સનત મહેતાની ટચૂકડી પુસ્તિકા વાંચી.
જાહેરજીવનના ક્ષેત્રે અઢળક ખેડાણ કર્યા પછી ય તેઓને અધૂરપ લાગે છે. તે બતાવે છે કે જાહેરજીવનના ક્ષેત્રે ઘણું કરવાની તમન્ના તેઓ ધરાવે છે. અઢળક કર્યું અને ઘણું બાકી છે તે માનસિકતામાં જ જાહેરજીવનના ક્ષેત્રનો તેમનો સતત મંડ્યા રહેવાનો અભિગમ દર્શાવે છે.
સનત મહેતા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ગયેલા છે. શરૂની વિદ્યાર્થીકાળની જિંદગીથી માંડી વૃદ્વાવસ્થાની ઘડી સુધી અનેક ઝંઝાવાતી તબક્કાઓમાં તેઓ સફળતાને આંબ્યા છે. જેવા તેઓ રચનાત્મક ક્ષેત્રના તબક્કાઓને પૂર્ણ ન્યાય આપી શક્યા છે તેવા જ જાહેર ક્ષેત્રના અઠંગ અભ્યાસી રહ્યા છે. અને તેવા જ સફળ વહીવટકર્તા રહ્યા છે. તેવા જ અભ્યાસી વક્તા અને ઉત્તમ કલમબાજ પણ રહ્યા છે.
સ્વાતંત્ર-આંદોલનમાં કિશોરાવસ્થામાં તેમની લગન ઉત્કર્ષ હતી. જૂનાગઢ નવાબશાહીને હટાવવામાં તેમનું યોગદાન રહેલું છે. શૈક્ષણિક ક્ષેત્રે કદમ માંડવા વડોદરાને પસંદ કર્યા પછી કૉલેજશિક્ષણ દરમિયાન જ જાહેરક્ષેત્રની પ્રવૃત્તિનાં મંડાણ કર્યાં. વડોદરામાં શિક્ષણ પૂર્ણ કર્યા પછી વડોદરાને જ કર્મભૂમિ બનાવી જાહેરક્ષેત્રમાં દટાઈ જઈ અનેક કામદાર સંગઠનો બનાવી તેઓના ન્યાય માટે સતત ઝઝૂમ્યા. જ્યાં કોઈ ન જઈ શકે તેવા મહેનતકશ વર્ગ વચ્ચે જઈ તેમનાં સંગઠનો કરી ન્યાય અપાવવા સતત સંઘર્ષ કરતા રહ્યા. ક્રૂડ ઓઇલનું શારકામ કરતા કામદારોના યુનિયનના તેઓ વર્ષો સુધી પ્રમુખપદે રહ્યા છે. દરિયાના ખારા પટમાં રહી મીઠું પકવતા અગરિયાઓનું સંગઠન બનાવી, તેમનાં બાળકોને શિક્ષણ, સારાં રહેઠાણનાં મકાનો, પૂરતું વળતર વગેરે તમામ પાસાંઓને સ્પર્શતું જીવંત સંગઠન તેઓની દેન છે.
રાજકીય સ્વાતંત્ર્ય પછી દેશમાં સમાજવાદી પક્ષનું આગવું રાજકીય અસ્તિત્વ ઉપસ્યું ત્યારે ગુજરાતમાં પ્રજાસમાજવાદી પક્ષના સંગઠનની જવાબદારી મહામંત્રીપદે રહી તેમણે સફળતાથી બજાવી હતી. પારડી ખેડા સત્યાગ્રહે દેશભરના આદિવાસીઓનું આશાનું કિરણ ખોલ્યું હતું, જે સત્યાગ્રહ ચળવળ ઈશ્વરલાલ દેસાઈ, સનત મહેતા અને ઉત્તમભાઈ પટેલની ત્રિપુટીએ નિભાવી હતી. ગુજરાતના અલગ રાજ્યનું ઐતિહાસિક આંદોલન ચાલ્યું તેમાં મુરબ્બી ઇન્દુચાચા પછી સનત મહેતાનો ફાળો અનન્ય હતો. અમદાવાદમાં પંડિત જવાહરલાલ નેહરુની સભા સામે મહાગુજરાતની લૉ કૉલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલી સમાંતરસભામાં ઇન્દુલાલ યાજ્ઞિકની વિશેષ ઉપસ્થિતિમાં સનત મહેતાનું પ્રવચન ઐતિહાસિક હતું.
ગુજરાતની જીવાદોરી નર્મદા આજે ય જ્યારે પિયતની સિદ્ધિમાં અડધે રસ્તે છે, ત્યારે પંડિત નેહરુએ પાયાનું મૂહુર્ત કર્યા પછી સતત ખોરંભે પડેલી યોજનાને પુનઃજીવિત કરવામાં સનત મહેતાની અભ્યાસ પૂર્ણ આંકડાકીય રજૂઆત ગુજરાતની વિધાનસભામાં અને કેન્દ્ર સરકારમાં નોંધપાત્ર રહી છે. પ્રશ્નને હાથપર લીધા પછી તેના ઊંડાણમાં જઈ પૂર્ણ અભ્યાસ કરી મંડી મંડવું તે તેઓની ખાસિયત રહી છે. નર્મદાનિગમના ચૅરમેનપદે બેઠા પછી સતત અડચણો વચ્ચે તેના વિકાસમાં તેઓએ આપેલ યોગદાન નોંધપાત્ર રહ્યુ છે. ગુજરાત વિધાનસભામાં સનત મહેતાનું બેસવાનું સતત લાંબા સમય સુધી રહ્યું. જેમાં વિરોધ પક્ષે હોય કે સત્તાધારી પક્ષે, તેમણે જાગૃતપણે ફરજપાલનની જવાબદારી નોંધાવી છે. નાણામંત્રી તરીકે ગુજરાતનાં ગામડાંઓના વિકાસ માટે જિલ્લા કક્ષાએ આયોજનમંડળની રચના પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યોને તેમના કાર્યક્ષેત્રમાં વિકાસકામે નાણાંની જોગવાઈ સનત મહેતાની દેન છે. લોકસભાની તેમની કામગીરી અભ્યાસપૂર્ણ રહી હતી. જાગૃત સંસદ તરીકે ઝળક્યા હતા.
વિધાનસભા કે સરકારમાંથી ફારેગ થયા પછી પણ ગુજરાતના કિસાનોના પ્રાણપ્રશ્નો અંગે વૃદ્ધાવસ્થાની જિંદગીમાં ય જીવંત સક્રિયતાથી સતત કામ કર્યે જવાનો અને સળંગ વર્ષોનું સક્રિય જાહેરજીવન છતાં ય સહેજે ડાઘ ન લાગે તે કાળજીથી જાહેરજીવનને કાચ જેવું મઢવું ભાવિ પેઢી અને જાહેરક્ષેત્રમાં પડેલા કાર્યકરો માટે દીવાદાંડીરૂપ છે. સત્તા પર બેસીને જ કામ થાય છે, તે વિધાનને સનત મહેતાએ ખોટું સાબિત કર્યું છે. સ્વરોજગારી માટે ગુજરાતના ઊંડાણના અજાણ્યા સ્થળે અજાણી ગરીબ નિરાધાર બહેનોને વગર વ્યાજે, વગર જામીને સીવવાનો સંચો લાવવા કે અન્ય કોઈ સાધન માટે તેઓએ લોન આપવાનું કામ કરે છે અને નિયમિત રીતે હપ્તાઓ પરત આવી જાય છે.
આજે ય અગરિયાના પ્રશ્નો, કિસાનોના પ્રશ્નો અને તેવા અનેક પ્રશ્નો માટે તેઓની સક્રિયતા અભિનંદનીય છે. તેઓ ‘હિતરક્ષક’ માસિક ચલાવે છે, જેમાં ગુજરાતના અને દેશના પ્રાણપ્રશ્નોની છણાવટ હોય છે. મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઇન્દુચાચાને સરકાર અને રાજકીય પક્ષ વીસરી ગયા, પણ સનત મહેતાએ યાદ રાખી ફંડ એકત્રિત કરીને નેહરુબ્રીજના પૂર્વ અમદાવાદવાળા છેડે ઇન્દુચાચાની, આખા કદની કાસ્ય પ્રતિમા મૂકાવીને ગુજરાતની પ્રજાને ઋણમુક્ત કરેલ છે.
પ્રવૃત્તિઓમાં પરોવાયેલા ને શતાયુ ભણી કદમ કંડારી રહેલા સનત મહેતાને સલામ !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2015; પૃ. 13