સરકારો બહુમતીથી બને છે પણ તેણે કામ સર્વમતીથી કરવાનું હોય છે. ખરો રાજધર્મ આ જ છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો ભારે વિજય થયો છે. દેશની પાંચમા ભાગની વસ્તીનો આ જનાદેશ દૂરગામી પરિણામો લાવનાર નીવડશે. આ પરિણામોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અઢી વરસના શાસન પર મંજૂરીની મહોર લાગી છે. આ પરિણામોએ આગામી ગુજરાત વિધાનસભા અને લોકસભા ચૂંટણીને એકતરફી બનાવી દીધી છે, તો વડાપ્રધાન પ્રત્યેની મતદારોની અપેક્ષાઓ પણ ખૂબ વધી ગઈ છે.
આ ચૂંટણી પરિણામો ચૂંટણીસુધારા, વર્તમાન ચૂંટણીપદ્ધતિમાં ફેરફાર, રાજકીય પક્ષોનું ચરિત્ર અને ચૂંટણીમુદ્દા જેવી બાબતોએ વિચારવા મજબૂર કરે છે. પાંચ રાજ્યોની કુલ 690 બેઠકોમાં ભાજપને 405 બેઠકો મળી છે. એટલે કે તેણે 58% બેઠકો મેળવી છે, જેમાં ઉત્તરપ્રદેશનો સિંહભાગ છે. જો તેને બાદ કરીએ તો બાકીનાં ચાર રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની કુલ 287 બેઠકોમાંથી ભાજપને 96 જ બેઠકો મળી છે, જેની ટકાવારી 32.3 થાય છે.
હાલની ચૂંટણીપદ્ધતિમાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળે તે વિજેતા ગણાય, તો જે પક્ષને બહુમતી બેઠકો મળે તેની સરકાર રચાય છે. એટલે જ નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વર્તમાન ચૂંટણીપદ્ધતિને લોકોનો સંપૂર્ણ જનાદેશ કે મતદારોની પૂર્ણ અભિવ્યક્તિ માનતા નથી. નમૂનાદાખલ યુ.પી.નાં પરિણામો જોઈએ તો, ભાજપને કુલ 403 બેઠકોમાંથી 312 બેઠકો મળી છે, જે પ્રચંડ બહુમતી છે. પરંતુ તેને મળેલા મતો 39.7 % જ છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીને તેના પછીના ક્રમે 22.2% મત મળ્યા છતાં તેને માત્ર 19 જ બેઠકો મળી છે.
પંજાબમાં કોંગ્રેસને 38.5% મત સાથે 117માંથી 77, તો અકાલી દળને 25.2% મત સાથે માત્ર 15 જ બેઠકો મળી છે. ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. પરંતુ આ બંને રાજ્યોમાં મતોની ટકાવારીમાં ભાજપ સૌથી આગળ છે. ગોવામાં ભાજપને 32.5% મત, 13 બેઠકો, કોંગ્રેસને 28.4% મત, 17 બેઠકો. મણિપુરમાં ભાજપને 36.3% મત, 21 બેઠકો, કોંગ્રેસને 35.1% મત, 28 બેઠકો.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 31% મતો અને 282 બેઠકો, તો કોંગ્રેસને 19.31% મતો અને માત્ર 44 જ બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીમાં બસપાનો મળેલા મતોમાં તે પછીનો, ત્રીજો ક્રમ હતો. તેને 4.14% મત મળ્યા હતા. પણ એકેય બેઠક મળી નહોતી. અન્નાડીએમકેને 3.27% મત અને 37 બેઠકો મળતાં તે લોકસભામાં ત્રીજો મોટો પક્ષ બન્યો હતો. તૃણમુલ કોંગ્રેસને તેના કરતાં વધુ (3.84%) મત મળ્યા છતાં 34 બેઠકો મળતાં તે બેઠક સંખ્યામાં ચોથા ક્રમનો પક્ષ બની રહ્યો. 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 32.2% મત મળ્યા હતા, પરંતુ તેને બેઠકો માત્ર 3 જ મળી હતી.
લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોમાં મોટે ભાગે 50% કરતાં ઓછા મત મેળવીને રાજકીય પક્ષોએ સત્તાના સુકાન સંભાળ્યાં છે. વળી આ તો થયેલ મતદાનના આંકડા પરથી મળેલા મતોની ટકાવારી છે. તેમાં જો મતદાન નહીં કરનાર અને મતદાર ન હોય તેને પણ ઉમેરીએ તો સરકારો સાવ જ અલ્પમતથી બનતી હોવાનું સાબિત થાય છે. 2011ની ભારતની વસ્તી 1.21 અબજ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 17.16 કરોડ મત મળ્યા હતા.
કુલ વસ્તીની સરખામણીમાં ભાજપને મળેલા મતો જોઈએ તો તે દેશની માંડ 14.8% વસ્તીની પસંદગીનો પક્ષ છે. પરંતુ લોકસભામાં તેની બેઠકો 282 હોઈ પૂર્ણ બહુમતીની સરકાર છે! આ પ્રકારની ચૂંટણીપદ્ધતિને કારણે સત્તાસ્થાને આવતા પક્ષો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.પી. ફતેહ પછીના દિલ્હી વક્તવ્યમાં કહેલી વાત ખૂબ જ પ્રાસંગિક અને સમયસરની છે કે સરકારો બહુમતીથી બને છે પણ તેણે કામ તો સર્વમતીથી કરવાનું હોય છે. આ બાબત જો સૌ રાજકીય પક્ષો ગાંઠે બાંધે તો જ ભલે ચૂંટણીમાં સર્વનો સાથ ન હોય પણ સર્વનો વિકાસ થઈ શકે. ખરો રાજધર્મ આ જ છે, જે પાળવો બહુ કઠિન છે.
આ ચૂંટણી પરિણામોએ જે અન્ય એક બાબત ઘૂંટી આપી છે તે એ છે કે જાતિ, ધર્મ, કોમ, લિંગ જેવા ભેદોમાં જકડાયેલા મતદારને તેમાંથી બહાર કાઢી શકાય છે. દલિત, આદિવાસી, મુસ્લિમ, મહિલા, જાટ જેવી તરેહતરેહની વોટ બેન્ક ચૂંટણીટાણે નજરે પડે છે. રાજકીય પક્ષો પણ આવી મત બેન્કો ઊભી કરે છે અને તેને પોષે છે. આ ધોરણે ઉમેદવારોની પસંદગી અને હારજીત થાય છે. ઉત્તરપ્રદેશના 14.12 કરોડ મતદારો ચૂંટણી પરિણામો પછી જાતિ-ધર્મ-કોમ-લિંગથી મુક્ત થઈ જશે એવું બનવાનું નથી. પરંતુ રાજકીય પક્ષો જો તેને માત્ર વોટબેન્ક તરીકે જ જોશે અને તે કાયમ તેમના ખિસ્સામાં જ છે તેમ માનશે તો તેમાં હંમેશાં સફળ થવાના નથી.
મુખ્યત્વે દલિતો અને તેમાં ય જાટવોના પક્ષ મનાતા બહુજન સમાજ પક્ષને યુ.પી.માં દલિત વસ્તી 21% હોવા છતાં વિધાનસભાની 87 દલિત અનામત બેઠકોમાંથી માત્ર બે જ મળી છે. તેમ છતાં કેટલાક રાજકીય વિશ્લેષકો બસપાએ તેની જાટવ વોટ બેન્ક અકબંધ રાખ્યાનું કહે છે! જો કે આ વખતે ઉત્તરપ્રદેશમાં બસપાનો દેખાવ સૌથી કંગાળ રહ્યો છે. માયાવતી ચચ્ચાર વખત આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી તેમને આ ચૂંટણીમાં 19 જ બેઠકો મળતાં ખુદ માયાવતી માટે રાજ્યસભામાં પુન: ચૂંટાવું મુશ્કેલ બનવાનું છે. સમાજવાદી પક્ષની સરકારમાં 10 મુસ્લિમ મંત્રીઓ હતા. હાલની ધારાસભામાં ભાજપનો એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી. ઉ.પ્ર.ના ઇતિહાસમાં આ સહુથી ઓછા 24 મુસ્લિમ ધારાસભો ધરાવતી વિધાનસભા છે. જો કે વિધાનગૃહોમાં વાજબી રાજકીય પ્રતિનિધિત્વ હોય તો જ વહીવટ અને વિકાસમાં લાભ મળી શકે તે બાબત ચર્ચાસ્પદ છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સમાજવાદી પક્ષ તેણે રાજ્યના કરેલા વિકાસના મુદ્દે લડી હતી. મુખ્યમંત્રી અખિલેશ યાદવ માટે વિકાસ એટલે દિલ્હી-આગરા એકસપ્રેસ વે અને લખનૌ મેટ્રો હતી. અખિલેશની વિકાસવાર્તા એ હકીકત પરથી જણાઈ આવે છે કે માર્ચ-2016માં તેમની સરકારે ચાર વરસ પૂરાં કર્યાં ત્યારે રાજ્ય સરકારે ‘સમાજવાદી સુગંધ’ નામે ચાર જાતનાં અત્તર ખાનગી કંપની પાસે બનાવડાવી લોકાર્પિત કર્યાં હતાં. આ ‘સમાજવાદી સુગંધ’ નામનાં અત્તર લોકો માટે નહોતાં. તે માત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા વિશિષ્ટ મહાનુભાવોને ભેટ આપવા માટે ઉત્પાદિત કરાયાં હતાં.
જો રાજ્યના સમાજવાદી કહેવાતા મુખ્યમંત્રીની વિકાસ વિશેની આ સમજણ હોય અને તેને કાનપુરના ચામડાઉદ્યોગની પડતી, દલિત અત્યાચારો, ખાડે ગયેલી કાયદો વ્યવસ્થા, મહિલા ઉત્પીડન, મુસ્લિમોની બેહાલી, રોજગારનો અભાવ, ગરીબી અને મોંઘવારી નજરે ન ચડતા હોય તો યુ.પી.ના મતદારનો તેમના માટેનો આ જનાદેશ વાજબી છે. આ સાદું સત્ય અખિલેશને ભલે ન સમજાયું, યોગી આદિત્યનાથને સમજાય તો ભયોભયો.
સૌજન્ય : ‘શાણપણના શબ્દો’, “દિવ્ય ભાસ્કર”, 23 માર્ચ 2017
 ![]()


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ[08 માર્ચ]ની વળતી સવારે પણ દેશજનતાના દિલોદિમાગમાં ગુરમેહર કૌર છવાયેલાં છે. સ્ત્રીશક્તિ અને તેના અપ્રતિમ સાહસનું એ તાજંુ ઉદાહરણ છે. આ પંજાબી કન્યાએ ડર્યા અને ડગ્યા વિના કામચલાઉ ઘરખૂણો પાળ્યો છે ત્યારે એક બીજી પંજાબી કન્યાનું સ્મરણ થાય છે. ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાએ અમદાવાદના ગાંધી સ્મારક સંગ્રહાલયમાં સંગ્રહિત ગાંધીજીને સંબોધીને લખાયેલા એક પત્રનો હવાલો આપી તાજેતરમાં એક લેખ લખ્યો છે. પંજાબની એક કૉલેજકન્યાએ યુવાનો દ્વારા થતી છેડતી અને સતામણી અંગે ગાંધીજીનું માર્ગદર્શન માગ્યું હતું. જવાબમાં ગાંધીજીએ 31મી ડિસેમ્બર, 1938ના ‘હરિજન’ પત્રમાં ‘વિદ્યાર્થિનીઓની શરમ’ શીર્ષક હેઠળના લેખમાં, પુરુષો દ્વારા ‘સ્ત્રીઓની છેડતી ભારતમાં વધી રહી’ હોવાનું સ્વીકારી, ‘આવા તમામ કિસ્સા, દોષીઓના નામ સાથે જાહેર કરવા’ પીડિત યુવતીઓને જણાવ્યું હતું. યુવતીઓને આત્મરક્ષણની સામાન્ય કલા શીખવા સાથે અનુચિત વ્યવહારનો જોરદાર વિરોધ કરવા પણ મહાત્માજીએ સલાહ આપી હતી.
આ જ પત્રમાં સ્ત્રીમુક્તિના મોટા પુરસ્કર્તા અને આઝાદી આંદોલનમાં સ્ત્રીઓને મોટી સંખ્યામાં જોડનાર ગાંધીજીએ મહિલાઓના પહેરવેશ સંદર્ભે ટિપ્પણી કરતાં લખ્યું હતું, ‘મને એ વાત ચિંતિત કરે છે કે જ્યારે એક આધુનિક યુવતી અડધો ડઝન રોમિયોની જુલિયેટ બનવાનું પસંદ કરે છે. તેને રોમાંચ પસંદ છે. આધુનિક યુવતીઓ એવાં કપડાં પહેરે છે, જે ટાઢ, તડકો કે વરસાદ સામે તેને રક્ષણ આપતા નથી, પણ આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવે છે.’ આ બાબતનો જોરદાર વિરોધ કરતો એક પત્ર ગાંધીજીને કલકતાની 11 યુવતીઓએ લખ્યો હતો. ‘પરમ પૂજ્ય મહાત્માજી’ને સંબોધીને લખાયેલા આ પત્રમાં તેમણે ગાંધીજીની સલાહને ‘ઉત્સાહવર્ધક નહીં’ લેખીને તેમણે ‘સ્ત્રીઓના માથે સઘળો દોષ ઢોળી દીધા’નો વિરોધ કરી જણાવ્યું હતું કે, ‘ખરેખર તો તે (સ્ત્રીઓ) જ દ્વેષપૂર્ણ સામાજિક પરંપરાનો વધુ શિકાર બને છે. ‘પોતાના મનમરજીનાં કપડાં પહેરવાના હકનો બચાવ કરીને સ્ત્રીના પોષાકને જે દૃષ્ટિએ ગાંધીજી જોતાં હતા તેને ‘સમગ્ર મહિલા બિરાદરીનું અપમાન’ ગણાવ્યું હતું.
જાણીતા રેશનલિસ્ટ-કર્મશીલ અને બૌદ્ધિક બાબુભાઈ દેસાઈએ 2015ના ઓગસ્ટની 26મી તારીખે પંચોતેરમાં વરસમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે સુરતમાં રંગેચંગે એમનો અમૃત મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે સહુએ બાબુભાઈના વયસહજ સારા સ્વાસ્થ્યની જીકર કરી હતી. ત્યાં જ લિવર કેન્સરની અચાનક આવી પડેલી જીવલેણ બીમારીથી 27મી ડિસેમ્બર, 2016ના રોજ બાબુભાઈની જીવનલીલા સંકેલાઈ ગઈ. ઊર્જા અને ઉષ્માસભર, તરવરાટ અને ઉત્સાહથી છલકાતું એક વ્યક્તિત્વ વિલાઈ ગયું.