દરેક જ્ઞાતિના લોકોએ પોતાનાં બાળકોનાં નામ કેવાં રાખવાં કે જેથી સાંભળતાંવેંત વિશેષ ભાવ પેદા કરે, તેના નિયમ ‘મનુસ્મૃતિ’માં જોઈ શકાય છે. બ્રાહ્મણના નામથી 'શુભ; શુકન'; ક્ષત્રિયના નામથી 'તાકાત' ; વૈશ્યના નામથી 'સંપત્તિ' અને શૂદ્રના નામથી 'નગુણાપણા' (जुगुप्सितम्)ના ભાવ પેદા થવા જોઈએ. (૨:૩૧) બ્રાહ્મણ નામ 'સુખ' સૂચક; ક્ષત્રિય નામ 'રક્ષણ' સૂચક; વૈશ્ય નામ 'સમૃદ્ધિ' સૂચક અને શૂદ્ર નામ 'ચાકરી' સૂચક હોવાં જોઈએ (૨:૩૨)
૧૯૭૭ની સાલમાં કૉલેજના અભ્યાસ દરમિયાન મારા અધ્યાપકોને સર્વેક્ષણમાં મદદ કરવા માટે ગુજરાતનાં ગામડાંમાં જતો ત્યારે સમજાતું ન હતું કે દલિતોનાં નામ 'પોચા', 'પુંજા', 'કચરા', મેલા', 'ગોબર', 'ગાંડા' કે 'ઘેલા' એમ શા માટે રાખતા હશે? જો કે, લોકો કહેતા પણ ખરા કે બાળકોનાં નામ 'આધુનિક' રાખીએ તો પણ નોંધણી કરતી વેળા તલાટી નામને તોડી-મરોડીને અપમાનજનક કરી નાખે છે. આજે પણ દેશમાં દલિત-આદિવાસી સ્ત્રીનાં નામ આ પ્રકારે જોવા મળે છે.
ચિતા પર પીછો ન છોડતો જ્ઞાતિનો ભેદભાવ
ખેર, મૂળ ગુજરાતના અને હાલ ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયેલા નટ-બજાણિયા પરિવારનાં નામ મનુસ્મૃતિેને ધ્યાનમાં લીધા વિના રખાયાં હતાં. પત્નીનું નામ પૂજા, પતિનું નામ રાહુલ અને એમના ચાર વર્ષના દીકરાનું નામ રોહન. ભારતમાં આવાં નામ ધરાવતા અભિનેતાઓ છે, ઉદ્યોગપતિ છે અને રાજકીય નેતા પણ. પરંતુ વિચરતી જાતિમાં ગણાતા આ પરિવારને જે વેઠવું પડ્યું, તે અન્ય 'પૂજા-રાહુલ-રોહન'ને વેઠવાનો વારો નહીં આવે.
પૂજા-રાહુલ-રોહનનો પરિવાર ઉત્તર પ્રદેશમાં આવેલી દુનિયાની અજાયબી જેવા તાજમહાલથી માંડ વીસ કિ.મી. દૂર રેભા નામના ગામમાં રહે છે. તેની સાથે અન્ય ત્રણ ગામ સાથે મળી 'કાકરપુરા' નામની જૂથ પંચાયત બને છે અને તે અછનેર તાલુકામાં આવે છે. રેભામાં પરિવાર સાથે રહેતાં પૂજાને ગર્ભાશયમાં ચેપ લાગતાં, લાંબી બીમારીને અંતે ૨૫ વર્ષની કાચી વયે, ૧૯ જુલાઈ ૨૦૨૦ના રોજ તેમનું મૃત્યુ થયું. કાકરપુર ગ્રામ પંચાયતનાં ચાર ગામ વચ્ચે ૧૧ સ્મશાન સરકારી ચોપડે બોલે છે. નટ-બજાણિયા પરિવારોએ પણ સરકાર પાસે સ્મશાન માટે જમીન માગી હતી. સરકારે એમને જમીન ફાળવવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી ઉત્તર પ્રદેશની કોઈ પણ સરકારે એમને એવું લખીને આપ્યું ન હતું કે સરકારી જમીન પર અને સરકારી નાણાંથી બનેલા સ્મશાન પર તમામ નાગરિકોનો વપરાશ-અધિકાર હોય છે. ગામમાં દલિતો માટે સ્મશાન છે, પણ અખબારી અહેવાલો દર્શાવે છે કે તે જમીન પર બ્રાહ્મણોનું દબાણ છે. સારું કહેવાય; કમ-સે-કમ બાપડી તે જમીન તો આભડછેટમાંથી મુક્ત થઈ છે.
નટ-બજાણિયા પરિવારો માટે અલગ સ્મશાન તો ન હતું, પણ ‘ભલે કોઈ દેવી-દેવતા મારી વ્હારે ન આવે, બંધારણ મારુ રક્ષણ કરશે’ એવો એને અંદર ભરોસો હશે. એટલે પોતાની વ્હાલી પત્નીને અંતિમ વિદાય આપવા માટે તેમણે લાકડાં અને છાણાં ગોઠવીને ગામના સામૂહિક સ્મશાનમાં ચિતા ખડકી. પરણીને, નવોઢાના રૂપમાં જે સાડી પહેરીને પૂજા સાસરે આવી હતી, તે જ સાડીમાં તેનો મૃતદેહ લપેટાયેલો હતો. ચાર વર્ષનો રોહન માને અગ્નિદાહ આપવાનો હતો. રોહનને કોઈ મોટેરા ચિતાની પ્રદક્ષિણા કરાવતા હતા, ત્યાં જ ધમાલ મચી ગઈ.
બસો જેટલા ઠાકુરોનું ટોળું ત્યાં પહોંચી ગયું ને તેમના દેકારે ગામ ગજવ્યું. ઠાકુરોના સ્મશાનમાં દલિતની ચિતા સળગે જ કેમ? પોલીસને બોલાવવામાં આવી. ક્ષેત્રિય પોલીસ અધિકારી અને પોલીસમથકના અધિકારી અન્ય સરકારી અધિકારી સાથે આવી પહોંચ્યા. પણ આ તમામ અફસરો બંધારણની આબરૂના ધજાગરા ઊડતા રોકી ન શક્યા. છ કલાકની રક્ઝક-કાકલૂદી બાદ હારી થાકીને રાહુલે જે હાથથી પોતાની પત્નીનો મૃતદેહ ચિતા પર ખડક્યો હતો, તે જ હાથેથી નીચે ઉતાર્યો. ચિતામાં ગોઠવેલાં અને કંકુથી રંગાયેલાં લાકડાં અને છાણાં પણ છૂટાં કર્યાં. ત્યાંથી ચાર કિલોમીટર દૂર આવેલ 'નગલા લાલ દાસ' ગામે દલિતો માટે 'અનામત' સ્મશાન હતું. ત્યાં પૂજાની અંતિમ વિધિ સંપન્ન થઈ. હજુ હમણાં જ જાહેર થયેલી ભારતની 'નવી શિક્ષણનીતિ' આવનાર ૨૦ વર્ષમાં રોહનને દેશ, રાષ્ટ્ર, કાયદો, બંધારણ, ધર્મ, મૂલ્ય, નૈતિકતા, મૂળભૂત અધિકાર, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર વિશે જે નહીં શીખવી શકે, તેવા બોધપાઠ રોહનને ચાર વર્ષની ઉંમરે એ છ કલાક શીખવી ગયા.
ફરજચૂકની લાંબી યાદી
આ ઘટનાની પોલીસતપાસ નહીં થાય. કારણ કે રાહુલે ફરિયાદ જ નોંધાવી નથી. વાંક તો રાહુલનો જ કહેવાય કે એણે ફરિયાદ સુધ્ધાં ન નોંધાવી. રાહુલે એટલા માટે ફરિયાદ કરવાનું ટાળ્યું કે કમ સે કમ એનું બાકી રહેલું કુટુંબ 'શાંતિથી’ રહી શકે. નહેરુ-દલાઈ લામા-મધર ટેરેસા જેવા અનેક મહાનુભાવોના 'શાંતિ' સંદેશ જગતમાં મશહૂર થઈ ગયા છે. પરંતુ રાહુલનો આ 'શાંતિ-સંદેશ' પ્રચલિત નહિ બને; ભલે ને એની સાથે જે બન્યું તેની વીડિયો ક્લિપ બે લાખથી પણ વધુ લોકોએ જોઈ હોય. શું શાંતિના ઓઠા હેઠળ રાહુલ દલિતોને માર્મિક-ક્રાંતિકારી સંદેશો આપવા માગતો હતો કે 'દલિતોએ આ દેશમાં શાંતિથી જીવવું હોય તો બંધારણને ભૂલી જવું પડશે' ?
સાચી વાત તો એ છે કે રાહુલ જેને 'શાંતિ' કહે છે, તે હકીકતે 'સલામતી'. છે. ગામમાં એકેય નટ-બજાણિયા કુટુંબ પાસે સમ ખાવા પૂરતી જમીન પણ નથી. ઉત્તર પ્રદેશમાં, ક્યા પક્ષના અને કઈ જ્ઞાતિના મુખ્ય મંત્રીએ કઈ જ્ઞાતિની તરફેણમાં જમીન સુધારણા કાર્યક્રમનો કેટલો અમલ કર્યો, તે પૂછવાની હિમ્મત કદાચ રાહુલ પાસે હોય તો પણ એની વાત કોઈ સાંભળવાવાળું નહીં હોય. તેમનું જીવન મજૂરી પર નભે છે. તે પેલી જાતિના લોકો સામે અધિકાર માટે બાંય ચઢાવે, તો રોટલા વિના ટટળે. આ ગામમાં તો સાર્વજનિક હૅન્ડ પંપમાંથી માટલું પાણી ભરતાં દલિતોને કેટલા વાને સો કરવા પડે છે.
રાહુલને બીક લાગી તે સત્ય છે. કાયદા પ્રમાણે તો રાહુલ માટે ફરિયાદ જાતે નોંધાવવાનું જરૂરી જ ક્યાં હતું? ખુદ ક્ષેત્રિય પોલીસ અધિકારી અને પોલીસમથકના વડાની હાજરીમાં ગુનો બન્યો હતો. માટે, તે અધિકારી જાતે જ ફરિયાદી બની શકે. કાયદાના દાયરામાં પોતાના ભાગે આવતી ફરજને બાજુએ મૂકતાં, પોલીસ અધિકારી પણ તત્ત્વજ્ઞાનની વાતો કરવા માંડ્યા છેઃ "જાતિવાદ ઊંડે સુધી લોકોની રગેરગમાં ફેલાઈ ચુક્યો છે." રાહુલને સત્ય સમજાઈ ચૂક્યું હતું કે પોતાની જાહેરમાં થતી બેઇજ્જતીની વીડિયો જોનાર બે લાખ લોકો ભલે એને પડખે કદાચ હોય, પણ સત્તા અને ન્યાયતંત્ર એના પક્ષે નથી. એની સાથે થયેલી ઘટનામાં સર્વોચ્ચ અદાલતના કોઈ ન્યાયાધીશ 'બંધારણના તિરસ્કાર' સબબ 'સ્વપ્રેરિત' (સુઓમોટો) કાર્યવાહી નહીં કરે.
બ.સ.પા. સુપ્રીમો માયાવતી એકથી વધુ વાર રાજ્યનાં મુખ્ય મંત્રી રહી ચુક્યાં છે. તેમણે આ ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસ માગી છે. ત્રણ હજાર વર્ષની વાત કોરાણે મૂકીએ, આઝાદીનાં ૭૩ વર્ષમાં દલિતો પર હિંસા સતત વધી રહી છે ત્યારે કેટલી અને ક્યાં સુધી તપાસ કરીશું? તપાસ પૂર્ણ થયા બાદ પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી ન્યાય ન મળ્યો હોય તેવા સેંકડો દાખલા મોજુદ છે. જેમ દેશના રાષ્ટ્ર પ્રમુખ દલિત હોવાથી દલિતોની જિંદગીમાં ફરક પડતો નથી; જેમ દલિત મુખ્ય મંત્રી હોવાથી ફરક પડતો નથી તેમ ભારતની સંસદનાં બંને ગૃહોમાં ૯૦થી વધુ દલિત સાંસદો હોવાથી પણ કોઈ ફરક પડતો નથી.
જાહેર સ્થળો પર સૌનો અધિકાર
ભારતની સાચી 'એકતા' અને 'અખંડિતતા'નાં દર્શન સ્મશાનભૂમિમાં જ થાય છે. 'હિંદુત્વ' કેટલું મજબૂત છે તેનાં દર્શન પણ આર.એસ.એસ.ને સ્મશાનભૂમિમાં જ થશે. જે સ્મશાનભૂમિને અલગ અલગ જાતિઓ પોતીકી દર્શાવે છે તે હકીકતે સરકારી છે. સરકારી સંસાધનો: તળાવ-કૂવા-સ્મશાન-બગીચા-સ્નાનઘાટ પર વપરાશનો બધા નાગરિકોનો સરખો અધિકાર છે. તે કાયદો આઝાદી પૂર્વે, બોમ્બે લૅજિસ્લેટિવ કાઉન્સિલમાં પસાર થયેલો અને તેના આધાર પર ડો. આંબેડકરે 'મહાડ સત્યાગ્રહ'નું આંદોલન ચલાવેલું. આઝાદી બાદ પ્રખ્યાત સામાજિક કાર્યકર ડો. બાબા આઢવે 'એક ગાંવ-એક પનઘટ' આંદોલન ચલાવેલું. આભડછેટ સામે જે પ્રચંડ આંદોલન આપણે ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં જોયાં તે આઝાદી બાદ આપણે થંભાવી દીધા. કારણ કે બંધારણમાં અસ્પૃશ્યતાના પાલનને આપણે ગુનો ગણ્યો, અત્યાચાર- વિરોધી કાયદો લાવ્યા અને અનામત નીતિ બનાવી સંતોષ માની લીધો.
ફરિયાદ કેવી ને વાત કેવી?
થોડા વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશના જૌનપુર વિસ્તારનાં કેટલાંક ગામડાંની મુલાકાત લીધી હતી. તેમાંનું એક ગામ અક્બરપુર. ત્યારે મુખ્ય મંત્રી દલિત હતાં. પાછલાં ઘણાં વર્ષોથી રાત-દિવસ દલિત અત્યાચારના મુદ્દે સંઘર્ષમાં કાર્યરત રહેનાર મિત્ર, 'ડાયનેમિક એક્શન ગ્રુપ'ના રામકુમાર મારી સાથે હતા. અમારી મુલાકાતના દોઢેક વર્ષ પહેલાં અકબરપુરમાં એક ઘટના બની હતી. સ્થળાંતર કરીને પેટિયું રળતા આઠ મુશહર પરિવારની ત્યાં વસ્તી હતી. છ મહિનાના સ્થાળાંતર બાદ, કાળી મજૂરીની કમાણી લઈને તે ગામ પરત આવ્યા હતા. તે રાત્રે બુકાનીધારીઓ બંદૂક સાથે ત્યાં તેમના ઘરે આવી પહોંચ્યા. દલિતો ડરેલા હતા. તેમણે તેમની સંપૂર્ણ કમાણી તેમના ચરણોમાં ધરી દીધી, એ આશા સાથે કે તેઓ સલામત રહેશે. બંદૂકધારી પૈસા તો લઇ ગયા પણ જતા પહેલા સ્ત્રી અને પુરુષોને અલગ-અલગ ઓરડામાં પૂરી બે નવજવાન સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર કર્યો. આ ઘરમાં પરણીને આવેલી સ્ત્રીએ હજુ પંદર દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો. બીજી સ્ત્રી આ કુટુંબની દીકરી હતી. તેનો પતિ બીજા રાજ્યમાં રળવા ગયો હોઈ તે પિયરમાં હતી.
હું ત્યાં ગયો ત્યારે પણ જુવાનજોધ પુરુષ પોતાના આંસુ ખાળી શકતો ન હતો અને આત્મહત્યા કરવાની વાત કરતો હતો. એનું મન પોતાની જાત પરના તિરસ્કારથી ભરાઈ ગયું હતું કે પોતે પોતાની પત્નીની ઈજ્જત ન બચાવી શક્યો. પૂછતાં ખબર પડી કે બળાત્કાર બાદ તેમને તબીબી સારવાર પણ મળી ન હતી. ઘટનાના દોઢ વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ ન હતી. કારણ પોલીસ સમજાવતી હતી કે તપાસ પૂર્ણ થાય પછી ફરિયાદ નોંધાય.
રાહુલે ખોટું ન લગાડવું જોઈએ. અખબારી અહેવાલો પ્રમાણે આ ગામમાં મુસ્લિમો પાસે પણ સ્મશાનની જમીન ન હોવાથી તે મૃતકોની અંતિમ વિધિ ઘરમાં જ કરે છે. કાશ્મીરમાં આતંકવાદીઓની ગોળીએ વીંધાઈને શહીદ થયેલા દલિત સૈનિકનો રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલો મૃતદેહ ઉત્તર પ્રદેશને ગામડે પહોંચ્યો ત્યારે કહેવાતી ઊંચી જાતવાળાઓએ તેની સ્મશાનવિધિ સામૂહિક સ્મશાનગૃહમાં રોકી હતી. તે અને તેવી ઘણી ઘટનાઓ 'ભેદભારત' પુસ્તકમાં નોંધાઈ છે.
મોંકાણ મસાણની
રાહુલે એટલા માટે પણ ખોટું ન લગાડવું જોઈએ, કારણ દલિતો પણ એ વાતે સહમત છે કે સ્મશાનભૂમિ જ્ઞાતિ અને પેટા-જ્ઞાતિ પ્રમાણે અલગ હોવી જોઈએ. ગુજરાતનાં ગામડાંમાં પણ આ જ ચાલે છે. દલિતોની સ્મશાનભૂમિમાં વાલ્મીકિની અંતિમ વિધિ અશક્ય છે. પેટાજ્ઞાતિની બહાર લગ્ન થઇ શકતાં નથી અને થાય તો હિંસામુક્ત રહેતા નથી. તેમ પેટાજ્ઞાતિની બહાર રહેવાનાં મકાન પણ ભાડે મળતાં નથી. ગામમાં અન્ય પેટાજ્ઞાતિની દલિત વસ્તી ખરી, પણ વાલ્મીકિ વસ્તી ન હોવાથી, તે ગામમાં શિક્ષક તરીકે નિમણૂક પામેલા અને ૧૫-૨૦ કિલોમીટર દૂરથી સાઇકલ પર આવ-જા કરતા વાલ્મીકિ શિક્ષકોની કથા ‘નવસર્જન’ના અહેવાલોમાં નોંધાઈ છે. ભારતનો 'રાષ્ટ્રવાદ' ડૉ આંબેડકરે ઘડેલા બંધારણ પર નહીં, પરંતુ જે વર્ણવ્યવસ્થાની નાબૂદી તે ઇચ્છતા હતા તેના પર ટકેલો છે. આમ જોવા જઈએ તો 'દલિત' ઓળખ એ માત્ર ભ્રમ છે. કારણ કે જ્ઞાતિ-પેટાજ્ઞાતિના સામ્રાજ્યમાં 'દલિત' ઓળખ નિર્મિત થઇ શકે તેમ છે જ નહીં.
આશા રાખીએ, ઘણા વર્ષોના સંઘર્ષ અને હિંસક રાજનીતિ બાદ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે, તેનાથી દલિતોનો ‘હિન્દુ' ધર્મ વધારે સુરક્ષિત થાય.
e.mail : martin.macwan@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 10-12