હૈયાને દરબાર
કેટલાંક ગીતો અમરત્વ લઈને આવે છે. જેમ કે અવિનાશ વ્યાસ-આશા ભોંસલેનું માડી તારું કંકુ, રમેશ પારેખ – ગૌરાંગ વ્યાસ, આશા ભોંસલેનું સાંવરિયો, વેણીભાઈ પુરોહિત – અજિત મરચન્ટ અને દિલીપ ધોળકિયાનું આંખનો અફીણી, નિનુ મઝુમદાર અને મન્ના ડેનું પંખીઓએ કલશોર અને એ જ શ્રેણીમાં આગળ વધીએ તો હરીન્દ્ર દવે, પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેનું પાન લીલું જોયું ગીત આવે. આ યાદીમાં હજુ બીજાં ઘણાં ગીતો ઉમેરી શકાય. આ ગીતો વિશે વિચારીએ તો એમ થાય કે આ ગીતકાર-સંગીતકાર અને ગાયકના આ કોમ્બિનેશનને બદલે બીજું જ હોત તો ગીત કેવું બનત! વધુ સારું પણ બની શકે અને કદાચ અણગમતું પણ થઈ શકે.
આજે એવાં જ એક અત્યંત લોકપ્રિય ગીતની વાત કરવી છે, જે સુગમ સંગીતના લગભગ દરેક કાર્યક્રમનું મહામૂલું ઘરેણું બની રહ્યું છે. ક્યારેક લગ્ન પ્રસંગે તો કદીક ભજન સંધ્યામાં ય ગવાય છે! અરે, યંગસ્ટર્સ મોડર્ન ટચ આપીને કવર સોંગ તરીકે પણ રજૂ કરી રહ્યા છે. સારું છે પ્રાર્થના સભામાંથી બાકાત છે. બાકી, દિવંગતોની સ્મૃિતમાં આપણી પ્રજા તમે યાદ આવ્યાં … જેવું ગીત ગવડાવવાની હિંમત કરી શકે! ગીતની દરેક પંક્તિએ કવિ સ્મૃિતની વાત કરે છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં, પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં અને પ્રિયજનના ઠાલાં સ્મિતમાં આખું બ્રહ્માંડ દેખાયાની વાત પણ કવિ બહુ ઋજુતાથી કરે છે. કવિની રગેરગમાં જ નહીં, કુદરતના કણ-કણમાં પ્રિયજનની યાદ સમાયેલી છે.
સ્મૃિત એ આનંદની અનુભૂતિ છે. સ્મૃિતઓ સુખદ ઘટના સાથે સંકળાયેલી હોય ત્યારે આનંદ આપે છે. એટલે જ કેટકેટલા કવિઓએ યાદને પોતાનાં ગીતોમાં વણી લીધી છે. પછી એ હિન્દી ફિલ્મનું વો જબ યાદ આયે .. ગીત હોય કે પછી આપણી માતૃભાષાનું આ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં ગીત હોય. સુખદ સ્મૃિતઓમાં મહાલવું આપણને હંમેશાં ગમે છે. મન જાણે સ્મૃિતઓનું સંગ્રહાલય! એમાં વળી, સ્મૃિત અને પ્રેમને તો ગાઢ સંબંધ! સ્મૃિત અંદરથી ઉષ્મા અને હૂંફ આપે તો ક્યારેક આંસુ ય લાવે. ગમતી વ્યક્તિની વિદાય કે અવહેલના સૌથી દુ:ખદ સ્મૃિત બની રહે છે. સ્મૃિત વહેંચાય તો બેવડાય. પ્રેમમાં ગમે એટલી પીડા ભોગવી હોય તો ય તમે એની સાથે સંકળાયેલી યાદ ભૂલવા ઇચ્છતાં નથી. યાદ જ એવી જણસ છે જેને સમય પણ ભૂંસી શકતો નથી. ભૂતકાળ દરેકના દેહમાં બીજા હૃદયની જેમ ધબકતો હોય છે. ફોટોગ્રાફ્સ આપણને એટલે જ ગમે છે કારણ કે ગયેલી ક્ષણોને એ જીવંત રાખે છે.
અલબત્ત, જૂની દુ:ખદ યાદોને મમળાવ્યા કરવાની વૃત્તિ ત્યજવી કારણ કે, એ ઘા ઉપર નમક છિડકવાનું જ કામ કરે છે અને વર્તમાનને બગાડે છે. ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે ક્યાંક લખ્યું છે કે આપણું હૃદય હંમેશાં ખરાબ સ્મૃિતઓને ફેંકી દે છે અને સારી યાદોને મેગ્નિફાય (વિશાળ) કરીને રાખે છે. માનવમનની આ કરામત કે હુન્નરને લીધે જ આપણે ભૂતકાળનો બોજ વહન કરી શકીએ છીએ. ખરાબ સ્મૃિતઓનો બોજ માથે લઈને ફરીએ તો સૌથી પહેલાં તો આપણે જ દબાઈ જઈએ. એટલે અણગમતી સ્મૃિતઓને વિસર્જિત કરી દેવામાં જ સાર છે. અહીં કવિ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાંની વાત નજાકતથી કરે છે ત્યારે એ પોતાની કૂણી લાગણીઓને-સ્મૃિતઓને કુદરત સાથે જોડે છે. એમાં સંગીત અને સુંદર કંઠ ભળે ત્યારે ઉત્તમ સંગીતકૃતિ સર્જાય. કહેવાય છે કે એક ગીત હજાર સ્મૃિતઓ સાથે લઈને આવે છે. એટલે જ દરેક ગીત સાથે કેટલી આસાનીથી આપણે આપણી જાતને જોડી શકીએ છીએ. મોરિશિયસના બોટનિકલ ગાર્ડનમાં પિન્ક લીલીનાં ખૂબ મોટાં પતરાળાં જેવાં સુંદર પાનને જોઈને અમને હજારો માઈલ દૂર આ ગીત અને ગમતી વ્યક્તિઓ યાદ આવી ગયાં હતાં. યાદ એ રીતે આપણા જીવનનું અભિન્ન અંગ છે. અલબત્ત, યાદ વિના જીવવાનો પ્રયોગ કરી જુઓ. જીવન એકાએક તાજું થઈ જશે. તમારાં પતિ કે પત્નીનાં પ્રેમમાં તમે નવેસરથી પડી શકો છો! જો કે, ‘મેમરી પાવર’માંથી છટકવું સહેલું નથી. એક નાનકડું પાન જોતાં જ કવિ યાદોનાં મધુવનમાં ખોવાઈ જાય છે.
હરીન્દ્ર દવે ઊર્મિશીલ કવિ છે. વ્યવસાયે પત્રકાર એવા હરીન્દ્રભાઈ ‘જન્મભૂમિ’ અને ‘જન્મભૂમિ-પ્રવાસી’ના મુખ્ય તંત્રી તરીકે છેવટ સુધી કાર્યરત હતા. હરીન્દ્ર દવે એટલે ઉત્તમ ગીતકાર અને સંવેદનશીલ ગઝલકાર. એમનું કવિત્વ રાધા-કૃષ્ણનાં ગીતોમાં, પ્રેમ વ્યક્ત કરતાં ગીતોમાં તો છે જ પણ ફૂલ કહે ભમરાને, એક રજકણ જેવાં એમનાં અન્ય ગીતો લોકપ્રિય તથા કાવ્યતત્ત્વથી સભર છે. એમનાં કાવ્યોમાં લય જાણે દરિયાઈ લહેરની જેમ સ્વાભાવિક ગતિથી વહે છે તેમ જ અપ્રતિમ ભાવ માધુર્ય ધરાવે છે. રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા હરીન્દ્ર દવે સ્વભાવે ઋજુ, સંવેદનશીલ અને અંતર્મુખી. કૃષ્ણ ગીતોમાં એમનો હાથ કોઈ ઝાલી ન શકે. એમનાં ગીતોએ શ્રોતાઓને હંમેશાં ડોલાવ્યા છે. પાન લીલું જોયું પણ એમાંનું જ એક ગીત છે.
આ ગીતનાં ગાયિકા હંસા દવે એટલે સૌમ્ય વ્યક્તિત્વ અને સુમધુર અવાજ. તેઓ નાનાં હતાં ત્યારે ઘરમાં સંગીતનું કોઈ જ વાતાવરણ નહીં. રેડિયો સુધ્ધાં નહીં. સૌપ્રથમ સ્વરો ઘરની પ્રાર્થનામાં ચાર- પાંચ વર્ષની ઉંમરે વહ્યા હશે એવું કંઈક એમને યાદ છે. અમદાવાદમાં બચપણ વીત્યું હતું અને કોલેજકાળ દરમિયાન કોલેજની સ્પર્ધાઓ અને સુગમ સંગીતના કાર્યક્રમોમાં ગાવાની શરૂઆત કરી હતી. લતા મંગેશકરથી ખૂબ પ્રભાવિત છતાં એમણે અવાજની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ક્યારે ય કોઈની કોપી કરવાની કોશિશ કરી નથી. એમનો અવાજ જ એમની ઓળખ બની રહે એવું ઇચ્છતા હંસાબહેનની પ્રિય પંક્તિ છે : નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે! પાન લીલું … ગીતને લોકપ્રિય બનાવનાર ગાયક કલાકાર હંસા દવે આ ગીત વિશે કહે છે, "હું માનું છું કે ગીત ફક્ત કવિનું જ કહેવાય. કવિ પહેલો શબ્દ લખે ત્યારે જ ગીતની કુંડળી બની જતી હોય છે. ઉત્તમ કવિની કવિતાને પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતનો સાથ મળે પછી પૂછવું શું? આ ગીત બે જ સિટિંગમાં બેસાડી દીધું હતું. પહેલાં તો મને આ ગીત સાવ સીધું-સરળ લાગ્યું. મને એમ થયું કે આવું આ ધીમી લયનું ગીત કેવી રીતે ઉપડશે? પરંતુ ગાતાં ગાતાં ગીતના શબ્દો સાથે ભાવ ઉમેરાતો ગયો. પછી તો અંગત રીતે પણ મને ખૂબ ગમવા માંડ્યું હતું. રેડિયો પર રજૂ થયા બાદ એટલું પ્રસિદ્ધ થયું કે એંસીના દાયકામાં વિસનગરમાં અમારો એક પ્રોગ્રામ હતો. ઓડિટોરિયમ ભરચક હતું. એમાં પાન લીલું જોયુંની ફરમાઈશ આવી. મેં ગાયું, વન્સ મોર થયું. એવામાં ઓડિયન્સમાંથી અચાનક એક બહેન હાર લઈને આવ્યાં. સ્ટેજ પર બેઠેલાં અમને ત્રણેય-ગાયક, સ્વરકાર અને સંચાલકને થયું કે બહેન હાર કોને પહેરાવશે! વધુ કંઈ વિચારીએ એ પહેલાં એમણે મારા ગળામાં હાર પહેરાવી દીધો અને કહ્યું કે હંસાબહેન તમારે માટે મારી પાસે શબ્દો નથી. અત્યંત સુંદર ગીત તમે એટલું ભાવવાહી રીતે ગાયું કે મારાથી રહેવાયું નહિ એટલે હું ઊભી થઈ અને મારા ગળાનો હાર તમને પહેરાવી દીધો. અગાઉ કહ્યું તેમ દરેક ગીત નસીબ લઈને આવતું હોય છે. આ ગીત બીજું કોઈ પણ સ્વરબદ્ધ કરી શકે અને કોઈ પણ વ્યક્તિ ગાઈ શકે પણ કવિના શબ્દને કોઈ હલાવી શકે નહીં. ગીતના પહેલા શબ્દે જ એની કુંડળી મંડાઈ જતી હોય છે. રાધાનું નામ …. ગીત લખાયું ત્યારે ધાર્યું નહોતું કે આટલું લોકપ્રિય થશે. ઘણીવાર એવું પણ બને કે શબ્દો સરસ હોય, સ્વરાંકન સુંદર હોય, ગાયક-સંગીતકારને ગીત ખૂબ ગમતું હોય છતાં લોકપ્રિય ન થાય. મને શ્રેષ્ઠ કવિઓની રચનાઓ ગાવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે એ પણ નસીબની બલિહારી! આ ગીતમાં, કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ એ શબ્દો તો ગીતની પરાકાષ્ઠા છે.

હંસાબહેનની વાત સાચી છે. પ્રિયજનની તીવ્ર સ્મૃિત કવિને ક્યાંથી ક્યાં કલ્પનાવિહાર કરાવે છે. ‘ચવાઇને ચુથ્થો’ થઈ ગયેલા આ ગીતનો ઉઘાડ જે પ્રકારના વશીભૂત કરનારા સંગીતથી થાય છે એ તમને ફરી ફરી સાંભળવા મજબૂર કરે છે. રાગ પીલુની છાંટ ધરાવતા આ ગીતની સંગીતમાધુરીમાં વિરહવેદનાની જે ટશર ફૂટે છે એ ગીતને અપેક્ષિત ઊંચાઈએ લઇ જાય છે. હંસા દવેનો અવાજ આ ગીતમાં અત્યંત ફ્રેશ અને મીઠો લાગે છે. આ ગીત વિશે સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય કહે છે, "ઓલ ઇન્ડિયા રેડિયો પર મારે નિયમિત ત્રણ-ત્રણ રચનાઓ મોકલવાની રહેતી હતી એમાંનું આ એક ગીત છે. લગભગ પાંત્રીસેક વર્ષ જૂનું. મહેન્દ્ર મેઘાણીના ‘કાવ્ય કોડિયાં’માંથી મને આ કાવ્ય મળ્યું અને જોતાં જ ગમી ગયું હતું એટલે તરત જ કમ્પોઝ કરી, રેડિયો પર હંસા દવે પાસે ગવડાવ્યું. ત્યારથી એ લોકપ્રિય થઈ ગયું છે. આ ગીત સાંભળીને હરીન્દ્રભાઈએ મને કહ્યું હતું કે, "દોસ્ત, તમારા હાથમાં મારાં ગીતોને માન મળે એવી રેખા પણ છે. પુરુષોત્તમભાઈના સંગીત નિર્દેશનમાં હરીન્દ્ર દવેનાં, પ્રેમમાં ચકચૂર થઇ ચાલ્યા કરીએ તથા જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં એ બંને ગીતો પણ ખૂબ લોકપ્રિય થયાં હતાં. અંતમાં એટલું જ કહેવું છે કે ગુજરાતી સુગમ સંગીતના અજરામર ગીતોમાં પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં … ગીત હકપૂર્વક બેસી શકે છે. હંસા દવેએ ગાયેલાં બીજાં કેટલાંક ગીતો પણ અદ્ભુત છે જેની વાત ફરી ક્યારેક કરીશું.
હંસા દવેનાં સુંદર ગીતો સાંભળવા માટે યુટયુબ તો છે જ પણ આવતી કાલે, એટલે કે ૨૮મી સપ્ટેમ્બરે ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીમાં હંસા દવેનાં ગીતોનો એક સુંદર કાર્યક્રમ શાંભવી આર્ટ્સ દ્વારા સાંજે સાડાછ વાગ્યે યોજાયો છે. આ કોલમમાં અવાર-નવાર સાચા જવાબ આપનાર સંગીતનાં ચાહક નેહા યાજ્ઞિક દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં, અગ્રગણ્ય ગાયિકાઓ હંસા દવેનાં ગીતો રજૂ કરશે. આ નિ:શુલ્ક કાર્યક્રમમાં તમે હંસા દવેને મળી શકો છો તથા એમનાં ગીતો માણી પણ શકશો. સો, બી ધેર!
——————————-

• કવિ : હરીન્દ્ર દવે • સ્વરકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય • ગાયિકા : હંસા દવે
————————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 27 સપ્ટેમ્બર 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=439536
![]()


આજના ગીતમાં કવિ તુષાર શુક્લ એટલે જ કહે છે કે હરિ ના ય પાડતા શીખો. એમને ખબર છે કે માણસની વૃત્તિ એવી છે કે એને ભગવાન ગમે તેટલું આપશે તો ય ઓછું જ પડવાનું છે. ઈશ્વરે માગ્યા વિના જ આપણને કેટલું બધું આપી દીધું છે! પ્રકાશ માટે આકાશ, સૂર્ય-ચંદ્ર-તારા, જીવતદાન આપતી મીઠાં જળની નદીઓ, વિશાળતા અને ગહનતાસૂચક ઘૂઘવતો સાગર, રક્ષણ કરવા અડીખમ ઊભેલા પર્વતો, જીવવા માટે અનિવાર્ય હવા, પાણી, પૂરતાં ખાદ્યાન્ન. તો ય મનુષ્યને આ બધું ઓછું પડે છે. અરે, મન પણ આપણું કેવું ચંચળ છે કે આજે ભગવાન પાસે માગ્યું ને એણે ઉદાર થઈને આપ્યું તો બીજા દિવસે આપેલી વસ્તુ અણગમતી થઈ જશે અને વળી પાછું બીજું કંઈક માગવાની વૃત્તિ પ્રબળ બનશે. કવિ કહે છે કે ભોજનમાં પણ જાતજાતની વાનગીઓ જોઈએ! એક કોળિયે તીખું તો બીજા કોળિયે મીઠું ખાવાની ઈચ્છા થાય. પરિવારજનોની સગવડ સચવાય એવી સાદી મારુતિ સુઝુકી હોય તો ય હોન્ડા સિટી લેવાનું મન થાય અને હોન્ડા હોય તો એમાં સ્ટેટ્સ ના લાગે! મર્સિડીઝ તો જોઈએ જ. ખપપૂરતું ભગવાને બધું જ આપ્યું હોવા છતાં બેસ્ટ બ્રાન્ડનાં કપડાં, ઇટાલિયન ફર્નિચર, છાકો પડી જાય એવાં અદ્યતન ઘરમાં રહેવાની લાલસા દરેકને હોય છે.
કંઇક આવી જ અનુભૂતિ વીસેક વર્ષ પહેલાં આપણા સૂરીલા ગાયક સોલી કાપડિયાને એક મહેફિલમાં સાંભળ્યા ત્યારે થઈ હતી. અત્યંત મધુર, ભાવવાહી કંઠ તથા સ્પષ્ટ ઉચ્ચારોને કારણે એમનું ગાયન પ્રભાવક લાગ્યું હતું. 'ધ ગોલ્ડન વોઇસ ઓફ ગુજરાત'નો એવોર્ડ ૧૯૮૬માં મેળવ્યા બાદ બીજાં અનેક પારિતોષિકો એમણે પ્રાપ્ત કર્યા છે. સોલીનું પર્યાયવાચી નામ એટલે પ્રેમ એટલે કે, સોલી એટલે સોજ્જો ઇન્સાન, સોલી એટલે પ્રેમાળ યજમાન અને સોલી એટલે ઉત્તમ સ્વરકાર, અરેન્જર અને ગાયક.
શુદ્ધ ઉચ્ચાર, ભાવવાહી કંઠ અને સુંદર વ્યક્તિત્વ ધરાવતા સોલી કાપડિયા હંમેશાં કહે છે કે મારે માટે શબ્દ કરતાં ભાવનું મહત્ત્વ ખૂબ છે. એમાં ય જ્યારે ઈશ્વર સ્તુિતની વાત આવે ત્યારે તો એ ચરમસીમાએ પહોંચે છે. સોલી કાપડિયાએ થોડાં વર્ષો પૂર્વે 'ગણેશ ઉત્સવ' નામે આલ્બમ તૈયાર કર્યું હતું. વ્યવસાયે ફિઝિયો થેરાપિસ્ટ ડૉ. સ્મિતા ખંભાતી રચિત સુંદર ગણેશ સ્તુિતઓને સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી અને સોલી-નિશાના કંઠે એ આલ્બમ રજૂ થયું હતું. એક અવિચલ ગણરાયા સ્તુિત વિશે સોલી કાપડિયા કહે છે, "આ ગીતના શબ્દો જ શ્રી ગણેશની બ્રહ્માંડીય વિશાળતા વ્યક્ત કરે છે. ગીતની પંક્તિઓની જે તરાહ (પૅટર્ન) છે એણે મારી સર્જનાત્મકતાને વધુ નિખારી છે. કાનને તરત સ્પર્શે એવી કર્ણપ્રિય તરજ મારે બનાવવી હતી, એટલે ગીતનું શ્રેષ્ઠત્વ બહાર લાવવા આખી રાત હું ઊંઘી શક્યો નહોતો. ગીતનો ભાવ તીવ્રતાથી વ્યક્ત થાય છતાં એની બારીકીઓ જળવાઈ રહે તથા શ્રોતાના હૃદયને યોગ્ય રીતે સ્પર્શે એવું ગીત મારે બનાવવું હતું. મુખડાની અનિયંત્રિત વ્યાપક ગતિને બેલેન્સ કરવા પખાવજ, સંતૂર સેલો અને સિમ્ફની જેવી અરેન્જમેન્ટ કરી હતી. એક પછી એક ઝડપથી તાર છેડીને સૂરની ગતિ સાથે મુખડાની શરૂઆત મંદિરના ઘંટારવથી થાય છે. અંતરાનો ટેમ્પો કોરસની ગરિમાપૂર્ણ લયકારી સાથે સાવ જુદો જ છે. પૂર્વ- પશ્ચિમના સંગીતનું સુભગ સંયોજન આ ગીતમાં છે. મારી સર્જનશીલતાને આ ગીતમાં મોકળું મેદાન મળ્યું છે એ માટે હું ગીતકારનો આભારી છું."
ગીતકાર સ્મિતાબહેનનું ભાષા પ્રભુત્વ ખૂબ સરસ છે. તેઓ એમની ગણેશ સ્તુિતઓ સંદર્ભે કહે છે કે, "મારે માટે ગણેશ એ મારા ફેવરિટ અને વિશિષ્ટ ભગવાન છે, જેમની દરેક પ્રસંગે, દરેક આયોજન અને દરેક સ્થાને પૂજા કરી શકાય છે. વાસ્તવમાં દરેક કાર્યમાં એ મહત્ત્વપૂર્ણ છે. તે એકમાત્ર એવા દેવ છે જે તમામ ભૌતિક અને આધ્યાત્મિક પાત્રોને અતિક્રમી, ભક્તોનાં મન અને હૃદયમાં, જે રીતે ભક્ત તેમને જૂએ છે એ સ્વરૂપે બિરાજે છે. તમે કોઈપણ સ્વરૂપમાં એમની કલ્પના કરી શકો છો અને તેમની સાથે સંબંધ કેળવી શકો છો – એ રમતિયાળ કૃષ્ણ, બળવાન શિવ, એક ઉદાર બ્રહ્મા કે કેટલીક વખત માનવીય બ્રાહ્મણ જેવા માનવ સ્વરૂપ પણ હોઈ શકે છે. મારે માટે એ રક્ષણ કરનાર પિતા છે, એવો ભાઈ છે જેની સાથે હું લડી શકું છું, એવો મિત્ર છે જેની સાથે હું મારા જીવનના ઊતાર-ચઢાવ વહેંચી શકું છું અને ક્યારેક એ મારો પુત્ર પણ બની જાય છે જેની સાથે એને ગમતી ભેટસોગાદો આપીને એમને રિઝવી શકું છું! ટૂંકમાં, ગણેશજી મારે માટે માત્ર એક સ્વરૂપ નથી, તે 'સર્વ-રૂપ' છે." આ સર્વરૂપ ગણેશજીની વંદના કરતી સ્તુિતઓ સ્મિતાબહેને રચી અને સોલી-નિશાના કંઠમાં નિખરી ઊઠી. આવી મંગલમય રચના ગણેશ ચતુર્થીએ સાંભળવાથી મન ખરેખર સંતૃપ્ત થઈ જાય છે.