બંધારણીય પદો અને સંસ્થાઓનો રાજકીય ઉપયોગ નૈતિકતાની દ્રષ્ટિએ તો ખોટો જ છે, તે લોકશાહીને પણ હાનિ પહોંચાડે છે.
૧૯૮૫ના પક્ષપલટા પ્રતિબંધક કાયદા હેઠળ પક્ષપલટો કરનાર સાંસદ કે વિધાનસભ્યને સંબંધિત વિધાનગૃહના અધ્યક્ષ અયોગ્ય ઠરાવી શકે છે. સ્પીકરને મળેલી આ સત્તા બંધારણની દસમી અનુસૂચિ પ્રમાણે ન્યાયિક સમીક્ષાથી પર છે. એટલે કે પક્ષપલટા વિરોધી કાયદાના ભંગ બદલ અયોગ્ય ઠરેલ સાંસદ કે વિધાનસભ્ય અધ્યક્ષના આ નિર્ણય વિરુદ્ધ અદાલતમાં દાદ માંગી શકતા નથી. નાગાલેન્ડના ધારાસભ્ય કિહોતો હોલોહનને અયોગ્ય ઠેરવવાના વિધાનસભાના અધ્યક્ષના નિર્ણય સંદર્ભે ૧૯૯૨માં જસ્ટિસ જે.એસ. વર્માના અધ્યક્ષપણા હેઠળની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે પક્ષપલટા કાયદા હેઠળ કોઈને અયોગ્ય ઠેરવવાના સ્પીકરના નિર્ણયને અદાલતમાં પડકારી શકાય છે. આ ચુકાદામાં બંધારણની અનુસૂચિ ૧૦ના પેરા ૭ને ગેરકાયદે ગણ્યો હતો. કર્ણાટકના જનતાદળ (યુ) અને કૉન્ગ્રેસના ૧૭ ધારાસભ્યોને સ્પીકર કે.આર. રમેશકુમારે વિધાનસભાની પાંચ વરસની મુદ્દત સુધી અયોગ્ય ઠેરવ્યા હતા. તે કેસમાં બેએક મહિના પહેલાં ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલની જસ્ટિસ રમન્નાની બેન્ચે સભ્યોને અયોગ્ય ઠરાવવાના અધ્યક્ષના નિર્ણયને તો વાજબી ઠેરવ્યો હતો, પરંતુ તે માટેની પાંચ વરસની મુદ્દતને અયોગ્ય માની હતી. હવે મણિપુરના કેસમાં સર્વોચ્ચ અદાલતે તેથી આગળ વધીને સરકાર અને સંસદને એવું સૂચન કર્યું છે કે સભ્યોને અયોગ્ય ઠેરવવા માટે કાયમી અને નિષ્પક્ષ વ્યવસ્થા કરવામાં આવે ન્યાયમૂર્તિ આર.એફ. નરીમાનની બેન્ચે જણાવ્યું છે કે સ્પીકર ખુદ રાજકીય પક્ષના સદસ્ય હોય છે એટલે તેઓ તટસ્થ કે નિષ્પક્ષ નિર્ણય કરતા નથી. તેથી સભ્યની અયોગ્યતા નક્કી કરવાની સ્પીકરની અસીમિત સત્તા લઈ લેવામાં આવે અને તેના સ્થાને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત્ત જજની કાયમી ટ્રિબ્યૂનલની રચના કરતો બંધારણીય સુધારો કરવામાં આવે. આ ચુકાદો અધ્યક્ષોના અધિકારોને વ્યાખ્યાયિત કરે છે અને તેમની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવે છે.
સંસદ કે રાજ્યોના વિધાનગૃહોના સુચારુ અને તટસ્થ સંચાલન માટે અધ્યક્ષના પદની જોગવાઈ બંધારણના ઘડવૈયાઓએ કરી છે. સંસદીય લોકતંત્રની પરંપરાઓના સંરક્ષક અને સમગ્ર ગૃહનું પ્રતિનિધિત્વ કરતા મોભી તરીકે સ્પીકરનું પદ મહત્ત્વનું મનાય છે. જો કે સ્પીકરના પદ માટે તે સંબંધિત વિધાનગૃહના સભ્ય હોવા સિવાયની કોઈ વિશેષ લાયકાત નિર્ધારિત કરી નથી. પરંતુ સ્પીકર રાજકીય પક્ષના સભ્ય તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં, તેઓની પાસે ગૃહના સંચાલન માટે સંપૂર્ણ નિષ્પક્ષતાની અપેક્ષા રખાય છે ! રાજ્યસભાના અધ્યક્ષ ભારતના ઉપ રાષ્ટ્રપ્રમુખ હોય છે. પરંતુ લોકસભાના અધ્યક્ષ લોકસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી લગભગ સર્વાનુમતે પસંદ કરવામાં આવે છે. લોકસભાના અધ્યક્ષ તરીકે માર્કસવાદી સામ્યવાદી પક્ષના ડાબેરી સોમનાથ ચેટરજી અને કટ્ટર હિંદુત્વવાદીની છાપ ધરાવતી શિવસેનાના મનોહર જોશી રહી ચૂક્યા છે. લગભગ એક દાયકા સુધી બલરામ જાખડ લોકસભાના અધ્યક્ષ હતા, જે એક રેકોર્ડ છે. ૧૯૯૬ સુધી સત્તાપક્ષ કૉન્ગ્રેસના જ લોકસભા સભ્ય અધ્યક્ષ તરીકે ચૂંટાતા હતા, પરંતુ તે પછીની ગઠબંધન સરકારોના યુગમાં સમર્થક પક્ષના સભ્ય લોકસભા અધ્યક્ષ બન્યા હતા. લોકસભાના અધ્યક્ષ તરીકે મોટે ભાગે સક્રિય રાજકારણીઓ રહ્યા હોઈ, તેમની તટસ્થતા સામે પ્રશ્નો ઉઠ્યા છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ દાદાસાહેબ માવળંકરને પણ પક્ષપાતી વર્તન બદલ સ્પીકરના પદેથી દૂર કરવાની દરખાસ્ત આવી હતી. નિલમ સંજીવ રેડ્ડી ૧૯૬૭-૬૯માં લોકસભાના અધ્યક્ષ હતા તે દરમિયાન રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી લડવા લોકસભા અધ્યક્ષ તરીકે રાજીનામુ આપ્યું હતું. પરંતુ તેઓ હારી ગયા હતા. ૧૯૭૭માં તેઓ ફરી લોકસભાના અધ્યક્ષ ચૂંટાયા હતા. પરંતુ ચાર જ મહિના બાદ રાજીનામુ આપી રાષ્ટ્ર પ્રમુખ બન્યા હતા. પાંચમી લોકસભાના અધ્યક્ષ જી.એસ. ધિલ્લોનને રાજીનામુ અપાવી કેબિનેટ મંત્રી બનાવાયા હતા. ૨૦૦૯માં મીરાં કુમારે પ્રથમ કેબિનેટ મંત્રીના શપથ લીધાં હતાં અને પછી તેઓ લોકસભા અધ્યક્ષ બન્યાં હતાં. લોકસભા અધ્યક્ષની તટસ્થતાની બાબતમાં પી.એ સંગમા અને સોમનાથ ચેટરજીનું કાર્ય નોંધપાત્ર છે. ૨૦૦૮માં કૉન્ગ્રેસી સરકારને અમેરિકા સાથેની પરમાણુ સંધિના મુદ્દે આપેલું સમર્થન ડાબેરીઓએ પાછું ખેંચ્યું ત્યારે તેમના સમર્થકોની યાદીમાં સ્પીકર સોમનાથ ચેટરજીનું પણ નામ હતું. લોકસભાના અધ્યક્ષ તરીકે પોતે પક્ષીય રાજકારણથી પર છે તેથી તેઓ પક્ષના નિર્ણયનું સમર્થન કરશે નહીં તેમ કહી સોમનાથબાબુએ પક્ષની ખફગી વહોરી પક્ષમાંથી બરતરફ થવું સ્વીકારીને પોતાની લોકસભા અધ્યક્ષ તરીકેની નિષ્પક્ષતા બરકરાર રાખી હતી.
જો કે રાજ્યોની વિધાનસભાઓના અધ્યક્ષોનો પોતાના રાજકીય પક્ષને ફાયદારૂપ એવા પક્ષપાતી નિર્ણયોનો દીર્ઘ ઇતિહાસ છે. ૧૯૯૬માં ઉત્તરપ્રદેશમાં બ.સ.પા. અને બી.જે.પી. વચ્ચે છ છ મહિનાના મુખ્યમંત્રીપદની શરતે સમજૂતી થઈ હતી. માયાવતીએ ૧૯૯૭માં ભા.જ.પ.ના મુખ્યમંત્રી કલ્યાણ સિંઘને સમર્થન પાછું ખેંચી લીધું ત્યારે યુ.પી.માં ભારે પક્ષપલટા થયા હતા. તત્કાલીન વિધાનસભા સ્પીકર કેસરીનાથ ત્રિપાઠીએ સભ્યોને અયોગ્ય ઘોષિત કરવા કોઈ ફેંસલો છેક સુધી ન કરીને સરકારને બચાવી રાખી હતી. ૧૯૯૨માં મેઘાલયના સ્પીકર પી.કે. ક્યુદિયાહે પાંચ ધારાસભ્યોને મુખ્યમંત્રી વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પૂર્વે બરતરફ કર્યા હતા. ૨૦૧૬માં અરુણાચલના સ્પીકર નાબામ રેબિયાએ સત્તાપક્ષના ૪૧માંથી ૧૬ સભ્યોને અયોગ્ય ઠરાવી દીધા હતા. ૨૦૧૫માં તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષ ડી.એમ.કે.ના લગભગ તમામ ધારાસભ્યોને બરતરફ કરી દીધા હતા. સ્કર્ણાટકમાં કૉન્ગ્રેસના સ્પીકર કે.આર. રમેશકુમારે કૉન્ગ્રેસ અને જનતા દળ(એસ)ના ૧૭ સભ્યોના રાજીનામા મંજૂર કરવાને બદલે તેમને અયોગ્ય ઠેરવી કુમારસ્વામી સરકારને બચાવી હતી. ૨૦૧૭માં મણિપુર વિધાનસભાની ૬૦માંથી કૉન્ગ્રેસને ૨૮ અને બી.જે.પી.ને ૨૧ સીટો મળી હતી. પરંતુ પક્ષપલટા થકી સરકાર બી.જે.પી.એ બનાવી હતી. ટી.એચ. શ્યામકુમાર કૉન્ગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. પરંતુ પક્ષપલટો કરીને તેઓ બી.જે.પી.માં જોડાયા અને વનમંત્રી બન્યા. કૉન્ગ્રેસની તેમને ધારાસભ્ય તરીકે અયોગ્ય ઘોષિત કરવાની માંગણી સ્પીકરે છેક સુધી લટકાવી રાખી. મણિપુરની હાઈકોર્ટે અનુસૂચિ ૧૦નો હવાલો આપી સ્પીકરના નિર્ણય અંગે કોઈ ચુકાદો આપવાનો ઈન્કાર કર્યો. કૉન્ગ્રેસે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી એટલે ત્રણ જજોની બેન્ચે તાજેતરમાં ચુકાદો આપીને અધ્યક્ષને ચાર અઠાવાડિયામાં નિર્ણય લેવા અને સરકારને અધ્યક્ષની આ સત્તા વિશે ફેર વિચાર કરવા જણાવ્યું છે.
સ્પીકરના પદ સામે પક્ષપાતનો આરોપ થાય અને સર્વોચ અદાલતને તેમની સત્તા પર કાપ મૂકી સ્વતંત્ર અને નિષ્પક્ષ પ્રક્રિયા માટે સૂચન કરવું પડે તે બાબત ચિંતાજનક છે. સ્પીકર તેમને મળેલા અધિકારોનો દુરુપયોગ કરે અને પક્ષીય નેતાની જેમ વર્તે છે ત્યારે તેઓ નૈતિકતાને તો નેવે મૂકે જ છે પણ લોકશાહીને પણ હાણ પહોંચાડે છે. સુપ્રીમ કોર્ટનું નિવૃત્ત જજોની ટ્રિબ્યૂનલનું સૂચન કદાચ સ્વીકારીએ તો પણ રાજ્યપાલ સહિતના બંધારણીય પદો અને સંસ્થાઓનો પક્ષીય ઉપયોગ નહીં થાય તેની કોઈ ખાતરી નથી. રાજકીય મહત્ત્વાકાંક્ષાને લાંબા સમયથી તિલાંજલી આપેલ વ્યક્તિ જ આયરલેન્ડની પાર્લામેન્ટના સ્પીકર બને છે, તેવા તટસ્થ અને રાજકારણથી પર વ્યક્તિની સ્પીકર તરીકે પસંદગીની દિશામાં આપણે પણ વિચારવું જોઈએ.
(તા.૦૫-૦૨-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 05 ફેબ્રુઆરી 2020