડન જઈ ત્યાંના દલિત સમુદાયની રેલીમાં ઉપસ્થિતિ, નાટક-ટી.વી. વાર્તાલાપો-કવિતા ને અનેક પુસ્તકો દ્વારા અવિરત રહેલી સર્જનયાત્રા, મળેલ સન્માનો – પુરસ્કારો, ‘હિન્દછોડો ચળવળ’ના એક લડવૈયા એવા પિતા, ઘરના ખૂણે ઘંટી પર અનાજ દળતી વાત્સલ્યમૂર્તિ મા, ભાઈઓ-બહેનો, દાદા-દાદી સાથે લેખકનાં સંસ્મરણો તેમ જ સ્વતંત્રતા પછી તરત ૩૦ મે, ૧૯૪૭ના રોજ રચાયેલા ‘ચરોતર વણકર સમાજ’ના બંધારણ, તેની જોગવાઈઓ અને તેની આજની પરિસ્થિતિ વિશેનાં અવલોકનો પણ અહીં વાચનક્ષમ અને ધ્યાનાકર્ષક બની રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુરા ગામે ૧૯૭૪ની ૨૨ જૂને બનેલા જઘન્ય દલિત-અત્યાચારના સ્થળની કેતન મહેતા (‘ભવની ભવાઈ’ ફેમ), મનીષી જાની, રૂપા મહેતા અને પત્ની શારદા સાથે મુલાકાત લઈ, ત્યારે નવા-નવા શરૂ થયેલા દૂરદર્શન કેન્દ્ર (પીજ-નડિયાદ) દ્વારા તેની વ્યાપક પ્રસિદ્ધિ અને દલિતજાગૃતિ ક્ષેત્રે કાન્તિભાઈએ જે યોગદાન આપ્યું છે, તે ચિરસ્મરણીય છે. કાન્તિભાઈ દારૂબંધી અને કુરિવાજો સામે પણ લડનારા આજીવન યોદ્ધા છે.
જોસેફ મેકવાન, રમણ માધવ, અનિલ વાઘેલા, રમણ મેકવાન, શૈલેષ ક્રિસ્ટી, રમણ નડિયાદી, હરીશ મકવાણા, હસમુખ વાઘેલા જેવા અનેક સર્જકોએ ખેડા જિલ્લો અને ખાસ કરીને ચરોતરી પ્રદેશને તેમના સર્જનમાં રજૂ કર્યો છે. કાન્તિભાઈ મકવાણા તે માંહેના જ એક છે. આ લખનાર પોતે પણ ખેડા જિલ્લાનો મૂળ વતની હોઈ, કાન્તિભાઈની આ કથા વાંચવાનો અને તેના વિશે કંઈક લખવા તેનો ઇરાદો બન્યો !
હમાર મારવી, પંજેઠી, કરકુંવાસીઓ, ફડચિયું, વળગણી, નેયો જેવા ચરોતરી લોકબોલીના અનેક શબ્દો આ જીવનકથામાં સહજ પ્રયોજાયા છે.
જીવનકથાના લેખક આંબેડકરીય આદર્શોને વરેલા છે અને બૌદ્ધધર્મ પર એમણે ‘મંગલપંથ’ પુસ્તક લખ્યું હોવા છતાં, પોતે બૌદ્ધધર્મ સ્વીકારવાના નથી, તેવી હિંમતભરી સ્પષ્ટતા પણ કરે છે ! લેખકના પૂરા જીવનમાં નડિયાદ સ્થિત સંતરામ – મંદિર અને તેના સંતોનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે, જે આજ પર્યંત જળવાઈ રહ્યો છે. દીકરી મનીષાનાં લગ્ન પણ આ મંદિરમાં જ લેવાયાં હતાં. વારતહેવારે એમના ઘરે સંતોની ઉપસ્થિતિ થતી રહે છે.
દલિતોમાંથી અને વિશેષ કરીને વણકરોમાંથી મોટા પાયે ખ્રિસ્તીધર્મમાં ધર્માંતર થયું એમાં ખેડા જિલ્લો મોખરે રહ્યો છે. એનાથી લગ્નો વખતે ઊભી થતી સામાજિક સમસ્યાને પણ વર્ણવવાનું લેખક ચૂક્યા નથી. તેઓ લખે છે : ‘અમારી દીકરી મનીષાના સંબંધ માટે અમે તપાસ શરૂ કરી હતી, પણ ચરોતરનાં મોટા ભાગનાં વણકર કુટુંબોએ ખ્રિસ્તી ધર્મ અપનાવેલો હતો, તેથી હિન્દુ વણકર એક રીતે લઘુમતીમાં હતો.’ આગળ લખે છે : ‘વણકરસમાજ પર ખ્રિસ્તી-ધર્મનો દબદબો વધતો ચાલ્યો. વણકરસમાજ તૂટતો ગયો. વણકર આગેવાનોની સમાજ પરની પકડ ઢીલી થતી ગઈ’. લેખક એમ પણ લખે છે કે, ‘મારા ગામમાં ખ્રિસ્તી ધર્મ ખાસ પ્રવેશી શક્યો નહિ. અહીં લોકોમાં હિન્દુ ધર્મની ભાવનાને ટકાવી રાખવાનું પુણ્ય અહીંના નેકદિલ અને સાચા ભક્તિભાવને વરેલા પ્રવાસી સાધુ-સંતોને જાય છે.’
સંતરામ મંદિરના સંતો અને દલિત-સમુદાયની વિટંબણાઓ પરના લેખકના પુસ્તક ‘સમરસતાનું સરનામું : શ્રી સંતરામ મંદિર’ને આજે પણ વ્યાપક આવકાર મળેલો છે. આ સંતોએ દલિત-સમુદાયને સમયે-સમયે જે હામ પૂરી પાડેલી તેની વિગતો પણ આ પુસ્તકમાં છે.
આભડછેટના કારણે ગામની શાળામાં દલિત બાળકોને પ્રવેશ નહોતો મળતો ત્યારે ય, મિશનની શાળામાં પ્રવેશ આપવા આવેલા શિક્ષકને ‘માસ્તર, હું ખ્રિસ્તી નથી’, એવું બાળવયે પણ લેખક કહી શકેલા ! (પૃષ્ઠ-૨૬) ને તે સાંભળી હિન્દુપરંપરાને વરેલા પરિવારના મોભી એવા પિતાએ પણ એ શિક્ષકને, દીકરાને વધુ આગ્રહ ન કરવા જણાવી દીધેલું.
હિન્દુ ધર્મના પ્રબળ પ્રભાવ હેઠળના જીવનસાથે ય, લેખક ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા હિન્દુ ધર્મના કઠોર આલોચકના જીવન-આદર્શો સાથે જે સુમેળ સાધી શક્યા, તે ચુસ્ત આંબેડકરવાદીઓ – બુદ્ધિસ્ટો માટે મોટા અચરજની વાત હોઈ શકે !
કાન્તિભાઈ લખે છે કે, મારી જીવનકથાને મેં ચાદર સાથે સરખાવી છે. તેના તાણાવાણા જાળવીને ઝીણવટપૂર્વક તેને વણીને મેં જેમની તેમ વાચકો સમક્ષ રજૂ કરી છે, ત્યારે એ કેવી છે, એ વાચકોએ નક્કી કરવાનું છે.
કાન્તિભાઈને જીવન જે રીતે જીવવા મળ્યું, જે સારા-ખરાબ અનુભવો થયા, તેનાં સંભારણાં- સંસ્મરણો માત્ર છે આ કથા.
પોતાને એક પ્રતિબદ્ધ દલિત સર્જક પુરવાર કરવાનો કે એમની આ જીવનકથાને નીવડેલી દલિત આત્મકથાઓની પંગતમાં બેસાડવાનો ન તો કાન્તિભાઈનો પ્રયાસ છે, ન આશય. તેથી જ તેઓ એને ‘આત્મકથા’ નહિ ને ‘જીવનકથા’ કહે છે.
કાન્તિભાઈની આ જીવનકથા એમના સમયના દલિતજીવનનો એક અધિકૃત દસ્તાવેજ છે. પોતાની વાત કહેતાં એમણે ક્યાં ય દંભ, છળ, ચતુરાઈ, બનાવટ કે અતિશયોક્તિનો આશરો લીધો નથી. કેટલુંક સત્ય ટાળીને એટલું જ અસત્ય ઉમેરવાની ચાલાકી તેમણે કરી નથી. એવો કસબ એમને સાધ્ય પણ નથી. એમણે માત્ર એમના સત્યને પૂરી પ્રામાણિકતાથી વાચકો સમક્ષ મૂક્યુ છે. લેખનમાં પ્રામાણિકતા આગવું મહત્ત્વ ધરાવે છે, ત્યારે એમની આ પ્રામાણિકતાનો મહિમા કરીએ.
‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા’ (જીવનકથા); લેખકઃ કાન્તિભાઈ મકવાણા – સંપાદક : બીરેન કોઠારી; પ્રકાશકઃ રતનમંગળ પ્રકાશન; પ્રાપ્તિસ્થાનઃ ધૈવત મકવાણા, ૧૮, સિદ્ધાર્થનગર સોસાયટી, રેલવે-સ્ટેશન પાછળ, નડિયાદ : ૩૮૭ ૦૦૨, જિલ્લા ખેડા; મૂલ્ય : રૂ. ૪૪૦/-; સંપર્ક : કાન્તિભાઈ મકવાણા, મો. ૭૩૮૩૯૮૭૦૫૮.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 22-23 તેમ જ 19