મિથક, લોકસાહિત્ય અને ઇતિહાસની બોધવાર્તાઓ આજના સંજોગો વિશે આપણને શું કહે છે?
વર્ષ 1608માં વિલિયમ હૉકિન્સ ‘હેક્ટર’ નામના તેમના વહાણમાં સુરત પહોંચ્યા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તે જ વર્ષે, તદ્દન અસંબંધિત બીજી ઘટના એ હતી કે, ઇંગ્લેન્ડમાં વિલિયમ શેક્સપિયરે તેમની છેલ્લી બે કરુણાન્તિકાઓમાંની એક, ‘કોરિયોલેનસ’, લખી. આ નાટક પહેલી સદીના રોમન લશ્કરના સેનાપતિ કેઈયસ માર્સિયસના જીવન પર આધારિત હતું. ઈતિહાસ જણાવે છે કે ઈટાલીની વોલ્સી પ્રજાના શહેર કોરિયોલી પરની અઘરી લડાઈ જીત્યા પછી તેને ‘કોરિયોલેનસ’નો ખિતાબ મળ્યો હતો. આ શહેર ઘણું સમૃદ્ધ હતું, અને સામ્રાજ્ય માટે મુગટ જેવું હતું : મુગટ એટલે કે ક્રાઉનને લેટિન ભાષામાં ‘કોરોના’ કહે છે, તેના પરથી શહેરનું નામ ‘કોરિયોલી’ પડ્યું હતું. નાટકનું વિષયવસ્તુ છે કોરિયોલેનસનું અભિમાન, પૂર્વગ્રહ અને પડતી. પડદો ખૂલે છે ત્યારે રોટીરમખાણ ચાલી રહ્યાં છે અને ભૂખ્યાં લોકો માને છે કે કોરિયોલેનસે અનાજના ભંડારને લૉક ડાઉન કે તાળાબંધીમાં મૂકી રાખ્યા છે, માટે તેઓ એ કોઠાર ખુલ્લા મૂકવાની માગણી કરી રહ્યા છે. કોરિયોલેનસ જવાબમાં લોકો માટે ભારે તિરસ્કાર દર્શાવે છે અને કહે છે કે તેમણે લશ્કરી સેવા આપી નથી. માટે તે અનાજ મેળવવાને લાયક નથી. એ પછી કોણ વધારે દેશપ્રેમી છે, રાજમુગટ કે પ્રજા (અથવા કહો કે, ‘કોરોના કે ક્રાઉડ’) એ વિશે ચર્ચા થાય છે. કોરિયોલેનસની કરુણાન્તિકાના મૂળમાં આ ભારોભાર અહંકાર રહેલો છે.
એવું લાગે છે કે શેક્સપિયરને આ નાટક લખવાની પ્રેરણા મળી ઇંગ્લેન્ડમાં વર્ષ 1585થી વારંવાર થતાં અનાજ મુદ્દેનાં રમખાણોમાંથી, જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પાછળનાં કારણોમાં પણ હતાં. એ પછીથી તો દુનિયાના ઘણા વિસ્તારોમાં અનાજ કે ભૂખમરાના મુદ્દે હુલ્લડ થતાં આવ્યાં છે અને દરેક વખતે ઇતિહાસ પર તેની અસર પડી છે. 1710ના દશકમાં બોસ્ટનમાં ‘બ્રેડ રાયટ’ પછી અમેરિકાના ઇતિહાસમાં વળાંક આવ્યો. 1830ના દશકમાં આયરલેન્ડમાં બટાટાનો પાક નિષ્ફળ ગયો, દુકાળ પડ્યો અને ભૂખમરો સર્જાયો, જેના કારણે ઘણી પાયમાલી થઈ. 1789ના એપ્રિલના છેલ્લા સપ્તાહમાં પેરિસના સેન્ટ ઓન્ત્વાન ઈલાકામાં રોટી રમખાણ થયાં, જેના પગલે ઘટેલી એક મોટી ઐતિહાસિક ઘટનાને દુનિયા ફ્રૅન્ચ ક્રાન્તિ તરીકે યાદ કરે છે. છેલ્લી બે સદીમાં ઈજિપ્તમાં, આર્જેન્ટિનામાં અને અન્ય દેશોમાં અને આપણા દેશમાં બાન્કુરા, બરદ્વાન અને બિરભૂમમાં ભૂખના પ્રતાપે લોકો તોફાન પર ઊતરી આવ્યાના દાખલા છે.
જ્યારે પેટનો ખાડો પૂરવા માટે બીજો કોઈ વિકલ્પ બાકી ન રહે ત્યારે લોકોને બધા અંકુશો ફગાવી દઈને વિરોધ કરવાની ફરજ પડે છે. જ્યારે સામે પક્ષે સત્તાવાનો અહંકાર બતાવે ત્યારે દારુણ કરુણાન્તિકાઓ થઈને જ રહે છે. ઘણી સંસ્કૃતિઓમાં ક્રાઉન અને ક્રાઉડ, સત્તાના અહંકાર અને દીનની નમ્રતા વચ્ચેની લડાઈની વાત આવે છે. તેમાંથી મને જે પસંદ છે તે ગણેશની વાત છે. તે કદાચ સ્કંદ પુરાણમાં છે.
એક વાર કુબેર ગયા શિવને મળવા. એક દેવોની દુનિયામાં સૌથી ધનાઢ્ય અને બીજા જેની પાસે પોતાની કોઈ સંપત્તિ નથી તે. ગણેશ પણ ત્યાં હાજર હતા. કુબેરને થયું કે તેમને અલકાપુરીની મુલાકાત લેવાનું આમંત્રણ આપું અને તેમને મારા શહેરની સમૃદ્ધિ બતાવું. પિતાપુત્ર પધાર્યા અલકાપુરીમાં. કુબેરે તેમને ભોજન માટે આમંત્ર્યા. ગણેશ જમવાનું શરૂ કર્યું અને જમતા જ રહ્યા. કહે, હજુ વધારે પીરસો, અને ખાવાનું ખૂટી ગયું. પછી તે થાળીથી માંડીને બધાં વાસણો આરોગી જાય છે. છતાં તેમની ભૂખ સંતોષાઈ નહીં, માટે તેમણે જાહેરાત કરી કે હવે તે કુબેરનો કોળિયો કરવા માગે છે. કુબેરે ગભરાઈને શિવને વિનંતી કરી કે ગણેશને વારો. શિવ કહે કે ગમે તેટલું ઉત્કૃષ્ટ ભોજન અભિમાન સાથે પીરસવામાં આવ્યું હશે તો પણ ગણેશની ભૂખ નહીં ભાંગે, હા, સાચી લાગણી સાથે થોડા પૌઆ આપશો તો એનું પેટ ચોક્કસ ભરાઈ જશે.
1990ના દશકમાં બંગાળી લેખિકા મહાશ્વેતાદેવી અને હું સાથે મળીને આદિવાસીઓના પ્રશ્નો પર કામ કરી રહ્યાં હતાં. એ વર્ષોમાં મહારાષ્ટ્રના આદિવાસી પ્રદેશમાં કોરકુ પ્રજાના ઘણા જુવાનો મોત પામી રહ્યા હતા — કદાચ ભૂખમરાથી. સરકારે તપાસ માટે રચેલી સમિતિનું તારણ એવું હતું કે, કોરકુ લોકો સિકલ સેલ ડિસીઝથી પીડાતા આવ્યા છે અને આ રોગ તો જનીનમાં જ હોય છે, માટે કશું થઈ શકે તેમ નથી. અમે અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી. અમારું તારણ હતું કે અંગ્રેજ શાસન દરમિયાન કોરકુની ફળદ્રુપ જમીન રેલવે લાઇન નાખવા માટે લઈ લેવાઈ હતી અને તેમનાં જંગલો રેલવે ટ્રેકના સ્લીપર બનાવવા માટે કાપી નંખાયાં હતાં. ત્યારથી આ લોકો પેઢી દર પેઢી ભૂખમરાથી પીડાતા આવ્યા છે.
થોડાં વર્ષો પછી મહાશ્વેતાદેવીએ એક વાર્તા લખી, જેનું શીર્ષક હતું ‘મહાડુ’, જે મહાદેવનું મરાઠીમાં ટૂંકું રૂપ છે. આ વાર્તામાં તેમણે કલ્પના કરી છેલ્લા બચેલા કોરકુની. તે રાહ જોઈ રહ્યો છે, અપોષણથી પીડાઈને તે સાવ સુકાઈ ગયો છે, તે માણસ કરતાં વધારે જંતુ જેવો લાગે છે. તેને દૂરથી રેલગાડીની સિટી સંભળાય છે અને અચાનક તેની યાદદાસ્ત સળવળી ઊઠે છે. તેને તેના પૂર્વજોએ જેની માવજત કરેલી એ જંગલોની સુગંધ આવે છે. તે દોડીને ગાડી પર કૂદકો મારે છે. ગાડી તેને લઈ આવે છે મુંબઈમાં, જ્યાં તેને પહેલી વાર એક વિચિત્ર વસ્તુ જોવા મળે છે – ભોજન! તે ખાવા મંડે છે, જે કાંઈ ખાઈ શકાય તે અને એ બધું ખૂટી જાય છે ત્યારે તે રાજાબાઈ ટાવર અને વિક્ટોરિયા ટર્મિનસ અને બીજી ભવ્ય ઈમારતોને ઓહિયાં કરી જાય છે. એ ખાતો જાય છે અને એનું કદ વધતું જાય છે. એની ઊંચાઈ વધતાંવધતાં એનું માથું છેક આકાશને આંબે છે. પછી તે નીચો નમીને અરબસાગરમાંથી પાણી પીએ છે, ટટ્ટાર ઊભો થાય છે, હાથ ઊંચો કરીને આકાશમાંથી એક તારો તોડી લે છે અને પછી નવેસરથી વિશ્વનો ઇતિહાસ લખવા માંડે છે.
મિથક, લોકવાર્તા અને ઇતિહાસનાં આ કથાનકો દર્શાવે છે કે ભૂખ એ માત્ર એક શારીરિક આવશ્યકતા નથી, માત્ર અમુક જથ્થામાં અમુક ચીજવસ્તુઓની માગ નથી. ભલે દેખીતી રીતે શારીરિક લાગે, પણ ભૂખને એક નામ હોય છે, તેની સંસ્કૃતિ છે અને તેની સંવેદનશીલતા હોય છે. કોરોનાના રોગચાળાના આ સમયે વિશ્વભરમાં અર્થતંત્રો પર તાળાં લાગ્યાં છે અને લાખો લોકો બેરોજગાર થયા છે, ત્યારે ભૂખના મુદ્દે હુલ્લડો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. 14મી એપ્રિલે, લૉક ડાઉનનો પહેલો તબક્કો લંબાવવામાં આવ્યો તે દિવસે, સુરતમાં જે દૃશ્યો સર્જાયાં તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નહોતું. પ્રશ્ન તો એ પૂછવો જોઈતો હતો કે, ટોળાંમાં એકઠા થયેલાં એ લોકોને માત્ર રાહતસામગ્રી જોઈતી હતી કે પછી તેઓ એથી વિશેષ, એથી અલગ કશુંક માગી રહ્યા હતાં? તેવી જ રીતે સ્થળાંતરિત મજૂરો સરકાર પાસેથી માત્ર ઘરે જવાની વાહનવ્યવસ્થા મળે એટલી અપેક્ષા રાખી રહ્યા છે કે પછી એથી વિશેષ કંઈક?
ઘરબંધી દરમિયાન અતિ વિશાળ સંખ્યામાં નાગરિકોએ સરકારને પૂરો સહકાર આપ્યો છે. ખેડૂતો, પરગામમાં ફસાયેલા મજૂરો અને ભૂખ્યાંજનો સુધ્ધા સરકારને એવો સહકાર આપવા તૈયાર હશે. પણ સત્તાધીશોએ તિરસ્કારની વૃત્તિ ત્યજવી પડશે અને તેમને માત્ર ટોળાં તરીકે જોવાનું બંધ કરવું પડશે. જો સરકારે આ પ્રજાજનો વિશે પણ વિચાર્યું હોત અને નાગરિક સમાજને અપીલ કરી હોત તો સમાજે ખુશીથી તેમના માટે રાહત છાવણીઓ અને માર્ગદર્શન કેન્દ્રો ખોલ્યાં હોત.
આપણા માટે એ ચિંતાનો વિષય છે કે લૉક ડાઉન દરમિયાન પૂર્વોત્તર ભારતના નિર્દોષ નાગરિકોની ઘૃણા અને અપમાનના કિસ્સા બન્યા છે. મુસ્લિમ લારીવાળાઓને સોસાયટી-કોલોનીમાં ન આવવા દેવાની સલાહ આપતાં ચોપાનિયાં વહેંચાયાં છે. સરકારે અસરગ્રસ્તોને સાંત્વના આપવાનાં કોઈ સ્પષ્ટ અને જાહેર પગલાં લેવાં જોઈતાં હતાં. અહંકાર અને ઘૃણાના આ વાઇરસના જવાબમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (સામાજિક અંતર) નહીં, પણ સોશિયલ ઈન્ક્લુઝન(સામાજિક સામેલગીરી)ની જરૂર છે, જેની સરકારે અવગણના કરી છે. જો રાજમુગટ ધિક્કારના વાઇરસને બેરોકટોક ફેલાવા દેશે, તો આવનારા મહિનાઓમાં મોટા પાયે રોટી રમખાણો ફાટી નીકળવાનું જોખમ રહે છે. લેટિન અર્થમાં જે કોરોના છે (મુગટ) તેણે કરુણાને સમજવી પડશે. પ્રજા દેશપ્રેમી જ છે, માટે તે માગે છે માત્ર સંવેદના અને સમાવેશ.
સૌજન્ય : “ધ ટેલિગ્રાફ” — અનુવાદ : આશિષ ઉપેન્દ્ર મહેતા
e.mail : ganesh_devy@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020