આ હમણાં હમણાં ઇસ્લામિક રાજ્ય-ખિલાફતની સ્થાપના કરવા કેટલાક લોકો ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવા લાગ્યા છે એવું સાંભળ્યું. તે એ તો સારી વાત છે ને, ભાઈ, તેમાં વળી મશિનગન અને ટેન્કો લઈને સૈનિકો કોને મારવા ચાલ્યા? વળી અધૂરામાં પૂરું અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ તથા બીજા યુરોપના દેશો ઇસ્લામિક રાજ્યનું સપનું સાકાર કરવા મેદાને પડેલા મરજીવાઓને ઠેકાણે પાડવા પોતે મરણિયા પ્રયાસો આદરવા માંડ્યા છે. મને તો આમાનું કંઈ સમજાતું નથી.
ઇસ્લામિક રાજ્યની સ્થાપના થાય તો એકેશ્વર વાદમાં શ્રદ્ધા ધરાવવી, ઈશ્વરનું સતત સ્મરણ કરવું, ગરીબોને મદદ કરવી, વ્રત-નિયમ દ્વારા સંયમ રાખવો અને પવિત્ર ધામની યાત્રા કરીને પોતાની કોમ સાથે ભાવાત્મક એકતા કેળવવી એ ઉસૂલો પર રાજ્ય અને સમાજ વ્યવસ્થા ગોઠવાય તો તેનાથી વધુ રૂડું શું હોઈ શકે ? ઇસ્લામ આપણને ભાઈચારો શીખવે છે. જ્યાં ઊંચ-નીચનો અભાવ હોય, બિન જરૂરી ક્રિયાકાંડને સ્થાન ન હોય, મસ્જિદ પાસે મિલકતના ઢગ ન હોય, સાદગીની શાન હોય અને શ્રદ્ધાવાનનું માત્ર ઈબાદત – પ્રાર્થનામાં જ ચિત્ત હોય એવા એક આલમનું એ સર્જન કરી શકે તેમ છે.
પરંતુ ઈરાક અને સીરિયાની સરહદો પર ટેંક અને મશિનગન લઈને મૃત્યુનું તાંડવ ખેલતા નવજવાનો એવા પાક રાજ્ય લાવવાની વાત નથી કરતા. વળી ખલીફ અને ખિલાફત શબ્દના મૂળ તપાસવા જઈએ તો માલુમ પડશે કે કુરાનમાં બે ઠેકાણે આ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. એક, અલ્લાહે માનવોને પોતાના ખલીફા તરીકે મોકલ્યા અને બીજો ઉલ્લેખ એ છે કે કિંગ ડેવિડને અલ્લાહે ખલીફા તરીકે સંબોધન કર્યું એટલું જ નહીં પણ તેને ન્યાયી રાજ્ય કરવું તે યાદ અપાવ્યું. ખલીફાનો શબ્દાર્થ છે; અનુગામી. ખલીફ એટલે નાગરિક અને ધાર્મિક અનુશાસક, મોહમ્મદનો અનુયાયી. તેરમી સદીમાં ઈરાકમાં ખલીફનું શાસન રહ્યું જેને સોળમી સદીમાં ઓટોમન સમ્રાટે શિકસ્ત આપી અને છેવટ ઓટોમન સુલતાન પણ 1924માં આતાતુર્કને હાથે પરાસ્ત થયો. આનો અર્થ એ થયો કે છેલ્લા સો એક વર્ષથી ખિલાફત રાજ્ય પદ્ધતિ અસ્તિત્વમાં નથી.
ઇસ્લામિક સ્ટેટની પુન:સ્થાપના કરવા ઇચ્છતા લોકો સમયના ચક્રને પાછું ઠેલીને બે-ચાર દેશોના નકશા બદલી એક નવો જ મુલ્ક રચવા માંગે છે જ્યાં શરિયા કાયદાનો અમલ થતો હોય. જો શરિયા કાયદાઓ જે તે દેશની પ્રજાને પોતાના જ ધર્મબંધુઓ પ્રત્યે અને અન્ય ધર્મના અનુયાયીઓ પ્રત્યે સહિષ્ણુતા આચરવાનું ફરમાન કરતો હોય, વ્યક્તિ સ્વાતંત્ર્ય આપતો હોય, એ કાયદો બાળ લગ્નો પર પ્રતિબંધ મૂકતો હોય, સ્ત્રી-પુરુષને શિક્ષણ, લગ્નના અને મિલકતના સમાન અધિકારો બક્ષતો હોય તો એવી રાજ્ય વ્યવસ્થા આવકાર્ય બનશે. આજે શિયા-સુન્ની અને ઇસ્લામિક સ્ટેટના ઝઘડાઓ વચ્ચે કચડાતા દેશોનાં બાળકો અને સ્ત્રીઓને કોઈ પૂછી જુએ તો કદાચ તેઓ શરિયા કાયદાના પાયા પર રચાયેલ રાજ્ય પસંદ નહીં કરે, તો ઇસ્લામિક સ્ટેટની પુન:સ્થાપના થાય એવું ઇચ્છે છે કોણ ?
ભૂમધ્ય પ્રદેશના દેશો અને આરેબિક રાજ્યોને કુદરતે ખનીજ તેલની બક્ષીસ આપી અને પશ્ચિમના દેશોને એ કાળા સોનાનો બે હિસાબ ઉપભોગ કરવાનો શાપ આપ્યો જેને પરિણામે પશ્ચિમના દેશો ભૂમધ્ય પ્રદેશના દેશો અને આરેબિક રાજ્યો ઉપર એ બહુમૂલ્ય કુદરતી સંપદા માટે નિર્ભર રહેવા લાગ્યા. ખુદાનું કરવું તે બરાબર એ દેશો પર રશિયાનો ડોળો પણ ફરક્યો અને બેધડ અફઘાનિસ્તાનમાં ઘૂસ મારી. અમેરિકાને હંમેશ દુનિયામાં ક્યાં ય પણ સામ્યવાદનો પગ પેસારો થવાની ગંધ સરખી પણ આવે તો બહુ ચિંતા સતાવે અને રશિયા સામે સુરક્ષા કાયમ કરવા જે તે દેશને હથિયારો પૂરા પાડવાની તેમ જ તેમને લશ્કરી તાલીમ આપવાની પોતાની પવિત્ર ફરજ ગણતું આવ્યું છે. યુનાઇટેડ કિંગ્ડમ કંઈક અંશે મૈત્રી દાવે અને કૈંક અંશે ‘મહાજનો યેન ગત: સ પંથા:’ એમ માનીને યુનાઇટેડ સ્ટે્સ અૉફ અમેિરકાની સાથે એ પવિત્ર યજ્ઞમાં જોડાતું આવ્યું છે. આથી જ તો ભૂતકાળમાં રશિયાને અફઘાનિસ્તાનમાંથી હાંકી કાઢવા મુજાહદિનને શસ્ત્રો અને તે વાપરવાની તાલીમ પૂરી પાડી। થયું એવું કે સમય જતાં પોતાનો સ્વાર્થ સધાઈ ચુક્યો એટલે ‘મુજ કી બિલ્લી મુજ કો મ્યાઉં’ જેવો તાલ થયો અને મુજાહદિને તોપનું નાળચું અમેરિકા ભણી માંડયું. બસ પછી તો પેલા સિંહને વાંદરાએ તમાચો માર્યો ‘ને જે માઠું લાગ્યું તેવું જ અમેરિકાને હડહડતું અપમાન લાગ્યું અને મુજાહદિને ઊભા કરેલ સંગઠન તાલીબાનને તાબે કરવા નીકળી પડ્યા. ત્યાર બાદ ‘અલ કાયદા’નામનું એક નવું તૂત ઊભું થયું અને ‘અમને પશ્ચિમી સભ્યતા ન ખપે’ના નારા નીચે હિંસક ખેલ ખેલાવવો શરૂ થયો. અને એમ કરતાં કરતાં મરહૂમ સદામ હુસૈનના બેરોજગાર બનેલ સૈનિકોએ અલ કાયદાની ખાલ પહેરીને પોતાને ‘ઇસ્લામિક સ્ટેટ’ તરીકે ઓળખાવીને એક ત્રીજો જ માર્ગ આતંક ફેલાવવા માટે અમલમાં મૂકીને બધાને ત્રાહિમામ પોકારાવી દીધા છે. છે કોઈની મજાલ કે એને સમજાવીને હથિયાર હેઠાં મુકાવે?
પાછલા ત્રણ-ચાર દાયકાની ઘટનાઓનો અભ્યાસ કરતાં સમજાઈ જવું રહ્યું કે એક આતંકવાદી સંગઠનના કેટલાક આગેવાનોના માથાં વાઢી નાખ્યે એ વિચારસરણી નહીં બદલે. એ તો એક નહીં ને બીજા નામથી પુનર્ગઠિત થયા કરશે. જે માનવ સમૂહને પશ્ચિમી જીવન પદ્ધતિ પોતાના ધર્મ માટે ખતરા રૂપ ભાસતી હોય અને તેની સામે રક્ષણનો માર્ગ માત્ર પશ્ચિમના નાગરિક માત્રની હત્યામાં જ ભળાતો હોય તેને વિમાની આક્રમણથી સમજાવી શે શકાય? પશ્ચિમી સભ્યતા માટેનો વિરોધ જાણે ઓછો હોય તેમ ઇસ્લામના જ બે ફિરકાઓ વચ્ચે પણ તુમુલ સંઘર્ષ અટકતો નથી અને એ જ સાબિત કરે છે કે આતંક ફેલાવનારાઓ, તેનો ભોગ બનનારાઓ અને તેનાથી પીડિત સહુ માનવોએ હિંસા સિવાયનો ઉકેલ શોધવો રહે છે કેમ કે યુદ્ધ અને સશસ્ત્ર પગલાંઓ આ મહા પ્રશ્નનો ઉકેલ લાવવામાં સરિયામ નિષ્ફળ ગયાં છે એ સ્પષ્ટ થઈ ગયું છે. બે વિશ્વયુદધો થયા પછી યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ તેથી જગતના મોટા ભાગના શાંતિ પ્રિય લોકોને શો ફાયદો થયો? યુદ્ધો, હિંસા અને જાનહાનિ થતી અટકી? યુ.એન. પોતે જ બે દેશો વચ્ચેની લડાઈ હો કે એક દેશમાં આંતર વિગ્રહ હોય ત્યાં ટેંક પર સવાર થયેલ ‘શાંતિ સૈન્ય’ મોકલે. ભલા ભાઈ, આગની સામે આગ જલાવો પછી શાંતિ ક્યાંથી થાય? જો કે એમાં એ લોકો કરે શું? યુ.એન.ના મુખ્ય સભ્ય દેશો જો ખરેખર આવા સંઘર્ષોનો શાંતિમય ઉકેલ લાવે તો એમના જ દેશમાંથી નિકાસ થતાં શસ્ત્રોનું શું થાય? એમની પ્રજા બેકાર બને તેનો વિચાર કર્યો? વળી લડાઈ કરીને બરબાદ થયેલ દેશને ફરી બેઠો કરવા પોતાના જ દેશની અનેક કંપનીઓને કામ મળે એવી રચનાત્મક પ્રવૃત્તિની તક કેમ ગુમાવાય, ભાઈ?
આમ મને તો એમ લાગે છે કે ઇસ્લામિક સ્ટેટ લાવવાને નામે જે ઘૃણાસ્પદ હિંસક પ્રવૃત્તિઓ થઈ રહી છે તે માસ્ક પહેરનારાઓના ચહેરાઓ ભલે ‘મુસ્લિમ આતંકવાદીઓ’ના નામે ઓળખાતા હોય પણ આતંકવાદી સંગઠનોની અખૂટ વણઝાર ઊભી કરવા અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા બદલ એક કરતાં વધુ દેશ અને વિચારસરણીઓ જવાબદાર છે એટલું નિશ્ચિત છે. જરા ઇસ્લામિક સ્ટેટના નામે અને શિયા સુન્ની વચ્ચેના સંઘર્ષમાં સંડોવાયેલાના હાથમાંના શસ્ત્રો પર ‘made in’નું લેબલ વાંચીને જોઈશું તો કબૂલ કરવું પડશે કે એ આતંકવાદીઓની હારોહાર યુ.એન.ના સભ્ય દેશો પણ શાંતિ નહીં પરંતુ યુદ્ધ કરવા-કરાવવા માટે અદાલતમાં ઊભા રહેવા લાયક છે.
ઇસ્લામિક સ્ટેટ એટલે કેવા પ્રકારની રાજ્ય પદ્ધતિ એની તો કોઈને જાણ નથી. આવી લાખો નિર્દોષ સ્ત્રી, બાળકો અને યુવાનોની લાશના ઢગલા પર ચાલીને આવેલ રાજ્ય પદ્ધતિ કોને જોઈએ છે?
e.mail : 71abuch@gmail.com