તમે બધો વખત બધું બજારભરોસે કે બધો વખત બધું રાજભરોસે રેઢું નથી મેલી શકતા
શુક્રવારના અખબારી હેવાલો જોઉં છું તો લક્ષમાં આવે છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશની મતદાનીય રૂખ બાબતે ભાજપી વર્તુળો આશ્વસ્ત નથી. 2014ની ચૂંટણીમાં જે રીતે હિન્દુ મતોનું દૃઢીકરણ કે ધ્રુવીકરણ થયું હતું તે આ વખતે કંઈક ઓછું થયાની આશંકા કે અંદાજ સંબંધિત વર્તુળોમાં છે. હેવાલો પ્રમાણે, પક્ષનાં સ્થાનિક મંડળો હવે નમોના ઝંઝાવાતી રેલી દાવ વાસ્તે લાલાયિત છે. આમ તો, હમણાં સુધીની કોશિશમાં નીચે કોમી ફસલ (યોગી આદિત્યનાથની તરજ પર) અને ઉપર વિકાસની ખેતી (નમો તરન્નુમ મુજબ) એ અભિગમ રહ્યો હશે. પણ નોટબંધીની વાસ્તવિક અસર બાબતે બે મતની પરિસ્થિતિમાં વિકાસગાન જરીક વધુ જ જરૂરી લાગતું હોય અને રાજમાં કાયદાકાનૂનની અનવસ્થા એ પણ એક મુખ્ય મુદ્દો ઉભારવાપણું વરતાતું હોય તે શક્ય છે.
જ્યાં સુધી કોમી ધ્રુવીકરણની જુગજૂની શૈલીનો સવાલ છે, સપા-કૉંગ્રેસ સમજૂતીને મુસ્લિમો તરફથી એકજૂટ ટેકો નહીં મળે એ ગણતરી પર ભાજપનો મદાર જણાય છે. બહુજનસમાજ પક્ષે મુસ્લિમ ઉમેદવારોને વિક્રમ ટિકિટ વહેંચણી કરી છે અને ઇમામ બુખારી વગેરેએ માયાવતીને ટેકો જાહેર કર્યો છે એથી સપા-કૉંગ્રેસ તેમ જ બસપ વચ્ચે મુસ્લિમ મતો વહેંચાશે. પરિણામે, અમને (ભાજપને) ઓછાવત્તા પણ હિંદુ ધ્રુવીકરણનો ઠીક ટેકો મળી રહેશે અને બાકી હશે તે વિકાસગાનથી બની રહેશે એવું ભાજપનું આંકલન છે.
ગમે તેમ પણ, કોમી ધ્રુવીકરણનો વ્યૂહ પૂર્વવત્ નયે ફળે એવી એક સમજ જોવા મળે છે ત્યારે વિકાસ તેમ જ કાયદો-વ્યવસ્થાનો મુદ્દો (અથવા એ અંગેની આમ છાપ) કંઈ અંશે કેન્દ્રમાં આવી શકે છે. અહીં વાજપેયી શાસનના પ્રારંભગાળામાં અડવાણીએ સરકારમાં બેસેલા પક્ષ-સાથીઓ જોગ ઉચ્ચારેલાં હિતવચનો સાંભરે છે. એમણે કહ્યું હતું કે હવે આપણે શાસનમાં આવ્યા છીએ ત્યારે ધોરણસરની રાજવટ અને શાસન-પ્રશાસન (ગવર્નન્સ) મુખ્ય બાબત બને છે. સુશાસનમાં વિચારધારાકીય રૂકાવટ ન થવી જોઈએ. નમો શાસનને અરૂણ શૌરીએ જ્યારે ‘કૉંગ્રેસ વત્તા ગાય’ તરીકે ઓળખાવ્યું ત્યારે એમાં રહેલો મુદ્દો વિચારધારાકીય વળગણ ગવર્નન્સની ગાડીને પાટેથી ખડી પડવાની પરરિસ્થિતિ ન સરજે એ તો હતો જ.
હવે જરી વિકાસની વાત કરી લઈએ. સામાન્યપણે, દાયકાઓ સુધી દુનિયાભરમાં અર્થપ્રકરણી ચર્ચા ડાબાજમણી રાહે થતી રહી છે. તમે રાજ્યની સવિશેષ ભૂમિકા ઇચ્છો તો ડાબેરી અને મૂડીબજારની સવિશેષ ભૂમિકા ઇચ્છો તો જમણેરી એવું જાડી રીતે કહેવાતું રહ્યું છે. સામાન્યપણે નમોના પ્રશંસક રહેલાં તવલીન સિંહને મનરેગા માટેના એમના નવજાગ્રત પ્રેમમાં તેમ જ નોટબંધીના આરંભ તબક્કે કેટલાંક ડાબેરી તત્ત્વો દેખાયાં તેથી એ અસ્વસ્થ થઈ ગયાં હતાં. બીજા વિશ્વયુદ્ધમાં હિટલર સામે સામ્યવાદી રશિયા અને લોકશાહી યુરોપ-અમેરિકા એકત્ર આવ્યાં તે પછીના કોઈક તબક્કે વોલ્ટેર વિન્ચેલે માર્મિક વાત કરી હતી કે ઑલ અવર ઇઝમ્સ હેવ બીકમ વૉઝમ્સ!
‘ઇઝ’ અને ‘વૉઝ’ની આ શબ્દલીલામાં એક સાદું સત્ય એ પણ રહેલું છે કે તમે બધો વખત બધુંં બજારભરોસે કે બધો વખત બધું રાજભરોસે રેઢું નથી મેલી શકતા.
બેઉ છેડેથી યથાસમય નવતુલન સાધતા રહેવાનું હોય છે. જવાહરલાલ નેહરુએ લોકશાહી સમાજવાદ અને મિશ્ર અર્થતંત્રની જે જિકર કરી હતી એનો આ યુગસંદર્ભ છે. અલબત્ત, રાજ્યની ભૂમિકામાં જરૂરત મુજબ વધઘટની તેમ જ તે પ્રક્રિયામાં લોકશાહી બાલાશની વાત એમાં અભિપ્રેત છે. ગોર્બાચોફને પણ રશિયામાં વિશેષ મોકો મળ્યો હોત તો એમણે મિશ્ર અર્થતંત્રનો જ કોઈક ઢાંચો પકડ્યો હોત. કૉંગ્રેસે નરસિંહ રાવ – મનમોહનસિંહના સમયમાં દેખીતો યુ ટર્ન લેતે છતે, આગળ ચાલતાં મનરેગા જેવી ફ્લૅગશિપ યોજના મૂકી તેમાં જો રાજ્યકૈવલ્યવાદ નહોતો તો બજારકૈવલ્યવાદ પણ નહોતો. એટલે આપણે જ્યારે વિચારધારાઓનો યુગ આથમી ગયો છે કે કેમ એવો પ્રશ્ન ઉઠાવીએ છીએ ત્યારે એના બીજા જમાઉધાર વચ્ચે એક ખયાલ ખસૂસ રાખવો રહે છે કે સ્વતંત્રતા અને સમાનતા માટેની સહિયારી જદ્દોજહદમાં રાજ્ય કે બજાર, સમાજ કે વ્યક્તિ એવો એક છેડો પકડી શકાતો નથી.
અગિયારમી માર્ચે ઉત્તર પ્રદેશ સહિતનાં ચૂંટણી પરિણામો કેવુંક ચિત્ર, ખાસ તો 2019ની સંભવિત ભાતને અનુલક્ષીને ઉપસાવશે એ પ્રકારનાં અનુમાનો અને આકલનો વચ્ચે જરી હટીને, કંઈ નહીં તો કંઈક પોરો ખાઈને આ બધી વાત કરવાનું કારણ એ છે કે એ પરિણામો ધારો કે ભાજપની પ્રભાવક હાજરી છતાં કૉંગ્રેસના નવજીવનનો અને સવિશેષ તો આપની આગેકૂચનો સિનારિયો લઈને આવે તો એમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સંતુલનની જે પણ સંભાવના રહેલી છે એટલા પૂરતા આપણે આશ્વસ્ત રહીએ તો પણ નાગરિક તરીકે તે પૂરતું નથી.
નમૂના દાખલા નમો-ટ્રમ્પ તરજ પર વિશ્વભરમાં જે પ્રકારના સાંકડા ને ઝનૂની રાષ્ટ્રવાદની સ્વીકૃતિ(લેજિટિમસી)ના સંકેતો છે, રૂસના પુતિન તરેહની રાજનીતિના રાષ્ટ્રવાદી ઉધમાતો પોતાને છેડેથી જેના મેળમાં હોવાના છે એ સંદર્ભ નાગરિક સમાજે લક્ષમાં લેવો રહેશે – અને તે મુદ્દે ભાજપ અને બીજા વચ્ચે વિવેક કરવો રહેશે. રાષ્ટ્રવાદ એક એવી લાગણી છે કે એને અંગે સારાનરસાનો વિવેક કરવો વખતોવખત અઘરું બની રહેતું હોય છે. તેમ છતાં, ધારો કે એ વિવેક કરી શકાયો અને બરકરાર રાખી શકાયો તો પણ વાત પૂરી થતી નથી.
આવે વખતે સામે આવતો એક બુનિયાદી મુદ્દો એ છે કે એક નાગરિક તરીકે તમે અને હું જેમને સામસામા પક્ષો તરીકે જોઈએ છીએ, જે તે સત્તાપક્ષને સ્વાભાવિક જ એસ્ટાબ્લિશમેન્ટના ખાનામાં ખતવીએ છીએ તે તાત્પૂરતી સમજ ખસૂસ હશે, પણ ખરું ને પૂરું ચિત્ર તો એ નથી જ નથી. એસ્ટાબ્લિશમેન્ટની સામે હથવગા વિકલ્પ તરીકે આપણે એકની તરફેણ અને બીજાનો વિરોધ કરીએ તે ખોટું નથી; છતાં પ્રસંગ આવે એ બંને એક સમગ્ર વર્ગ તરીકે આપણી સામે આવી ઊભા રહે છે એનું શું.
જોગાનુજોગ જ, ગુરુવારે અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને કૉંગ્રેસે એકબીજાને જે પરચો આપ્યો એનાં શોરજોણાંમાં દબાઈ ગયેલી એક વિગત નાગરિક છેડે કદાચ પૂરતી લક્ષમાં નયે આવી હોય કે ઉત્તરાર્ધ જો ફ્રી ફૉર ઑલ એમ છૂટ્ટા હાથની રાહે હતો તો પૂર્વાર્ધ વેતનભથ્થાં વધારવા બાબતે ‘મિલે સૂર મેરા તુમ્હારા’ની તરજ પર, ‘સમાની મે પ્રપા’ની વૈદિક પરંપરામાં હતો. મનમોહનસિંહ બચાડા રેઇનકોટબધ્ધ સ્નાનશુદા હતા તો હતા, પણ સઘળા રાજકીય પક્ષો આરટીઆઈ અંતર્ગત આવે તે માટે નમો ભાજપની કોઈ પહેલ બાબત આપણે જાણતા નથી.
જેવું ને જેટલું પણ આરટીઆઈ પગલું છે તે યુપીએની ભેટ છે! જવા દો એ વાત, પણ પિયુસિએલ અને માહિતી પહેલે ચૂંટણીસુધારા બાબત હાલ જે નાગરિક ઊહાપોહ હાથ ધર્યો છે એ દરમ્યાન બહાર આવેલી એક વિગત સંભારી લઈએ: રાજકીય પક્ષોના સંદર્ભમાં વિદેશી નાણાસ્રોતને લગતો જે કાયદો થયેલો છે તેમાં નમો શાસન હસ્તક પશ્ચાદ્વર્તી ધોરણે સુધારો કરવામાં આવ્યો છે. આ પશ્ચાદ્વર્તી સુધારાનું રહસ્ય એ હકીકતમાં પડેલું છે કે કૉંગ્રેસ અને ભાજપ બંને યુ.કે.માં નોંધાયેલ ‘વેદાન્ત’ની દેશી સબ્સિડિયરીઝનાં લાભાર્થી હતાં અને એ નાતે આ કાયદાને ધોરણે નસિયતપાત્ર હતાં … વિચારાંગનું તો જાણે સમજ્યા, પણ આચારાંગ ચોક્કસ છે: એક પા ચાલુ વિકલ્પો વચ્ચેની માથાકૂટ તો બીજી પા એ બધા વિકલ્પો મળીને સરજાતો એક રાજકીય અગ્રવર્ગ, એમ બે ધાગે નાગરિકે કામ લેવું રહે છે.
સૌજન્ય : ‘‘ઇઝમ’નું સત્ય’, “દિવ્ય ભાસ્કર”, 18 ફેબ્રુઆરી 2017