આપણે જે સમાજમાં જીવીએ છીએ તેમાં મીડિયામાં જોવા મળતાં સનસનાટીભર્યાં દૃશ્યો બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રોગચાળાનો ફેલાવો, ચેપનો ડર અને સ્થળાંતરિત મજૂરોની દુર્દશા જ્યારે સનસનાટીપૂર્ણ દૃશ્યો બને છે, ત્યારે જ આ બનાવો તરફ આપણું ધ્યાન ખેંચાય છે. કોવિડ-૧૯ની આપત્તિમાં મજૂરોનું સ્થળાંતર અને હાલત મહત્ત્વનાં કલ્પનો અને પરિદૃશ્યો બન્યાં છે. પહેલાં આપણને શહેરમાંથી ચાલી નીકળેલાં, બસ સ્ટૉપ પર ભીડ કરતાં અને લાંબી જોખમભરી મુસાફરીઓ પગપાળા કરતાં શ્રમિકોનાં દૃશ્યો મળ્યાં. આ દૃશ્યો સ્થળાંતરિતોનાં ચિંતા, રઘવાટ અને મજબૂરી બતાવે છે. માઇલો ચાલનાર સ્ત્રીઓ અને બાળકો, થાક અને ભૂખમરાથી થતાં મોતનાં હલબલાવી દેનારાં દૃશ્યો છે. પીડિત મજૂરો કન્ટેઇનર ટ્રક કે સિમેન્ટ મિક્સરમાં પ્રવાસ કરે કે તેમની પર જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે, એ દૃશ્યો અરેરાટી ઉપજાવે છે. તેના પખવાડિયા બાદ ફોકસ બદલાયું અને શહેરમાં ફસાયેલાં પરપ્રાંતીય મજૂરોની હાલત પર ગયું. આ બદલાયેલા ફોકસના દાખલા સુરતમાં કામદારોએ કરેલું તોફાન, મુંબઈનાં બાન્દ્રામાં હજારો મજૂરોને વિખેરવા માટે પોલીસે કરેલો લાઠીચાર્જ અને દિલ્હીમાં આશ્રયગૃહને લગાડવામાં આવેલી આગના બનાવોના કવરેજમાં મળે છે. આ દૃશ્યો જોનારનાં મનમાં ક્યારેક દયા જાગે છે અને તે મદદ માટે આગળ આવે છે. ક્યારેક આ દૃશ્યો જોનારાં લોકો શ્રમજીવીઓને ‘હંમેશના ત્રાસ’ અને ‘ચેપ ફેલાવનારા’ તરીકે ખતવે છે. જો કે આ કરુણા અને તિરસ્કાર એવા બે પરસ્પર વિરોધી ઘટકોની વાત નથી. આ દૃશ્યો સ્થળાંતરિતોની અદૃશ્યતા અને રાજ્ય-સમાજની અસંવેદનશીલતાનું સંકીર્ણ દ્વંદ્વ દર્શાવે છે.
શ્રમજીવીઓની હિજરત અટકાવવા માટે ‘વન ઇન્ડિયા’માંની સરહદો પરના અંકુશોનો બળપૂર્વક અમલ કરવામાં આવ્યો. છતાં સરહદો વટાવી ચૂકેલા સ્થળાંતરિતોને તેમનાં ગામોમાં પહોંચ્યા બાદ તરત જ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા. આ બનાવો કરુણ હતા. મહેનતકશોની ઓળખ કરવી, તેમને અલગ પાડવા અને તેમને બંધક તરીકે રાખવા, આ પ્રક્રિયામાં વાઇરસના ફેલાવાને અટકાવવા માટે રાજ્ય નાગરિકોના શરીરને પણ પોતાનાં અંકુશ હેઠળ લઈ રહ્યું છે. લૉક ડાઉનને કારણે જે કટોકટી સર્જાઈ તેમાં શ્રમિકો માટેની નિસબતનો નીંભર અભાવ જોવા મળ્યો. ત્રણ અઠવાડિયાનો લૉક ડાઉન માત્ર ચાર જ કલાકની ચેતવણીથી જાહેર કરવામાં આવ્યો. તેનાથી દરેક રાજ્યના પરપ્રાંતીયોને પહેલાં ક્યારે ય ન પડી હોય તેવી તકલીફ પડી.
સ્થળાંતરિતો માટે જિંદગીના રોજબરોજના નિર્ણયોનો આધાર અનેક બાબતોની અનિશ્ચિતતા પર છેઃ પગાર, પાણી, ખાવાનું, ઘર વગેરે. મુંબઈની ઝૂંપડપટ્ટીના અભ્યાસ દરમિયાન અમે જોયું કે માંડ દસ બાય દસની ખોલીઓમાં છ થી આઠ શ્રમજીવીઓ રહેતા હોય છે. પીવાનું પાણી તેમને ખરીદવું પડે છે. તે જે જાજરુનો ઉપયોગ કરે છે, તે લગભગ 190 માણસોની વચ્ચે એક હોય છે. જિંદગીનો ઘણો સમય કતારોમાં વીતે છે. અનાજ કે ખોરાકનો સંગ્રહ કરવા માટે જગ્યા તેમ જ સગવડ હોતાં નથી. મહામારીને નાથવા માટે ડિસ્ટન્સિન્ગ, લૉક ડાઉન, ક્વૉરન્ટીન અને આરોગ્યલક્ષી સ્વચ્છતા એ ઉપાયયોજના હોય, ત્યારે પરપ્રાંતીય મજૂરોના સંદર્ભે તેના અમલીકરણ માટે ભાગ્યે જ કોઈ અવકાશ હોય છે. જ્યાં આઠ-દસ લોકો એક જ ઓરડામાં ભેગા રહેવા માટે મજબૂર હોય ત્યાં સેલ્ફ-આઇસોલેશન અને સોશિયલ ડિસ્ટન્સિન્ગને શી રીતે જોઇશું? રોજમદારો, બેઘર મજૂરો અને તેમનાં જેવા બીજાઓને માસ્ક અને સેનિટાઇઝરનો જથ્થો સંઘરી રાખવા માટે શી રીતે કહી શકાય? આવા લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિન્ગ એ એવો નુસખો છે કે જે સંપન્ન વર્ગો માટે અનામત હોય. ઝૂંપડપટ્ટીઓમાં રહેનાર પરપ્રાંતીય ગરીબ શ્રમજીવીઓ માટે ડિસ્ટન્સિન્ગ, વર્ક-ફ્રૉમ-હોમ અને આઇસોલેશન એ સાવ નોખા અને અમલમાં ન મૂકી શકાય તેવા ખ્યાલો છે. પાણીનું ટૅન્કર ન આવે તો શું કરવાનું? સામૂહિક જાજરુ આગળ સોશિયલ ડિસ્ટન્સિન્ગ કેવી રીતે પાળી શકાય? સ્થળાંતરિત શ્રમજીવીઓ પણ અનેક સરકારી માળખાંની અડફેટે ચડે છે — મ્યુનિસિપાલિટી, પોલીસ, રેશનિંગનાં અનાજની દુકાન અને અન્ય. આ બધાં માળખાંમાં તેમને તિરસ્કાર અને ભ્રષ્ટાચારનો અનુભવ થાય છે. સ્થળાંતરિતોને અનાજ વહેંચવામાં આવશે, એવી જાહેરાત એમને ખુદને કેમ શંકાસ્પદ લાગી એ સમજવું અઘરું નથી. રોજી, રોટી અને છાપરું સ્થળાંતરિતો માટે આમ પણ અનિશ્ચિત હતું, તે હવે અસંભવ બન્યું. એટલે તેમને સેંકડો માઇલ દૂર આવેલાં વતન પાછા જવાનો નિર્ણય લેવાની ફરજ પડી. તેમાં ય રેલવે અને વાહનવ્યવહારનાં અન્ય સાધનો બંધ કરી દેવામાં આવ્યાં. એટલે તેઓ ચાલતા નીકળ્યા અને તેમની મરણિયા મુસાફરીઓ મીડિયાના ફોકસમાં આવી.
જો કે મીડિયાનાં દૃશ્યોથી બધાંના મનમાં સહાનુભૂતિ જાગી એવું નથી. કેટલાક રાજકીય સમીક્ષકો, રાજકારણીઓ અને ખુદને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં ગણાવતા મધ્યમ વર્ગના કેટલાક લોકોનો દૃષ્ટિકોણ અલગ હતો. તેમને સ્થળાંતર સામે વાંધો હતો. કારણ કે એનાથી રોગચાળો વધુ ફેલાવાની સંભાવના હતી. એટલે એમની માગણી હતી કે સ્થળાંતર અટકાવવું જોઈએ. એટલે એક તરફ સ્થળાંતરિતો તરફ દયા કે કરુણાનો ભાવ હતો, તો બીજી તરફ તેમને ચેપ ફેલાવનારા ગણીને તેમના પ્રત્યે તિરસ્કારનો ભાવ હતો.
મીડિયાએ સ્થળાંતરિતો કેવા મરણિયા અને મજબૂર બની ગયા છે તે બતાવ્યું. પણ આ દૃશ્યો માત્ર એ સમય પૂરતાં જ હતાં. તેમાંથી મીડિયાની રાજકીય વાસ્તવિકતા અને મીડિયાનાં આચરણ બંને અંગે ઘણું જાણવા મળ્યું. મીડિયા માટે સરકારના આદેશો અને નિર્દેશો હતા. તેમાં દબાણ અને સેન્સરશીપનો પાસ પણ હતો. આ રાજકીય વાસ્તવિકતા અને ચેપ લાગવાનાં જોખમોની વચ્ચે મીડિયાએ જે કવરેજ આપ્યું તે ખરેખર પ્રશંસનીય છે. અલબત્ત, આ કવરેજમાં અખબાર કે ચૅનલની પોતાની સંપાદકીય નીતિ અને તેના સરકાર સાથેના સંબંધો પણ ભાગ ભજવતા હતાં. એક બાજુ સ્થળાંતરિતો માટે સહાનુભૂતિ હતી, પણ બીજી બાજુ સરકારનાં પગલાં અને ક્વૉરન્ટીનનો તેમણે જે રીતે પ્રતિકાર કર્યો તેની રજૂઆતમાં તેમને ગુનાઇત ગણવા તરફ ઝૂકાવ પણ હતો. એવું પણ છે કે મીડિયાએ સ્થળાંતરિતોને એક આપત્તિ ગણીને તેમના વિશે લખ્યું. સ્થળાંતરિતઓ ત્યારે જ સમાચાર બન્યા કે જ્યારે તેમને અકસ્માત થયો હોય કે તેમની પર હિંસાચાર થાય. જ્યારે મહામારી પર જીત મેળવી એમ જાહેર થશે ત્યારે વળી વિજયોન્માદનાંદૃશ્યો હશે. અને સ્થળાંતરિતો ફરીથી ફોકસની બહાર જતા રહેશે. મૂળભૂત જરૂરિયાતોના અભાવ સાથે તે એ જ ગીચ ઝૂંપડપટ્ટીઓમાં રહેવા લાગશે. મહામારી પછી બદલાયેલી આર્થિક પરિસ્થિતિમાં સ્થળાંતરિતોની સમસ્યાઓ કદાચ વધુ મુશ્કેલ બનશે. એટલે મુદ્દો એ છે કે મહામારી પછી પણ સ્થળાંતરિતો અને તેમની હાડમારીઓ આપણાં મીડિયા, ઍકેડેમિયા અને સિવિલ સોસાયટીના વિમર્શમાં હોવી જોઈએ. જો એમ થશે તો સ્થળાંતરિત શ્રમિકોની હાલતમાં સુધારો થવાની સંભાવના રહેશે.
[“ધ વાયર”, અનુવાદઃ સંજય શ્રીપાદ ભાવે]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020