મુંબઈની મિલ્ક સ્ટ્રીટ અને મિન્ટ સ્ટ્રીટ
મઝગાંવ એટલે માછલીનું ગામ કે વચલું ગામ?
નવરોજી ફરદુનજી સ્ટ્રીટ ક્યાં આવી?
‘પ્રભુ જેવું હતું તેવું ફરી ભારત બનાવી દો’ એમ ગાનારા અને ઇચ્છનારા માને અને કહે છે કે આજની દુનિયામાં જે કાંઈ છે તે સૈકાઓ પહેલાં, હજારો વરસ પહેલાં, આ ભવ્ય ભારતમાં હતું જ. એમને મતે પ્રાચીન ભારતમાં દૂધ-દહીંની નદીઓ વહેતી હતી. હવે, આ વાત સાચી છે કે નહિ, એ નક્કી કરવા માટે પ્રાચીન ભારતમાં તો પાછા જઈ શકાય એમ નથી. પણ હા, એક જમાનામાં આ મુંબઈ શહેરમાં તો દૂધની નદી જેવો એક રસ્તો હતો જ. ભાયખળા સ્ટેશન રોડ અને ટેન્ક પખાડી સ્ટ્રીટને જોડતો એક રસ્તો બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટે બાંધ્યો. અંગ્રેજો જેમ પોતાના અમલદારોનાં નામ મુંબઈના રસ્તાઓને આપતા એમ સ્થાનિક વિશિષ્ટતાઓ પરથી પણ નામ આપતા. એટલે આ નવા રસ્તાને નામ શું આપવું એની ચર્ચા થઈ. આ નવા રસ્તાની બંને બાજુ ઠેકઠેકાણે ભેંસોના તબેલા હતા, જે મુંબઈને રોજેરોજ તાજ્જું દૂધ પૂરું પાડતા. એટલે પહેલું સૂચન થયું કે આ રસ્તાને ‘બફેલો સ્ટ્રીટ’ એવું નામ આપવું. પણ તરત કેટલાક ‘દેશી’ સભ્યોએ કહ્યું કે આવું નામ તો હાસ્યાસ્પદ બનશે. તો પછી નામ શું આપવું? એટલે કોઈએ કહ્યું કે આ ભેંસોના તબેલા શહેરને દૂધ પૂરું પાડે છે. એટલે આ નવા રસ્તાનું નામ રાખીએ મિલ્ક સ્ટ્રીટ. આ સાંભળી કોઈક ટીખળી સભ્ય બોલ્યો : એના કરતાં વોટર સ્ટ્રીટ નામ રાખો. કારણ અહીંના દૂધમાં દૂધ કરતાં પાણી વધારે હોય છે! ઘણા સભ્યો હસ્યા ખરા, પણ નામ તો પાડ્યું મિલ્ક સ્ટ્રીટ.
બોમ્બે મિન્ટ
મુંબઈમાં જો મિલ્ક સ્ટ્રીટ હતી, તો મિન્ટ સ્ટ્રીટ પણ હતી. અને આ ‘મિન્ટ’ એટલે ફૂદીનો નહિ હોં! ખણખણતા સિક્કા બનાવનારી ટંકશાળ. ફોર્ટ વિસ્તારમાં રિઝર્વ બેન્કના જૂના મકાનની સામે આવેલું હતું આ મિન્ટનું મકાન. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૨૩માં આ ટંકશાળ શરૂ કરવા માટે પરવાનગી આપી. બોમ્બે એન્જિનિયર્સના મેજર જોન હોકિન્સે આ મકાનની ડિઝાઈન તૈયાર કરી અને ૧૮૨૪માં બાંધકામ પણ તેમની જ દેખરેખ નીચે શરૂ થયું. ૧૮૨૯માં મકાન બંધાઈ રહેતાં મિન્ટ શરૂ થઈ હતી. તે વખતે ફોર્ટ સ્ટ્રીટ અને એલ્ફિન્સ્ટન સર્કલને જોડતા રસ્તાને મિન્ટ રોડ નામ અપાયું હતું. મિન્ટ શરૂ થઈ ત્યારે તે બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરના તાબા નીચે હતી. પણ ૧૮૭૬ના મે મહિનાની ૧૮મી તારીખે ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયાએ તેને હસ્તગત કરી લીધી હતી. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૮માં અહીં રોયલ મિન્ટ ઓફ લંડનની શાખા શરૂ કરવામાં આવી, જ્યાં બ્રિટિશ પાઉન્ડના સિક્કા પાડવામાં આવતા. લગભગ ૧૩ લાખ સિક્કા પાડ્યા પછી ૧૯૧૯ના એપ્રિલમાં આ શાખા બંધ થઈ હતી.
૧૮૭૦માં બોમ્બે મિન્ટમાંથી બહાર પડેલો સિક્કો
પણ હવે મકરંદ દવે કહે છે તેમ ‘નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.’ આ મારગ એટલે મઝગાંવ. અસલ સાત ટાપુઓમાંનો એક. એક જમાનામાં ‘અપ માર્કેટ એરિયા.’ ધનવાનોનાં વાડી વજીફા, બંગલા, ફુવારા. અને ચાર અક્ષરના આ નામમાં બે અક્ષર – ગાંવ – તો બિચારા સીધા સાદા છે. ગુજરાતીમાં ગામ, તે મરાઠીમાં ગાંવ. પણ પહેલા બે અક્ષર ‘મઝ’નું શું? માઝાનું મઝ થયું હશે? ના. મોટે ભાગે મચ્છગાંવનું મઝગાંવ થયું. પ્રાગઐતિહાસિક કાળથી આ ટાપુ પર માછીમાર કોળીઓની વસતી. એટલે કદાચ મૂળ નામ મચ્છગાંવ. પોર્ટુગીઝ શાસન દરમ્યાન તેનું નામ હતું માસેગોંઅ. મરાઠીમાં માસે એટલે માછલી. તો બીજા કેટલાક કહે છે કે ના ભાઈ ના. આ જગ્યાને માછલી સાથે લાગતું વળગતું નથી. મૂળ નામ તો હતું મહિષ ગ્રામ, કારણ ત્યાં ઘણી ભેંસો હતી. તો એક મત વળી એવો કે નહિ માછલી, નહિ ભેંસ. આ તો સાવ સીધું સાદું નામ છે. મરાઠીમાં ‘માજ’ એટલે વચલું. જેમ કે ‘માજઘર’ એટલે ઘરનો વચલો ઓરડો. સાત ટાપુમાં આ વચલો ટાપુ એટલે માજગાંવ, મઝગાંવ. પારસીઓમાં મઝગામવાલા અટક જોવા મળે છે. તેવી જ રીતે કોલાબાવાલા પણ હોય છે. મરાઠી ભાષીઓમાં તો માઝગાંવકર, વાંદરેકર, ગોરેગાંવકર, પાર્લેકર, માહીમકર, જેવી અટકો સામાન્ય ગણાય. પણ હિંદુ ગુજરાતીઓમાં આવી અટક ભાગ્યે જ જોવા મળે.
મઝગાંવ ૧૮૯૭માં
તે વખતની બી.બી.સી.આઈ. રેલવેના માહિમ સ્ટેશન પાસેના ફાટકથી લેડી જમશેદજી રોડ સુધી જતા રસ્તાનું નામ હતું મોરી રોડ. ના, જી. એ જમાનામાં ઘરોમાં નહાવા-ધોવા માટે બાથરૂમ નહિ પણ ‘મોરી’ રહેતી એટલા માટે આ નામ નહોતું. મરાઠાઓની એક પેટા જાતિ તે મોરી. આ રસ્તા પર ઘણા બધા મોરીઓનાં ઘર આવેલાં હતાં એટલે આ નામ. અને આ મોરીઓ પોતાને મૌર્યોના વંશજ માને. મૌર્યોની એક શાખાનું કોંકણ પર રાજ હતું એ વાત ખરી. એમની રાજધાની હતી ‘પુરી.’ એ નગરી અરબી સમુદ્રની લક્ષ્મી દેવી તરીકે ઓળખાતી. એટલે આ મોરીઓ પાટલીપુત્રના ચંદ્રગુપ્ત મૌર્યના વંશજો. પણ આ પુરી નગરી તે કઈ? કેટલાક કહે છે કે ઘરાપુરી કહેતાં એલિફન્ટા એ જ આ પુરી નગરી. મુંબઈના એક નાના બંદરનું નામ પણ હતું મોરી બંદર. તો બીજા કેટલાકનું કહેવું છે કે ચંદ્રગુપ્ત અને તેના વંશજો તો બૌદ્ધ ધર્મ પાળતા. જ્યારે એલિફન્ટામાં શૈવ થાનક છે. બૌદ્ધ ધર્મ પાળતા વંશની રાજધાની શૈવ કેવી રીતે હોઈ શકે? એસ.એમ. એડવર્ડઝ નામના વિદ્વાન કહે છે કે આ મોરીઓ મૌર્યોના વંશજ હતા એ વાત તો સાચી. જેમ ચૌલુક્યોના વંશજો મહારાષ્ટ્રમાં ‘ચોલકે’ બન્યા તેમ જ આ મોરીઓ. પણ આ કોંકણી મૌર્યોની રાજધાની એલિફન્ટા નહિ, પણ ઠાણા હતી. એક જમાનામાં ઠાણે, નાલા, સોપારા વગેરે બૌદ્ધ ધર્મનાં મહત્ત્વનાં મથક હતાં.
અંગ્રેજોએ આપેલાં નામમાંથી ઘણાં આપણે આઝાદી પછી બદલી નાખ્યાં છે. તો કેટલાંક નામ આજ સુધી ટકી રહ્યાં છે. કારણ એ નામ અંગ્રેજોએ આપેલાં ખરાં, પણ કોઈ ને કોઈ ‘દેશી’ આગેવાનની યાદમાં. પણ નામ ટકી ગયું હોવા છતાં એ વ્યક્તિ કોણ હતી, એનો એવો તે શો ફાળો હતો કે એક રસ્તાને અંગ્રેજોએ તેમનું નામ આપ્યું – આ બધું આજે વિસરાઈ ગયું છે. આવું એક નામ તે નવરોજી ફરદુનજી સ્ટ્રીટ. કોલાબા કોઝવેથી આદમ સ્ટ્રીટના દરિયા કિનારા સુધીના રોડને ૧૮૯૭માં અંગ્રેજોએ આ નામ આપ્યું. આ નવરોજી એ જમાનામાં ‘લોકોના રખેવાળ’ તરીકે ઓળખાતા.
નવરોજી ફરદુનજી
નવરોજીનો જન્મ ૧૮૧૭ના માર્ચની ૧૦મી તારીખે, ભરૂચમાં. ભરૂચ અને સુરતમાં પ્રાથમિક શિક્ષણ. પછી આવ્યા મુંબઈ. ૧૮૩૦માં નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થતાં પ્રખ્યાત મરાઠી લેખક, પત્રકાર, સુધારક બાળશાસ્ત્રી જામ્ભેકર મદદનીશ પ્રોફેસર નિમાયા અને તેમના શિષ્ય નવરોજી તેમના સહાયક નિમાયા. ૧૮૪૬માં બાળશાસ્ત્રીનું અણધાર્યું અવસાન થયું. તે પછી અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નવરોજીની નિમણૂક થઈ.
આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી અદાલત મુંબઈની સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખાતી. ૧૮૪૫માં નવરોજીની નિમણૂક આ કોર્ટના દુભાષિયા તરીકે થઈ. ૧૮૬૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી નવરોજીએ આ નોકરી કરી. નવરોજીમાં રહેલો સમાજ સુધારક ધ્યાનપાત્ર રીતે બહાર આવ્યો તે તો ૧૮૫૧માં પારસી સમાજમાં સમાજ સુધારો કરવા માટે તેમણે રાહનુમાઈ માઝદીઅશના સભાની સ્થાપના કરી તે પછી. સરકારી નોકરી કરતા હોવા છતાં નવરોજી અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઊઠાવતાં અચકાતા નહોતા. તે વખતના ‘બોમ્બે ટાઈમ્સ’ના તંત્રી ડો. જ્યોર્જ બ્યુસ્ટ પહેલાં તો હિંદીઓ તરફી લખાણો માટે જાણીતા હતા. પણ ૧૮૫૭ના બળવાને કારણે તેઓ હિંદીઓના કટ્ટર વિરોધી બની ગયા. આ ‘બોમ્બે ટાઈમ્સ’ મૂળ તો અંગ્રેજ માલિકીનું હતું. પણ આર્થિક ભંડોળ વધારવાના હેતુથી ૧૮૫૦માં કેટલાક દેશીઓને પણ શેરહોલ્ડર બનાવેલા. નવરોજી તેમાંના એક. તેમની આગેવાની નીચે બધા દેશી શેરહોલ્ડર ભેગા થયા અને તેમણે ડો. બ્યુસ્ટને તંત્રીપદેથી દૂર કર્યા. કેટલાક અંગ્રેજો આથી ભડક્યા. પણ નવરોજીએ જે કાંઈ કર્યું તે કાયદાની મર્યાદામાં રહીને કર્યું હતું એટલે અંગ્રેજોના હાથ હેઠા પડ્યા. તેમાંના કેટલાકે ‘બોમ્બે સ્ટેન્ડર્ડ’ નામનું નવું છાપું કાઢી ડો. બ્યુસ્ટને તેના તંત્રી બનાવ્યા. તેવી જ રીતે મુંબઈની સુધરાઈના કારભારમાં ચાલતા ભ્રષ્ટાચારને તેમણે જાહેરમાં ખુલ્લો પાડ્યો. પરિણામે ૧૮૭૨માં સરકારે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરી. ૧૮૭૫માં કરદાતાઓના પ્રતિનિધિ તરીકે નવરોજી ચૂંટાયા. એ જ વરસે તેઓ ટાઉન કાઉન્સિલના પણ સભ્ય બન્યા. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી નવરોજીએ ત્રણ વખત ઇન્ગ્લંડની મુસાફરી કરી. ત્યાં જુદી જુદી સરકારી સંસ્થાઓમાં ભાષણો કરી ‘દેશીઓ’ તરફ વધુ ઉદાર વલણ દાખવવા અંગ્રેજોને અપીલ કરી હતી.
ગુજરાતી પત્રકારત્વની અનન્ય સેવા પણ નવરોજીએ કરી. આજે પ્રગટ થતાં ગુજરાતી સામયિકોમાં અમદાવાદનું ‘બુદ્ધિપ્રકાશ’ સૌથી જૂનું. પણ એ આપણી ભાષાનું પહેલું સામયિક નહિ. પહેલું ગુજરાતી સામયિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં નવરોજીએ શરૂ કર્યું અને ૧૮૪૭ સુધી પોતે ચલાવ્યું. તે પછી તેઓ ગુજરાતી વર્તમાનપત્ર ‘જામે જમશેદ’ના તંત્રી બન્યા. ટૂંકી માંદગી ભોગવીને ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે નવરોજીનું અવસાન થયું. લગભગ આખી જિંદગી લોકોપયોગી કામો કર્યાં હતાં. છતાં ૧૮૮૪માં માનપત્ર આપવા માટે મળેલી સભામાં તેમણે કહેલું : “મેં કોઈ બહુ મોટી સેવા કરી છે એમ હું પોતે માનતો નથી. પણ જો મેં થોડીઘણી સેવા પણ કરેલી હોય તો તેમ કરીને મેં કંઈ દેશના લોકો પર ઉપકાર કર્યો નથી. સમાજના એક નાચીઝ સભ્ય તરીકે મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.”
હવે ક્યારેક કોલાબા વિસ્તારમાં જાવ ત્યારે આ નવરોજી ફરદુનજી સ્ટ્રીટ પર જરૂર લટાર મારજો.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; ૦૬ મે ૨૦૨૩