તારીખ ૨૭ માર્ચ ‘૧૩ના અખબાર, ‘The Hindu’માં રામચંદ્ર ગુહાના Past & present of Indian Environmentalism લેખ દ્વારા, એમની ભારતના પર્યાવરણ અને આર્થિક-સામાજિક પ્રશ્નો માટેની નિસ્બત ચોખ્ખી દેખાઈ આવે છે. લેખ ખૂબ જ મનનીય છે. ચાલીસ વર્ષ પહેલાં ચાલેલી ‘ચિપકો’ ચળવળ મારા મસ્તિષ્કમાં વિચારોનું ચક્કર ચલાવી ગઈ તે વાચકો સમક્ષ મૂકું છું.
ભારતને સ્વતંત્રતા મળી તેવે ટાણે તેની ‘અવિકસિત ત્રીજા વિશ્વના દેશ’માં ગણના થતી હતી. દેશના પુનર્જન્મ પછીના પહેલા ચારેક દશક દરમ્યાન રશિયા-અમેરિકા જેવી મહાસત્તાઓની નકલ કરીને ‘વિકાસ પામતા દેશ’ તરીકેનું બિરુદ મેળવી લીધું, છતાં ય એ સ્થાનથી સંતોષ નહોતો, તેથી ૯૦ના દાયકાના રાજકારણીઓને અર્થકારણમાં ‘ઉદારમત વાદ’ને દત્તક લેવાથી જ તેનો ‘પછાત’ હોવાનો ડાઘ સાવ ભૂસાઈ જશે એવું ભાસ્યું.
‘ચિપકો’ની ચળવળને પરિણામે વિકાસના સર્વભક્ષી ભસ્માસુરને પ્રજા થોડે ઘણે અંશે ખાળી શકી, પણ તે પછીનાં ચાલીસ વર્ષોમાં આપણે શું કર્યું? વધુ ડેમ બાંધવા, કારખાનાંઓ ઊભાં કરવાં અને ખાણો ખોદવાની મંજૂરી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આડેધડ આપવા માંડી, અને ભારતના જળ-જમીન અને જંગલો પર બુલ ડોઝર ફરી વળ્યાં.
અહીં પેલી રાજા અને હરણની વાર્તાનું સ્મરણ થાય છે : ‘એક રાજાને શિકારનો ઘણો શોખ. પોતાના રસાલા સાથે જંગલમાં શિકાર કરવા નીકળે અને બે-ચાર પ્રાણીઓના પ્રાણ હરીને મહેલે લાવી, તેનો ભોજનમાં ઉપયોગ કરે. થાય એવું કે કેટલાક પ્રાણીઓ હણાઈ ન જાય પણ ઘવાઈ જાય અને પછી તરફડતા તરફડતા મોતને ભેટે. એક દિવસ પ્રાણીઓની સભા ભરાઈ અને આ પીડામાંથી છુટકારો મેળવવા ઉપાય શોધ્યો. સહુએ બહુમતીથી ઠરાવ કર્યો કે રોજ બધાં પ્રાણીઓએ એકઠા થવું અને ઘાસની સળીઓમાંથી જેને ભાગે મોટી સળી આવે તેણે સ્વેચ્છાએ રાજા સમક્ષ જઈને બલિદાન આપવું, જેથી બીજાં પ્રાણીઓ નાહકની પીડામાંથી મુક્ત થઈ જાય. આ યોજના બરાબર કામ આપતી હતી. એક દિવસ એક યુવાન હરણીના ભાગે મોટી સળી આવી. આંખમાં આંસુ સાથે તે હરણના રાજા પાસે હરણીએ પ્રાર્થના કરી કે મેં હમણાં જ એક બચ્ચાને જન્મ આપ્યો છે. જો હું મારો જાન આપું તો તેનું પાલન-પોષણ કોણ કરશે? માટે હે હરણના રાજા, મને આજે આ ફરજમાંથી મુક્તિ આપો, મારું બચ્ચું પોતાની સંભાળ લેતું થશે, ત્યારે ખુશીથી હું મારું બલિદાન આપીશ. હરણીની આપવીતી સંભાળીને હરણના રાજાએ બીજા હરણને મોકલવાને બદલે જાતે જ રાજાનો શિકાર બનવાનું નક્કી કર્યું. અને તે નિયત સમયે રાજા સમક્ષ હાજર થયો. હરણના રાજાને જોઇને શિકારી રાજાને આશ્ચર્ય થયું. બધી હકીકતો જણાવી તેથી મહારાજે કહ્યું, ‘જાઓ, હું તમારી ન્યોછાવરીની ભાવનાથી પ્રભાવિત થઈને તમને અભયદાન આપું છું.’ હરણના રાજાએ કહ્યું, ‘નામદાર, મારું તો ઠીક, જંગલમાં રહેતાં બીજાં પ્રાણીઓનું શું?’ મહારાજા બોલ્યા, ‘તેમને પણ આજથી કશો ભય નહીં રહે.’ હરણનો રાજા ખુશ તો થયો, પરંતુ એક આખરી અરજ કરી, ‘તો પછી આકાશમાં વિહરતાં પક્ષીઓ અને પાણીમાં રહેતાં જળચરોને કોણ બચાવશે?’ મહારાજાએ જાહેર કર્યું, ‘આજથી મારા રાજ્યમાં કોઈ પણ પશુ, પક્ષી કે જળચરોનો શિકાર કરવાની બંધી ફરમાવવામાં આવે છે. અને તમામ પ્રાણીઓ મુક્ત પણે વિહાર કરી શકશે.’
કદાચ ‘ચિપકો’ની ચળવળ કરનારાઓને ભાવિ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સરકારી અમલદારો માટે વિશ્વાસ હશે કે તેઓ આ ચળવળ પરથી ધડો લઈને ફરી આમ જનતાની રોજી-રોટી લૂંટાય તેવાં પગલાં નહીં ભરે. તેથી તેમણે હરણના રાજાની માફક પોતાના ભાવિ માનવ બંધુઓ માટે સુરક્ષાનું વચન તે વખતે લઈ ન લીધું. મોટા તેલના વેપારીઓ કે ખાણોના માલિકો હરણના રાજા જેવા પરગજુ હોય તેવી કલ્પના પણ આવે ખરી ?
ઉદારમત વાદ લાવવાનો હેતુ કદાચ રાજ્યોની લાયસન્સ તથા પરમીટ પરના અંકુશથી વેપાર-વાણિજ્ય કરનારના ઘૂંટાતા ગળાને મુક્ત કરવાનો હતો, પણ ઉદારમતવાદનો ગેરલાભ ઉઠાવીને મૂડીપતિઓ છેલ્લે પાટલે બેસીને નાના ઉદ્યોગો પર નભતા અને છેવાડેના લોકોના જળ-જમીન અને જંગલો પર તરાપ મારે છે. પ્રકૃતિના ખરા માલિકો ભિખારી બને છે. ચપટી ભર કરોડાધિપતિઓનો વિકાસ થાય અને કરોડોની જનતાની આજીવિકાનો વિનાશ થાય એ તે કાંઈ વિકાસ છે કે રકાસ ? ભારતના જાણીતા ખબરપત્રી પી. સાઈનાથ પોતાના પુસ્તક ‘Everybody loves a good drought’માં વિકાસ યોજનાઓને પરિણામે ગ્રામ્ય વિસ્તારના લોકો, આદિવાસીઓ, પછાત જ્ઞાતિ અને જાતિના લોકો કેવી રીતે માત્ર રોજી-રોટી જ નહીં, તેમની ભાષા, સંસ્કૃિત અને અસ્મિતા ગુમાવી રહ્યા છે, તેનું તાદ્રશ્ય વર્ણન કરે છે. જે વાંચીને સાંપ્રત સરકારી નીતિઓ, ઉદ્યોગો અને ભૌતિક સુખો પાછળની ગાંડી દોટ માટે ખરેખર શરમ ઉપજે.
એટલું યાદ રાખવા જેવું છે કે પશ્ચિમની માફક ભારતે પોતાના દેશના પ્રાણી, પક્ષી કે જંતુ બચાવવા માટે પર્યાવરણ નથી બચાવવાનું, અહીં તો આખે આખા માનવ સમૂહોના અસ્તિત્વનો સવાલ છે. ચિપકો અને નર્મદા અાંદોલન વિષે હવે શાળા-કોલેજોમાં માહિતી અપાય છે. ઇતિશ્રી પર્યાવરણ પુરાણમ્ થયું ગણવું? કેટલીક યુનિવર્સિટીમાં Environmental Sociology & Environmental History જેવા વિષયો ભણાવાય છે. એ યુવાનો આજના ઉદ્યોગપતિઓને પ્રકૃતિનો નાશ કર્યા વિના ભારે ઉદ્યોગો કેમ સ્થપાય, ડેમ અને ફેકટરીઓ કેમ ખોલાય એનો રસ્તો બતાવશે? આજે ગ્રામ્ય વિસ્તારમાં આજીવિકાની તકો ગૂમ થઈ છે. લોકોને ભરમાવવામાં આવે છે કે શહેરોમાં તેમને કામ મળી રહેશે અને માર્કેટ ફૂલશે ફાલશે, તમને ખૂબ ધન મળશે તેથી તમારા બધા અભાવો દૂર થશે. એ મધલાળથી ભોળવાઈને ગામડા ભાંગીને શહેરો બન્યાં. લોકો પાસે વાપરી ખાવાનો પૈસો વધ્યો. ધનિક થવાના લોભમાં શહેરોમાં ઠલવાયેલા લોકો બુદ્ધિ ગીરવે મૂકી બેઠા છે. પાણી ખૂટ્યું, તો કહેશે, પૈસા છે, ટેન્કર મગાવી લો, પણ ભૈલા, જંગલો કાપીને અને ધરતીને ચૂસી ચૂસીને બેઠા છો, પાણી છે જ ક્યાં તે લાવશો?
૧૯૨૮માં ગાંધીજીએ અને તેથી ય પહેલાં જોહ્ન રસ્કિને ભાખેલી ઔદ્યોગિકરણ અને માનવ જીવન પરની અસરો પરની ભવિષ્યવાણીને અવગણીને પશ્ચિમના દેશો અને તેની પાછળ ભારત ભૂખ્યા વરુની માફક કુદરતી સંસાધનો વાપરવા લાગ્યા છે. તો હવે શું સર્વનાશ નક્કી છે? વિનોબાજીની આશા હતી કે વિજ્ઞાન અને અધ્યાત્મ સાથે મળીને એક નવો માનવ ધર્મ આપશે એ ક્યાં ગઈ? શું વિજ્ઞાન+ભોતીકવાદ=સર્વનાશ એવું સમીકરણ આપણને માન્ય છે? રામચંદ્ર ગુહાનું પુસ્તક ‘How much should we consume?’ આપણી પાસે તાત્કાલિક જવાબ માગે છે.
e.mail : ten_men@hotmail.com