(૧)
શ્રાવણનો આ સરતો મહિનો ….
શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,
ગોતીગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો કાંઠો ….
વસુદેવ ને દેવકી લઈને આવે જેલની યાદો,
નંદ-જશોદા બાંધી બેઠાં ક્યારનો મનમાં માળો,
શોધી શોધી થાકી આંખો, ના દેખાય ગોકુળની ગાયો…..
લાગણીઓ તો લળીલળીને રમવા માંડી રાસો,
ઉજાગરાએ માંડ્યો હવે, લો, રાતનો અહીં વાસો,
ગોતીગોતી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો ……
ખોટી મટકી, માખણ લઇને, ગોરસ વહેંચુ ઘાટો,
નીકળ, છબીની બહાર હવે ને, તોડ પીડાની વાડો,
શોધીશોધી થાકી આંખો, ના દેખાય જશોદાનો જાયો …..
ખૂબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,
છાને પગલે આવીઆવી, સ્પર્શી લે જગનો વાંસો,
ખોળીખોળી થાકી આંખો, ના દેખાય વ્રજનો વ્હાલો;
શ્રાવણનો આ સરતો દા’ડો, પણ ક્યાં છે સૌનો કાનો,
શોધીશોધી થાકી આંખો, ના મળતો છેલછોગાળો ….
•
(૨)
કૃષ્ણ–રાધાઃ પ્રેમ–સંવાદઃ
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?
પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?!!
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી,
તો મથુરામાં વાસ કરી, ખેલત તું હોળી?
“અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સઘળું સરજીને હા, ખેલત હું હોળી!”
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના?
“અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના?”
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ,
સાચુકડું કે’જે, શું રાખત તું શિર પર ?
“અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર!!”
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?
પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું આવ જરા ઓરી,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ, શામ સંગ, આમ દિસત એકાકાર !!!
••
(૩)
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ, તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઈ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
મારે તો વનરાવન કે મથુરા,
કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં!
તેથી ફરું હું તો નેટના જગતમાં,
તારા તે જગમાં ક્યાં હવે છે મણા?
આવીને મળે તો માનું અહીં વેબમાં,
જોજે ભૂલીશ મા, કે’જે ઈમેઈલમાં,
વેબકેમ મંદિરનાં ખોલી દઈશ બારણાં,
આરતી ઉતારીને લઈશ ઓવારણાં.
પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના …….
•••
શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરૂ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્ત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના કરી છે?
(૪)
દેવકીનું દર્દ …
શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
કાયા તો ઝીલે લઈ ભીતરમાં ભાર,
ના સહેવાતો કેમે એ ક્રૂર કારાવાસ.
આભલું છલકીને હલકું થઈ જાય,
વાદળુંય વરસીને હળવું થઈ જાય,
વદપક્ષની રાતે મન ભારેખમ થાય,
પ્રશ્નોની ઝડીઓથી હૈયું ઝીંકાય ….. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
સાતસાત નવજાત હોમીને સેવ્યો,
નવનવ મહિના મેં ઉદરમાં રાખ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
અંતરનો યામી ભલા પરવશ શાને?
કંસ તણા કુવિચાર કાપ્યા ન કા’ને?
ગોવર્ધનધારી કેમ લાચાર થાય? …. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,
જગ તો ના જાણે ઝાઝું, દેવકીને આજ,
વાંક વિણ, વેર વિણ, પીધાં મેં વખ,
ને તોયે થાઉં રાજી, જોઈ યશોદાનું સુખ,
પણ કોઈ ના જાણે આ જનેતાનું દર્દ?!
આઠમની રાતે જીવે ચૂંથારો થાય ….. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
••••
(૫)
ક્યાં?
વાંસળીના સૂર ક્યાં.
લાગણીના પૂર ક્યાં ?
આવી જન્માષ્ટમી પણ,
પ્રીતમાં ચક્ચૂર ક્યાં ?
ગાવડી, ગોકુળ ને
ગોપીનાં નૂપુર ક્યાં ?
શ્યામ શોધે રાધિકા,
માખણ ભરપૂર ક્યાં?
અવતરે તો કૃષ્ણ પણ
લોકને જ જરૂર ક્યાં ?
ઉત્સવો આ યંત્ર સમ
માનવીના નૂર ક્યાં ?
e.mail : Ddhruva1948@yahoo.com