તમે રોજ સવારે જે છાપું વાંચો છો એને અખબાર પણ કહેવાય છે. આ ‘અખબાર’ શબ્દ કેવી રીતે આવ્યો? એ ફારસી શબ્દ ‘ખબર’ પરથી આવ્યો. ઈરાનની રાષ્ટ્રભાષા ફારસી છે અને ત્યાં અખબાર માટે ‘ખબર-નામઃ’ શબ્દ વપરાય છે.
આપણે થોડા સમયથી ‘અનામત’ શબ્દ પણ ખૂબ વાંચીએ-સાંભળીએ છીએ. આપણા દેશમાં પીએચ.ડી.ના વિષયો જોતા કોઈ વિદ્યાર્થી અનામત આંદોલન વખતે ગુજરાતી અખબારોમાં અનામત શબ્દના ઉપયોગનું તુલનાત્મક અધ્યયન જેવા વિષયમાં ડૉક્ટરેટની ડિગ્રી લઈ લે પણ નવાઈ નહીં! ખેર, ‘અનામત’ શબ્દ ફારસીના ‘અમાનત’ પરથી આવ્યો છે, જેનો અર્થ વિશ્વાસુ હોવું, વિશ્વાસુપણું, થાપણ, સંભાળ માટે સોંપેલી વસ્તુ એવો થાય છે. અનામત આંદોલન વખતે ગુજરાતમાં અફરાતફરીનો માહોલ હતો. આ ‘અફરાતફરી’ શબ્દથી પણ પરિચિત છો! આ શબ્દનું મૂળ પણ ફારસી શબ્દ ‘ઈફરાતો તફરીત’માં મળે છે. ફારસીમાં ‘ફરત્’ એટલે હદથી વધી જવું અને ‘તફરીત’ એટલે પ્રમાણ કરતાં ઓછું થઈ જવું. આ બંને શબ્દને ભેગા કરીને ‘ઈફરાતો તફરીત’ શબ્દ આવ્યો. જે રોજિંદા જીવનની સમસ્યાઓના બે અંતિમ છેડા બતાવવા એટલે કે ઊથલપાથલ, દોડધામ, ગભરાટ, ગોટાળો કે અવ્યવસ્થાના અર્થમાં વપરાય છે. આવી રીતે ગુજરાતીમાં શબ્દ મળ્યો, અફરાતફરી.
ગુજરાતીમાં ‘આસમાની સુલતાની’ શબ્દનો અર્થ ઘણી વાર ખોટી રીતે વપરાય છે. સાર્થ જોડણીકોશ પ્રમાણે આ શબ્દનો અર્થ ‘ચડતીપડતી’, ‘અણધારી આફત’ કે ‘કોપ’ એવો થાય છે. આ શબ્દનું મૂળ પણ ફારસીમાં છે. આસમાની એટલે આસમાનને લગતું સુલતાની એટલે સુલતાનને લગતું. અણધારી આફત બે જણ થકી જ આવે. એક આકાશમાંથી અને બીજી સુલતાન તરફથી. એના પરથી આવ્યો આસમાની સુલતાની એટલે કે અણધારી આફત.
***
ભારતની તમામ ભાષા-સંસ્કૃિતમાં ફારસી ભાષાની સૌથી વધારે અસર ગુજરાતી ભાષા પર છે. ઇતિહાસવિદો કહે છે કે, આર્યો મધ્ય એશિયામાં એટલે કે અત્યારના કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાંથી ભ્રમણ કરીને ઈરાન પહોંચ્યા હતા. એ જ વખતે આર્યોએ ઋગ્વેદની રચનાની શરૂઆત કરી દીધી હતી. એ પછી તેઓ ઈરાન તરફથી ભારત તરફ આવ્યા. એટલે જ એવું કહેવાય છે કે, ઋગ્વેદનો અમુક ભાગ ઈરાનમાં રચાયો હતો. ઈરાનમાં આર્યોની ભાષા ‘અવેસ્તા’ હતી. આ શબ્દનું મૂળ પણ ‘વિદ્’ અથવા ‘વેદ’ છે. વેદ એટલે જાણવું. અવેસ્તા અને ઋગ્વેદ એ બંને શબ્દનો અર્થ ‘જ્ઞાન’ પણ થાય છે. આ જ કારણસર ગુજરાતી અને ફારસીમાં એવા અનેક શબ્દો છે, જે બંને ભાષામાં એક જ અર્થમાં વપરાય છે. એક જ અર્થ એટલા માટે કે બે ભાષા એકબીજામાં ધીમે ધીમે ભળતી હોય ત્યારે એવા ઘણાં શબ્દો અસ્તિત્વમાં આવે છે, જેના અર્થ બંને ભાષામાં મોટા ભાગે સરખા તો ક્યારેક જુદા જુદા પણ થતા હોય છે.
જેમ કે, અરબસ્તાનમાં જુલાબ કે જુલ્લાબનો અર્થ ‘ગુલાબના ફૂલોનો અર્ક’ એવો થાય છે. એટલે ઈરાનમાં ગુલાબમાંથી બનેલા શરબત માટે પણ ‘જુલાબ’ શબ્દ વપરાય છે. આ શબ્દ ગુજરાતમાં આવ્યો ત્યારે તેનો અર્થ ગુલાબના રસની પ્રકૃતિના કારણે બદલાઈ ગયો. ગુલાબનું પાણી રેચક એટલે કે પેટ સાફ કરે એવું હોવાથી ગુજરાતી ભાષામાં ‘જુલાબ’ શબ્દનો ઉપયોગ ‘ઝાડા થઈ જાય એવી દવા’ના અર્થમાં થવા લાગ્યો. આજે જુલાબ’ અને ‘ગુલાબનું શરબત’ એ શબ્દો કેટલા વિરોધાભાસી લાગે છે!
ભારત અને ગુજરાતમાં આરબ, મુસ્લિમ અને પારસી સંસ્કૃિત જેમ જેમ ભળતી ગઈ તેમ તેમ તેમણે એકબીજાની ભાષામાં નવા નવા શબ્દો ઉમેર્યા. આ પ્રકારનું સાંસ્કૃિતક આદાનપ્રદાન થાય ત્યારે શબ્દોના અર્થની સાથે તેના ઉચ્ચારણો પણ બદલાઈ જતા હોય છે.
એવો જ એક બીજો શબ્દ છે, ‘કેરબો’. કોઈ ગુજરાતીને પૂછવામાં આવે કે ‘કેરબો’ એટલે શું? તો એ કહેશે કે, કેરબો એટલે નાના ઢાંકણાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો, જે મોટા ભાગે કાળા રંગનો હોય! જો કે, સાર્થ જોડણીકોશ પ્રમાણે ‘કેરબો’નો અર્થ એક નાચ, કારવો, એમાં ગવાતું ગાયન, એનો રાગ એવો અપાયો છે. શું ‘કેરબા’ને ‘કેબ્રે ડાન્સ’ સાથે કોઈ સંબંધ હશે? સાર્થ જોડણીકોશમાં ફારસી વ્યુત્પત્તિ પ્રમાણે ‘કેરબો’નો અર્થ સુગંધી ગુંદર જેવો એક પદાર્થ (તેના પારા ફકીરો રાખે છે), એમ્બર એવો અપાયો છે.
હવે જોઈએ ફારસીમાં આ શબ્દનું મૂળ ક્યાં છે. ફારસીમાં ‘કહરુબા’ નામનો શબ્દ છે. ‘કહ’ એટલે સૂકું ઘાસ, તણખલું અને ‘રુબા’ એટલે ખેંચ, આકર્ષણ. એટલે કે, એક પ્રકારનો સૂકો ગુંદર કે જેને કાપડ જેવી વસ્તુ ઉપર ઘસીને તણખલા નજીક મૂકવામાં આવે તો તેને ખેંચે છે. બાળકોને ખરાબ નજરથી બચાવવા અપાતા એક પદાર્થ માટે પણ ફારસીમાં કહરુબા શબ્દ છે. આ પદાર્થ બાળકોને ગળામાં કે કાંડા પર બાંધીને પહેરાવાતો!
***
ગુજરાતી ભાષામાં અનેક ફારસી શબ્દો એટલા રૂઢ છે કે, આજે ખ્યાલ પણ ના આવે કે આ શબ્દનું મૂળ ઈરાન, ગ્રીસ કે અરબસ્તાનમાં છે! શબ્દો એક ભાષામાંથી બીજી ભાષામાં પ્રવેશે એનો દિલચસ્પ ઇતિહાસ હોય છે. હા, દિલચસ્પ પણ ફારસી શબ્દ છે. ફારસી શબ્દ ‘ચસ્પ’નો અર્થ ચોંટી રહેવું, વળગી રહેવું, દિલ ચોંટાડી રાખનાર, દિલને ગમે એવું કે મનોહર એવો થાય છે. ‘દિલચસ્પ’ શબ્દનો ઉપયોગ ફારસી કે ઉર્દૂમાં આજે થતો નથી, પરંતુ ગુજરાતી અને હિન્દીમાં આવ્યો ‘દિલચસ્પ’ અને તેમાં ‘ઈ’ પ્રત્યય જોડીને આવ્યો, દિલચસ્પી. શોખ, રુચિ કે રસ જેવા શબ્દો માટે ‘દિલચસ્પી’ શબ્દ વપરાય છે.
સાર્થ જોડણીકોશ પ્રમાણે, ‘અફલાતૂન’ શબ્દનો ગુજરાતી અર્થ સુંદર, શ્રેષ્ઠ તેમ જ ‘ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની પ્લેટો’ એવો પણ થાય છે. ટૂંકમાં ગ્રીસમાંથી શ્રેષ્ઠતમ્ હોય એ માટે અરબી, ફારસીમાં વપરાતો ‘પ્લેટો’ શબ્દ પ્લાટુ, પ્લાટુનમાંથી અપભ્રંશ થઈને આજનો ‘અફલાતૂન’ થઈ ગયો.
તમે ‘દાઉદખાની’ ઘઉં વિશે પણ સાંભળ્યું હશે! આજે ય ગુજરાત સહિત ભારતના તમામ અનાજ બજારમાં દાઉદખાની ઘઉં સૌથી મોંઘા હોય છે. આ શબ્દનું મૂળ પણ દિલચસ્પ છે. ઈ.સ. ૧૭૬૦થી ૧૮૦૬માં ઈજિપ્તમાં શાહઆલમ નામનો બાદશાહ થઈ ગયો. એના કાળમાં દાઉદખાન નામનો એક માણસ ઈજિપ્તમાંથી ઊંચી જાતના ઘઉં ભારત લાવ્યો. એ સમયથી એ ઘઉંનું નામ પડયું દાઉદખાની.
તમે લખતી વખતે જે ફકરો પાડો છો તેનો ફારસી અર્થ પીઠ તોડવી કે બરડો તોડવો એવો થાય છે. એનો ગુજરાતી અર્થ કંડિકા, પેરેગ્રાફ થાય છે. એટલે કે, વાત બદલાય ત્યાંથી વાક્યનો પ્રવાહ તોડવામાં આવે એ. રૂમાલ પણ ફારસી શબ્દ છે, જેનો અર્થ ‘ઘસવું’ કે ‘ગુંદવું’ થાય છે. ફારસીમાં ‘રૂ’નો અર્થ ચહેરો ‘માલ’નો અર્થ જરૂરી ચીજવસ્તુ થાય છે. એ પરથી આવ્યો રૂમાલ.
ગનીમત છે કે, આવા આદાનપ્રદાનથી ગુજરાતી હજુયે વધુને વધુ સમૃદ્ધ થઈ રહી છે. સાર્થ જોડણીકોશમાં જણાવ્યા પ્રમાણે, ગનીમત એટલે સદ્દભાગ્ય, ઈશ્વરકૃપા. આ ગનીમત અરબી શબ્દ ‘ગનેમ’માંથી આવ્યો. અરબીમાં ‘ગનેમ’ એટલે મફતમાં મેળવેલું, લૂંટનો માલ વગેરે. ‘ગનેમ’ શબ્દનો ફારસી અર્થ ‘પરિશ્રમ વિના ઓચિંતો મળેલો માલ’ એવો છે. પ્રાચીન અરબસ્તાનમાં લૂંટના ઇનામ તરીકે ‘ગનમ’ મળતા. અરબીમાં ‘ગનમ’ એટલે બકરો. એના ઉપરથી અરબીમાં લૂંટનો માલ એટલે ગનીમત એટલે કે ઈશ્વરની કૃપા. પાછળથી આ શબ્દ એટલો બધો પ્રચલિત થયો કે, આરબો પ્રવાસે જાય ત્યારે વિદાય આપતી વખતે તેમના સ્વજનો કહેતા કે, સાલેમન ગાનેમન. એટલે કે, સલામત આવજો અને લૂંટી લાવજો.
***
ફારસીમાં ગ્રીક, અરબી અને તૂર્કી શબ્દો અને એ બધું જ ગુજરાતીમાં આવ્યું એ પાછળ રાજકીય, સામાજિક અને સાંસ્કૃિતક પરિવર્તનો જવાબદાર છે.
ઈ.સ. પૂર્વે ૩૩૧માં સિકંદરે ઈરાન જીતી લીધું અને ઈ.સ. ૨૨૬ સુધી લગભગ ૫૫૦ વર્ષ રાજ કર્યું. આ દરમિયાન ઈરાનની સ્થાનિક પાહલવી ભાષામાં ગ્રીક ભાષા ભળતી ગઈ. ઈ.સ. ૬૪૧માં ગ્રીક શાસનનો અંત આવ્યો અને આરબોનું શાસન શરૂ થયું. આરબોના મજબૂત રાજના કારણે પાહલવી ભાષાનું વ્યાપક અરબીકરણ થયું. ઈ.સ. ૬૬૧થી ૭૫૦ સુધી આરબોની ખિલાફતને ખતમ કરી ઈરાનનું શાસન અબ્બાસી ખલીફાઓએ સંભાળ્યું. આ ખલીફાઓએ તેમની ફોજમાં હજારો તુર્કોની ભરતી કરી. આ દરમિયાન ગઝનવી અને સલજૂક વંશના તુર્કી શાસનકાળમાં ઈરાની અને તુર્કી સંસ્કૃિત-ભાષા એકબીજામાં ભળ્યા. છેવટે ૧૧મી સદીથી ઈરાનમાં આજની ફારસી અસ્તિત્વમાં આવી.
આરબોના ત્રાસથી ઈરાનના જરથોસ્તીઓ એટલે કે પારસીઓ ગુજરાતમાં આવ્યા એ જાણીતી વાત છે. જો કે, પારસીઓની સંખ્યા જૂજ હતી. વળી, તેઓ કિનારાના પ્રદેશ પર જ રહેતા હતા એટલે ગુજરાતી ભાષા પર તેમનો પ્રભાવ નહોતો, પરંતુ ભારતમાં આવેલા મુસ્લિમ શાસકો ઈરાનથી આવ્યા હતા. આ રીતે ઈસ્લામિક શાસન વખતે ભારતીય સંસ્કૃિતમાં ફારસી ભળતી ગઈ. ઈ.સ. ૧,૩૦૦માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત જીત્યું ત્યારથી અહીં ફારસીનો પ્રચાર વધ્યો. બે સદી સુધી દિલ્હીના સુલતાનો સલ્તનત ચલાવતા રહ્યા. એ પછી લગભગ પોણા બસો વર્ષ મોગલ બાદશાહોએ શાસન કર્યું, જે ગુજરાત સહિતના પ્રદેશોમાં સૂબેદારોની મદદથી શાસન કરતા. મોગલ સલ્તનત નબળી પડતા તેની અંધાધૂંધીનો લાભ લઈ અનેક સૂબેદારો સ્વતંત્ર નવાબો થઈ ગયા. આ નવાબો અને તેમના સૈનિકો સાથે ગુજરાતમાં ફારસી પણ વસી ગઈ. આ દરમિયાન નવાબો ઈરાન અને અરબસ્તાનથી મુસ્લિમ સંતોને મજહબના પ્રચાર માટે આમંત્રિત કરતા. આ સંતોની ધર્મ ઉપદેશની ભાષા પણ ફારસી રહેતી. એ પછી ગાંધી યુગના વિવિધ આંદોલનોમાં જુસ્સો અને જોમ ધરાવતા ફારસી શબ્દોનો પ્રચંડ ઉપયોગ થયો.
આઝાદી કાળ પછી હિન્દી સિનેમાની લોકપ્રિયતાનો એક યુગ શરૂ થયો. એ યુગમાં હિન્દી ફિલ્મોના સંવાદો અને ખાસ કરીને ગીતોમાં ફારસી શબ્દોનો એટલો બધો ઉપયોગ થયો કે, આજે ય એ શબ્દો મૂળ હિન્દી કે ઉર્દૂના લાગે. આ બંને ભાષાની ગુજરાતી સાહિત્ય પર પણ અસર પડી. આવી રીતે અનેક ફારસી શબ્દો સાર્થ જોડણીકોશમાં પણ સમાઈ ગયા.
સ્રોત : ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિ કોશ (ભાગ-૧થી ૪), લેખક- ડૉ. છોટુભાઈ રણછોડજી નાયક, પ્રકાશક – ગુજરાત યુનિવર્સિટી અને સાર્થ ગૂજરાતી જોડણીકોશ, પ્રકાશક – પિયૂષ શાહ, કાર્યકારી કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ.
e.mail : vishnubharatiya@gmail.com
સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2016/06/blog-post_18.html
ગુજરાત સમાચારની શતદલ પૂર્તિની ‘ફ્રેન્કલી સ્પીકિંગ’ (15મી જૂન) કોલમનો લેખ