“અવલોકન-વિશ્વ” : સંપાદક – રમણ સોની : પ્રત્યક્ષ પ્રકાશન, ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, વડોદરા – 390 007 : પહેલી આવૃત્તિ – ૨૦૧૭. પાનાં ૧૬ + ૩૫૨ = ૩૬૮ : મૂલ્ય – રૂ.૪૫૦
કુલ ભાષા ૨૯ (તેમાંની ૧૬ દેશની, ૧૩ પરદેશની). ૯૦ લેખકોએ લખેલાં ૮૭ પુસ્તકો વિશેના ૭૮ સમીક્ષકોએ લખેલા લેખો. (‘સંપાદકનું કથન’માં ૮૬નો આંકડો લખ્યો છે, પણ અંતે આપેલી ‘ગ્રંથસૂચિ’માં ૮૭ પુસ્તકો નોંધાયાં છે.) અને આ પુસ્તકો તે માત્ર સાહિત્યનાં જ નહિ. સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસવિચાર, કળાવિચાર, ચરિત્ર, ડાયરી, ફિલ્મવિચાર, ભાષાશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, સંશોધન અને સંસ્કૃિતવિચારનાં પુસ્તકો પણ ખરાં. સાહિત્યમાં સૌથી વધુ (૧૫) પુસ્તકો નવલકથાનાં. ઉપરાંત કવિતા (૧૪), આત્મકથા (૧૩), વાર્તા (૭) અને વિવેચન(૬)નાં પુસ્તકો. અને આ બધાં જ પુસ્તકો બાવા આદમના જમાનાનાં નહિ, છેલ્લા એક દાયકા દરમ્યાન પ્રગટ થયેલાં – તેમાં ય ૬૦ પુસ્તકો તો છેલ્લાં ચારેક વર્ષમાં પ્રગટ થયેલાં. પણ આ આંકડા રાંકડા લાગે એવો સૂઝ ભર્યો શ્રમ સંપાદકે કર્યો છે. તેમણે લખનારાઓ પર કે પોતાના પર કૃત્રિમ બંધનો નથી લાદ્યાં, મોકળાશ રાખી છે. અમુક શબ્દોમાં જ લખો, અમુક પ્રકારનાં પુસ્તકો વિષે જ લખો, અમુક રીતે જ લખો – કે ન લખો – એવી લક્ષ્મણરેખા લખનારાઓ ફરતી નથી દોરી. તો એક લેખક એક લેખ, અમુક ભાષા, વિષય કે પ્રકારનાં પુસ્તકો અમુક સંખ્યામાં જ, રજૂઆતની અમુક જ પદ્ધતિ, એવાં બંધનોથી નથી પોતાની જાતને બાંધી. આનો અર્થ એવો નથી કે અહીં સંપાદન-કર્મ નથી. છે. પૂરેપૂરું છે, ચીવટ અને ઝીણવટભર્યું છે. જ્યાં ગુજરાતીમાં લખાયેલા લેખ ન મળ્યા ત્યાં બીજી ભાષામાં લખાવી તેના અનુવાદ કર્યા-કરાવ્યા છે. કોઈ અવલોકનમાં કશુંક ખૂટતું લાગે તો બીજા કોઈ પાસેથી પૂરક સામગ્રી મેળવીને મૂકી છે. કેટલાક લેખોને અંતે વધતી કોરી જગ્યામાં મૂકવા માટે મહેનત કરીને સુયોગ્ય અવકાશપૂરકો એકઠાં કર્યાં છે. (અને તેની અલગ અનુક્રમણિકા પણ આપી છે.) સાધારણ રીતે ગુજરાતીમાં લખવાથી ન ટેવાયેલા લેખકોના લખાણમાં તો સારી એવી જહેમત સંપાદકને લેવી પડી હોય.
અહીં મૂકેલા લેખોને એક બીજી રીતે પણ જોઈ શકાય – આપણા પ્રબુદ્ધ વાચકોના વાચન અંગેનાં રસ-રુચિની પારાશીશી રૂપે. અહીં ભારતીય અંગ્રેજીનાં ૧૦ પુસ્તકો વિષે, અમેરિકન અંગ્રેજીનાં ૧૮ પુસ્તકો વિષે, બ્રિટિશ અંગ્રેજીનાં ૧૩ પુસ્તકો વિષે – એમ કુલ ૪૧ અંગ્રેજી પુસ્તકો વિષે લખાયું છે. બીજી કેટલીક પરદેશી ભાષાનાં પુસ્તકો વિષે લખાયું છે તે પણ તેના અંગ્રેજી અનુવાદ થકી. ‘અંગ્રેજી હટાવ, ગુજરાતી બચાવ’ની બૂમો ગમે તેટલી પડતી હોય, અંગ્રેજીની સારી જાણકારી વગર આપણને ચાલવાનું નથી. આપણે અંગ્રેજી પુસ્તકો વાંચીએ છીએ તે આપણી ગરજે. અંગ્રેજીનો ઉદ્ધાર કરવા ખાતર નહિ.
લખનાર અવલોકન-લેખનનો નિષ્ણાત ન હોય તો ચાલે, વિષયનો જાણકાર હોય એટલે બસ. પરિણામે કેટલીક નવી-તાજી કલમોનો લાભ આ પુસ્તકને મળ્યો છે. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે લખનારાઓમાં જંગી બહુમતી આજી-માજી અધ્યાપકોની જ છે. ઓછામાં ઓછા ૪૭ લેખો તેમના લખેલા છે.
પુસ્તકોનાં અવલોકનો (બદ્ધાં નવાં નક્કોર, અહીંથી-તહીંથી ઉપાડીને છાપેલું એક પણ અવલોકન નથી)નું આવું દીર્ઘદૃષ્ટિ અને પરિશ્રમપૂર્વક તૈયાર થયેલું, આવું માતબર પુસ્તક આપણી ભાષામાં વારંવાર જોવા મળતું નથી. આવાં સંપાદનો કરતી વખતે કેવું લોહીનું પાણી કરવું પડે છે તે તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાને.’ અને છતાં સાહિત્યનો ઇતિહાસ લખતી વખતે કે લેખકોને ઇનામ અકરામ આપતી વખતે કોઈને સંપાદનો સાંભરતાં નથી. અનુવાદકની જેમ સંપાદક પણ આપણા સાહિત્યની વર્ણવ્યવસ્થામાં નીચલે પગથિયે છે.
છેલ્લે, નજર ન લાગી જાય માટે એક નાનકડું કાળું ટપકું : દરેક અવલોકનને મથાળે પુસ્તક અને તેના કર્તા, પ્રકાશકનાં નામ છાપ્યાં છે, પ્રકાશન વર્ષ છાપ્યું છે, દરેક પુસ્તકના જેકેટનું લઘુ રૂપ પણ છાપ્યું છે, તો સાથોસાથ પાનાંની સંખ્યા અને કિંમત પણ છાપ્યાં હોત તો? સૂચિકરણની શિસ્તની દૃષ્ટિએ એ જરૂરી છે એ તો ખરું જ, પણ તેમ કર્યું હોત તો જે થોડાઘણા – કે ઘણા થોડા – પુસ્તક પ્રેમીઓ હોય તેમની સગવડ થોડી વધુ સચવાઈ હોત. પુસ્તકનું મુદ્રણ સ્વચ્છ, સુઘડ, વ્યવસ્થિત. અને પૂંઠું તો આંખમાં જ નહિ, મનમાં વસી જાય તેવું. રમણભાઈએ તો દસ પગથિયાં ભારે જહેમત કરીને ગોઠવી આપ્યાં છે. તેના પર ચડી અવલોકન-વિશ્વમાં ડોકિયું કરવાનું કામ હવે આપણું છે.
Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai – 400 051