કોઈક વાર એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે કે કોની વાત પહેલાં કરવી તેની મૂંઝવણ થાય. બાબા આમ્ટે પરિવારની ત્રણ પેઢીની વાત સોની ટીવીના કૌન બનેગા કરોડપતિના સમાજસેવી કાર્યક્રમમાં શુક્રવારે (૭/૯/૨૦૧૮) અમિતાભ બચ્ચને માંડી.
વાત તો બાબાની અને એમના પરિવારની જ કરવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં કામ કરવું, એમને મુખ્ય પ્રવાહમાં લાવવા કમર કસવી, કુષ્ટ રોગીઓની સેવા માટે જીવન સમર્પિત કરવું. આવી અનેક વાતો આપણે સેવાના ભેખધારીઓ માટે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. ગુજરાતમાં તો એવી સેવા કરનારાં કેટલાં ય નામ જડે. રવિશંકર મહારાજ, જુગતરામદાદા, અનુબહેન ઠક્કર, પિંડવળની ચતુષ્કોણી મંડળીનાં સાધકો, સુરેશભાઈ સોની …… હવે નામો ઉમેર્યા ં જ કરવા પડે તેવો ઘાટ.
કાન્તિભાઈ શાહ લિખિત "એકત્વની આરાધના" તો નજર સામે તરવરે. તો પછી આ "પ્રકાશની પગદંડીઓ"ની વાતમાં અલગ શું છે ? એવો વિચાર તો આવે. ત્રણ ત્રણ પેઢી પોતાની જાતને વંચિતો માટે પોતે વંચિત રહીને જાત ઓગાળી દે એવી સાધનાની કથા તો વાંચીએ ત્યારે જ સમજાય. બાબા આમ્ટેના પરિવારમાં સાધનાતાઈ અને બે દીકરા પ્રકાશ અને વિકાસ. બીજી ત્રીજી પેઢી ડોકેટરો ને ઈજનેરોની. ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોની વાત કરવી અને ખરેખર તેનું આચરણ કરવું, સાદાઈ એટલે સાદાઈ જ, સામાજિક સુધારા એટલે સુધારા જ આવું બોલવું સહેલું અને કરવું તો …… પરંતુ અહીં તો ત્રણ ત્રણ પેઢીથી “આમ્ટે રીતિ ચાલી આઈ હૈ”. અગવડો એમનાથી હાંફી જાય, મુશ્કેલીઓ તો એમને જોઈને હવે તો પીછો જ છોડી દેતી હશે. અને નસીબને થતું હશે કે એમને જ એમની લકીર ખેંચી લેવા દે, મારું કામ નહીં!
પરંતુ શરૂઆતમાં તો એવું કાંઈ નો'તું. પગદંડી બનાવવી એ જ તો મોટો પડકાર છે. વળી હોય તેને ત્યજી દઈ નવેસરથી પેઢી દર પેઢીએ પડકાર ઝીલવો, એનું તત્ત્વ ને સત્વ એટલે પ્રકાશની પગદંડીનું મહત્ત્વ. હવે તો કેડી અને રાજમાર્ગ પણ લાગે, શરૂઆત કાંઈ એવી થોડી હોય? અને સતત બે પેઢીને મેગ્સેસે એવોર્ડ એમનેમ મળે? આ કાંઈ વાડકી વ્યવહારનાં માનપાન તો છે નહીં!આ તો અવિરત સાધનાનું કોઈની મોહતાજી વગરનું સન્માન છે. એમને કારણે તો સન્માનનું મહત્ત્વ વધે છે.
એવું લાગે કે ભક્તિકથાઓએ હવે આવી સત્યકથાઓનું રૂપ ધારણ કરવું જોઈએ. સંજય ભાવેની અનુવાદકલા વિશે પણ વાત થવી જોઈએ, અહીં તો મૂળ કથા જ એટલી બળવંત કે બાકીની વાત જાણે હાંસિયામાં ચાલી જતી હોય એમ લાગે તેથી સંજયભાઈને જરાયે અન્યાય થતો નથી. હવે બધાં જાણે છે કે અરુણા જાડેજા કે સંજય ભાવે કાકા કાલેલકરની જેમ સવાયાં ગુજરાતી છે એટલે જ તો ઉત્તમ મરાઠી સાહિત્ય કથા આપણને મળે છે. વધારે ઓળખાણ તો નહીં જ પરંતુ ડો. પ્રકાશજીને સાંભળવાનો મોકો અમને ખારેલમાં ડો. અશ્વિનભાઈ શાહના કારણે મળેલો. છગનબાપા અનુદાનિત સંકુલના લોકાર્પણનાં કાર્યક્રમમાં એવું કંઈક યાદ છે. એ દિવસે એમની હ્યદયપૂર્વકની સરળ વાણી વહી આવેલી ત્યારથી જ ખાતરી થઈ ગયેલી કે આ તો જાણે સિદ્ધ આત્મા.
ગઈ કાલે “કૌન બનેગા કરોડપતિ” કાર્યક્રમમાં પ્રકાશજી અને મંદાજી આવ્યાં હતાં અને ફરીથી “પ્રકાશની પગદંડી” પુસ્તક અને બુધ સભામાં ભરતભાઈએ આપેલું તે વિષયક વક્તવ્ય યાદ આવી ગયા. આ પુસ્તક વાંચતાં જ આખું હેમલકસા અને આપ્ટે પરિવારનું જીવન-કવન જીવંત થઈ જાય. મંદાજીની બૌદ્ધિક ક્ષમતા, પારદર્શકતા, સાદગી, માયાળુ ચહેરો, નમ્રતા અને કાર્ય સમર્પિતતા અને પ્રકાશજીની સહજ, સરળ વર્તનશૈલી, પર્યાવરણની નિસબત, આદિવાસી પ્રજાપ્રેમ અને માતૃપિતૃ ભક્તિનો ગઈકાલના ઈન્ટર વ્યૂ દ્વારા થયેલો પરિચય અત્યંત હ્યદયસ્પર્શી. બન્ને તબીબોને પોતાની આવડત કે કાર્યક્ષમતાનો ભાર નહીં. વળી મેં તો ડોક્ટરની વીડિયો ફિલ્મ જોયેલી, છતાં ગઈ કાલે અમિતાભજીની વાણીમાં બેત્રણ વધારે ફિલ્મો જોવાનું બન્યું અને ભાવુક થઈ જવાયું. ગઈકાલે જે રીતે આમ્ટે દંપતીની જવાબ આપવાની ક્ષમતા જોઈ, તેમાં પણ મંદાજીની ત્યારે તો થયું કે આમને તો કદાચ પૂરી ઇનામી રકમ મળશે! જો કે સમય પૂરો થઈ ગયો એટલે એ શક્ય ન બન્યું! રહી રહીને જનમોજનમનાં સાથી દંપતીનો ઋજુ, સંવેદનશીલ વ્યવહાર જ નજર સમક્ષ તરવર્યા કરે છે. પ્રકાશજી જ્યારે કહે છે કે મારા માતાજીએ રોલ મોડેલ તરીકે મંદાનું નામ કહેલું અને ફિલ્મ દ્વારા પ્રકાશજી જે રીતે મંદાજી માટે પ્રેમાદર વ્યક્ત કરે છે તે જોઈને તો અભિવ્યક્તિ માટે શબ્દો જ ન જડે! મંદાજી અને પ્રકાશજીના હાવભાવમાં વણાયેલાં ઝળહળ પ્રેમાશ્રુનું દર્શન જ અદ્ભુત !
સંજય ભાવે એ સરસ ઉમેરણ કર્યું છે તે પણ માહિતી માટે અહીં સાદર કરું છું :
“પ્રકાશની પગદંડીઓ”ના ભાવાનુવાદક સંજય ભાવે એ મારી પ્રસંગકથા પર જે પ્રતિભાવ આપ્યો તે મિત્રો સાથે વહેંચવાનો લોભ રોકી શકતી નથી. હવે Facebook મારા માટે Favourite બની રહ્યું છે કારણ કે તરત પ્રતિભાવ તો મળે છે, સાથે એવા મિત્રો મળે છે જેમની સાથે આ રીતે સંબંધનું વિશિષ્ટ સ્વરૂપ બને છે. મયૂર દેસાઈએ પ્રકાશજી પર બનેલી મરાઠી ફિલ્મની લિન્ક પણ કમેન્ટમાં આપી આમ એક સરસ સેવાકાર્યની નોંધ આ રીતે લાવ્યા તે ખૂબ ગમ્યું.
“બહુ જ સરસ પ્રાસંગિક નોંધ લખી છે તમે, બકુલાબહેન. આમટે પરિવાર સેવા રુરલ, ઝગડિયાના કામની મહત્તા ઠીક જાણે છે તેવું મને ડૉ. પ્રકાશજીના પુત્રવધૂ ડૉ. અનઘા સાથે બે-એક વર્ષ પૂર્વે ટેલિફોન પર થયેલી વાતથી સમજાયું હતું. ડૉ. પ્રકાશ અને મંદાતાઈનાં બંને દીકરા અને પુત્રવધૂઓ તેમનું કામ એ જ જગ્યાએ આગળ ચલાવી રહ્યાં છે. (અલબત્ત સેવાનાં આવાં કામ આપણે ત્યાં અને દેશમાં બીજી કેટલીક જગ્યાએ ચાલે જ છે, તેનાથી તો આ દુનિયા ટકે છે!)
ડૉ. પ્રકાશ આમટેનાં મરાઠી પુસ્તક ‘પ્રકાશવાટા’ પાછળ સમકાલીન પ્રકાશને એકાદ વર્ષની મહેનત કરી છે. આ કામ માટે તેણે એક ટુકડી હેમલકસા મોકલી હતી. ‘પ્રકાશવાટા’નો હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ ‘સમકાલીને’ બહાર પાડ્યો છે. બાય ધ વે, મરાઠીમાં ત્રણેક વર્ષ પહેલાં ‘ડૉ. પ્રકાશ બાબા આમટે’ નામની સંતોષકારક ફીચર ફિલ્મ પણ બની હતી. તેમાં ડૉ. પ્રકાશજીની ભૂમિકા નાના પાટેકરે અને ડૉ. મંદાતાઈની ભૂમિકા સોનાલી કુલકર્ણીએ ભજવી હતી.
ડૉ. પ્રકાશના સગા મોટા ભાઈ ડૉ. વિકાસ અને તેમનાં પત્ની ડૉ. ભારતી આમટેએ વરોરા મુકામે બાબા આમટેનો ‘આનંદવન’ નામે કુષ્ટરોગનિવારણયજ્ઞ ખૂબ વિસ્તાર્યો છે. ત્યાં કુષ્ટરોગીઓ ઉપરાંત પણ ચૅલેન્જ્ડ લોકો માટે જંગમ કામ થઈ રહ્યું છે. તેના પર પણ સમકાલીને ‘પ્રકાશવાટા’ જેવા જ કદ અને ઘાટવાળું મરાઠી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. ડૉ.વિકાસે લખેલાં આ પુસ્તકનું નામ છે ‘આનંદવન પ્રયોગવન’. એનું વાક્ય શબ્દ સેવા અને વિજ્ઞાનના જોડાણનું વર્ણન કરે છે. વિકાસ અને પ્રકાશજીના માતુશ્રી અર્થાત્ લોકોત્તર બાબા આમટેનાં પત્ની સાધનાતાઈનાં સંભારણાંનાં મરાઠી પુસ્તકનું ‘સમિધા’ છે. તે વાંચતાં ખબર પડે કે બાબા આમટે કે કયા ભવ્યદિવ્ય માણસનું નામ છે, અને તેના સેવાયજ્ઞમાં સમિધ બનવું એટલે શું. બાબાનો પોતાનો ‘જ્વાલા આણિ ફુલે’ કાવ્યસંગ્રહ બહુ તાકાતવાળી અને અરુઢ શૈલીવાળી રચનાઓથી ભરેલો છે.
પુ.લ. દેશપાંડેએ બાબા વિશે વીસેક ઝગજોરી દે તેવાં પાનાં ‘ગુણ ગાઈન આવડી’ નામના વ્યક્તિચિત્ર સંગ્રહમાં લખ્યાં છે. મહારાષ્ટ્રના હૃદયમાં વસેલાં આ નિર્મળ જીવનકાર્ય ધરાવનારા પુ.લ.એ તે વ્યક્તિચિત્રમાં એક જગ્યાએ એ મતલબનું લખ્યું છે કે ‘મારાં હાથે જે કંઈ સારું થયું છે, મારી ગાંઠે જે કંઈ પુણ્ય છે, મારું જે કંઈ યત્કિચિં સત છે તેને સ્મરીને કહું છું કે બાબાને નોબલ સન્માન મળો’. અલબત્ત, બાબાના કામને જાણનાર માટે બાબા આમટેનું સત્વ અને સત આવાં સન્માનો કરતાં ઊંચું જ હતું.”
– સંજય ભાવે
સંજયભાઈ, બાબાના કાવ્યોનો ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ છે? મને એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં બાબા આમ્ટે પરિવાર માટે એક એવું સ્મૃિત સ્થાન બનતું રહેવું જોઈએ જયાં સમગ્ર પરિવારની સઘળી માહિતી મળતી હોય. એમનું જીવનકવન કોઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમથી ઓછું નથી બલકે કંઈકેટલી ટકા વિશિષ્ટ છે. સંજયભાઈ, આ એપિસોડમાં તો અમિતાભજી કંઈક ઝાંખા પડી જતા હતા, એવું મને લાગતું હતું અને એમ બનતું હતું તેનું એમને લેશમાત્ર ઓછું આવતું હોય એવું લાગતું ન હતું.
વલસાડ