તારે રે દરબાર, ગોરી રાણી, તારે રે દરબાર
પૂતળાંઓની કથા અને વ્યથા
સ્થળ : વિક્ટોરિયા ગાર્ડન / વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન
સમય : હવે પછીના કોઈ પણ દિવસની સાંજ
પાત્રો : મહારાણી વિક્ટોરિયા અને બીજા
રાણી બાગમાં રાણી વિક્ટોરિયા
મહારાણી : અરે! કોઈ છે કે! અમારા માથા પરનું છત્ર ક્યાં ગયું? અમારાથી હિન્દુસ્તાનની આ ગરમી સહન નથી થતી.
ઉદ્યાનનો ચોકીદાર : ખાલી પીલી બોમ્બાબોમ નકો. તમારા એ આરસના છત્તર તો કે દિના વેચાઈ ગયા. આજે તો એક મોટા શેઠ એની નીચે બિરાજે છે.
મહારાણી : અરે, અમારા આ નાકને શું થયું? આટલું નાનું કેમ?
ચોકીદાર : શું થયા, તે નાક તો કપાઈ ગયા!
મહારાણી : એવી બેઅદબી કોણે કરી?
પટાવાળો : એ તો ખબર નથી પડ્યા.
મહારાણી : (ચોંકીને) અરે! આ બે માથા વગરના બેઠા છે તે કોણ છે? અહીં શા માટે છે ?
એક : મહારાણી! હું છુ લોર્ડ કોર્નવોલિસ!
બીજો : અને હું લોર્ડ વેલેસ્લી.
મહારાણી : અરે! હિન્દુસ્તાન પર તાજનું રાજ સ્થપાયું તે પહેલાંની કંપની સરકારના આપ તો હાકેમો.
માથા વગરના મહારથી કોર્નવોલિસ અને વેલેસ્લી
લોર્ડ કોર્નવોલિસ : ૧૭૮૬થી ૧૭૯૩ સુધી હું હિન્દુસ્તાનનો ગવર્નર જનરલ હતો, રાણી સાહેબા!
લોર્ડ વેલેસ્લી : હા જી. અને ૧૭૯૮થી ૧૮૦૫ સુધી હું હિન્દુસ્તાનનો ગવર્નર જનરલ હતો.
મહારાણી : અરે! પણ તમારી આવી દશા કઈ રીતે થઈ!
બંને : નામદાર! જે સવારે આપની નાસિકા ખંડિત થઈ એ જ સવારે કોઈ અજાણી વ્યક્તિએ અમારા ધડથી માથાને જૂદું કરી નાખ્યું. અને પછી અમારા માથાનો ક્યાં ય પત્તો જ લાગ્યો નહિ!
મહારાણી : પણ અહીં પધાર્યા એ પહેલાં આપ બંને ક્યાં હતા?
બંને : કોટન ગ્રીન. એ જમાનાનું મુંબઈનું કેન્દ્ર હતું કોટન ગ્રીન.
સર રિચર્ડ ટેમ્પલ : યોર હાઈનેસ! હું ૧૮૭૭થી ૧૮૮૦ સુધી મુંબઈનો ગવર્નર હતો. પૂરાં તેત્રીસ વરસ હિન્દુસ્તાનમાં રહીને મેં તાજની સેવા કરી. એના માનમાં મુંબઈમાં મારું પૂતળું મૂકવામાં આવ્યું. ઓવલ મેદાનના ઉત્તર છેડા નજીક એને ખૂબ ધામધૂમથી ખુલ્લું મૂકવામાં આવેલું. આજે હવે અહીં ખુલ્લામાં ધૂળ ખાઉં છું.
બહાર પસાર થતા સ્ટ્રીટસિંગરનો અવાજ : કરમન કી ગત ન્યારી, ઉધો! કરમન કી ગત ન્યારી!
મહારાણી (બીજી તરફ નજર જતાં) : અરે! આ તો લોર્ડ સેન્ડહર્સ્ટ! ૧૮૯૫માં મુંબઈના ગવર્નર પદે અમે તેમની નિમણૂક કરેલી, અને ૧૯૦૦ સુધી અહીં રહેલા. આપ પણ ખંડિત થયા જણાવ છો!
ચોકીદાર : (ઊંઘમાંથી ઊઠ્યો હોય તેમ) આ નામ તો મેં સાંભળેલા ચે. મારા મામાના ઘર આવેલાં ચે એ રસ્તાના નામ સેન્ડહર્સ્ટ રોડ! આણી એક સ્ટેશનનું નામ પણ છે સેન્ડહર્સ્ટ રોડ, જેને ઘણા મશ્કરીમાં ‘સંડાસ રોડ’ કહે છે.
(પાંચ-છ મુલાકાતીઓ સાથે ગાઈડ પ્રવેશે છે)
ગાઈડ : આ છે મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ડહર્સ્ટનું પૂતળું. પહેલાં એસ્પ્લનેડ નામના એક મુખ્ય રસ્તા પર હતું. પછી અહીં આવ્યું, બીજાં પૂતળાંની જેમ. ૧૮૯૫માં ગવર્નર બન્યા ને બીજે જ વરસે, ૧૮૯૬માં, મુંબઈમાં પ્લેગની મહામારી ફેલાઈ! વીસથી ત્રીસ હજાર લોકો મુંબઈ છોડીને પોતાને ‘ગામ’ જતા રહ્યા હતા. યાદ છે? જ્યારે આપણા દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ ત્યારે સરકારે આકરાં પગલાં લીધાં હતાં. એ પગલાં એપિડેમિક ડીઝીઝ એક્ટ નીચે લેવાયેલાં. આ કાયદો લોર્ડ સેન્ડહર્સ્ટના શાસનકાળ દરમ્યાન ૧૮૯૭માં પસાર થયો હતો.
એક મુલાકાતી : કહે છે ને કે સંઘર્યો સાપ પણ કામ આવે, તે આનું નામ.
લોર્ડ હાર્ડિન્જનું પૂતળું : રાણી સાહેબા! હું છું લોર્ડ હાર્ડિન્જ. નામદાર પંચમ જ્યોર્જે મારી નિમણૂક હિન્દુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ તરીકે કરેલી. ૧૯૧૦થી ૧૯૧૬ સુધી મેં એ જવાબદારી સંભાળેલી. હું હિન્દુસ્તાનમાં હતો એ દરમ્યાન કેટલીક મહત્ત્વની ઘટનાઓ બનેલી. ૧૯૧૧માં નામદાર પંચમ જ્યોર્જ હિન્દુસ્તાન પધારેલા અને દિલ્હી દરબાર ભરાયેલો. એ જ વરસે કલકત્તાને બદલે હિન્દુસ્તાનની રાજધાની બન્યું દિલ્હી. અહીંના લોકો જેમને મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે હું વાઈસરોય અને ગવર્નર જનરલ હતો. તેમની આગેવાની નીચેના ‘રાષ્ટ્રવાદીઓ’ સાથે સારા સંબંધો રાખવામાં તાજના રાજનું હિત છે એમ મને લાગ્યું. પરિણામે પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ હિંદનો તેમ જ દેશી રાજાઓનો આપણને ટેકો મળ્યો. આપનું લશ્કર હિન્દુસ્તાનને બદલે રણભૂમિ પર તહેનાત કરવાનું શક્ય બન્યું. એટલું જ નહિ, ઘણાં દેશી રાજ્યોએ પોતાના સૈનિકોને લડવા મોકલ્યા.
લોર્ડ વેલેસ્લી : પણ આપના ઉપર જીવલેણ હુમલો થયો હતો એમ સાંભળ્યું હતું.
લોર્ડ હાર્ડિન્જ પરનો હુમલો
લોર્ડ હાર્ડિન્જ : હા, એ વાત સાચી. એ દિવસ હતો ૧૯૧૨ના ડિસેમ્બરની ૨૩મી તારીખનો. હિન્દુસ્તાનની રાજધાની દિલ્હી ખસેડ્યા પછી હું હાથી પર બેસીને વિધિવત્ નવી રાજધાનીમાં પ્રવેશ કરી રહ્યો હતો. અમારી સવારી ચાંદની ચોક પહોંચી એ જ વખતે રાસબિહારી બોઝ અને સચિન સન્યાલ નામના બે ઉગ્રવાદીઓએ મારા પર બોમથી હુમલો કરેલો. મારો એક વફાદાર નોકર માર્યો ગયો. મને પણ આખા શરીરે ઈજાઓ થઈ. પણ પરમકૃપાળુ પરમાત્માની દયાથી મારો જાન બચી ગયો.
મહારાણી : તમારા પર હુમલો કરનારને શી સજા થઈ?
લોર્ડ હાર્ડિન્જ : અમે ઘણી મહેનત કરી, દસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું. પણ એ પકડાયો નહિ. પછી ૧૯૧૫મા એ ભાગીને જાપાન ચાલ્યો ગયો.
લોર્ડ સેન્ડહર્સ્ટ : પણ આપના પૂતળાની અસલ જગ્યા કઈ?
લોર્ડ હાર્ડિન્જ : એપોલો બંદર, જેને ‘દેશીઓ’ પાલવા બંદર તરીકે ઓળખતા. દિલ્હી દરબાર માટે નામદાર પંચમ જ્યોર્જ પધાર્યા ત્યારે તેમણે પહેલવહેલો પગ આ એપોલો બંદર પર જ મૂકેલો. એ વખતે અમે પૂંઠાનો કામચલાઉ દરવાજો બનાવેલો. અને પછી એ જગ્યાએ ગેટ વે ઓફ ઇન્ડિયાનો ભવ્ય દરવાજો બંધાવ્યો. અને નસીબની બલિહારી તો જુઓ : આ જ દરવાજામાંથી પસાર થઈને બ્રિટિશ લશ્કરના છેલ્લા સૈનિકે હિન્દુસ્તાનનો કિનારો છોડ્યો!
મહારાણી : અને મોન્ટગ્યુ, આપ તો બ્રિટિશ સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ સ્ટેટ હતા, અને આપનું સ્ટેચ્યુ મરીન લાઈન્સ પર હતું, ખરું ને?
મોન્ટગ્યુ : હા નામદાર. પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ સ્ટેટ હતો હું, ૧૯૧૭થી ૧૯૨૨ સુધી. અને તે વખતના વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડ સાથે મળીને મેં હિન્દુસ્તાનના વહિવટમાં કેટલાક સુધારા સૂચવ્યા હતા. જે ઇતિહાસમાં મોન્ટગ્યુ-ચેમ્સફર્ડ સુધારા તરીકે ઓળખાય છે. પણ અમારે માથે બંને બાજુથી માછલાં ધોવાયાં. ઘણા બ્રિટિશરોને લાગ્યું કે અમે વધુ પડતી ઉદાર નીતિ અપનાવી છે. તો અમે સૂચવેલા સુધારાનો હિન્દુસ્તાનમાં વિરોધ થયો. મહાત્મા ગાંધીએ વિરોધ આંદોલન શરૂ કર્યું. અને મને કહેતાં શરમ આવે છે કે જલિયાં વાલા બાગની કરપીણ ઘટના પણ આ વિરોધ દરમ્યાન બની. હિન્દુસ્તાનના લોકોએ આજ સુધી એ માટે આપણને માફ કર્યા નથી.
(નેપથ્યમાંથી સામૂહિક) : માફ નથી કર્યા અને ક્યારે ય કરશું પણ નહિ.
મહારાણી : અરે! આપણે બધાં અહીં ભેગાં થયા છીએ, પણ સમ્રાટ પંચમ જ્યોર્જ કેમ દેખાતા નથી? શું તેમનું પૂતળું મુંબઈમાં મૂકવામાં નહોતું આવ્યું?
(દૂર દૂરથી આવતો અવાજ) : સામ્રાજ્ઞી! હું અહીં છું.
મહારાણી : અહીં એટલે ક્યાં?
પંચમ જ્યોર્જ : અહીં એટલે એલ્ફિન્સ્ટન કોલેજની પાછળ આવેલા PWDના કંપાઉંડમાં.
લોર્ડ સેન્ડહ ર્સ્ટ: આપ નામદાર ત્યાં કેમ છો?
પંચમ જ્યોર્જ : એની તો મને પણ ખબર નથી, ભાઈ. પણ જ્યારે આપ સૌનાં પૂતળાંને ઉખેડ્યાં ત્યારે મારું પૂતળું પણ ઉખેડાઈ ગયું. જે એપોલો બંદર પર ૧૯૧૧માં મેં પગ મૂકેલો એ એપોલો બંદરના ગેટ વે ઓફ ઇન્ડિયાની બરાબર સામે હતો હું. મને ઉપાડીને નાખ્યો આ ઉજ્જડ કંપાઉંડમાં. અને અહી હું એકલો નથી. મારી સાથે કિંગ એડવર્ડ આઠમાનું પૂતળું પણ છે. અને તમે બધાં તો ખુલ્લી હવામાં છો. રાણી બાગના મુલાકાતીઓમાંથી થોડા તમને જોવા-મળવા પણ આવે છે. પણ અમારી આજુબાજુ અને ઉપર પતરાં મઢી દીધાં છે. એટલે અમને નથી મળતાં હવા કે પ્રકાશ. હા એક બાજુના પતરામાં નાનું બાકોરું છે એમાંથી ક્યારેક વળી કોક અમને જુએ છે.
ગણપતરાવ મ્હાત્રે (ડગમગતી ચાલે પ્રવેશે છે) : આપ સૌ ગ્રેટ બ્રિટનના માંધાતાઓ અહીં એકઠાં થયાં છો, પણ આપને એક વાતની ખબર નહિ હોય.
મહારાણી : કઈ વાતની?
મ્હાત્રે : આપ સૌનું ઘડતર આપના દેશમાં થયું છે, કોઈ ને કોઈ બ્રિટિશ શિલ્પકારને હાથે થયું છે. પણ નામદાર પંચમ જ્યોર્જના પૂતળાનું ઘડતર નથી થયું આપના ગ્રેટ બ્રિટનમાં, કે નથી થયું કોઈ અંગ્રેજને હાથે.
લોર્ડ કોર્નવોલિસ : તો ક્યાં અને કોને હાથે થયું છે?
શિલ્પકાર ગણપતરાવ મ્હાત્રે
મ્હાત્રે : મારે હાથે, અહીં હિન્દુસ્તાનમાં, અહીં મુંબઈમાં. આપ સૌને મારો થોડો પરિચય આપું. મારો જન્મ ૧૮૭૯ના માર્ચની દસમીએ પૂનામાં. મારા વડીલ – એટલે કે ફાધર – મિલિટરી એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે. એમની બદલી પૂનાથી મુંબઈ થઈ અને અમારું કુટુંબ મુંબઈવાસી બન્યું. ગિરગામની મંગળ વાડીમાં અમારું ઘર. ત્યાં જ રહેતા જી.વી. ગોખલે ગણપતિની મૂર્તિઓ બનાવે. તેમની પાસેથી મૂર્તિકલા કાચીપાકી શીખ્યા પછી હું જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં જોડાયો. સર લોકવૂડ કિપલિંગ પાસેથી મૂર્તિકળા શીખ્યો. સાથોસાથ એમ.વી. ધુરંધર જેવા પ્રખ્યાત ચિત્રકાર પાસેથી ચિત્રકલા પણ શીખ્યો. વચમાં કેટલાક દિવસ ક્લાસમાંથી ગુટલી મારી નવવારી સાડી પહેરેલી યુવતીની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવી, અને એને નામ આપ્યું To the temple. ત્યારે મારી ઉંમર સોળ વરસની. અમારા પ્રિન્સિપલ ગ્રીનવુડની નજરે ચડે એવી રીતે હોલના બારણા પાસે એને ગોઠવી. તેમની નજર પડતાં જ તેમણે મને બોલાવ્યો અને પૂછ્યું : ‘માત્ર સોળ વરસની ઉંમરે આવી સુંદર મૂર્તિ તેં બનાવી કઈ રીતે?’ અને તેમણે ૧,૨૦૦ રૂપિયામાં એ મૂર્તિ ખરીદી લીધી અને અમારી જે.જે. સ્કૂલ ઓફ આર્ટસના પ્રવેશદ્વાર આગળ ગોઠવી. પણ એવી બધી વાતોનો તો પાર નહિ આવે! નામદાર પંચમ જ્યોર્જનું આદમકદ અશ્વારોહી પૂતળું બનાવવાનું કામ મુંબઈ સરકારે મને સોંપ્યું ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલી. પણ આજે તેની જે દુર્દશા થઇ છે તે જોઇને …
રાણી બાગનો પટાવાળો : (હાથમાંનો દંડૂકો પછાડતાં) હવે મ્યુઝિયમ અને ગાર્ડન બંધ કરવાના ટાઈમ થયા છે. એટલે હવે બધાં ચૂપ થઈ જાવ.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 જૂન 2023