પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી આડે એક અઠવાડિયું બચ્યું છે અને એમાં કાંઈ પણ થઈ શકે છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ તેમની તકસીરવાર પુત્રી સાથે પાકિસ્તાન પાછા ફર્યા છે અને એ જ દિવસે બલુચિસ્તાનમાં અને ખૈબર પખતુન્વા એમ બે જગ્યાએ થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૧૩૩ જણા માર્યા ગયા હતા. બલુચિસ્તાનમાં કરવામાં આવેલા હુમલામાં બલુચિસ્તાનના મુખ્ય પ્રધાન નવાબ અસ્લમ રઇસાનીના ભાઈ સિરાઝ રઈસાનીનું મૃત્યુ થયું છે. દરમ્યાન પાકિસ્તાની લશ્કરના ઉમેદવાર અને ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન બેફામ બોલી રહ્યા છે. એમ લાગે છે કે પાકિસ્તાનમાં એક અઠવાડિયું લાંબું નીવડવાનું છે.
છઠ્ઠી જુલાઈએ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના ગુનામાં દસ વરસની અને તેમની પુત્રીને સાત વરસની સજા કરી ત્યારે તેઓ બન્ને લન્ડનમાં હતાં. ત્યારે એમ માનવામાં આવતું હતું કે આ લશ્કર અને નવાઝ વચ્ચેની સમજૂતી છે અને આવી સમજૂતી ભૂતકાળમાં અનેક વખત જોવા મળી છે. શાસકને કોઈને કોઈ બહાને પદચ્યુત કરવામાં આવે, એ પછી તેમના પર ભ્રષ્ટાચાર કે દેશદ્રોહના આરોપ મુકવામાં આવે, હાથવગી અદાલતોમાં હાથવગા જજો ખટલો ચલાવે, ઠરાવેલી સજા કરવામાં આવે અને છેવટે પદચ્યુત શાસક જેલમાં જિંદગી કાપવાની જગ્યાએ વિદેશ જતો કે જતી રહે. ભૂતકાળમાં બેનઝીર ભુત્તો, બેનઝીરના પતિ અસિફ અલી ઝરદારી, જનરલ મુશર્રફ અને બે વાર નવાઝ શરીફ પોતે લશ્કરી સરમુખત્યારો સાથે સોદો કરીને વિદેશમાં જતા રહ્યા હતા. એટલે છઠ્ઠી જુલાઈએ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે શરીફ પિતા-પુત્રીની વિરુદ્ધ ચુકાદો આપ્યો, ત્યારે તે બન્ને લંડનમાં હતાં એ જોઇને આશ્ચર્ય નહોતું થયું.
આમાં અપવાદ માત્ર ઝુલ્ફીકાર અલી ભુત્તોનો હતો. જનરલ ઝિયા ઉલ હકે લશ્કરી બળવો કરીને પાકિસ્તાનના લોકપ્રિય વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુત્તોને પદભ્રષ્ટ કર્યા હતા અને પછી નકલી ખટલો ચલાવીને તેમને ફાંસીની સજા કરી હતી. એ સમયે અમેરિકા અને સાઉદી અરેબિયાએ ભુત્તોને દેશની બહાર જવા દેવાની સલાહ આપી હતી, પરંતુ ભુત્તો દ્વારા કરવામાં આવેલા અપમાનના કારણે વેરથી ભડકે બળતા જનરલ ઝિયાએ તેમની વાત નહોતી માની અને ભુત્તોને ફાંસીએ ચડાવ્યા હતા. એ પછીનો પાકિસ્તાનનો જે ઇતિહાસ છે એ આત્મઘાતનો ઇતિહાસ છે. જનરલ ઝિયાએ પાકિસ્તાનને મુસલમાનોની પાક ભૂમિ બનાવવાની જગ્યાએ ત્રાસવાદીઓની નાપાક ભૂમિમાં ફેરવી નાખી હતી.
ગયા વરસે પનામા પેપર્સની વિગતો બહાર પડી એ પછીથી વિદેશમાં સંપત્તિ ધરાવવાના ગુના માટે નવાઝ શરીફને આજીવન સત્તા ભોગવવા માટે નાલાયક ઠેરવ્યા હતા. નવાઝે રાજીનામું આપવું પડ્યું હતું અને શહીદ ખાકન અબ્બાસીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા જે વાસ્તવમાં વચગાળાના વડા પ્રધાન હતા. આ આખી યોજના લશ્કરની હતી. આજના યુગમાં પાકિસ્તાનમાં લશ્કરી બળવો કરીને ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા આંચકી લેવી એ અઘરું કામ છે, એટલે સરકારની પાછળ રહીને લશ્કર દોરીસંચાર કરે છે. પાકિસ્તાનમાં દાયકાઓના લશ્કરી શાસન દરમ્યાન લશ્કરના સ્થાપિત હિતો વિકસ્યા છે અને કોઈ ચૂંટાયેલી સરકાર તેના પર તરાપ મારે એ લશ્કર સહન કરવા તૈયાર નથી. પાકિસ્તાનમાં નવાઝ શરીફ ધીરેધીરે લશ્કરની પાંખ કાપતા જતા હતા અને લશ્કરી અધિકારીઓ મોકાની શોધમાં હતા જે તેમને પનામા પેપર્સમાં મળી ગયો હતો.
૨૦૧૮ના જુલાઈ મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવાની હતી અને એ નવાઝ શરીફ ગુમાવવા નહોતા માંગતા. આજીવન સત્તા ભોગવવા નાલાયક ઠરેલા નવાઝ શરીફ પાકિસ્તાનના રાજકારણના કેન્દ્રમાંથી નહોતા હટતા. નવાઝને ખાતરી હતી કે અદાલત ખટલો ચલાવીને રીતસર સજા કરશે અને તેમને પાકિસ્તાનના રાજકારણમાંથી દેશવટો આપવાનો પ્રયાસ કરવામાં આવશે, પણ એ છતાં તેઓ કેન્દ્રમાંથી નહોતા હટતા. જે દિવસે સજા સંભળાવવામાં આવી એ દિવસે નવાઝ પિતા-પુત્રી લંડનમાં હતાં એ જોતાં એમ લાગતું હતું કે કદાચ લશ્કર અને નવાઝ વચ્ચે સોદો થઈ ગયો છે, પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નવાઝ લશ્કર અને લશ્કરના ટટ્ટુ ઇમરાન ખાન સામે લડી લેવા માંગે છે. પાકિસ્તાનના લશ્કરે ઇમરાન ખાનને ટેકો આપ્યો છે. એક સમયે નવાઝ શરીફ આજના ઇમરાન ખાનની જેમ જનરલ ઝિયા ઉલ હકના ટટ્ટુ એ જુદી વાત છે અને તેને આજે ત્રણ દાયકા વીતી ગયા છે.
નવાઝ શરીફે બહુ મોટો દાવ લગાવ્યો છે, અને એ દાવ પાકિસ્તાનના લોકતંત્ર માટે ઉપકારક છે એમ કોઈ શંકા જ નથી. શરીફ અને તેમનો પરિવાર ભ્રષ્ટાચારના આરોપમાં તકસીરવાર ઠર્યો છે, પરંતુ એમાં કેટલું રાજકારણ છે અને કેટલો ન્યાય છે એ આપણે જાણતા નથી. મોટાભાગે ભ્રષ્ટાચારના આરોપ સાચા પણ હશે, પરંતુ અત્યારે જે બની રહ્યું છે એ શુદ્ધ રાજકારણ છે. પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને તેમાં ફક્ત એક અઠવાડિયું આડે છે. નવાઝ શરીફને એ વાતની પણ ખાતરી હતી કે પાકિસ્તાનમાં પગ મુકતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવશે. સજા પામેલા રાષ્ટ્રીય નેતા દેશવટો ભોગવીને જેટલી રાજકીય વગ ધરાવે છે, એના કરતાં દેશની અંદર સજા પામીને જેલમાં રહીને વધુ રાજકીય વગ ધરાવે છે. આમાં જોખમ છે, પણ લાભ પણ મોટો છે. નવાઝને પ્રચંડ પ્રમાણમાં સહાનુભૂતિનો લાભ મળશે એમ માનવામાં આવે છે અને એ જોઇને ઇમરાન ખાન અકળાઈ ગયો છે. નવાઝના આગમન વખતે વિમાન મથકે જે આવકારનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં એ જોઇને ઇમરાન ખાને એલફેલ નિવેદનો કર્યા હતાં.
પાકિસ્તાનની સંસદ(રાષ્ટ્રીય ધારાસભા)માં કુલ ૩૪૨ બેઠકો છે, જેમાંથી સીધી ચૂંટણી માત્ર ૨૭૨ બેઠકો માટે યોજાય છે. ૭૦ બેઠકો મહિલાઓ અને લઘુમતી કોમ માટે અનામત છે જેને ૨૭૨ બેઠકોમાં જે તે રાજકીય પક્ષને મળેલા વિજયના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. હવે સમસ્યા એ છે કે કુલ ૩૪૨ બેઠકોમાંથી એકલું પંજાબ ૧૮૩ બેઠકો (સીધી અને આરક્ષિત બન્ને મળીને) ધરાવે છે જે અડધા કરતાં વધુ છે. આ પંજાબ નવાઝનો ગઢ છે. જ્યાં ઇમરાન ખાનનું વર્ચસ છે, એ ખૈબર પખ્તુનવા રાષ્ટ્રીય ધારાસભામાં માત્ર ૪૩ બેઠકો ધરાવે છે. સિંધ ૭૫ બેઠકો ધરાવે છે જ્યાં ઇમરાન ખાનનું કોઈ વજૂદ નથી. પંજાબની ૧૮૩ બેઠકો હોય ત્યારે જેલમાં રહીને પણ ચૂંટણી જીતી શકાય છે એ નવાઝ જાણે છે, પરંતુ છે મોટો જુગાર. રાજકીય તો ખરો જ નવાઝ શરીફે જિંદગીનો પણ જુગાર ખેલ્યો છે એની કદર તો કરવી જ રહી.
(પ્રકાશન : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 16 જુલાઈ 2018)