હૈયાને દરબાર
આહા! મસ્તીમાં મહાલવાની રોમેન્ટિક મોસમ આવી ગઈ છે. ઘરની બારીમાંથી દેખાતું એક ટુકડો આકાશ, બે આંખમાં સમાય એટલી ઝરમરતી વર્ષા, એમાં પ્રગટતો પ્રિયજનનો ચહેરો, એ ચહેરા સાથે તાલ મિલાવતો સ્મૃિતઓનો ધોધ, મિલન, વિરહ, જુદાઈ, ફરિયાદ, આશા, અપેક્ષા, આલિંગન, આહ અને વાહ … ઓહો, આ વરસાદીઓ મૂઓ કેટકેટલી સંવેદનાઓ જગવી જાય છે આપણા નાનકડા, નાજુક હૃદયમાં!
કવિ કાલિદાસના પ્રલંબ પ્રણયકાવ્ય ‘મેઘદૂત’માં અષાઢના પહેલા મેઘનુું દર્શન કામવિહ્વળ યક્ષને જેમ ઉત્કંઠા વિરચિત કરે છે એવી જ મનોસ્થિતિથી કોઈ સંવેદનશીલ મનુષ્ય પર નથી. એટલે જ મેઘરાજાના આગમન સાથે એની લાગણી જુદી જુદી રીતે પ્રગટે છે. સામાન્ય માણસની આ સ્થિતિ હોય તો કવિ હૃદયનું તો પૂછવું જ શું? વરસાદને સંબોધીને અઢળક ગીતો રચાયાં છે. સુંદર અને કર્ણપ્રિય ગીતોનું લિસ્ટ પણ મોટું છે એટલે આજે તો સ્મૃિતપટ પર જે ગીતો પહેલાં આવ્યાં એનો જ ઉલ્લેખ કર્યો છે. તન-મનને તરબતર કરતાં આ બધાં ગીતો ખૂબ સરસ છે એટલે તમારી સાથે આજે તો બસ, વરસાદી છોળો ઉછાળીને તમને ભીંજવી દેવાનો જ નિશ્ચય કર્યો છે.
લેખ વાંચતી વખતે છત્રી લઈને બેસવાની મનાઈ છે. વરસાદ હોય કે ના હોય, મન મૂકીને ભીંજાજો આજે.
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે
વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે
વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે
વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે …!
http://www.tubeofmusic.com/?v=FLcFhUr9RyM
વાહ, રમેશ પારેખ. આ કવિતાનો જોટો ન જડે. મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે …! આ એક જ પંક્તિમાં આખી પ્રણયકથાનો સાર આવી જાય છે. લગભગ દરેક કલાકારે આ રચના ગાઈ છે, પરંતુ રમેશ પારેખના પોતાના અવાજમાં સાંભળવાનો આનંદ પણ લેવા જેવો છે.
કવિ સુંદરમ્નું ગીત પિયુના આવવાના એંધાણનો મધુર ગુંજારવ છે. ક્ષેમુ દિવેટિયાના સંગીતમાં વિભા દેસાઈની સુરીલી સરગમ ભળીને બાદલને વરસવા રીઝવી દે છે અને મનમાં થૈ થૈ કાર થઇ ઊઠે છે.
પંક્તિઓ વાંચો:
રિમઝિમ રિમઝિમ રિમઝિમ રિમઝિમ
બાદલ બરસે , રિમઝિમ બાદલ બરસે,
રિમઝિમ બરસે, બાદલ બરસે
હો. મારું મન ગુંજે ઝનકાર, મારું મન ગુંજે ઝનકાર …!
https://www.youtube.com/watch?v=AB5yOcRk6HM
વરસાદમાં નાચી ઊઠેલું મન અચાનક સુગંધિત પુષ્પ કે લીલાંછમ પાનને જોઈને શાંત પડી જાય છે.
હરીન્દ્ર દવેનું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને હંસા દવેના કંઠે લોકપ્રિયતાની તમામ સીમા પાર કરી ગયેલું ગીત ;
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા … કેમ ભૂલાય? દિપાલી સોમૈયા, હિમાલી વ્યાસ, શ્રદ્ધા શ્રીધરાણીથી લઈને ઐશ્વર્યા મજમુદાર સુધીની યુવાપેઢી પણ આ ગીત ફરમાયેશ પર અનેકવાર ગાઈ ચૂકી છે એવું આ સદાબહાર ગીત છે. ભગવતીકુમાર શર્માની એક બહુ સરસ રિધમિક રચના છે :
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!
પછી કવિ અન્ય પંક્તિઓમાં કહે છે :
પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળું ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!
આ અડધા અક્ષરનો તાળો મેળવવામાં જ જિંદગી આખી વીતી જાય છે એવો ભાવાર્થ દર્શાવતું આ ગીત આશિત-હેમાનાં સર્વશ્રેષ્ઠ ગીતોમાંનું એક છે. મુકેશ માલવણકરનું એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું .. પરેશ ભટ્ટ નામના ઉત્તમ સ્વરકારનું અનોખું ગીત છે. સ્વ. પરેશભાઈના કંઠે જેમણે સાંભળ્યું હોય એ સદભાગી. હું વરસું છું, તું વરસે છે… એ રાજેન્દ્ર શુક્લના કસુંબલ મિજાજથી જુદી જ પણ, સુંદર રચના છે જેને સુરેશ જોશીના સુરીલા સ્વરાંકનમાં રેખા ત્રિવેદીનો મધુર કંઠ સાંપડ્યો છે. વરસાદ શરૂ થાય ને અનિલ જોશીનું આ ગીત યાદ ન આવે તો જ નવાઈ. ઉદય મઝુમદારનું સંગીત અને રેખા ત્રિવેદીના કંઠે ગવાયેલું ગીત પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી…માં સ્ત્રીની નજાકત સુંદર વર્ણવી છે. ગીતનો બીજો અંતરો તો અદ્ભુત છે:
પિયુજી છાપરાને બદલે જો આભ હોત,
બંધાતી હોત હું યે વાદળી,
માણસ કરતાં જો હોત મીઠાની ગાંગડી,
છાંટો વાગે ને જાત ઓગળી…! જાતને ઓગાળવાનો કેટલો આસાન રસ્તો કવિએ બતાવી દીધો. એને તો પ્રિયતમના પ્રેમની એક બૂંદના સ્પર્શે જ ઓગળી જવું છે. અનિલ જોશીની કવિતાઓમાં કલ્પનો ખૂબ સરસ વણાઈ જાય છે. સંગીતકાર રાસબિહારી દેસાઈ સ્થાપિત અમદાવાદના શ્રુતિવૃંદનું એવું જ આશ્ચર્યકારી અવિનાશ વ્યાસ રચિત ગીત આવે મેહુલિયો સંગીત અને વાતાવરણના આરોહઅવરોહનું મજેદાર ગીત છે જેની પ્રથમ પંક્તિ છે કાનમાં પવન કહીને ચાલ્યો, હે હે આવે મેહુલિયો રે …! આ ગીતમાં વરસાદનું ખૂબ મનોહારી વર્ણન કરેલું છે. ધરતી વરસાદના મિલન માટે ઉત્સુક છે એવું એનો જ દોસ્ત પવન આવીને કાનમાં કહી જાય છે. ખૂબ સુંદર શબ્દો અને સ્વરનિયોજનનું શ્રુતિવૃંદે ગાયેલું આ ગીત અંતમાં અચાનક ધીમું પડી જાય છે ત્યારે પ્રશ્ન થાય કે આનંદ અને ઉત્સવનાં આ ધરતી-વરસાદનાં મિલનનાં વાતાવરણમાં આ ગંભીરતા કેમ છે? અહીં જ સ્વરકાર ક્ષેમુભાઈએ કમાલ કરી છે. મિલનના સંતોષ અને કાંઈક મળ્યું છે એના વિચારોમાં મગ્ન ધરતી પાસું ફેરવીને જુએ છે તો એનો મેહુલિયો છે ગાયબ! ત્યાં જ જાણે પેલો પવન ફરીથી એના કાનમાં આવીને કહી જાય છે કે, હે હે આવે મેહુલિયો રે! મિલન પછીની જુદાઈ ધરતીથી જીરવાતી ના હોય એના સંકેત રૂપે ગીત પણ ધીમું થઈ જાય છે! છતાં, પાલવ લહેરાવીને પ્રતીક્ષા કરતી ધરતીને ખબર છે કે એનો મેહુલિયો એને ભીંજવવા આવવાનો જ છે. તેથી જ પછી ઝડપી લયમાં અંતરાનો ઉપાડ થાય છે :
દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યા,
મસ્ત મેહુલિયો આયો રે!
બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;
થયો ધરતીનો પાવન મનખો, આજ ઘર આવે એનો બંકો.
દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે!
ધરતી અને આભના મિલન સાથે ગીત પૂરું થાય છે.
https://www.youtube.com/watch?v=dGRauKXDwyc
ગની દહીવાલાનું એક કર્ણપ્રિય ગીત છે, આ કોની મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું, ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું. ગીતમાં એ પછીનું વર્ણન મનમોહક છે. કાળાં વાદળો એ વાદળો નથી, પણ શ્યામલ રંગી જલપરી છે. અને વીજળી એ એની આંખમાં થતા ચમકારા છે. આજે એ વાદળરૂપી શ્યામા એકલી નથી, એણે એની અંદર એના પ્રિયતમ મેઘને સમાવી લીધો છે, એથી જ તો એનો રંગ એને ચડ્યો છે- શ્યામ રંગ! આ તન્વી શ્યામા પર એટલે જ તો શ્યામ રંગ અતિશય સુંદર લાગે છે. આગળની પંક્તિઓ છે:
આ રસભીની એકલતામાં સાન્નિધ્યનો આજે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?
આનંદના ઊઘડ્યા દરવાજા, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું!
વરસાદનાં ફોરાં પડે છે એનો અવાજ પ્રિયતમાના પાયલનો કર્ણ મંજુલ અવાજ છે. પ્રિયતમાના પગરવના ખ્યાલ માત્રથી આનંદના દરવાજા ઊઘડી જાય છે. કોઈક અલૌકિક ભાવસમાધિમાં કવિ સરી જાય છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે તો તમે આ ગીત સાંભળ્યું જ હશે પરંતુ, હરેશ બક્ષીના સ્વરાંકનમાં બંસરી ભટ્ટે ગાયેલું આ ગીત ચૂકવા જેવું નથી. હિતેન આનંદપરાનું આલાપ દેસાઈના સ્વરાંકનમાં એમને જ કંઠે ગવાયેલું વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં મજેદાર ગીત છે તો સોલી – નિશાએ ગાયેલું આ ગીત દરેક પ્રેમીઓની મનોકામના છે.
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.
વરસાદને અને વિરહને પાક્કી દોસ્તી છે.
https://www.youtube.com/watch?v=O7RsuS4ALWQ
અધૂરી પ્રેમકહાની, સંબંધ વિચ્છેદ, લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ, એકતરફી પ્રેમ વરસાદમાં તીવ્ર પીડા જન્માવે છે ત્યારે ફરીથી ભગવતીકુમાર શર્માની પંક્તિઓ અને સોલી કાપડિયાનો ઘેરો કંઠ મનોવેદનાની ચરમસીમાએ લઈ જાય છે;
હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ, અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં…!
https://www.youtube.com/watch?v=GT4Taxqsmbg
શું અસરદાર ગીત છે આ! પ્રણયકથામાં આંસુ તો ‘આઇસિંગ ઑન ધ કેક’ છે! આંસુનાં બૂંદ સાથે લેખરૂપી કેક પર અમે હવે ફાઈનલ ડેકોરેશન કરી દીધું છે. હીરાની જેમ તગતગી રહ્યાં છે એ. ગળે ડૂમો બાઝે એ પહેલાં અહીં જ અટકીએ. લોકસંગીતમાં પણ વરસાદ અદ્ભુત ગવાયો છે. એ વાત આ ચોમાસે આપણે કરવાની જ છે. …
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 જૂન 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=412210
![]()


સંબંધની પ્રગાઢ હરિયાળી પણ પ્રેમ જ છે. પ્રેમ જીવવાની તાકાત આપે છે. પરમેશ્વરે સ્ત્રી-પુરુષની રચના કરીને કમાલ કરી છે. એમાં ય હૃદય આપીને તો એણે હાથ ખંખેરી નાખ્યા છે. "જાઓ બચ્ચો, ખેલો ઇસ ખિલૌને સે, કહીને ઝીણું મરકતો એ ઉપરથી તમાશો જોયા કરે છે. સ્ત્રી-પુરુષ બંને એકબીજાંમાં ઓતપ્રોત થાય ત્યારે એવું અનુભવે જેમાં જગતની તમામ કવિતાઓ, ગીતો, કથાઓ મેઘધનુષી આકાર સર્જીને સાર્થક થાય છે.
પરંતુ, વક્રતા એ છે કે એકબીજાનાં પ્રેમમાં ગળાબૂડ સત્યકામ અને રોહિણીનાં લગ્ન શક્ય નથી કારણ કે રોહિણીના અકાળ વૈધવ્યની પ્રખર જ્યોતિષ દ્વારા જાણ થઇ ગઈ છે. બંનેના લગ્ન શક્ય ન હોવાથી સત્યકામ રોહિણીને છોડી ખૂબ દૂર ચાલ્યો જાય છે. કોઈક કેસમાં ફસાય છે અને જેલમાંથી છૂટીને બહાર નીકળે છે ત્યારે વિરહવેદનાનું કરુણ ગીત ફિલ્મમાં આવે છે, ઝેર તો પીધાં જાણી જાણી!
તત્કાલીન નાણાપ્રધાન મોરારજી દેસાઈ સહિત અનેક પ્રતિષ્ઠિતો નાટક જોવા આવ્યા હતા. નાટકની પકડ એટલી તીવ્ર હતી કે ઈન્ટરવલમાં ય કોઈ ઊભું થઈને બહાર ગયું નહોતું. અમુક દૃશ્યો તો એવાં અસરકારક હતાં કે આજે ય યાદ કરતાં રૂવાડાં ઊભાં થઈ જાય. સત્યકામ-રોહિણીનો સપનાનાં ઘરનો મધુર વાર્તાલાપ, ગોપાળબાપાનું પરમ શાંતિમય મૃત્યુ, સત્યકામનો હૃદયદ્રાવક પત્ર, હેમંતનો નિ:સ્વાર્થ અને આદરયુક્ત પ્રેમ તથા સત્યકામ-રોહિણીનું આખરી મિલન આંખ સામે તાદૃશ થાય તો આજે ય આંખ ભીંજવી જાય છે. નાટકના છેલ્લા સીન વખતે તો હું સ્ટેજ પર જ ખૂબ રડી હતી અને ફસડાઈ પડી હતી. રોહિણીની શું આ જ નિયતિ હતી કે કોઈ પુરુષ એના જીવનમાં રહ્યો જ નહીં? મારી સાથે આખું ઓડિયન્સ ધ્રૂસકે ચડ્યું હતું. નાટક પૂરું થયા પછી દર્શકો સ્ટેજ પર ધસી આવ્યા. મનુભાઈ પંચોળી પોતે પણ હાજર હતા. એ સ્ટેજ પર આવ્યા અને ઘુંટણભેર નીચે બેસી મને બાથમાં લીધી, શાંત પાડી અને કહ્યું કે તું જ મારી કલ્પનાની સંસ્કારલક્ષ્મી રોહિણી છે. એ પછી એમનાં વાત્સલ્ય અને સ્નેહ મારા ઉપર નિતરતાં જ રહ્યાં.
૧૯૭૨ની આ ફિલ્મ. સારસ્વત મનુભાઈ પંચોળી ‘દર્શક’ની ’ઝેર તો પીધાં જાણી જાણી’ નામની અત્યંત લોકપ્રિય નવલકથા પરથી આ ફિલ્મનું સર્જન થયું હતું એટલે લોકોમાં ઘણી ઉત્સુકતા હતી. એ વખતે સારી ગુજરાતી ફિલ્મો અમને અમારી સ્કૂલમાંથી જોવા લઈ જતાં. ખાસ તો નવલકથા પર આધારિત ફિલ્મો જોવાનું મહત્ત્વ ખૂબ વધારે, જેથી વિદ્યાર્થીઓ ભણતી વખતે ફિલ્મ સાથે અનુસંધાન સાધી શકે. ૧૯૭૨ની સાલમાં તો આ ફિલ્મ નહોતી જોઈ, અમારી ઉંમર પણ નહોતી એ સમજવા માટેની. પણ ’૭૬માં ફરીથી પ્રદર્શિત થઈ ત્યારે હાઈસ્કૂલમાંથી અમને જોવા લઈ ગયા હતા. એ ય આમ તો કાચી વય જ કહેવાય, છતાં, ફિલ્મનાં અમુક દ્રશ્યો અને ગીતો યાદ રહી ગયાં હતાં. સૌથી પહેલાં તો સત્યકામ અને રોહિણી, ફિલ્મના મુખ્ય બે પાત્રો યાદગાર અને બીજું, ફિલ્મનાં બે સરસ ગીતો. લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ, ફૂલડાં ખિલ્યાં ફૂલડાં ઉપર ભમરા બોલે ગુનગુન, તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂન મૂન. આ ગીત આજે પણ એકદમ તાજું છે મન પર. આશા ભોસલેના કંઠમાં અવિનાશ વ્યાસનું આ બહુ જ સરસ, રમતિયાળ સ્વરાંકન. ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા અને અરવિંદ ત્રિવેદી લીડ રોલમાં. આ ફિલ્મમાં રોહિણીનું ગરવી ગોરીનું પાત્ર અને પ્રભાવશાળી દેખાતો સત્યકામ બહુ ગમી ગયેલા એ વખતે. પછી જો કે, ઉપેન્દ્ર ત્રિવેદીએ ચીલાચાલુ ફિલ્મો કરીને ગુજરાતી ફિલ્મોનો બહુ દાટ વાળ્યો હતો. બાકી, ટૂંક સમયમાં જ ગુજરાતી ફિલ્મોના એ સુપર સ્ટાર બની ગયા હતા. એમનું પોત ઊંચા માહ્યલાનું હતું. પર્સનાલિટી પણ સરસ અને અભિનય સમ્રાટ તો ખરા જ. વિદ્વાન તથા ભાષા-સાહિત્યનું જ્ઞાન પણ ખૂબ સારું. અમિતાભ બચ્ચન કે આમિર ખાનની જેમ પોતાની જ ટર્મ અને કન્ડિશન પર કામ કર્યું હોત તો ગુજરાતી ચલચિત્રોનું ચિત્ર કદાચ જુદું હોત. વેલ, આ મુદ્દો આખો જુદો છે. આપણે તો વાત કરવાની છે અહીં ફિલ્મ અને એના સંગીતની.
મનુદાદાની ફિલ્મ એટલે તો જોવી જ પડે, એમાં વળી સ્કૂલમાંથી શો યોજ્યો હતો એટલે ઉમળકાભેર આ ફિલ્મ જોઈ હતી. મનુભાઈ પંચોળી અમારા આપ્તજન. એમની ક્લાસિક નવલકથા ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ઉપરથી આ ફિલ્મ બની હતી એનો ઉમંગ અમને ય હતો. મનુભાઈ સાથે મારા પિતા જયન્ત પંડ્યાનો ભાવસેતુ બંધાયો તેમાં દેશની રાજનીતિ વિશે બન્નેની નિસબત તો ખરી જ, તે ઉપરાંત સાહિત્ય, શિક્ષણ માટેનો સમાન અનુરાગ પણ હતો. પપ્પાએ તેમના પુસ્તક ‘સ્મરણો ભીનાં ભીનાં’માં મનુદાદાના વ્યક્તિચિત્રમાં બહુ સરસ વાત લખી હતી કે, "ભારતના મૂલ્યવાન ગ્રંથો વેદ-ઉપનિષદ, મહાભારત, રામાયણ તેમના અક્ષરદેહનાં વિટામિનો છે. કવિતા, ઇતિહાસ અને તત્ત્વદર્શનને અંતરથી ચાહે છે. આવા અગોચર વરદાને તેમના હૃદયને જે રીતે ખેડ્યું છે તેની ટાઢક આપનારી અનુભૂતિ તેમનાં લખાણોમાંથી થાય છે. તેથી જ તેમનું દર્શકત્વ પથદર્શક બની રહે છે. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધનો એમના પર સઘન પ્રભાવ. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે ગ્રામવિકાસલક્ષી જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. મનુભાઈને ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તથા ૧૯૮૭માં ઝેર તો પીધાં જાણી જાણી’ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
આ જ ભજનની મૂળ પંક્તિને લઈને અવિનાશ વ્યાસે ફિલ્મની કથા પ્રમાણે શબ્દોમાં ફેરફાર કરીને ઝેર તો પીધાં .. ગીત બનાવી મન્નાડે પાસે અદ્દભુત ગવડાવ્યું છે. સમયચક્ર ભલે ફરતું રહે પણ અમુક ગીતો ઊંડી અસર છોડી જતાં હોય છે. આ ભજન એમાંનું જ એક છે. એના શબ્દે શબ્દે જીવનનો સાર પ્રગટે છે. તો આજે વાત કરવી છે ફિલ્મના આ ટાઈટલ સોન્ગની, ફિલ્મની કથાની અને આ જ ટાઈટલ પરથી બનેલા નાટકની. સંસારમાં આપણે સૌએ ઝેર પીવા સમાન લાગણીનો સામનો ક્યારેક તો કર્યો જ છે. ઝેર પીવું કોને ગમે? છતાં, માણસ શા માટે સ્વેચ્છાએ ઝેર પીવાનું પસંદ કરે છે? અણગમતી સ્થિતિ શા માટે સ્વીકારવાનું પસંદ કરે છે, શું સંજોગોનો ભોગ બનીને વિષસમાન સ્થિતિને અપનાવે છે? આ એ એક મોટો કોયડો છે. શક્ય છે એમાં અંગત સ્વાર્થ હોય, ત્યાગ, બલિદાન, પ્રેમ કે પરોપકાર હોય, પરંતુ મનુષ્ય ઘણીવાર ઝેર અથવા ઝેર જેવી સ્થિતિને જાણવા છતાં સામે ચાલીને ભેટે છે. કાળની થપાટો ખાય છે અને પાછો ફિનિક્સ પંખીની જેમ ઊભો થાય છે. જીવનની આ જ તો ગતિ અને આ જ રીતિ છે એવું નથી લાગતું? ‘ઝેર તો પીધાં જાણી જાણી’ જીવનના પ્રલંબ આરોહ-અવરોહની નવલકથા છે જેમાં ખૂબ બધી ઘટનાઓ આકારાય છે.
