Opinion Magazine
Number of visits: 9449039
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરાક્રમની જે ખ્યાતિ ઈઝરાયેલ ધરાવે છે એ યુક્રેને કરી બતાવ્યું

રમેશ ઓઝા|Opinion - Opinion|8 June 2025

રમેશ ઓઝા

કમાલ કરી. કમાલ પણ પાછી એવા દેશે કરી જે આવી કમાલ કરી શકે એની કોઈએ કલ્પના નહોતી કરી. એ દેશ વિશ્વગુરુ નથી અને હજુ હમણાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ દેશના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકીને વ્હાઈટ હાઉસમાં બોલાવીને ઉપ પ્રમુખ સાથે મળીને લતાડ્યા હતા. કોઈ મહેમાન મુલાકાતી નેતાનું પત્રકારો અને કેમેરાની સામે આવું અપમાન કરવામાં આવ્યું હોય એવું જગતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું. ટ્રમ્પે કહી દીધું હતું કે તું (ઝેલેન્સી) આક્રમણકારી છે, માથાફરેલો છે, રશિયન પ્રમુખ પુતિનની વાત સાંભળતો નથી એટલે હવે અમેરિકા તને મદદ નહીં કરે. ઝેલેન્સકીએ દબાયા વિના અને ડર્યા વિના અમેરિકન પમુખ અને ઉપ પ્રમુખનો મુકાબલો કર્યો હતો. અમેરિકાને ખનીજ સંપત્તિ આપવાની ના પાડી દીધી હતી. એ પછી એમ લાગતું હતું કે અમેરિકાની મદદ વિના રશિયા સામે યુક્રેન ટકી શકે એ શક્ય જ નથી એટલે દુનિયાભરના રાજકીય નિરીક્ષકોએ એમ માની લીધું હતું કે યુક્રેન યુદ્ધ હારી ગયું છે. હવે માત્ર આબરૂ રાખવા યુદ્ધવિરામની જાહેરાત બાકી છે અને તેને માટેની વાટાઘાટો તુર્કીમાં ઈસ્તંબુલમાં શરૂ થઈ ગઈ હતી. 

અને એની વચ્ચે કમાલ કરી! જગતને લશ્કરી કમાલ બતાવવાનો અત્યાર સુધીનો ઇતિહાસ ઇઝરાયેલનો છે. મુસ્લિમ દેશોની વચ્ચે ઘેરાયેલું ઇઝરાયેલ ટકી રહેવા માટે જે જદ્દોજહદ કરે છે એ જોઇને હિંદુરાષ્ટ્રવાદીઓ ઇઝરાયેલના ઓવારણા લેતા થાકતા નથી. તેમને એ સમજાતું નથી કે ઇઝરાયેલની તાકતનું રહસ્ય શું છે? એ વિજ્ઞાનવિરોધી નથી. એ શિક્ષણ અને શિક્ષિતોથી દૂર ભાગતું નથી. એ ઇતિહાસમાં જીવતું નથી. ઇતિહાસપુરુષોના ખોટા કે સાચા પરાક્રમોને ભૂંજીને ગુજારો કરતું નથી. તેના નેતા બહાદુરીના ખોખલા દાવા કરતા નથી. તે માત્ર અને માત્ર વર્તમાનમાં જીવે છે, કારણ કે ટકી રહેવાનો પડકાર વર્તમાનનો છે. માત્ર ટકી રહેવાનો જ નહીં, બનાવેલી જગ્યા પકડી રાખવાનો, હજુ વધારે જગ્યા બનાવવાનો પડકાર પણ વર્તમાનનો છે. આમાં ગમે એટલો ગૌરવશાળી ઇતિહાસ હોય, કામમાં નથી આવવાનો. વર્તમાન, વર્તમાન અને વર્તમાન. હિન્દુત્વવાદીઓ વર્તમાનથી ડરે છે અને દૂર ભાગે છે. 

ખેર, પરાક્રમની જે ખ્યાતિ ઇઝરાયેલ ધરાવે છે એ યુક્રેને કરી બતાવ્યું અને એ પણ જગતના યુદ્ધના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરીને. પશ્ચિમમાં નોર્વેની સરહદથી લઈને પૂર્વે સાઈબિરિયા સુધી ફેકાયેલા રશિયાના પાંચ પ્રદેશ, ચાર ટાઈમઝોન, છથી સાત પાકિસ્તાન સમાઈ શકે એટલો ભૂભાગ અને યુક્રેનથી ચાર હજાર કિલોમીટર અંદર સુધી ઘૂસીને યુક્રેને હુમલા કર્યા. એ હુમલા વિમાન દ્વારા નહોતા કરવામાં આવ્યા. મિઝાઈલ દ્વારા કરવામાં નહોતા આવ્યા. નાનાં વિમાનમાં ગોઠવેલા માનવરહિત ડ્રોન મિઝાઈલ દ્વારા નહોતા કરવામાં આવ્યા, પણ ફોટોગ્રાફી માટે વપરાતાં ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હતા અને તેનું રીમોટ દ્વારા સંચાલન યુક્રેનથી કરવામાં આવ્યું હતું. દિલધડક હકીકત એ હતી કે એ ડ્રોન ટ્રક દ્વારા ટાર્ગેટ સુધી મોકલવામાં આવ્યા હતા, ટ્રક પણ રશિયન હતી અને છેક ટાર્ગેટના દરવાજે પહોંચીને ટ્રકમાંથી હજારોની સંખ્યામાં ડ્રોન નીકળ્યાં હતાં અને રશિયન એરબેઝનો ખાત્મો બોલાવ્યો હતો. રશિયાની ત્રીજા ભાગની લશ્કરી તાકાત નષ્ટ કરી હોવાનો યુક્રેન દાવો કરે છે. 

આનો અર્થ એવો નથી કે રશિયા ખતમ થઈ જશે કે હારી જશે. ઘણું કરીને રશિયા યુક્રેનને જડબાતોડ જવાબ આપશે. પણ જેમ શિયાળ સિંહને લાફો મારે અને સિંહનો ચેહરો મોળો પડી જાય એવું તો બન્યું જ છે. ડ્રોન હુમલા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ પુતિનને ચક્રમ તરીકે ઓળખાવ્યા છે. ઈસ્તંબુલની વાટાઘાટોમાં રશિયા યુદ્ધવિરામ માટેની શરત વધારતું જ જતું હતું અને યુક્રેને વાટાઘાટોની વચ્ચે હુમલા કરીને ટેબલની દિશા બદલી નાખી. પુતિનને ચક્રમ તરીકે ઓળખાવવાનું કારણ આ છે. અસંસ્કારી નાદાન કી દોસ્તી. ભારતને પણ આનો એકથી વધુ વખત પરિચય થઈ ગયો છે અને ઓપરેશન સિંદુર વખતે અમેરિકાએ યુદ્ધવિરામની ઘોષણા કરીને નરેન્દ્ર મોદીને ભોંઠા પાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કમ સે કમ વડા પ્રધાન એટલું તો બોલે કે અમેરિકાએ તેની મર્યાદામાં રહેવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવું જોઈએ. સભ્ય ભાષામાં પણ આ કહી શકાય છે. ઝેલેન્સકી બનવું તો બહુ દૂરની વાત છે. 

ગયા વર્ષે મેં પ્રવીણ સાહનીનું ‘ધ લાસ્ટ વૉર : હાઉ એ.આઈ. વિલ શેપ ઇન્ડિયાઝ ફાયનલ શોડાઉન વિથ ચાઈના’ વાંચ્યું હતું અને એ વાંચ્યા પછી અક્ષરસ: શરીરમાંથી લખલખું પસાર થયું હતું. મેં મારી કોલમમાં એ પુસ્તક વિષે લખ્યું પણ હતું. પ્રવીણ સાહનીએ જે પ્રકારનાં યુદ્ધનું વર્ણન એ પુસ્તકમાં કર્યું છે લગભગ એવું જ યુદ્ધ યુક્રેને લડ્યું. એક પણ સૈનિકને રશિયા મોકલ્યા વિના. એક ટ્રકમાં હજારોની સંખ્યામાં ડ્રોન મોકલી શકાય એટલાં નાનાં ડ્રોન. પ્રવીણ સાહની તો કહે છે કે ચીન પાસે એનાંથી નાનાં ડ્રોન છે અને તમે એ જાણીને ચોંકી જશો કે મધમાખી જેવડાં ડ્રોન અને એ પણ લાખોની સંખ્યામાં. યુક્રેન દાવો કરે છે કે ગયા વરસે તેણે બાવીસ લાખ ડ્રોન બનાવ્યા હતાં અને આ વરસે ૪૫ લાખ ડ્રોન બનાવવાનો ઈરાદો છે. એટલે પ્રવીણ સાહનીએ કહ્યું છે કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થશે તો એ લાસ્ટ વૉર હશે. તમને એક પણ ચીનો સરહદે નજરે નહીં પડે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ડ્રોનના મોરચે ચીન જગતના કોઈ પણ દેશ કરતાં એક દશક આગળ છે. એટલે કે ભારત જો અત્યારે ચીનની બરાબરી કરવા કમર કસે તો ચીનના આજના સ્તરે પહોંચતા દસ વરસ લાગે. ત્યાં સુધીમાં ચીન ક્યાં પહોંચ્યું હોય એ કલ્પનાનો વિષય છે. પ્રવીણ સાહની કહે છે કે ચીને પોતાનો ડ્રોન પ્રોજેક્ટ છૂપાવ્યો પણ નહોતો. ભારત પણ આ જાણે છે, પરંતુ ભારતના અત્યારના શાસકોને ચીન કરતાં ઔરંગઝેબની ચિંતા વધારે છે. એનો ડર વધારે છે. લડાખ ભલે હાથથી જાય, પણ ઔરંગઝેબને ભૂ પીવડાવી દેવું જોઈએ. 

ઓપરેશન સિંદૂર વખતે પહેલાં બે દિવસ તો અમેરિકાએ કોઈ રસ નહોતો લીધો. પણ ત્રીજા દિવસે જ્યારે ખબર પડી કે ચીનની આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ યુક્ત લશ્કરી સહાય પાકિસ્તાનને મળી રહી છે અને એ પણ સક્રિય પણે ત્યારે અમેરિકાએ ભારત પર દબાણ કરીને બારોબાર યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલાં ચીનના એન્ગલનો વિચાર નહોતો કર્યો. 

અહીં એક યાદ અપાવવી જરૂરી છે. સોવિયેત રશિયાનું વિઘટન થયું અને યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો ત્યાર પછી ૧૯૯૪માં યુક્રેન, રશિયા, અમેરિકા અને બ્રિટન વચ્ચે એક લેખિત સમજૂતી થઈ હતી કે યુક્રેન તેની પાસેનાં અણુશ્સ્ત્રોનો અંત લાવશે અને સામે જો કોઈ દેશ યુક્રેન પર ચડાઈ કરશે તો આ ચાર દેશ યુક્રેનની પડખે ઊભા રહેશે. ફ્રાન્સે એ સમજૂતીને ટેકો આપ્યો હતો યુક્રેનની મદદમાં ઊભા રહેવાની ગેરંટી આપી હતી. એ એક છેતરપિંડી હતી એમ યુક્રેન માને છે. સત્તાવાર રીતે યુક્રેન પાસે અણુશસ્ત્રો નથી એટલે લશ્કરી સંતુલનનો લાભ યુક્રેનને મળતો નથી અને એના અભાવમાં યુક્રેને ડ્રોનનો માર્ગ અપનાવીને જડબેસલાક તમાચો મારી દીધો. અણુશસ્ત્રો ધરાવતા દેશ પર અણુશસ્ત્રો નહીં ધરાવતા દેશે વ્યાપક હુમલા કર્યા. પાંચ પ્રદેશ, ચાર ટાઈમઝોન અને ચાર હજાર કિલોમીટર અંદર સુધી. આને કહેવાય ખમીર. 

ગોપનીયતા કમાલની હતી. યુક્રેનની જાસૂસી એજન્સી સિક્યુરિટી સર્વિસ ઓફ યુક્રેન દોઢ વરસથી ડ્રોન હુમલાની તૈયારી કરતી હતી. બાવીસ લાખ ડ્રોન બનાવ્યાં અને એટલી બારીક ચોકસાઈ સાથે ઓપરેશન કર્યું અને જગતમાં કોઈને જાણ પણ ન થઈ. ચેલાઓએ ગુરુને તમાચો માર્યો. જ્યારે સોવિયેત રશિયા અખંડ હતું ત્યારે રશિયન ગુપ્તચર સંસ્થા કે.જી.બી.નું નેતૃત્વ અત્યારના રશિયન પ્રમુખ પુતિન કરતા હતા. સિક્યુરિટી સર્વિસ ઓફ યુક્રેનના સીનિયર અધિકારીઓ પુતિનના હાથ નીચે તૈયાર થયા છે. 

માઈક્રો ડ્રોન યુદ્ધ ભારત માટે અને દુનિયાના દેશો માટે ગંભીર ચિંતાનો વિષય છે. માત્ર પચાસ હજારની કિંમતમાં બનતું ડ્રોન ત્રાસવાદીઓના હાથમાં જઈ શકે છે. ઓછી ઘાતક ક્ષમતાવાળા (લો ઇન્ટેન્સીટી) અનેક હુમલા એક સાથે નાગરિકો પર થઇ શકે છે. ઓછા ખર્ચે અને વગર માનવીએ મોટી ખુવારી શક્ય છે. જો ગંભીરતા સમજાતી હોય અને ભવિષ્યની ચિંતા હોય તો સત્તા માટે હિંદુ મુસ્લિમ કરવાની જગ્યાએ વર્તમાનમાં ઝડપથી બદલાતી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. આંખ ઉઘાડનારા ટીકાકરોને ગાળો દો અને ઉઘાડી વાસ્તવિકતાથી મોઢું ફેરવી લો તો એનાથી નથી વાસ્તવિકતા બદલવાની કે નથી તેનો અંત આવવાનો. તમે તક ગુમાવી દેશો એ નક્કી વાત છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2025

Loading

8 June 2025 Vipool Kalyani
← એક પગલું સ્રી-શક્તિ તણું
ચલ મન મુંબઈ નગરી—292 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved