આજે આપણે સહુ આ સ્વાયત્તતાનાં મૂલ્યને એક જુદા સંદર્ભે ઘૂંટી રહ્યાં છીએ. એ ચર્ચા ભલે સરકારે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા છીનવી લીધી એ સંદર્ભે ઊભી થઈ હોય પણ એનું ઊંડાણ અને એનો વ્યાપ આપણાં અતીત અને વર્તમાનથી લઈ ભવિષ્ય સુધી ફેલાયેલો છે. સ્વાયત્તતાના બે છેડા છે, એક છેડે સત્તા છે જે કળા માત્રને પોતાના આધિપત્ય હેઠળ લાવવા માંગે છે. બીજે છેડે સર્વ કલાઓમાં કાર્યરત કલાકારો-સાહિત્યકારો જે મહદંશે કોઇપણ સત્તાના આધિપત્યને નકારે છે અને પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા સંઘર્ષ કરે છે.
આપણે સહુ સ્વાયત્તતાની ચર્ચા કે સંઘર્ષમાં જોડાયેલા ન તો પહેલા છીએ, ન તો અંતિમ. આ ચર્ચા નવેસરથી શરૂ થઇ ૦૮-૦૩-૨૦૧૫નાં માર્ચ માસથી જ્યારે સરકારે અચાનક અકાદમીની સ્વાયત્તતાનો ભંગ કરી, એનાં બંધારણ અને લોકતંત્રને નાબૂદ કરી પોતાના એક નિવૃત અધિકારીને એનાં અધ્યક્ષ બનાવ્યા. આપણે ઊંઘતા ઝડપાયા. કડકડતી ઠંડીમાં સો મણની તળાઈમાં વીસ શેરની સરસ રજાઈ ઓઢી ઊંઘતા હતા ને અચાનક બૂમાબૂમ થઇ. આંખો ચોળતા ઊભા થયા. કેટલાકની ઊંઘમાં ખલેલ પડી, સ્વપ્નભંગ થયો, એટલે જગાડનારા પર વરસ્યાં. કેટલાકને બરાબર સમજાયું કે પગ તળેથી જમીન સરકાવી લેવામાં આવી છે. કેટલાંક એવા સબ બંદરના વેપારી હતા જે કોઇ પણ વખતે પોતાની દુકાન અને નફા-નુકસાનનાં આધારે તરત કામે લાગી જાય. આજે પણ આ પણ ત્રણે પ્રકારના સાહિત્યકારો આપણી વચ્ચે છે અને એમનાં લેખાંજોખાં આપણે પછી લઈશું. આપણે નહીં તો આવનારો સમય લેશે. પણ વિચારવા ચર્ચવા અને બોધ લેવા જેવો સવાલ તો એ છે કે અકાદમીની સ્વાયત્તતા હણાઈ અને તરત જ અનેક નાનામોટા સાહિત્યકારો, નાગરિક સમાજના સાહિત્ય રસિકો, લોકશાહીની ચિંતા કરનારા સુજ્ઞ નાગરિકો સહુ કોઈ સ્વાયત્ત અકાદમી આંદોલનમાં ૨૦૧૫નો ગુજરાત સ્થાપના દિવસ આવતા આવતા તો જોડાઈ ગયા. લાંબી પીંજણ વિના નિરંજન ભગત, ચંદ્રકાંત ટોપીવાળા, ધીરુ પરીખ, સિતાંશુ યશશ્ચંદ્ર, હિમાંશી શેલત, અને બીજા અનેક આ સંઘર્ષમાં જોડાઈ ગયાં. આવું કઈ રીતે બન્યું? કેમ જુદા જુદા છેડેથી, જુદી જુદી વિચારસરણી ધરાવતા, ઉત્તર-દક્ષિણ-મધ્ય-બધે વસનારાં સાહિત્યકારો એક સાથે આવી ગયાં? કેટલાંક મિત્રો એક યાં બીજા કારણસર સરકારની અકાદમીમાં ગયા પણ આજે એ ય પાછા પોતાના મૂળ સ્થાને આવી ગયા. સરકારને પણ આ પ્રશ્ન થતો જ હશે ને?
મને આનું માત્ર ને માત્ર એક કારણ દેખાય છે. અને તે એ કે કળા માત્રની પ્રાણપ્રકૃતિ સ્વાયત્તતા છે. એને સત્તાની ઓળખ નથી, સત્તાનું આકર્ષણ નથી, માન-અકરામની પડી નથી, એની અંદર મહત્ત્વાકાંક્ષાઓ નથી, એવું હરગીજ નથી. સાહિત્ય પોતે એક સત્તા છે અને આ સંઘર્ષ સાહિત્યની સત્તા અને રાજ્ય સત્તા વચ્ચેનો છે. સાહિત્ય પાસે સંવેદના અને વિચાર છે તો રાજ સત્તા પાસે ……? સાહિત્યકાર કોઈ પરગ્રહનું નિવાસી નથી. એને કોઈ રાજ સત્તા સાથે આડવેર નથી. એ જાણે છે કે લોકશાહીમાં ચૂંટાયેલી સરકારો એમની પોતાની સરકારો જ છે. એમની તમામ સહાય લેવી કે પુરસ્કારો મેળવવા એ કઈ હીનતાપૂર્ણ વાત નથી. પણ સાથે સાથે આ સાહિત્યકાર એ પણ જાણે છે કે આમાંનું કઈ પણ મહામૂલી સર્જનની સ્વાયત્તતા વિના ન મેળવાય. આ માટે કોઈ કંઠી ગળામાં ન પહેરાય. અને જે કંઠી પહેરી ઉચ્ચાસને બેઠા છે એમનું મૂલ્યાંકન પણ બધાં કરે જ છે. અહીં સ્વાયત્તતાના મુદ્દે નાનાં-મોટા, ગુણવત્તા કે ક્ષમતા આદિના ભેદ વિના. સહુ એક પંગતે કેમ આવ્યા? તો કારણ એ જ કે સાહિત્યની પ્રકૃતિ સ્વાયત્તતા છે, સત્તાની છત્રછાયા નહીં. આ વાત આપણને કોઈએ શીખવાડવાની, સમજાવવાની કે ભણાવવાની થોડી છે? જેમ રાજનીતિ કે અન્ય શાસ્ત્રોની પોતાની પરમ્પરા છે તેમ કળાસાહિત્યની પણ છે. અને આ પરંપરા એની ગળથૂથીમાં છે.
ચૌદમી સદીનો આપણો પૂર્વજ અસાઈત ઠાકર સામાજિક ભેદભાવને સ્વીકારવાના બદલે એ વખતના સમાજની સામે સંઘર્ષ કરે છે એટલું જ નહીં પણ ભવાઈ જેવું ધારદાર નાટ્યસ્વરૂપ ઘડી આપે છે જેમાંથી દલપતરામનું મિથ્યાભિમાન આવે, કે ગુર્જરોની ગૌરવગાથા ગાતું મેના ગુજરી પણ આવે અને પોતાનો લોકશાહી અધિકાર માંગતો સિતાંશુનો મકનજી પણ આવે. નાગરી નાત નાતજાતની પાબંધી મૂકી નરસિંહની સ્વાયત્તતા ન આંતરી શકે, અને આંતરે તો નાત બહાર થવાનું પસંદ કરી નરસિંહ વાસમાં બેસી ગાય “એવા રે એવા રે અમે ..” અને એ નરસિંહને અનુસરી ગાંધી પણ ગાય કે "વૈષ્ણવજન તો તેને રે કહીએ …” નર્મદ કંઈ વૈષ્ણવ ધર્મગુરુ જદુરાય સામે નમતું ન જોખે, એ તો વીરતાથી એમનાં પાંચ હજાર સમર્થકોની વચ્ચે જઈ પડકાર ફેંકતો કહે, “આ ધર્મશાસ્ત્ર માણસે રચ્યા છે.” મેઘાણી ભરી અદાલતમાં આઝાદીની માંગ સાથે મેક્સ્વીનીની છેલ્લી પ્રાર્થના લલકારે : “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમ ભયકથાઓ” ને પાંચ વર્ષની કેદ ફરમાવનાર અંગ્રેજ સરકારના ન્યાયધીશની આંખો પણ ભીંજાઈ જાય. અને આઝાદી માટેનો લોકજુવાળ ઑર પ્રજવલિત થઇ ઊઠે. શ્રીધરાણી આઠમું દિલ્લીમાં કવિને ભાંડ કરતી દિલ્લી સરકારને વ્યંગમાં કહે “ભવિષ્યની કોદાળી જ્યારે નમશે / નવી પેઢીઓ હટશે કે અવગણશે ……” અને પછી અંતે કહે “જડશે ચંદ્રક અનેક નહીં જડે શુદ્ધ વિવેક”. દિલ્લીને અલ્વિદા કરતા ઉમાશંકર કહે : “નવી, સાતમી દિલ્લી, ખબર છે તને તો- / ઇતિહાસ રાજ્ધાનીઓની છેડતી કરે છે. / ખેડુની-શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે એને વધું વાંકી વાળતી / દુનિયાની રાજધાનીઓ / રૂડી રૂડી વાતોને નામે, / સાતમી દિલ્લી, નીચે ઉતરી શકીશ / જીવી જઈશ, / દિલ્હીપણાને કરી તારી-અને મારી પણ- / દિલી અલ્વિદા?” અને સ્વાયત્તતા સંદર્ભે ગુજરાતી સાહિત્ય પરિષદની સામાન્ય સભામાં નિરંજન ભગતે કરેલાં અંતિમ ઉદ્ગારો હંમેશ યાદ રાખવા જેવા છે. “જે માંગો છો, એ જ ગુમાવી રહ્યાં છો … સમય વહી ગયો છે.”
તો આ આખી પરંપરા આપણને સ્વાયત્તતા માટે સંઘર્ષ કરવાનો બોધ આપે છે. કોઇ પણ સત્તા જ્યારે પોતાનો રંગ સમસ્ત સાહિત્યને આપવા ચાહે, સોને મઢીને પોતાની કંઠી સાહિત્યકારના ગળે બાંધવા ચાહે – એ સ્થિતિ એટલે સાહિત્ય કે સાહિત્યકારની જ નહીં પણ મનુષ્ય માત્રની સ્વાયત્તતાનું હનન છે .. અત્યારે આપણે આ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છીએ અને ત્યારે માનવમાત્રના સ્વાયત્ત રહેવાના મૂળભૂત અધિકારને હણવા માંગતી કોઇ પણ સત્તાને પડકારવી એ આપણી પસંદગી નહીં અનિવાર્યતા છે. અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે કેટલાંક વિદ્વાન મિત્રો કાયમ દ્વિધામાં રહ્યાં છે. જ્યારે ભગત સાહેબે અકાદમી સાથે અસહકાર કરવાનું આહ્વાન આપ્યું ત્યારે એક ગાંધીવાદી મિત્રે સભામાં દલીલ કરી : “અકાદમીનો આવો આભડછેટ શું કામ રાખવો?” અરે ભાઈ મારા, સ્વાયત્તતા છીનવે એ સત્તાની સામે અસહકાર સિવાય સાહિત્યકાર બીજું શું કરી શકે? અને આ વાત જો તમને ન સમજાતી હોય તો ઉપર જણાવી એ આખી પરંપરાનો ફરી અભ્યાસ કરો અને ગાંધીજીને માફ કરો.
મને પ્રતીતિ છે કે સરકાર અકાદમીને ફરી સ્વાયત્ત અને લોકતાંત્રિક કરવાની માંગ આસાનીથી માનવાની નથી. સત્તા હંમેશાં સામ દામ દંડ અને ભેદથી કામ લેતી હોય છે, જે મુજબ ગુજરાત સરકાર કામ લઇ રહી છે. અને એમાં કેટલાક અગ્રણી સાહિત્યકારો પણ પોતપોતાના છેડેથી પ્રસંગોપાત સરકારની આણ સ્વીકારી એમની સાથે રહી કળપૂર્વક કામ કઢાવવાનો અભિગમ ધરાવે છે. તેઓ મોટા છે, આદરણીય છે, આમ જુદા જુદા બહાને સ્વાયત્તતાની આ લડતને હાનિ પહોંચાડવી એ પણ સરકારના સ્વાયત્તતા હનનના એજન્ડાને શક્તિ આપવા બરાબર છે. હવે જ્યારે સાહિત્ય પરિષદનું અધિવેશન આવી રહ્યું છે ત્યારે આપણે સહુએ આપણી સમગ્ર સાહિત્યિક પરંપરાને લક્ષમાં રાખી સ્વાયત્તતાના મુદ્દે સરકાર સામે નક્કર પગલાંઓ ભરવા આગળ વધવું જોઈએ. નહીં કે પાછી પાની કરવા. જો પાછી પાની કરીશું તો સ્વાયત્તતાપરક આપણી સાહિત્યિક પરંપરાના અમૂલ્ય વારસામાંથી આપણે બેદખલ થઈશું. અને પોતાના આવા ઉજ્જવળ વારસાથી બેદખલ થયા પછીનું સાહિત્ય, કેવું હશે, કેવાં સાહિત્યકાર અને કેવો સમાજ હશે? એ વિચારી હું અંદરથી – જયંતિ દલાલને યાદ કરી કહું તો – હાલી ઊઠું છું.
ભોપાલ, ૧૧-૧૨-૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 09 – 10