આદરણીય (?) પ્રધાનમંત્રીશ્રી,
ચોથા લૉક ડાઉનની અધવચ્ચે તમારા રાષ્ટ્રજોગ વ્યાખ્યાનની જાહેરાત થતાં હું અચંબામાં પડેલો કે તાબડતોબ તમારે શી જાહેરાત કરવાની હશે? મને થયું કે ૪૦ લાખ મજૂરો વતન જતાં અટવાયા છે, તેમને કોઈક રાહત આપવાની જાહેરાત હશે, રસ્તે રઝળીને મૃત્યુ પામેલાં, રેલવેના પાટા પર મરી ગયેલાં મજૂરો માટે શ્રદ્ધાંજલિના બે શબ્દો હશે, પણ આપના ભાષણમાં એવું કઈ આવ્યું જ નહીં! ખરે જ તમે ‘દયાહીન નૃપ’ છો. તમારા સમર્થકો કહેવા માંડે છે કે આટઆટલા પૈસાની જાહેરાત પૂરતી નથી? અરે ભાઈ, પૈસા જનતાના જ છે. વળી કોરોનાકાળમાં જ કૉર્પોરેટના રૂ.૬૫,૦૦૦ કરોડ માફ થયા છે. પણ રૂપિયાપૈસા સિવાય, તમે જે કહ્યું તેની પહેલાં ચર્ચા કરું.
પહેલાં મહામારીને મહાભયમાં ફેરવી, હવે આફતને અવસરમાં ફેરવવાની વાત ગળે ઊતરતી નથી. કોરોના સાથે સહજ જીવતા શીખવું પડશે! વાહ! તો પચાસ દિવસ શું કામ હેરાન કર્યા ? ‘બાર વરસે બાવો બોલ્યો’ જેવું લાગે છે. કહેવાનો અર્થ એ કે તમારા વ્યાખ્યાનનું પ્રસ્થાનબિંદુ, મુખ્ય ધ્વનિ હતો કોરોના સંકટ એકાએક જાણે ટળી ગયું છે. પણ ના વસ્તુસ્થિતિ આ નથી.
કોરોના દરદીઓ વધી રહ્યા છે, મૃત્યુ વધી રહી રહ્યાં છે, તપાસ થઈ નથી, પ્રભાવિત વિસ્તારો વધી રહ્યા છે ત્યારે કોરોના સામેની લડાઈમાંથી તમે એકાએક ‘રણછોડ’ થઈ ગયા? ૧૩૦ કરોડ પ્રજા પરેશાન છે ત્યારે ઓદ્યોગિકીકરણ અને નવનિર્માણની ફૅન્ટસી દેખાડો છો ! આપના ભાષણમાં લૉક ડાઉન ખૂલ્યાં પછી સંકટ વધે તો તંત્રે કઈ સુવિધા ઊભી કરી હશે, એની બ્લ્યુપ્રિન્ટ પૂરી પાડવાની હતી. પણ કોરોના તો જાણે પતી ગયો ! જે રાજકીય કાર્યકરો ચૂંટણી વખતે દારૂ, ચવાણું અને પૈસા લઈને પ્રજા પાસે જાય છે તે સંકટ વચ્ચે ક્યાં છૂપાઈ ગયા? એમને આમજનતાની પડખે ઊભા રહેવાની હાકલ તમારા વ્યાખ્યાનમાં આવે, એવી મારી આશા ઠગારી નીવડી.
તમે કહ્યું વિશ્વમાં ભારતની પ્રશંસા થાય છે. તમારી પ્રશંસા થાય છે. બરાબર છે, જાતે જ પોતાની પીઠ થપથપાવો. વિશ્વનાં ૪૫ સારાં છાપાંએ ભારતની પ્રશંસા કરી છે એ તમારી નહીં, કેરળની અકલ્પનીય મૉડેલની કરી છે. તમે શું કર્યું? છપ્પનની છાતીની તમારી વાતો ખૂબ થાય છે, તો કેમ એક હોસ્પિટલ સુદ્ધાંની મુલાકાત લીધી નથી? સ્થળાંતરિત મજૂરોના સેંકડો ઇન્ટરવ્યૂ મીડિયામાં આપે જોયા હશે, છતાં હરફ સરખો નહીં !
આવા વખતે તમે પાંચ ‘એલ’ની તુકબંદી કરો છો, નિશાળિયાઓની જેમ. મોકો મળ્યો છે. દુનિયાની કંપનીઓ બારણાં ખખડાવશે, એવી બીજી ફૅન્ટસી લોલીપોપ પકડાવો છો. અત્યારે જ તમારી યુ.પી, આસામ, મધ્ય પ્રદેશ, ગુજરાત સરકારે શ્રમ કાનૂન સ્થગિત કર્યા! આ તમારાં બેવડા ધોરણો છે. ખાદીને પહેલાં લોકપ્રિય બનાવી! શું તમારી મુગ્ધતા છે, સાહેબ. તમારી અને ગાંધીની ખાદી વચ્ચે તમારી અને ગાંધી વચ્ચે છે તેટલું જ અંતર છે. તમે પ્રત્યેક ખાદીની દુકાને પોતાનો ફોટો મૂકવાનો કાયદેસર નિયમ બનાવ્યો! બિચારાઓને રાહત જોઈતી હોય એટલે કરવું પડે. તમારી કાર, ચશ્માં, ઘડિયાળ, બૂટ, કોટ, કાર કે બોઈંગ વિમાન આમાંનું કશું જ સ્વદેશી નથી. બેવકૂફ ન બનાવો, સાહેબ. મીડિયા વિજ્ઞાપન ટેલિકોમ્યુનિકેશન સ્વદેશી કરી આપો, ચાલો. અરે! તમે જેની જાહેરાત કરી હતી તે ચીની બનાવટવાળા JIOની જગાએ BSNLને ફરી ઊભું કરી આપો. તમે પ્રજાને (ટાસ્ક) દેવામાં માહિર છો અને બધા ધંધે લાગી જાય છે. દીવા કરો, થાળી વગાડો, તાળી પાડો, ફૂલ વેરો, હવે આત્મનિર્ભર બનો, સ્વદેશી બનો! ૧૦૦ ટકા F.D.I. (સીધું વિદેશી મૂડીરોકાણ) કરનાર તમે કયા મોઢે સ્વદેશીની વાત કરો છો? આ તમારું શુદ્ધ પાખંડ છે. સ્વદેશી જાગરણ મંચ, ભારતીય મજદૂર-કિસાન સંઘ જેવી સંસ્થાને થોડીક ટાઢક વળે એટલા માટે તમે આ બોલ્યા છો. સ્વદેશીની વાત ચાલાકી છે.
હવે આવીએ તમારા રૂ. વીસ લાખ કરોડ પર. સાહેબ, તમારા વ્યાખ્યાન પછી થોડાં જ કલાકોમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની વેબસાઇટ પર ‘ડિકોડિંગ ટ્વેન્ટી લેક્સ’ લેખ આવ્યો, જેમાં આ વીસ લાખનું જુઠ્ઠાણું પર્દાફાશ થયું છે. એમાં લખાયેલું છે કે વર્ષ દરમિયાન નાણાંમંત્રીએ RBIની મદદથી કરેલી તમામ ઘોષણાનો સરવાળો છે. ચાલુ પ્રોજેકટ સમાવવામાં આવ્યા છે, જે બાર-બાર લાખ કરોડના છે અને માત્ર આઠ લાખ કરોડ જ ઉમેરાયા છે! આવું જુઠ્ઠાણું? હજુ આગળ, નિર્મલા સીતારામને ૬ લાખ કરોડના પેકેજની વાત કરી છે તેની પણ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના બીજા પત્ર ‘ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસે’ પર્દાફાશ કર્યો. જે લોનથી છાપાં ઉભરાયાં તે લોન તા. ૧ માર્ચ, ૨૦૨૦ થી ૨૧ માર્ચ, ૨૦૨૦ લગીમાં અપાઈ ચૂકી છે! શું ઝડપ છે તમારી લોન વહેંચવામાં! આ જ ઝડપથી મજૂરોને ઘેર પહોંચાડયા હોત તો? ૨૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં લોન વહેંચાઈ ગઈ છે, એ યોજના જાહેર થાય છે ૧૪ મે, ૨૦૨૦ના રોજ! ગજબની ઝડપ છે, સાહેબ. અને ૨૪મીથી લૉક ડાઉન. કારખાનાના માલિકો કામદારોને પગાર નથી આપતા, પણ તમે એ ગાળામાં લોન આપી પણ દીધી !
થોડુંક તમારી યોજનાની પોકળતા વિશે જણાવી દઉં. જે ‘આરોગ્યસેતુ’ એપનો રાહુલ ગાંધી વિરોધ કરે છે તે ભૂલી જાવ, પણ તમે જેમને PERSONAL DATA BILLની સમિતિના ચેરમેન બનાવેલા તે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.એમ. શ્રીકૃષ્ણ, તમારા હમદર્દ તેને જનતાના અંગત જીવનમાં દખલગીરી ગણે છે! આ પણ તમે સંસદમાંથી પસાર થયા પહેલાં ફરજિયાત લાગુ કર્યું.
મેં લોકોના ખાતામાં પૈસા પહોંચાડયા છે, એ પણ આપે ગાઈવગાડીને કહ્યું. રેશનિંગ મોડું અને કેટલું અધૂરું આવ્યું છે, તે જાણવાની કોશિશ કરજો. બેંગ્લોરની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ બાર રાજ્યોનો સર્વે કર્યો અને સાબિત કર્યું કે ૬૪ ટકા પ્રજા પાસે જનધન ખાતું જ નથી, પૈસા ક્યાં નાખશો? PM કિસાન યોજનાના પૈસા કેવળ ૨૫ ટકાને જ મળ્યા છે!
અચ્છે દિન, નોટબંધીની જેમ તમે સપનાં દેખાડી, હકારાત્મકતાનો ભ્રમ ઊભો કરી આમજનતાને છેતરી રહ્યા છો. જેમણે તમને ખુશી ખુશી મત આપ્યા છે તેમની સાથેની તમારી છેતરપિંડી લાંબો સમય નહીં ચાલે.
લિ. તમારી જ માતૃભાષાનો એક માસ્તર
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 મે 2020