લેખક આપણા સમયના ચુનંદા ગુજરાતીઓ પૈકી છે. એમણે ત્રણ-ત્રણ વડાપ્રધાનોના દફતરમાં અગ્રપદે કામગીરી બજાવી છે, તો ઇતિહાસ સહિતના વિષયોમાં વિદ્યાવ્યાસંગી હોવું એ એમની એક વિશેષ ઓળખ છે. એમનાં પ્રવાસસ્મરણો તાજેતરમાં જ ‘નિરુદ્દેશે’ એ શીર્ષક સાથે પ્રગટ થયાં છે. ઇમેજ પબ્લિકેશન્સ દ્વારા પ્રાપ્ય આ પુસ્તકમાંથી એક સ્મરણ અહીં સાભાર ઉતારીએ છીએ.
હિઝ ઇમ્પિરિયલ મૅજેસ્ટી ધ શાહ ઑફ ઇરાન તરફથી ભારતના નાયબ વડાપ્રધાનને ઇરાનની મુલાકાત માટે નિમંત્રણ મળે છે એ વિરલ ઘટના હતી. ૧૯૬૦ અને ૧૯૭૦ના દસકાઓમાં મધ્ય પશ્ચિમ એશિયામાં શાહનું ખાસ્સું વજન પડતું હતું. વળી, અમેરિકા સાથે તો વધુ નિકટતા કેમ કે ઇરાન ત્યારે મિડલ ઇસ્ટર્ન ડિફેન્સ ઑર્ગેનાઈઝેશનનું સભ્ય હતું. પૅટ્રોલિયમ પેદાશોની અગત્ય અમેરિકા અને શાહ સૌથી પહેલાં સમજેલા. ઇરાનના પાકિસ્તાન તરફી વલણને બદલવા ભારત પ્રયત્નશીલ હતું. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ઇરાને પાકિસ્તાનના હવાઈ દળને વિના મૂલ્યે ઈંધણ ભરવાની સગવડ કરી આપી હતી, તે હકીકત ભુલાઈ ન હતી. રાજકીય મુત્સદ્દીગીરી દ્વારા ઇરાનને પડકારવાનું કે આર્થિક નીતિઓથી એને નુકસાન પહોંચાડવાનું કોઈ રીતે શક્ય ન હતું. જરૂર હતી ઇરાનને પાકિસ્તાન તરફે તટસ્થ કરવાની.
ઇરાનનું ઔદ્યોગિકીકરણ કરવાની શાહની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ હતી. ૧૯૬૮માં ઇરાનની મુલાકાત પછી રૉબર્ટ મૅકનમારા ભારત આવેલા. ત્યારે ઇરાનની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ વિશે એમણે મોરારજીભાઈને વાત કરેલી. પેટ્રોકૅમિકલ ઉદ્યોગોને અગ્રિમતા આપી એમાં જંગી રોકાણ કરવાનો શાહનો ઇરાદો છે, એ મૅકનમારાએ જણાવ્યું. જ્યારે મૅકનમારાએ શાહને પૂછ્યું કે એ માટે તમે તાલીમ પામેલા શિક્ષિત કર્મચારીઓ ક્યાંથી લાવશો? ત્યારે એમનો ત્વરિત જવાબ હતો, ‘કેમ વળી? ભારતમાંથી.’ એ સમયે આર્ય મહેર ૨૭ વર્ષથી ઇરાનની ગાદી પર હતા. એમનાં છેલ્લાં રાણી ફરાહ, જેને પાછળથી શાહબાનુનો દરજ્જો આપેલો, લગ્નને પણ દસ વર્ષ વીતી ગયેલાં.
શાહ એક વિચક્ષણ અને અનુભવી મુત્સદ્દી હતા. એમને આ વિસ્તારના બૅલેન્સ ઑફ પાવરને ફરી ચકાસવાની જરૂર સમજાઈ હતી. આ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મોરારજીભાઈએ ૧૯૬૮માં ઇરાનની મુલાકાત લીધી. બંને મહાનુભાવોની વચ્ચે સદ્ભાવના સ્થપાઈ. અમે કેટલીયે વખત જોયું કે દૃઢ સ્વભાવવાળા લોકોને એકબીજા સાથે વધુ ફાવે છે. મોરારજીભાઈ એમની આત્મકથામાં લખે છે : ‘મારે શાહ સાથે લંબાણપૂર્વક વાતો થઈ, એમણે મિત્રતા દાખવી અને મારી સાથે ખૂબ જ આદરથી વર્ત્યા. શાહ અને બીજાઓ સાથેની વાતચીતથી મને એવી છાપ પડી કે તેઓ ભારતની નજીક આવવા માગે છે.’ ‘ઇન્ડિયન ફૉરેન રિવ્યૂએ આ મુલાકાતને એક મોટી સિદ્ધિ ગણી.’
દસ વર્ષ પછી જનતાપાર્ટીના સમય દરમિયાન શાહ ભારતની મુલાકાતે આવેલા. એમના પ્રવાસને અંતે, જ્યારે બંને નેતાઓ એકલા હતા, ત્યારે ૮૨ વર્ષના વૃદ્ધ વડાપ્રધાને ૫૯ વર્ષના અક્કડ રાજવીને કહ્યું : મેં સાંભળ્યું છે કે શાવક (ઇરાનની સિક્રેટ સર્વિસ) વધારે પડતો જુમલો કરે છે. પ્રજાની નારાજી વધતી જાય છે. આપે સલામતીની દૃષ્ટિએ વિચારવું જોઈએ. વિરોધીઓ તો બધે હંમેશાં હોવાના.’ આ શબ્દો ‘આપ નામદાર’ને નહીં, પણ આપ કહીને ઉચ્ચારાયેલા. આવી સલાહ શાણપણભરી ન કહેવાય, બલકે એક મોટી ગેરસમજ ઊભી કરે, પરંતુ શરૂઆતમાં સ્તબ્ધ થઈને ખાસ્સો સમય ચુપકીદી સેવ્યા પછી શહેનશાહે એમનું મસ્તક હલાવ્યું. મોરારજીભાઈ સિવાય બીજું કોણ આવી રીતે વણમાગી સલાહ આપે? અને તે ય રાજકીય પ્રોટોકૉલને નેવે મૂકીને? અને છતાં હકારાત્મક પ્રત્યુત્તર મેળવે?
૧૯૬૮ની અમારી ઇરાનની મુલાકાત દરમિયાન મીટિંગો, કાર્યક્રમો વગેરેમાં વ્યસ્ત હોવા છતાં પહેલે જ દિવસે મોરારજીભાઈએ અછડતો ઉલ્લેખ કરીને અમને કહ્યું કે, ‘યરવાડાના જેલવાસ દરમિયાન મારી સાથે એક ઇરાનનો પત્રકાર હતો.’
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ઍક્સિસ દેશોના નાગરિકોને બંદી બનાવ્યા હતા. અને મોરારજીભાઈના કહેવા પ્રમાણે, સૈફ આઝાદ થોડાં વર્ષો જર્મનીમાં રહ્યા હોવાને કારણે નાઝીના ટેકેદાર માનીને એમને અટકાયતમાં રાખ્યા હતા.
મોરારજીભાઈએ સૈફ આઝાદને યાદ કર્યા, એ તરફ અમે ખાસ ધ્યાન ન આપ્યું. ફરી, બીજે દિવસે સવારે એમણે કહ્યું, ‘એનું નામ સૈફ આઝાદ હતું. એ એના કુટુંબ વિશે અને ખાસ કરીને એની નાની દીકરીની વાત કરતા હતા.’ લાગણીશૂન્ય મનાતા મોરારજીભાઈએ ઉપરાઉપરી બે દિવસ, વર્ષો પહેલાંના એમની સાથેના જેલના અંતેવાસીને યાદ કર્યા, એ એમનો સૈફ આઝાદમાં રસ બતાવવા પૂરતા હતા. અમે ભારતીય દૂતાવાસમાં તપાસ કરાવી. એમના સરનામાની ડાયરીમાં કોઈ સૈફ આઝાદ ન મળે. ત્રીજે દિવસે મોરારજીભાઈ ફરી બોલ્યા કે સૈફ આઝાદ અત્યારે જીવતા હોય, તો એ ૯૦ વર્ષના હોય ! મોરારજીભાઈ દ્વારા આવી લાગણી બતાવવાનું ભાગ્યે જ બને. એટલે અમે ઇરાનની માહિતી-કચેરીમાં તપાસ કરી. ઇરાનમાં વર્ષોથી વસતા ભારતીય સમુદાય દ્વારા તપાસ કરી, પણ બધેથી નનૈયો મળ્યો. શાહ સાથેની મીટિંગ કાસ્પિયન સમુદ્ર પરના નૌશહર પરના તેમના ગ્રીષ્મ મહેલમાં હતી. મહેમાનગતિ ભભકાદાર હતી. અમે ભારતીય દૂતાવાસને સૈફ આઝાદને શોધવાની સૂચના આપેલી હતી. મુસાફરી દરમિયાન મોરારજીભાઈએ ફરી વાત કાઢી. ‘હું એને ગીતા શીખવતો હતો અને એ મને કુરાન વિશે સમજાવતા હતા. અમે એકબીજાનાં કુટુંબ વિષે વાતો કરતા. હવે તો એ ક્યાંથી જીવતા હોય!’ મોરારજીભાઈ ભાગ્યે જ કોઈ માટે આવી લાગણીઓ બતાવતા, જો કે અમે જાણતા ખરા કે તેઓ સ્નેહથી લોકોની ખબર રાખતા અને એમનામાં રસ લેતા.
અમને કોઈ રસ્તો સૂઝ્યો નહીં.
અમે પાછા તેહરાન પહોંચ્યા. છેલ્લા દિવસે અમારા સાથીઓ ખરીદી કરવામાં અને સામાન બાંધવામાં પડ્યા હતા. ભારતીય રાજદૂત બીજે કશે રોકાયેલા હતા. ઇરાનમાં વસતા ભારતીય નાગરિકો સાથેની મીટિંગમાં મોરારજીભાઈ સાથે અમે એકલા હતા. દરેક જગ્યાએ બનતું તેમ આ બધા વિદેશનિવાસી ભારતીય નાગરિક દેશને કેમ ચલાવાતો તે વિશે ઉપપ્રધાનમંત્રીને સલાહસૂચનો આપતા હતા! જાતજાતની દરખાસ્તો આવતી હતી. કેટલાંક કવરો દૂતાવાસ તરફથી અમને આપવામાં આવેલાં, એમાં અમે સૈફ આઝાદના નામવાળું એક કવર જોયું. તરત જ ખોલ્યું, એમાં લખેલું કે ‘તમે તો હવે મોટા માણસ થઈ ગયા છો એથી હું બહુ રાજી છું. મને તો તમે ભૂલી ગયા હશો, પણ આપણે યરવાડા જેલમાં સાથે હતા. તમે મને ગીતા શીખવતા હતા. તમારો દીકરો કેમ છે, દીકરીઓ ક્યાં છે? મારી વૃદ્ધાવસ્થામાં હું ખાસ હરી-ફરી શકતો નથી. મારી દીકરી મારી સંભાળ રાખે છે. ઈશ્વર તમને તમારા દેશની સેવા કરવાનાં વધુ વર્ષો આપે અને એના આશીર્વાદ તમને મળે.’
અમે મોરારજીભાઈને એમના નિયત કાર્યક્રમથી ચલિત થતાં આ પહેલાં કે પછી ક્યારે ય જોયા નથી. એમણે કાગળ વાંચ્યો અને કહે, ‘ચાલો’, તેહરાનના જૂના વિસ્તારમાં સૈફ આઝાદને મળવા, ભારતના નાયબ વડાપ્રધાનને લઈ જવા માટે ઇરાની સલામતી રક્ષકો અને ભારતીય દૂતાવાસ વચ્ચે સંધાન-ટુકડીને સમજાવવામાં થોડો સમય ગયો.
આગળ-પાછળ આઉટરાઇડર્સની ટુકડીની વચ્ચે લાંબી મર્સિડીઝ ગાડી ગલીકૂંચીઓ વીંધીને રસ્તો પૂછતી જતી હતી, એમ અમે સૈફ આઝાદને ઘેર પહોંચ્યા. એક નાનકડું સામાન્ય ઈરાનિયન ઘર હતું. જેવું આપણે ત્યાં હોય છે – ફક્ત તુલસીક્યારો ન હતો – મધ્યમાં એક ચોક અને એની બંને બાજુ ઓરડીઓ. સૈફ આઝાદના નાનકડા ઓરડામાં એમનો ખાટલો હતો, એક લખવાનું ટેબલ અને ખુરશી, એક નાનું સ્ટૂલ અને ચારે બાજુ ધૂળે ભરાયેલાં છાપાં અને સામયિકો વેરાયેલાં. એ તો ગદ્ગદિત થઈ ગયા. ઊંચા અને પડછંદ પણ વ્યાધિઓને કારણે કેડમાંથી ૯૦ ડિગ્રીએ વળી ગયેલા લેંઘા-ગંજીમાં સૈફ આઝાદ અને મોરારજીભાઈ ભેટી પડ્યા. પછી લાંબો સમય એકબીજાને તાકતા રહ્યા. સૈફ આઝાદની આંખમાંથી આંસુની ધાર ચાલતી રહી. મોરારજીભાઈને નોંધ્યું છે, ‘અમે ખૂબ ભાવવિભોર થઈને મળ્યા.’
સૈફ આઝાદ એમની પથારીમાં પડ્યા અને મોરારજીભાઈ સામે ખુરશી પર બેઠા, અમે સ્ટૂલ ખેંચીને બેઠક લીધી. એમની દીકરી આવી, એટલે સૈફે એને કહ્યું. ‘મેં તને કહ્યું હતું ને કે મારો કાગળ વાંચશે, તો એ જરૂર મને મળવા આવશે?’ દીકરીનો પરિચય આપ્યો અને એ આ ભારતથી આવેલા કાકાને નમસ્તે કરીને તેમના માટે લીલા કાચનો શરબતનો ગ્લાસ અને કાચની ગોળીવાળી સોડાવૉટરની બાટલી લઈને આવી. મોરારજીભાઈ એમના ખોરાકની બાબતમાં ખૂબ જ આગ્રહી હોવા છતાં આ શરબતનો ગ્લાસ એમણે પીધો અને કુટુંબની, જેલવાસની, સૈફ આઝાદની ભારતથી પાછા ફર્યા પછીની મુશ્કેલીઓની અને બંને દેશોની પરિસ્થિતિની વાતોએ વળગ્યા. અમે જવા માટે ઊભા થયા, ત્યારે મોરારજીભાઈએ એમના મિત્રને હાથ પકડીને ઉઠાડ્યા, એમના પડછંદ શરીરને ટેકો આપીને બહાર દરવાજા સુધી લાવ્યા. બંને એકબીજાની સામે નજરમાંથી ઓઝલ થયા, ત્યાં સુધી હાથ હલાવતા રહ્યા.
કોઈ ને કોઈ કારણસર અમારે વારંવાર ઇરાન જવાનું થયું છે. સૈફ આઝાદની વાર્તા અહીં પૂરી થતી નથી. ૧૯૯૦માં એક વખત ઇરાનની નૅશનલ પેટ્રોકૅમિકલ કંપની(NPC)નું એક જૂથ એમની પેદાશોના વેચાણ અંગે તેમ જ એમના કર્મચારીઓની તાલીમ અંગે આઈ.પી.સી.એલ.ની મુલાકાતે આવ્યું. અમે એ સૌને અમારે ત્યાં ભોજનનું આમંત્રણ આપ્યું. આવી રસમથી તેઓ ટેવાયેલા નહીં. ભોજન પછી અમે ફિરદૌસ, શેખ, સાદી, હાફીઝ શિરાઝીની વાતો કરી, બંને દેશો વચ્ચે લાંબા સમયથી જોડાયેલા સંબંધની વાતો કરી અને ભારતના દરબારોમાં ફારસી ભાષાની અસરની વાતો થઈ. અમે ૨૦ વર્ષ જૂની મોરારજીભાઈ અને સૈફ આઝાદના મિલનની વાત કરી. જૂથના નેતા ઇબ્રાહિમ મિયાંની આંખો ભીની. બીજાઓ પણ લાગણી ભીના થઈ ગયેલા. ઇબ્રાહિમ મિયાં પૂછે કે એ દેસાઈસાહેબને મળી શકે? બીજી દિવસે તેઓ તેહરાન પાછા જવાના હતા, એટલે અમે એમને ફરી આવે, ત્યારે ચોક્કસ મુલાકાત ગોઠવીશું એમ કહ્યું.
ઇબ્રાહિમ મિયાંએ પાછા જઈને આ વાત બધાને કરી હશે, એટલે થોડા મહિના પછી અમે એન.પી.સી.ની મુલાકાતે ઇરાન ગયા, ત્યારે અમારે માટે તો લાલ જાજમ બિછાવેલી. દરમિયાનમાં અમે આયાતોલ્લાનાં લખાણો, વક્તવ્યો વાંચી લીધેલાં. વાટાઘાટો વખતે અમે એકલા આયાતોલ્લાના ફોટા નીચે એક તરફ બેઠેલા અને ટેબલની સામે સાત જણાં શરૂઆતમાં જ અમે કહ્યું, કે એકલો નથી, એમ કહીને ઉપર આયાતોલ્લાના ફોટા તરફ જોયું. ત્યાર પછીની વાટાઘાટમાં અમારી બધી શરતો એમણે સ્વીકારી.
એમના નાયબ પ્રધાન દ્વારા અમને ફરી ઇરાનની મુલાકાતનું નિમંત્રણ મળ્યું અને તે પણ પત્ની સાથે. જ્યારે નીલા અને હું તેહરાન પહોંચ્યાં, ત્યારે તેઓ તેમની પત્ની સાથે અમને હોટેલ પર મળવા આવ્યા અને બીજે દિવસે અમારા માટે ભોજન-સમારંભ રાખ્યો. સામાન્ય રીતે આવા સમારંભોમાં મહિલાઓને આમંત્રણ નથી હોતું. પણ અપવાદ રૂપે બાજુના રૂમમાં મહિલાઓ માટે જુદી વ્યવસ્થા કરેલી. આપણા રાજદૂત હમીદ અન્સારીએ (જેઓ હાલ આપણા ઉપરાષ્ટ્રપતિ છે) અમને પૂછ્યું. “હસમુખભાઈ, યે કૈસા જાદુ કિયા હૈ આપને? મારાં પત્નીને આજ સુધી ક્યાં ય આવી રીતે નિમંત્રણ મળ્યું નથી.’ આ જાદુ તો પેલા બે વૃદ્ધ માણસોની ઉષ્માભરી મિત્રતાનો હતો. જેઓ જુદાં-જુદાં કારણોસર યરવડા જેલમાં સાથે રહ્યા હતા.
અમે ઇબ્રાહિમ મિયાંને પૂછ્યું કે સૈફની દીકરી તેહરાનમાં રહે છે? અમારી ફરી વારની મુલાકાત વખતે તેઓ તપાસ કરી રાખશે, એવી એમણે એ બાંયધરી આપી. અમારે જ્યારે ફરી ઇરાન જવાનું થયું, ત્યારે એને માટે અમે ભેટસોગાદો લીધેલી. એ તો મસાદમાં સ્થાયી થયેલી અને માંદગીને કારણે તેહરાન આવી શકે નહીં. ઇબ્રાહિમ મિયાંએ ભેટ પહોંચાડેલી.
ઇરાનની અમારી મુલાકાતો દરમિયાન સૈફ આઝાદ અને આર્ય મહેર અમારી યાદદાસ્તમાં જડાયેલા રહ્યા છે. પણ જે સ્થળે અમને સૌથી વધુ સુખદ અનુભૂતિ થઈ તે હાફીઝ શિરાઝીની કબરે. સાવ સાદી અને પવિત્ર, કોઈ ભભકો નહીં, કોઈ ઝાકમઝાળ નહીં. એવી હાફીઝ શિરાઝીની મઝાર એક યાત્રાના સ્થળ જેવી છે. સવારના ઊગતા સૂરજનાં કિરણોમાં નારંગીનાં વૃક્ષોનાં ઝુંડ પર સોનેરી આભા છલકે. બધી ઉંમરનાં બાળકો, સ્ત્રીઓ, પુરુષો, સામાન્ય વર્ગના કે ઉચ્ચ વર્ગના બધાં જ ચુપકીદીથી પરિસરમાં પ્રવેશે, નમન કરીને હાફીઝનું પુસ્તક (ત્યાં થોડી પ્રતો રાખેલી છે) લઈને ખોલીને બેસે. માન્યતા એવી છે કે તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય, તેનો જવાબ તમે જે પાનું ખોલ્યું હોય, તેમાંથી મળી રહે. ત્યાં બેસી જ રહેવાનું મન થાય. ટાગોર પણ આ પવિત્ર ભૂમિની મુલાકાતે આવી ગયેલા.
શિરાઝનો પૂર્વમાં સંસ્કૃતિના મથક તરીકેનો ઇતિહાસ છે. તમે રસ્તા ઉપર ચાલતા હો, ત્યારે પણ મહામૂલા ઇરાની ગાલીચા પર ચાલવાનું બને. એ ગાલીચાઓ રસ્તા પર જાણીજોઈને બિછાવે, જેથી વપરાવાથી એની ગૂંથણી બરાબર સુંવાળી અને મજબૂત થઈ જાય.
એક વાર સાંજે હોટેલ પર પાછા ફરીને મારા સાથીઓ સાથે અમે ઇરાનનાં ઇતિહાસ, ભાષા અને કવિતા તેમ જ સૈફ આઝાદની વાત કરી, ત્યારે જે ઇરાની ઑફિસર અમારી સરભરા કરતો, તે લોકલ વોડકાની એક બૉટલ લઈને આવ્યો – આ ત્યારે જ્યારે મુલ્લાઓનું ઇરાન પર વર્ચસ્વ હતું.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 03 – 04