તાજેતરમાં સમાચારોમાં બહુ ચમકેલ કાળિયાર હરણના શિકારનો કેસ તેમાં સંડોવાયેલા સેલિબ્રિટી સ્ટેટસને લીધે તો ધ્યાનકર્ષક બન્યો જ, પરંતુ તેના કેટલાક બીજાં પણ ધ્યાનાકર્ષક મુદ્દા છે, તે વિશે વિમર્શ થવો જોઈએ. આ ઘટના સાથે ફરી એક વાર રાજસ્થાનના બિશ્નોઈ સમાજની આ વન્યજીવ પ્રત્યેની તીવ્ર સંવેદનશીલતાનો અનુભવ પણ આપણને થયો. આ સમાજ પોતાના વનની સાથે કેટલું તાદાત્મ્ય ધરાવે છે, તે બાબતો અગાઉ પણ જાણમાં આવેલ છે. આમ, આજના સમયમાં પ્રચલિત પર્યાવરણના વિષયમાં આવી પરંપરાગત જીવનશૈલી નમૂનારૂપ બની રહે તે સ્વાભાવિક છે.
પોતાની ભૌગૌલિક સ્થિતિને કારણે સમગ્ર ભારતમાં વ્યાપકપણે વનવિસ્તાર છે અને તે વિસ્તાર ને તેની આસપાસ રહેલા લોકોનું જીવન તેનાથી પ્રભાવિત રહેવાનું.
વન્યજીવો, વનવિસ્તાર અને વનવાસી પ્રજાઓ – તે માત્ર આપણી વિચારણાની બાબત નથી. તે વિશે અલબત્ત, યોગ્ય દૃષ્ટિએ કામ નથી થયું, તે એક તથ્ય નકસલવાદી આંદોલન જેવાં લોકસંઘર્ષનાં મૂળ તપાસતાં સમજાય ખરાં, પણ તે ઉપરાંત ભારતીય સંસ્કૃિતના મૂળ વિચારતત્ત્વોનો પ્રાદુર્ભાવ-દર્શન પણ આ ભૌગિલિક પરિબળ સાથે અભિન્નતાથી જોડાયેલો રહ્યો છે તે આપણે યાદ રાખવાની જરૂર છે.
રાજસ્થાનમાં બિશ્નોઈ સમાજ કેમ વન્યજીવ અને પ્રકૃતિ સાથેના તાદાત્મ્યને પોતાનાં જીવનમૂલ્ય તરીકે માને છે? ગીરના માલધારીઓ ગીરને પોતાની માતા ખોળા જેવો પોતીકો માને, ગાય અને ભેંસનાં સંવર્ધનમાં પોતાના જીવનની સાર્થકતા માને, તે બાબતો પ્રગતિશીલ આધુનિક સમાજ શા માટે અવગણવાનું પસંદ કરે છે? ગીરમાંથી માલધારીને વિસ્થાપિત કરવાની યોજના વડે ગીરના જંગલનું અને સિંહનું રક્ષણ કરવાની ‘સૂઝ’ વિદેશી સંસ્થાના સૂચનથી અમલી બને, તે વિગત આપણી પ્રજાસત્તાક લોકશાહીના બોદાપણાની જાહેરાત બની રહે તેમાં નવાઈ શી?
પ્રજાસત્તાક-વ્યવસ્થામાં કઈ પ્રજાની સત્તા તે હવે વધુ ને વધુ સ્પષ્ટ થતા જતા વિવિધ સમાજો વચ્ચેના ભેદને કારણે અગ્રસ્થાને ઊભરાતો સવાલ છે. એકાએક હિંસક ‘ગોરક્ષકો’ કે બૌદ્ધિક વિચારક સમાજચિંતકોને ખૂની હુમલાઓ વડે ચૂપ કરતા રાષ્ટ્રવાદીઓ સત્તાપલટો થતાં પોતાની બિન્દાસ તાકાત બતાવવા લાગે, ત્યારે જરૂર થાય કે કોઈ ‘એક ચોક્કસ પ્રજા’ પાસે સત્તા આવી છે!
પર્યાવરણના સવાલ માટે ઘણી બાબતોના સંદર્ભો ખ્યાલમાં રાખવાના રહે છે. બિશ્નોઈ અને માલધારી એવા છેવાડે ફેંકાયેલ સાંસ્કૃિતક જીવનશૈલીના સમાજના પ્રતિનિધિઓ છે, જેમણે પોતાના ઉત્કર્ષ માટે પોતાનાં સાંસ્કૃિતક મૂલ્યોનો ભોગ આપીને, ‘લૂંટ શકે તો લૂંટ’ જેવી વિકાસની રાજકીય સમજથી પોતાની જાતને દૂર જ રાખી છે. કેમ કે ઉત્કર્ષ અને આનંદની તેમની સમજ આધુનિક શિક્ષણથી ‘દીક્ષિત’ નથી થઈ. જેઓ પોતાના સંસ્કારને ધર્મની સમજથી વળગી રહીને પણ પાપ કરવા કરતાં ‘વંચિત’ રહેવું વધુ પસંદ કરે છે, તે સમાજ પાસેથી શિક્ષણ લેવાનું હોય, તેમને આપણું અહમકારી શિક્ષણ આપવાનું ન હોય!
મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ‘જેઓના સુધી હજુ સુધારાની હવા પહોંચી નથી, તેમનો વિચાર બદલવા માટેનાં કામ ન કરવા સલાહ છે.’ આ વાત આજે હવે શક્ય નથી, પણ તેમ છતાં, આવા લોકસમૂહો હજુ પણ સ્વેચ્છાએ પોતાના સ્વરૂપને વળગી રહ્યા છે, તે આપણે જોઈ રહ્યા છે. અમુક કક્ષાના વિચારમાં મનનું રૂપાંતરણ એટલું સંપૂર્ણ હોય છે કે તેને સામાન્ય પ્રવાહોના પ્રભાવથી નિમ્ન કોટિમાં લાવવા સહજ નથી હોતા. તે માટે જો કે વિદેશી ઍજન્સીઓએ સ્થાનિક સેવાભાવી – સમાજસેવી સંસ્થાઓ મારફત ઘણા ‘ચૅન્જ પ્રોસેસ’ના કાર્યક્રમો ચલાવ્યા. તે માટેનાં સામાજિક, આર્થિક અને રાજકીય કારણો આપી ચોક્કસ એજન્ડા વિવિધ સંસ્થાઓનો ઉપયોગ કરીને ચલાવ્યા. તે પોતે કઈ માનસિક ‘ચેન્જ પ્રોસેર્સ’ના ભાગ હોય છે, તે તો આ વર્ષમાં વૈશ્વિક ફંડિંગ અને વિકાસલક્ષી સંસ્થા ઑક્સફામના કર્મચારીઓના આફ્રિકામાં આચરેલાં જાતીય કૌભાંડોથી પર્દાફાશ થઈ જ ગયો છે! આધુનિક વિકાસના અનેક કદરૂપા ચહેરાઓ ‘ફેસિયલ’ પ્રક્રિયાથી ઢાંકી દેવાયેલા તે આપણે જાણીએ જ છીએ. અહીં એવા સમાજો છે, જે પોતાના ચહેરા ઉપર ચહેરા નહીં પણ ચહેરામાં અંદરના ચહેરાને પ્રતિબિંબિત કરતા હોય છે!
પર્યાવરણસુરક્ષાની તે પ્રવૃત્તિ જો સ્વભાવ બનીને સંસ્કારિત ન થઈ હોય, તો તક મળે ત્યારે સ્વાર્થ સાધી લઈને વ્યક્તિમાં ગમે તે કરવાની માનસિક નબળાઈ ઊભરી આવે છે. ભારતીય સમાજ સદીઓથી ચોક્કસ વર્તનના સંસ્કારની અસરમાં પ્રકૃતિપ્રેમી જ નહીં, પ્રકૃતિ-પૂજક બની રહ્યો છે. પણ પછીનાં વર્ષોનું એવું એક તથ્ય છે, જે ઇતિહાસકારો જણાવે છે કે મુસ્લિમ શાસકોના સમયમાં વન્યજીવોની હત્યાનું પ્રમાણ વધ્યું હતું. હિન્દુ રાજામહારાજાઓ પણ વન્ય પ્રાણીઓના શિકારની રમત ખેલતા હોવાનાં તથ્યો છે જ. અંગ્રેજશાસન દરમિયાન મોટા પાયે જંગલો સાફ કરીને લાકડું વિદેશ મોકલવામાં આવતું. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી જરૂરિયાત માટે પણ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષોનો નાશ કરાયો હતો. જંગલની તેમની આ પ્રવૃત્તિમાં સ્થાનિક વનવાસી પ્રજામાં એક ડાંગના અંગ્રેજો સામેના યુદ્ધનો કિસ્સો જાણીતો છે. તે પછી સને ૧૮૬૫માં તે દરમિયાન ભારતભરમાં પહેલી વાર ફૉરેસ્ટ ઍક્ટ મારફત કેન્દ્ર સરકારનું આધિપત્ય પ્રસ્થાપિત કરવામાં આવ્યું – જે આજે પણ ચાલુ જ છે.
પર્યાવરણની સુરક્ષા ને સંવર્ધન, સત્તા અને સમાજમાં જો એક વાક્યતા, એકનિષ્ઠા સધાય તો જ સંભવ બને. માત્ર કાયદાઓ કે સરકારી સમારંભોથી કે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગાંડા બાવળ જેવા ‘વનીકરણ’થી જંગલ બને કે બચે નહીં! તેવાં વન્યજીવો પ્રત્યેની અને વનસ્પતિ પ્રત્યેની ધાર્મિક માન્યતાઓની પણ મર્યાદા હોય છે. ધાર્મિક સ્થળોની આસપાસ વિશેષ કરીને આવું સુંદર વનીકરણ જોવામાં આવે છે. તેને ‘સેક્રેડ ગ્રૂવ્સ’ – પવિત્ર વનરાજી તરીકે અલગ કૅટેગરીમાં ગણવામાં આવે છે – તે બાબત એ ‘પવિત્રતા’ માટેની માનવીય ભાવનાની સ્વીકૃતિ છે. તે ભાવના મન અને બુદ્ધિના – એટલે કે મન ઉપર બુદ્ધિના નિર્ણાયક પ્રભાવનું દ્યોતક છે.
હરણાંના શિકારની ઘટના તે કેવી બુદ્ધિના નિર્ણાયક પ્રભાવનું દ્યોતક ગણાય? આ સવાલ કોઈ એકે કરેલા શિકારથી આગળ વધીને સમાજમાં સામાન્ય બનીને વ્યાપક બની રહેલી ‘હિંસક પ્રવૃત્તિ’ના સંદર્ભમાં તપાસવાની જરૂર છે. તે માટે આગળ કહ્યું તે મુજબ અમે શિક્ષણને સૌથી પ્રબળ કારણભૂત તત્ત્વ માનીએ છીએ. અહીં અહિંસાના શિક્ષણની વાત નથી, પરંતુ સમગ્ર રીતે માનવબુદ્ધિ એવા વિકાસ માટેનાં શિક્ષણની વાત છે, જેમાં તે પોતાના નૈસર્ગિક ઉત્કર્ષ માટે ભેદના સ્થાને એકત્વની ભાવનામાં વિચારનું શિક્ષણ પામતો હોય.
આવી બુદ્ધિ જેના માટે કહે છે, तन्मे मन: शिवसंकल्पमस्तु।(તે મારું મન શુભ સંકલ્પોવાળું બને) શુભ ભાવનામય સમાજરચના કે રચનાત્મક સર્વોદય સમાજના વિચારથી સમાજ ને શાસનકતા શુભ બુદ્ધિના શિક્ષણનો નિર્ણાયક અભિગમ અપનાવે, તો તે સંભવ બની શકે. તે વાતનો પુરાવો બિશ્નોઈ અને માલધારી તેવા ઘણે અંશે આપણા કિસાનો પોતાના જીવનકર્મથી આપી રહ્યા છે.
E-mail : vasudevmvora@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ અૅપ્રિલ 2018; પૃ. 13 અને 15