Opinion Magazine
Number of visits: 9447910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સપ્રેમ શુભાશિષ

કુસુમ શાહ|Opinion - Opinion|16 June 2022

સપ્રેમ શુભાશિષ – ચિ. કુસુમને કાકાસાહેબ કાલેલકરે લખેલા પત્રો : પ્રકાશક – ગાંધી હિન્દુસ્તાની સાહિત્યસભા, નવી દિલ્હી : પહેલી આવૃત્તિ – 2022, પેપરબેક : સાઈઝ – 8.5 x 5.5 : પૃ. 288 : મુખ્ય વિક્રેતા – નવજીવન ટૃસ્ટ : રૂ. ૪૦૦/-

કાકાસાહેબ મારા આધ્યાત્મિક, જ્ઞાની અને રાષ્ટ્રસેવામાં સમર્પિત ગુરુ હતા અને હંમેશાં રહેશે. કૉલેજજીવન પૂર્ણ કર્યા પછી હું ગુરુની શોધમાં હતી. મારી આંતરિક ઇચ્છા હતી કે ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું. આશ્રમજીવન જીવવું અને રાષ્ટ્રની સેવા તથા સાધના કરવી.

વિનોબા ભાવે, શિવાજી ભાવે, બાલકોબાજી ભાવે પાસે પણ ગઈ. તેમની સાથે થોડો સમય વિતાવ્યો. એટલું જ નહીં, પાઁડિચેરીના મહર્ષિ અરવિંદો આશ્રમનાં માતાજી વિશે મેં ઘણું સાંભળેલું હતું તેથી ત્યાં પણ ગઈ. પણ અંતે મુંબઈ પાછી આવી ગઈ.

મુંબઈ આવ્યા પછી સર્વોદય સંસ્થાના કાર્યકર્તા શ્યામસુંદર શુક્લે મને કહ્યું, “કાકાસાહેબને મદદ માટે એક સેવિકાની જરૂર છે.” થોડા દિવસ પછી શુક્લજીએ મને પત્ર દ્વારા જાણ કરી કે કાકાસાહેબ મુંબઈ આવે છે, તો તેમને મળવું. તેઓ મુંબઈ વ્યાખ્યાનો આપવા આવેલા. એટલે હું મલબાર હિલ પર મળવા ગઈ. ત્યાં તેમની સાથે કાકાસાહેબનાં ધર્મપુત્રી અને અંતેવાસી સરોજબહેન નાણાવટી પણ હતાં. કાકાસાહેબને જોતાં જ હું ભાવવિભોર થઈ ગઈ. જાણે મારા દિવાસ્વપ્નમાં યોગીએ દર્શન દીધાં એવી મને અનુભૂતિ થઈ. કાકાસાહેબે મને ગુજરાતી, મરાઠી, હિંદી અને અંગ્રેજીમાં લખાણ લખવા આપ્યું. મારી સાથે હળવી ચર્ચા કરી, પછી હું એમની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ હતી.

કાકાસાહેબ જ્યારે જ્યારે મુંબઈ આવતા ત્યારે હું તેમને મળવા જતી. ત્યારે તેઓ મારી પાસે તેમનો પત્રવ્યવહાર કરાવતા, લેખ લખાવતા જે ગુજરાતી, હિંદી, મરાઠી ભાષામાં હોય. આમ છ મહિના સુધી ચાલ્યું ૧૯૬૫ના એપ્રિલ-ઑક્ટોબર સુધી. પરંતુ આ છ મહિના દરમિયાન કૉલેજનાં પ્રિન્સિપાલ  ધૈર્યબાળાબહેન વોરા જેઓ મારાં માર્ગદર્શક અને સ્નેહી હતાં તેમણે મને ગ્રંથાલયની તાલીમ આપી. અને પછી આ જ કૉલેજના ગ્રંથાલયમાં મેં કામગીરી કરી, ગ્રંથાલય અંગેની વધુ જાણકારી પ્રાપ્ત કરી. આ તાલીમથી મારામાં ગ્રંથાલય અંગેની સમજ ઊભી થઈ. આથી મેં વિચાર્યું કે હું કોઈ પણ સંસ્થામાં કે આશ્રમમાં જઈશ તો હું ત્યાંના ગ્રંથાલયનું કામ કરી શકીશ અને ત્યાંનું ગ્રંથાલય વ્યવસ્થિત કરીશ. છ માસ પછી મેં કાકાસાહેબના આશ્રમમાં જવાનો નિર્ણય કર્યો. આ અંગે મેં કાકાસાહેબની સંમતિ મેળવી લીધી. એ સમયે કાકાસાહેબે કહ્યું કે, “હું ૮૧ વર્ષનો ઘરડો થઈ ગયો છું. તને હું કેટલો સમય આપી શકીશ તે કહેવાય નહીં.” મેં કહ્યું, “મને આપ જે પણ આપશો એ મારા માટે મૂલ્યવાન હશે.” તે પછી કાકાસાહેબે મારા પિતાજીને મળવા માટે મલબાર હિલ બોલાવ્યા અને કહ્યું, “કુસુમ મારી સાથે રહેશે. મારા પ્રવાસનો એને લાભ મળશે. પ્રવાસ દ્વારા એને સારી કેળવણી મળશે. અમારું જીવન આશ્રમીય અને સ્વૈચ્છિક ગરીબાઈનું છે.”

હું ૨૧ ઑક્ટોબર ૧૯૬૫ના રોજ મુંબઈથી દિલ્લી કાકાસાહેબ સાથે ગઈ. સાથે સરોજબહેન નાણાવટી, ફિરોજાબહેન વકીલ પણ હતાં. કાકાસાહેબના સન્નિધિ આશ્રમમાં અમૃતલાલ નાણાવટી, હસમુખભાઈ વ્યાસ, રૈહાનાબહેન તૈયબજી અને ઉદયસિંહજી જેવા સંત સેવકોએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. અહીંયાં મારા જેવી નાની અજ્ઞાન, અણઘડ સેવિકા સાથે બધાં ખૂબ ઉષ્મા અને સ્નેહભર્યો વ્યવહાર કરતાં. સૂર્યસમાન તેજસ્વી વ્યક્તિત્વ ધરાવનાર એવા કાકાસાહેબની ઉત્તરાવસ્થામાં મેં પ્રવેશ કર્યો. મને સારી રીતે ઘડવાની એમને ઉતાવળ હતી. પણ મારી ઝોળી નાની હતી.

કાકાસાહેબ પ્રારંભમાં મારી પાસે પત્રો અને લેખો લખાવતા. જ્યારે તેઓ પ્રવાસમાં હોય ત્યારે મારે તેમની ટપાલો પહોંચાડવાની, તેમના પત્રોનો સારાંશ લખી મોકલવાનો રહેતો. તેમની ગેરહાજરીમાં મેં ૩૦ હજાર પુસ્તકોનું વર્ગીકરણ કર્યું. જ્યારે તેઓ મહાનુભાવ સાથે ચર્ચા કરતા સમયે અથવા લખતી વખતે કોઈ પણ વિષયનાં પુસ્તકો માંગે એ હું ગ્રંથાલયમાંથી કાઢીને આપતી.

કાકાસાહેબના પ્રવાસ દરમિયાન તેમની પાસેથી તેમના જરૂરી કામ અંગેનું માર્ગદર્શન મેળવી લેતી. તે પછી હું તેમનાં કામ, સ્વભાવ, કામની પદ્ધતિ બધું જાણી લેતી. એમનાં જૂના પત્રો, ડાયરીઓ, લેખો વગેરેનું પણ હું વાચન કરી લેતી જેનાથી મને તેમના વિશાળ વ્યક્તિત્વનો અને તેમના વિશ્વકુટુંબનો પરિચય થતો.

કાકાસાહેબની સાથે જ્યારે પણ હું પ્રવાસ કરતી તે સમયે તેમનાં કેટલાંક પુસ્તકો, ફોટાઓ સાથે રાખતી. સભામાં તેમનું વક્તવ્ય પૂરું થયા પછી શ્રોતાઓ કાકાસાહેબનાં પુસ્તકો, ફોટાઓ ખરીદતાં. ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમના હસ્તાક્ષરવાળા ફોટાઓ ખરીદતા. ધીરે ધીરે તેમના ફોટાઓની માંગ વધવા લાગી. આથી મેં તેમના દીકરા સતીશભાઈ, બાળભાઈ પાસેથી વિવિધ ફોટાઓ મંગાવી, ફોટાઓનાં આલ્બમ તૈયાર કર્યાં. આલ્બમ તૈયાર થયાં પછી ફોટાઓનું પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન તૈયાર કરવામાં યશોધરાબહેન દ્વિવેદીએ ઘણી સહાય કરી. કાકાસાહેબના લેખો અને અન્ય સાહિત્યનું પણ સંપાદન કર્યું. કાકાસાહેબના સાન્નિધ્યથી, પ્રોત્સાહનથી મારામાં સેવા અને વિવિધ કાર્યો કરવાના ઉત્સાહમાં દિન-પ્રતિદિન સંવર્ધન થતું ગયું.

કાકાસાહેબ સાથે મેં ૧૬ વર્ષ સુધી અવિરત સેવાકાર્ય કર્યું. આ સમય દરમિયાન મને તેમણે ઘણા પત્રો લખ્યા. પત્રોમાં વિવિધ વિષયોનું વર્ણન છે. એમાં પ્રાકૃતિક વર્ણન, વિવિધ સ્થળોનું વર્ણન, એ સ્થળોની ભાષા, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ ઇત્યાદિ વિગતોની પ્રચુર માહિતી આપવામાં આવેલ છે. એમના પત્રોના પ્રત્યુત્તર રૂપે હું પણ તેમને પત્ર લખતી. અમારા આ પત્રવ્યવહારથી મને તેમના કુળનો, પરિવારનો પરિચય થયો. ગુરુ-શિષ્યસંબંધો, સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધના સાંપ્રતકાળમાં ગાંધીજીનાં મહત્ત્વનાં કાર્યો અંગેનું જ્ઞાન પણ મેળવતી, તેમ જ મારાં કાર્યો અંગેનું માર્ગદર્શન પણ આ પત્રો દ્વારા મેળવતી. પ્રવાસથી પાછા આવ્યા પછી પણ કાકાસાહેબ સાથે એ વિષયો પરત્વે ચર્ચા થતી અને પછી આ વિષયોની વિગતે નોંધ લખવાની રહેતી. આ સઘળાં કાર્યોનું આયોજન મારે એકલે હાથે કરવાનું રહેતું. કાકાસાહેબના પત્રો મારા માટે જ્ઞાનની પ્રસાદીરૂપ જ છે. એટલે મેં આ પ્રસાદીને સૌ રસિક વાચકોને વહેંચવાના ઉપક્રમ રૂપે આ પુસ્તક પ્રકાશિત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

કાકાસાહેબે મને ઘણા પત્રો લખ્યા છે. મારા પર તેમનો પ્રથમ પત્ર ૧૮-૧-૧૯૬૬નો છે, જ્યારે અંતિમ પત્ર ૧૮-૬-૧૯૭૯નો છે. પ્રસ્તુત પુસ્તકમાં તેમના બધા પત્રોનો સમાવેશ કરી શકાયો નથી. કુલ ૧૧૧ પત્રો સમાવિષ્ટ છે. કાકાસાહેબના દેહાંતનાં ૪૦ વર્ષ પછી આ પુસ્તક તૈયાર કર્યું છે.

પુસ્તકમાં કાકાસાહેબના પત્ર સાથે સરોજમાસીનો પત્ર તો હોય જ. કાકાસાહેબના વિશાળ પરિવાર સાથે સરોજમાસી ભાવનાથી જોડાયેલાં હતાં. તેઓનું વાત્સલ્ય મને ખૂબ લાધ્યું છે. તેમની પ્રેમની સાધનાનો દરેકને અનુભવ થતો જ.

પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરવામાં, સ્વામી વિદિતાત્માનંદજી કે જેઓ કાકાસાહેબના સાહિત્યના અત્યંત ચાહક છે તેમનો મને ઘણો સાથ-સહકાર મળ્યો છે. તેમનો હું અત્રે ઋણસ્વીકાર કરું છું. આ પુસ્તક માટે આશીર્વચન લખી આપવા બદલ તેમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા સ્નેહીભાઈ સતીશ શાહ જેમણે પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવા અંગેની આર્થિક સહાય આપી, તેમનો પણ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નવજીવન પ્રકાશન મંદિરનો પણ સૌહાર્દપૂર્વક સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરું છું.

(‘સપ્રેમ શુભાશિષ’ પુસ્તકની પ્રસ્તાવના)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 14 તેમ જ 13  

Loading

16 June 2022 admin
← રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોનું દળદર ફીટશે ?
પતિ, પત્ની, વો, કુટુંબ અને મોબાઈલ … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved