શાસકોની નકલ કરીને મનોરંજન નિપજાવવામાં આવે એ કોઈ નવી વાત નથી. ચાર્લી ચૅપ્લિને તો આખી જિંદગી ઍડોલ્ફ હિટલરની નકલ કરીને તેને પરેશાન કરી મૂક્યો હતો એ હકીકત છે. જો કે તાજેતરમાં એક સ્ટૅન્ડઅપ કૉમેડિયને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની નકલ કરી હતી, પરંતુ ટીવી-ચૅનલે ડરીને કે પછી બીજા કોઈ કારણસર એ કૉમેડીની ક્વૉલિટી સંતોષજનક નથી એમ કહીને એને પ્રસારિત કરવાની ના પાડી દીધી હતી
ટીવીની ન્યુઝ-ચૅનલો આંગળિયાત છે એની તો જાણ હતી, પરંતુ કેવળ મનોરંજન પીરસનારી એન્ટરટેઇનમેન્ટ ચૅનલો પણ આંગળિયાત છે એની હવે જાણ થઈ. સ્ટાર પ્લસ નામની ન્યુઝ-ચૅનલ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ નામનો રિયલિટી શો ચલાવે છે. આજકાલ સાસુ-વહુની સિરિયલોથી કંટાળેલા દર્શકો રિયલિટી શો વધુ પસંદ કરે છે. જો કે સ્ટાર ટીવીનો ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ ફ્લૉપ શો હતો અને બહુ ઓછી TRP (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ) એને મળતી હતી એમ જોનારા લોકો કહે છે. સ્ટાર પ્લસની ટીમે શ્યામ રંગીલા નામના સ્ટૅન્ડઅપ કૉમેડિયનને સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદ કર્યો હતો. શ્યામ રંગીલાએ તેને આપવામાં આવેલી પાંચ મિનિટમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની નકલ કરી હતી. એ પછી દિવસો વહેતા ગયા, પરંતુ રંગીલાનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં નહોતો આવતો. વીસ દિવસ પછી તેને ચૅનલના અધિકારીઓએ ફોન કર્યો કે તેણે નવેસરથી રેકૉર્ડિંગ કરવું પડશે. તે રાહુલ ગાંધીની નકલ કરી શકશે, પણ નરેન્દ્ર મોદીની નકલ નહીં કરે. સ્પર્ધકે એ શરત પણ માન્ય રાખી હતી અને નવેસરથી એકલા રાહુલ ગાંધીની નકલ કરતા કાર્યક્રમનું રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું.
દરમ્યાન ચૅનલના અધિકારીઓને લાગ્યું હતું કે આ રીતની પક્ષપાતી સેન્સરશિપના ખબર બહાર આવશે તો વધારે ભૂંડા લાગીશું એટલે તેમણે સ્ટૅન્ડઅપ કૉમેડીની ક્વૉલિટી સંતોષજનક નથી એમ કહીને બન્ને કૉમેડી પ્રસારિત કરવાની ના પાડી દીધી હતી. આ બાજુ જે અનિવાર્યપણે બનવાનું હતું એમ મૂળ પાંચ મિનિટની ક્લિપ વાઇરલ થઈ ગઈ અને સોશ્યલ મીડિયા પર એને એટલો બધો રિસ્પૉન્સ મળી રહ્યો છે જેટલો સ્ટાર પ્લસના સ્ટૅન્ડઅપ કૉમેડી કાર્યક્રમને આજ સુધી મળ્યો નથી. એ ક્લિપમાં મિત્રોં…ના પરિચિત અવાજ સાથે હાસ્યની છોળો ઊડે છે. કોઈ જગ્યાએ અપમાનજનક કે વાંધાજનક કંઈ જ નથી. અવાજ, શરીરના હાવભાવ અને બન્ને જણ(નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી)ની રાજકીય શૈલીમાંથી વિનોદ નિપજાવવામાં આવ્યો છે; પરંતુ વાંધાજનક કંઈ જ નથી. ચૅનલવાળા કાં તો ડરી ગયા કે પછી તેમને ડરાવવામાં આવ્યા અને એવું પણ બને કે તેઓ વેચાઈ ગયા, પણ એ નિર્દોષ કૉમેડી બતાવવામાં ન આવી. આ બધું એ દેશમાં બની રહ્યું છે જે દેશના વડા પ્રધાને સંસદભવનમાં સભ્ય તરીકે પહેલી વાર પગ મૂક્યો ત્યારે ઘૂંટણિયે પડીને પ્રણામ કર્યા હતા. એ પ્રણામ દેખાવ પૂરતા મકાનને હતા કે લોકશાહી નામના તત્ત્વને એનો ખુલાસો માગવાની જરૂર નથી, કારણ કે ખુલાસાઓ રોજ મળી રહ્યા છે.
શાસકોની નકલ કરીને મનોરંજન નિપજાવવામાં આવે એ કોઈ નવી વાત નથી. પશ્ચિમમાં તો આની લાંબી પરંપરા છે. ચાર્લી ચૅપ્લિને તો આખી જિંદગી ઍડોલ્ફ હિટલરની નકલ કરી હતી અને ‘ગ્રેટ ડિક્ટેટર’ તો આખેઆખી ફિલ્મ હિટલરની ઠેકડી ઉડાડનારી હતી. જો કે ચૅપ્લિને હિટલરને પરેશાન કરી મૂક્યો હતો એ હકીકત છે. આબેહૂબ હિટલરની રાજકીય શૈલી વિનોદના સ્વરૂપમાં ચૅપ્લિનમાં જોવા મળતી હતી. આમ રાજકારણમાં વિનોદ અનિવાર્ય છે અને શાસક વિનોદનું સાધન બને એ સ્વાભાવિક છે. એક દિવસ જવાહરલાલ નેહરુના ધ્યાનમાં આવ્યું કે કેટલાક સમયથી તેમની ઠઠ્ઠા કરનારાં કાર્ટૂનો નજરે પડતાં નથી. તેમણે સવાલ કર્યો હતો કે શું તેઓ લોકપ્રિયતા ગુમાવી તો નથી રહ્યા? કનૈયાલાલ મુનશી જ્યારે કેન્દ્રના અન્નપુરવઠા ખાતાના પ્રધાન હતા ત્યારે અનાજની તંગીના એ દિવસોમાં તેમની ઠઠ્ઠા કરનારાં કાર્ટૂનો રોજ સવારે છાપાંઓમાં પ્રકાશિત થતાં હતાં. કોઈ દિવસ એવો નહોતો જતો કે તેમની ઠેકડી ઉડાડવામાં ન આવી હોય. વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને સાંત્વન સાથે શાબાશી આપતાં કહ્યું હતું કે આ એમ સાબિત કરે છે કે તમે પ્રયત્નશીલ છો અને પરિણામ માટે ઝઝૂમો છો.
શાસકોની ઠઠ્ઠા બે રીતે કરવામાં આવે છે. એક તેમની સામેના સંકટ અને સંકટના ઉકેલ માટે લેવામાં આવતા કે ન લેવામાં આવતા નિર્ણયોને કેન્દ્રમાં રાખીને. જે રીતે ૧૯૫૦ના દાયકામાં મુનશીની ઠેકડી ઉડાડવામાં આવતી હતી. બીજો પ્રકાર છે તેમની રાજકીય શૈલીને લઈને નિપજાવવામાં આવતો વિનોદ. જો નેતાઓની બીજા પ્રકારની મજાક મોટા પ્રમાણમાં થવા લાગે તો નેતાએ સાવધાન થઈ જવું જોઈએ. આજકાલ સોશ્યલ મીડિયાના યુગમાં દાવાનળ ફાટતાં વાર નથી લાગતી ત્યારે તો ખાસ.
૨૦૧૦માં ઇમર્જન્સીને ૩૫ વરસ થયાં ત્યારે વિરોધ પક્ષના નેતા અને અત્યારના નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે હવે ભારતમાં ઇમર્જન્સી લાદવી શક્ય નથી અને જો કોઈ ઇમર્જન્સી લાદે તો એ સફળ ન થઈ શકે. ૧૯૭૫માં ઇમર્જન્સી લાદીને ઇન્દિરા ગાંધીએ લોકોના વાણીસ્વાતંત્ર્ય પર તરાપ મારી હતી. અખબારો પર સેન્સરશિપ લાદવામાં આવી હતી. પ્રાઇવેટ ટીવી-ચૅનલો એ જમાનામાં હતી નહીં. અદાલતોના મોટા ભાગના જજો, અખબારોના માલિકો અને પત્રકારો ડરી ગયા હતા. જ્યાં સુધી અવાજ જીવતો છે ત્યાં સુધી મનસ્વીપણું અને એકાધિકારશાહી નથી ચાલી શકતાં. હવે ટેક્નૉલૉજીના યુગમાં અવાજ રૂંધવો એ શક્ય નથી. નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં જે વ્યક્તિ સૌથી વધુ બાહોશ ગણાય છે એ વ્યક્તિનો આ અભિપ્રાય છે અને એ પણ ૨૦૧૦નો જ્યારે વૉટ્સઍપનો જસ્ટ પ્રવેશ થયો હતો. ‘ર્મેસલ’ ફિલ્મ કે શ્યામ રંગીલાના અવાજને રોકવાનો પ્રયાસ કરનારા લોકોએ અરુણ જેટલીની સલાહ ધ્યાનમાં લેવી જોઈએ.
અરુણ જેટલીની વાત સાચી છે. હવે ઉપરથી નીચે પડો તો પણ લોકોના અવાજને દબાવી શકાય એમ નથી. તમારી તાકાત, તમારાં ટોળાંઓ, તમારા કાયદાઓ, તમારો મનીપાવર વગેરે તમામ શક્તિઓ ટેક્નૉલૉજી સામે લાચાર છે. હવે નાગરિક અખબારો અને ટીવીની ન્યુઝ-ચૅનલોનો મોહતાજ નથી. એક જમાનામાં ઇલેક્ટ્રૉનિક મીડિયાએ પ્રિન્ટ મીડિયાને ખૂણામાં ધકેલી દીધું હતું તો અત્યારે ડિજિટલ મીડિયાએ ઇલેક્ટ્રૉનિક મીડિયાને ખૂણામાં ધકેલી દીધું છે. કોઈને ચૂપ કરતાં પહેલાં અને ડરીને મૂંગા થઈ જતાં પહેલાં નવી વાસ્તવિકતા સ્વીકારી લેવાની જરૂર છે.
બાય ધ વે, ભારતમાં સૌથી વધુ ઠેકડી છેલ્લા બે દાયકા દરમ્યાન કોની ઉડાડવામાં આવી છે? લાલુ પ્રસાદ યાદવ. તેઓ ક્યારે ય ચિડાયા હોય કે તેઓ સત્તામાં હતા ત્યારે કોઈનું ગળું રૂંધ્યું હોય કે તેમના અનુયાયીઓએ નિંદા કરનારા લોકોને કે ઠેકડી ઉડાડનારા લોકોને સતાવ્યા હોય એવું સાંભળવા મળ્યું નથી. ‘દંડ નાયક’ નામની ત્રણ કલાકની ફિલ્મ લાલુ પ્રસાદ યાદવની નિંદા કરવા અને ઠેકડી ઉડાડવા માટે બનાવવામાં આવી હતી અને એમાં લાલુ પ્રસાદ યાદવની ભૂમિકા કરનારા પરેશ રાવલ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 29 અૉક્ટોબર 2017