ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ્યારે અચાનક નોટબંધીની ઘોષણા કરવામાં આવી, ત્યારે અર્થશાસ્ત્રીઓમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપવા માટેની જાણે રેસ લાગી ગઈ હતી. પરંતુ, આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે આ મુદ્દે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ એવું નિવેદન આપ્યું કે નોટબંધી એ ભારતીય રાજનીતિક ઇતિહાસનું સૌથી મહાન પગલું છે, આ રીતે વિરાટ કોહલીએ નોટબંધીને સમર્થન આપ્યું હતું. ક્રિકેટ અને રાજકીય નેતાઓ વચ્ચેનો સંબંધ એ કોઈ નવી વાત નથી. કોંગ્રેસ અને ભાજપનાં નેતાઓ લાંબા સમયથી ક્રિકેટના મુદ્દે રાજનીતિ કરતાં આવ્યા છે. છતાં પણ વિરાટ કોહલીનું નોટબંધી વિશેનું આ નિવેદન અભૂતપૂર્વ હતું. આ પૂર્વે કોઈપણ ક્રિકેટરે, કોઈપણ પ્રધાનમંત્રીના નિર્ણય વિશે આટલી જલદી પ્રશંસા નહોતી કરી.
આખરે આપણા ક્રિકેટરો રાજનીતિ, ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિશે એવું તો કેટલું જાણે છે કે તેઓને નોટબંધી જેવા નિર્ણય પર આ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો અધિકાર મળી જાય? ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર્સ જનતામાં લોકપ્રિય છે. ક્રિકેટરો જવલ્લે જ કોઈ પ્રતિભાશાળી નેતા સાથે જોડાયેલો હોય એવું જોવા મળે છે જ્યારે ફિલ્મ દુનિયામાં તો નેતા-પ્રેમ એ સામાન્ય બાબત છે. જો અભિનેતા અમિતાભ બચ્ચનની જ વાત કરીએ તો તેઓ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય અભિનેતા છે. એંશીના દાયકામાં લાંબા સમય સુધી તેઓ કોંગ્રેસ પક્ષના ખૂબ જ નિકટ હતા. રાજીવ ગાંધીના કહેવાથી તેઓ અલાહાબાદની કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ જીત્યા હતા. પરંતુ, ૧૯૯૦ના દાયકામાં તેઓના સંબંધમાં તિરાડ પડવા લાગી, આ એ સમય હતો કે જ્યારે ભારતીય રાજનીતિમાં કોંગ્રેસની ચમક ઝાંખી પડવા લાગી હતી. વર્ષ ૧૯૯૬માં દિલ્હીની સત્તા માટે એક સંયુક્ત મોરચો આકાર લઇ રહ્યો હતો અને તે પૈકી એક મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટી પણ હતી. નહેરુ-ગાંધી પરિવારથી દૂર થયેલો બચ્ચન પરિવાર મુલાયમ કુટુંબની નિકટ આવતો જોવા મળ્યો અને જેના પરિણામે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જયા બચ્ચનનો રાજ્યસભામાં પ્રવેશ થયો.
પરંતુ, હાલનાં વર્ષોમાં અમિતાભ બચ્ચન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની ખૂબ જ નિકટ જોવા મળી રહ્યા છે. જાન્યુઆરી ૨૦૧૦માં અમિતાભ બચ્ચન તેમની ફિલ્મના પ્રચાર માટે ગુજરાત આવ્યા ત્યારે તેમની મુલાકાત તે વખતનાં ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી સાથે થઇ અને ત્યારબાદ અમિતાભ બચ્ચનને ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ અમિતાભ બચ્ચન મે, ૨૦૧૬માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આયોજીત સરકારી કાર્યક્રમનું સંચાલન કરતા પણ જોવા મળ્યા. અભિનેતા પણ એક નાગરિક છે માટે તેમનાં પર રાજનૈતિક અભિવ્યક્તિ મુદ્દે આરોપ લગાવવો જોઈએ નહિ. પણ, બચ્ચન પરિવારના એક બાદ એક બદલાયેલા રાજનૈતિક વળાંકોને સહજતાથી આંકી શકાય નહિ.
જો આપણે હોલિવૂડના ટોચનાં અભિનેતાઓની વાત કરીએ તો ત્યાં પણ રાજનૈતિક પ્રતિબદ્ધતા છે પણ તે કોઈ એક પક્ષ સુધી જ સીમિત છે. અભિનેતા જ્યોર્જ ક્લૂની ડેમોક્રેટિક પક્ષ માટે પ્રતિબદ્ધ છે તો પછી તે હંમેશાં એ પક્ષ માટે જ પ્રતિબદ્ધ રહેશે. એટલી હદ સુધી કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જ્યોર્જ ક્લૂનીને આમંત્રણ આપે તો પણ તેઓ તેમની શપથવિધિના સમારંભમાં નહિ જાય. અભિનેતા ક્લીન્ટ ઇસ્ટવૂડે પણ એક સમયમાં રિપબ્લિકન પાર્ટીના નેશનલ કન્વેન્શનને સંબોધિત કર્યું હતું પણ તેઓ ક્યારે ય ડેમોક્રેટિક પાર્ટીની આસપાસ પણ જોવા મળ્યા નથી. પશ્ચિમમાં અભિનેતાઓ સામાજિક કાર્યોમાં પણ સક્રિય જોવા મળે છે. અભિનેત્રી એન્જેલીના જોલી તે પૈકી એક છે કે જેણે વંચિત અને જરૂરિયાતમંદ બાળકો માટે ઘણું કાર્ય કર્યું છે. પણ ત્યાં પોતાની રાજનૈતિક અથવા સામાજિક પ્રતિબદ્ધતા પ્રત્યે અલગ પ્રકારનું સમર્પણ જોવા મળે છે.
પરંતુ, ભારતમાં આ પ્રકારની પ્રતિબદ્ધતા જોવા મળતી નથી. અહીં તમામ અભિનેતાઓમાં નેતાની આસપાસ ફરવા માટેની ઈચ્છા જોવા મળે છે. પરંતુ, ભારતમાં ક્ષેત્રિય સિનેમામાં એમ.જી. રામચન્દ્રન અથવા એન.ટી. રામારાવ જેવા ઉદાહરણ ચોક્કસ જોવા મળે છે કે જેમણે પોતાના પક્ષ માટે રાજનીતિ કરી છે. વર્તમાનમાં પ્રકાશ રાજ અને કમલ હસન જેવા અભિનેતા છે કે જેઓ જાહેરમાં સરકાર વિષયક પોતાનાં નિવેદનો પ્રગટ કરી રહ્યા છે. એ જરૂરી નથી કે અભિનેતા એ રાજનેતા બને. તે અભિનેતા પણ સન્માનીય છે કે જે પોતાના કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ છે અને રાજનીતિથી દૂર રહે છે. વર્ષ ૨૦૦૬માં જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે અભિનેતા શાહરૂખ ખાન પોતાની ફિલ્મના નિમંત્રણ સાથે સોનિયા અને રાહુલ ગાંધીને તેમનાં ઘરે મળવા ગયા હતા. ત્યારબાદ શાહરૂખ ખાને મીડિયાને જણાવ્યું હતું કે સોનિયા ગાંધી એ એવા મજબૂત નેતા છે કે જેમની દરેક લોકોએ પ્રશંસા કરવી જોઈએ. આશા રાખીએ કે શાહરૂખ ખાન ભવિષ્યમાં પણ સોનિયા ગાંધી પ્રત્યે પોતાનું આ જ મંતવ્ય ધરાવશે કે જ્યારે આપણે જાણીએ છીએ કે સોનિયા ગાંધી હાલ વિપક્ષમાં છે.
વર્ષ ૨૦૧૬ના મે મહિનામાં અભિનેતા ઋષિ કપૂરે ‘નહેરુ-ગાંધી પરિવારના નામ આધારિત તમામ યોજનાઓનું નામકરણ’વાળી પોતાની ટ્વીટથી ખળભળાટ મચાવી દીધો હતો. ઋષિ કપૂરે કશું જ ખોટું નહોતું કર્યું પણ જો આ વાત કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે કહેવામાં આવી હોત તો વધારે વિશ્વસનીય લાગી હોત. ભારતીય અભિનય બિરાદરીની એક ખાસિયત એ છે કે તેઓ સમય અને સત્તા જોઈને વાત કરે છે. આમિર ખાને પણ દેશમાં અસહિષ્ણુતાનાં મુદ્દે વાત રજૂ કરી અને ત્યારબાદ સંઘના પ્રમુખના હાથે પુરસ્કાર લઈને સત્તા સાથેનાં સંબંધ જાળવવાના પ્રયત્ન પણ કર્યા. જ્યારે નોટબંધીની નકારાત્મક અસર જોવા મળી ત્યારે ઉદ્યોગપતિ રાજીવ બજાજે પણ સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. આપણા દેશમાં જ્યોર્જ સોરોસ જેવું તો ઉદાહરણ જોવા મળશે જ નહિ કે જેમણે સરકારની તાનાશાહી અને અનૈતિક વ્યવહારનો વિરોધ કર્યો અને પોતાની સંપત્તિ તેમ જ પ્રતિષ્ઠાની દરકાર સુધ્ધા કરી નહિ. ઈમરજન્સી દરમિયાન પણ કોઈ ઉદ્યોગપતિએ આ પ્રકારનું સાહસ દાખવ્યું નહોતું. તેનાથી વિરુદ્ધ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે કેટલાંક મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ બાબતે પ્રતિબંધ લાદ્યો ત્યારે માઈક્રોસોફ્ટ, ગૂગલથી લઈને એપ્પલ અને ફેસબુક જેવી કંપનીએ ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિનો વિરોધ કર્યો હતો. તેમનામાં અને આપણામાં આ જ મૂળભૂત અંતર છે.
આખરે ફિલ્મ સ્ટાર્સની માફક ઉદ્યોગપતિઓ પણ કેમ સત્તા પ્રત્યે આટલાં આદરણીય જોવા મળે છે? આનું કારણ કદાચ એક જ હોઈ શકે કે આપણા રાજનેતાઓમાં તેમનો ‘દુરુપયોગ કરવાની અદ્દભુત ક્ષમતા’ રહેલી છે. જ્યારે જ્યોર્જ સોરોસ અને મેરિલ સ્ટ્રીપ જેવી અભિનેત્રી ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ નિવેદન આપે ત્યારે તેમને એ વાતનો ખ્યાલ હોય છે કે ભવિષ્યમાં તેમનાં વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહિ થાય. આપણા દેશમાં સત્તા કોઈની પણ હોય પરંતુ આલોચકો અને વિરોધીઓના મુદ્દે સરકારી તંત્રનો ખુલ્લો દુરુપયોગ થાય છે. પોતાની અંદર રહેલો ડર જ આપણા ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સને સરકાર વિરુદ્ધ કશું પણ બોલવા માટે રોકે છે. કારણ કે એક વખત ધન અને પ્રસિદ્ધિ કમાઈ લીધાં બાદ તેને ગુમાવવાનો ડર પણ એટલો જ રહેલો હોય છે. જે સૌથી મોટો પ્રશ્ન છે.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com