ભારતીય બહુશઃ ભાષાઓમાં સાહિત્યસ્વરૂપ તરીકે કાવ્ય, નાટક, નવલકથા, નવલિકા (ગદ્યસાહિત્ય) પત્રસાહિત્ય, નિબંધ અને પ્રવાસ, હાસ્ય અને કટાક્ષસાહિત્ય જેવાં વિવિધ સાહિત્ય સ્વરૂપો સ્વીકારાયાં છે. નવા અભિગમ તરીકે સાહિત્ય જેવાં સ્વરૂપો પણ સ્થાન પામ્યાં છે. આ બધામાં વિચારપત્ર (દા.ત., નિરીક્ષક અને અન્ય) જેવા સાહિત્યને પણ એક અલાયદા, ખાસ સાહિત્ય સ્વરૂપ તરીકે સ્વીકારવું ઘટે. વિચારપત્ર પ્રકારનું સાહિત્ય હવે ઘણી બધી ભાષાઓમાં, ઘણાં બધાં પુસ્તકો-સામયિકોમાં પ્રકાશિત થાય છે. આ સાહિત્યસ્વરૂપ વિષે આપણે સૌ વિચારીએ, એ પહેલાં જણાવવું રહે કે આ પ્રકારનું સાહિત્ય વર્ષોથી લખાય છે. છપાય છે અને વંચાય છે. આ સ્વરૂપને સાહિત્યશાસ્ત્રના, માનક ધોરણો લાગુ પાડીને આ સ્વરૂપને અલગ રીતે સ્વીકારવું જોઈએ. આ સ્વરૂપના ઉદ્ભવ અને વિકાસનો ઇતિહાસ લખાય અને સંશોધનો થાય, વિશિષ્ટ માવજત દ્વારા આ સ્વરૂપને સાહિત્યની પરિભાષામાં અલગ સ્થાન મળે, સમાવેશ થાય તે ઇચ્છનીય છે.
– આ સાહિત્યસ્વરૂપ વર્તમાન પ્રવાહોને, સમસામયિક સમસ્યાઓને વધુ સારી રીતે સાહિત્ય રજૂ કરનાર વાસ્તવિક ભૂમિકાવાળું હોય છે.
– આ વિચારપત્ર સાહિત્યસમાજનાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતું. અદ્યતન અભિગમવાળું હોય છે.
– આ સ્વરૂપમાં કલ્પનાશીલ ભાષાપ્રયોગને બદલે પ્રસંગોનું પરિસ્થિતિઓનું, વ્યવહારુ સમસ્યાઓનું યથાતથ વર્ણન હોય છે.
– આ સ્વરૂપમાં સર્વગ્રાહી માન્યતાઓનું પ્રતિબિંબ હોય છે. વ્યક્તિગત માન્યતાઓ રજૂ થાય, તો તેનો આધાર કે સંદર્ભ (વજૂદ) પણ હોય છે, તેથી આ વિચારપત્ર-સાહિત્ય સ્વરૂપ પૂર્ણ આધારવાળું હોય છે.
– લોકશાહી દેશમાં વિચારપત્રોને મહત્ત્વ અપાય, તે સમૃદ્ધ અને તંદુરસ્ત લોકશાહી માટે પ્રશસ્ય ગણાય. તે રીતે જોતાં વિચારપત્રના સાહિત્યસ્વરૂપની અગત્ય વધી જાય.
– વિચારપત્રમાં મોટી સાહિત્યસાધનાની જરૂર હોતી નથી, તેથી સમાજના બધા વર્ગના લોકો પોતાનો પ્રતિભાવ વિચારપત્ર દ્વારા રજૂ કરી શકે છે. આમ, સહજ રીતે સર્જાતું આ સાહિત્ય મૌલિક, સરળ, હૃદયની ભાષા રજૂ કરતું ભાવવાહી અને સ્નિગ્ધ હોય છે.
– વિચારપત્રમાં લખનાર લેખક સામાજિક, રાજકીય, શૈક્ષણિક ઇત્યાદિ બાબતોમાં જાગૃતિ રાખતો સક્રિય નાગરિક હોય છે. તે માત્ર તેના માટે (નિજાનંદ માટે) લખતો નથી. સમાજ માટે પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરે છે.
– સમીક્ષા-સાહિત્યથી જુદું પડતું આ સાહિત્યસ્વરૂપ વિચારધારાથી બંધાયેલ હોય છે.
– આ સ્વરૂપમાં શબ્દવ્યંજના અન્ય ગદ્યસાહિત્ય જેવી જ હોય છે. વ્યવહારની ભાષામાં લખાતા વિચારો રજૂ કરવાનું ઉત્તમ માધ્યમ બને છે, તેથી તે વિશિષ્ટ સાહિત્યસ્વરૂપ છે.
આ રીતે વિચારપત્ર સાહિત્યસ્વરૂપ એ અન્ય ગદ્યસાહિત્ય સ્વરૂપથી જુદું ન પાડી શકાય, તેવું સાહિત્ય હોવા છતાં તેની રજૂઆતની શૈલી, તેની પ્રભાવક અસર, સંભવિત પરિવર્તનોની દૃષ્ટિએ એક અસરદાર સાહિત્યસ્વરૂપ તરીકે નિખાર પામ્યું છે, આકાર પામ્યું છે.
‘નિરીક્ષક’ના સુજ્ઞવાચકો આ અલાયદા અને વિશિષ્ટ સ્વહિત્યસ્વરૂપને આવકારશે અને તેનું સમર્થન કરશે, તેવી અપેક્ષા છે. દરેક ભાષાસાહિત્ય સ્વાગતશીલ છે. સમયાંતરે થતાં સાહિત્યિક ખેડાણોને આવકારીને આ નવીન સાહિત્યસ્વરૂપને પ્રમાણિત સાહિત્યસ્વરૂપ તરીકે સ્વીકારાશે અને વિચારપત્ર સાહિત્યસ્વરૂપનો નવો સાહિત્યક ઇતિહાસ લખાશે, તેવી શ્રદ્ધા છે.
ઍજ્યુકેશન કૉલેજ, મોડાસા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 09