જ્યોર્જસાહેબ ગયા … એક ઝંઝાવાત સ્મૃતિમાં સમેટાઈ ગયો! એમનાં છેલ્લાં પથારીવશ નહીં તો પણ ઘરબંધ વર્ષો જોતાં જીવનનાં જે ઉત્તમ વર્ષોમાં એમણે સંકલ્પ અને સાહસનો સક્રિય હિસાબ આપ્યો એનો ભાગ્યે જ ખયાલ આવે.
દેશના રાજકીય આકાશમાં કટોકટીની કાળરાત્રિમાં બરોડા ડાઈનેમાઈટ કેસ સાથે એ એક સિતારાની પેઠે ચમક્યા અને જનમાનસમાં છવાઈ ગયા. ૧૯૭૫-૭૭નાં એ વર્ષો પહેલાં જો કે આપણી રાજનીતિમાં કંઈક સાક્ષાત્કાર કહેવાય એ રીતે ૧૯૬૭માં એમનું નામ ચમક્યું હતું. મુંબઈના બેતાજ બાદશાહ કહેવાતા દેશના ધુરંધર રાજકારણીઓ પૈકી મુઠ્ઠીભર માંહેલા એક સદોબા પાટિલને લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ મુંબઈની બેઠક પર હરાવીને એ જાયન્ટકિલરનું ધુવાંધાર બિરૂદ રળ્યા હતા.
એ દિવસોમાં એમની ઓળખ એક અનોખા, આગ્રહી (અને આક્રમક તેવરના) ટ્રેડ યુનિયનિસ્ટની હતી. રામ મનોહર લોહિયાની દૃઢ મુદ્રાથી અંકિત સમાજવાદી રુઝાન ત્યારે હતું અને આજીવન રહ્યું. સાહસી એટલી જ ચિકિત્સક પ્રકૃતિના આ જીવે એમનાં આરંભિક વર્ષોમાં (મેંગલોર-કર્ણાટકમાં) પકડેલો પહેલો રાહ પાદરી થવા માટેના પ્રશિક્ષણનો હતો. પણ એમની જિજ્ઞાસા અને કૌતુક કોઈ બદ્ધમત એવા ધર્મનાં બંદી રહી શકે એમ નહોતાં, અને એ બહુ ઝડપથી સમાજવાદી વિચારો તરફ વળી ગયા. ધાર્મિક શિક્ષણનાં ‘સેમિનારી’ વર્ષોમાંથી જો કે એ એક વાત પાક્કી કરી લાવ્યા, અને તે લૅટિન ભાષા. વિવિધ ભાષાઓમાં પ્રવેશ અને પકડ એમને આજીવન રહ્યાં, અંગ્રેજી-હિંદી બેઉમાં રવાની ઉપરાંત લૅટિન, મરાઠી, ઉર્દૂ, મલયાલમ પણ.
કટોકટી પછી બનેલી જનતા સરકારમાં ઉદ્યોગ પ્રધાન તરીકે એમનું એક વિશેષ વલણ મલ્ટિનેશનલ કંપનીઓ સામેની ઝીંકનું હતું. મોરારજી દેસાઈની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારે બચાવમાં થયેલાં જોરદાર ભાષણોમાં એમનું મોખરે હતું, પરંતુ આખરી નિર્ણયમાં તે સરકાર સાથે રહ્યા નહોતા. આ સરકાર અસ્થિર થઈ એમાં મહત્ત્વનો મુદ્દો જનતા પક્ષના અંગભૂત જનસંઘની બેવડી વફાદારીનો હતો. તેઓ જનતા પક્ષને વફાદાર છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને, એવો મુદ્દો એ ગાળામાં સતત ઉપસ્થિત થતો રહેતો હતો.
૧૯૭૭-૧૯૭૯ના, રાજકીય સત્તાના એક ટૂંકા ગાળા પછી સંસદમાં અને સંસદ બહાર વિપક્ષી સક્રિયતાના એક દોર બાદ ૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપસિંહની જનતાદળની સરકારમાં અને તે પછી ૧૯૯૮-૨૦૦૪ની વાજપેયીના વડપણ હેઠળની એન.ડી.એ. સરકારોમાં એક મંત્રી તરીકેની એમની કામગીરી રહી. આ વર્ષોમાં કોંકણ રેલવે સહિત એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું. તહલકા કેસમાં, સંરક્ષણ સોદામાં થતા ભ્રષ્ટાચાર સબબ એ વિવાદનો વિષય રહ્યા. પણ આ વર્ષોમાં એમની રાજકીય પ્રતિભા મુખ્યત્વે વાજપેયી સરકારના એક સંકટ મોચક (ટ્રબલ શુટર) તરીકે તેમ એન.ડી.એ.ના સંયોજક તરીકે ખાસી ઉભરી. ઉલટ પક્ષે, એમના જેવા ઝુઝારુ સમાજવાદી ભારતીય જનતા પક્ષનાં કોમી વલણો ઢાંકનારા ફિગ-લીફ(અંજીરપાંદ)ની ગરજ સારતા હોવાની છાપને કારણે ચાહકોના એક વર્ગમાં ટીકાભાજન પણ બન્યા. એમની દલીલ કદાચ એ હતી કે મારું ભા.જ.પ. સમવાય સાથે હોવું એ જૂના બિનકૉંગ્રેસવાદનું જ એક રૂપ છે. સામી બાજુએ મુદ્દો એ હતો કે બિનકૉંગ્રેસવાદ જે જયપ્રકાશની પ્રેરણાથી જનતા પક્ષ રૂપે ઉભર્યો એમાં જનસંઘ એક ઘટક તરીકે પોતાની કોમવાદી ભૂમિકાને સંયમમાં રાખવાને કંઈક પણ બાધ્ય હતો. એથી ઊલટું, ભારતીય જનતા પક્ષ પર એવું કોઈ નિયમન નથી.
વાજપેયી સરકારના પતન પછીનાં ફર્નાન્ડીઝનાં વર્ષો એક પ્રકારે બિયાબાંના રહ્યાં. સમતા પાર્ટી, વળી જનતા દળ (યુનાઈટેડ) વગેરે ઉધામા એમની શક્તિ અને પ્રતિભાને જેબ આપી શક્યા નહીં. એકંદરે, ઘણી શક્યતાઓ સામે ઓછી ને પાછી પડેલી એક કારુણિકા જેવી કહાણી એમની રહી.
જે ફાંટેબાજ મિજાજ એમનો હતો, લકીરના ફકીર નહીં બની રહેવાનો જે અંદાજ એમનો હતો તે અલબત્ત વખતોવખત પ્રગટ થતો રહ્યો. કોંકણી, અંગ્રેજી, હિંદી પત્રકારિતાના એમના પ્રયાસોમાં એક મૌલિક ઉન્મેષ જણાય છે, પછી તે ‘ધ અધર સાઈડ’ હોય કે ‘પ્રતિપક્ષ’. ચાલુ રાજપ્રકરણી વહેવાર વચ્ચે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને પિ.યુ.સિ.એલ. જેવી સ્વતંત્ર સંસ્થાઓ તરફે સક્રિય સંડોવણી, મ્યાંમારના સ્વાતંત્ર્ય સૈનિકો સાથેની દિલી દોસ્તી ને ઉઘાડાં બારણાંનો વહેવાર, પુનર્જન્મ હોય તો અમેરિકા-ફ્રાન્સ-ચીનથી આક્રાન્ત વિયેટનામી રૂપે જન્મ લઈ સંઘર્ષ કરવાનો પુણ્યઆક્રોશ, પહેલપ્રથમ સાંસદ થયા ત્યારે જનતાના પ્રત્યક્ષ સંધાનના મુદ્દે સભ્યપદ છોડવાની ધખના, પાદરીબાવામાં નહીં બંધાઈ જતો જીવ આ બધું અનિરૂધ્ધપણે ક્યાંથી ક્યાં લઈ ગયું હોત એમને!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 02 અને 15