તારીખ 23મી જુલાઈને દિવસે ગ્લાસગોમાં 20મી કોમનવેલ્થ ગેઈમ્સનું મંગલાચરણ થયું અને ત્રીજી ઓગસ્ટને દિવસે પૂર્ણાહુતિ પણ થઈ ત્યારે કળા અને સ્કોટલેન્ડની સંસ્કૃિતનું સુંદર પ્રદર્શન થયું. સહુથી મનભાવન વાત એ નોંધી કે સારાયે કાર્યક્રમ દરમ્યાન ‘આપણે સહુ કોમનવેલ્થ કુટુંબના સભ્યો છીએ’ અને ‘આ મૈત્રીપૂર્ણ તથા પરસ્પર પ્રત્યેના વિશ્વાસથી ખેલાતો રમતોત્સવ છે’ એવી ઘોષણા થતી હતી. હાલની હિંસાથી તરબોળ બનેલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં આ શબ્દો જાણે આગમાં શીતલ પાણીના છંટકાવ જેવા શાતાદાયક લાગ્યા.
જ્યારે હરીફ દેશોના ખેલાડીઓ પોતપોતાના દેશના વિશેષ વેશપરિધાન કરીને 45 હજારની પ્રત્યક્ષ મેદની અને લાખો ટેલીવિઝનના માધ્યમના પ્રેક્ષકો સમક્ષ ગૌરવથી કૂચ કરતા પસાર થયા, ત્યારે દિલને એક કરાર વળ્યો કે આટલી મોટી સંખ્યાના યુવક-યુવતીઓ તંદુરસ્ત છે, જીવનમાં રમત-ગમત દ્વારા કંઈક સિદ્ધિ હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને ખેલદિલીપૂર્વક હરીફાઈ કરી શકે છે.
કક્કાવારી પ્રમાણે એક પછી એક દેશોના ખેલાડીઓ હસતા, ઝૂમતા પસાર થતા જોઈને આંખો ઠરી, સાથે સાથે જે તે દેશોના નામોલ્લેખ થતાં જ તેના વિષે સાંભળેલ, વાંચેલ અને જોયેલી કેટલીક ભૂતકાળની અને વર્તમાન કાળની હકીકતો યાદ આવ્યા વિના ન રહી. કોમનવેલ્થના સભ્ય દેશોમાંથી કોઈ દેશમાં વીસેક વર્ષ પહેલાં જેનોસાઈડ થયેલો, તો એક દેશમાં બોકો હરામ નામના એક સંગઠને બસો જેટલી વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી તેમને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડી એ ઘટના હજુ તાજી જ બની. જ્યાં મબલખ હીરા મળી આવે છે એવા દેશમાં વર્ષોથી સિવિલ વોર ચાલે છે જેમાં લાખો લોક મરાયા અને વિસ્થાપિત થયા. તો વળી કોઈ બે પાડોશી દેશો વચ્ચે એકાદ જમીનના ટુકડાની માલિકી માટે છ છ દાયકાઓથી વારંવાર યુદ્ધના છમકલાં થયા કરે છે એટલું જ નહીં પણ એ દેશોની આંતરિક શાંતિ પણ કોમી વિખવાદથી જોખમાઈ છે. એક બાજુથી જે દેશમાં ઇ.સ.પૂર્વે 1,25,000 વર્ષ પહેલાં માનવ વસવાટ થયેલો માનવામાં આવે છે અને જ્યાં અહિંસાના પ્રખર પૂજારી એવા બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો ત્યાં જ બે જુદી જુદી કોમ વચ્ચે હિંસક લડાઈઓ થઈ અને હજારોના જાન ગુમાવાયા. અરે, જે ધરા પર લગભગ 3,00,000 વર્ષ પહેલાં શિકારી માનવે પોતાના ડેરા તંબુ તાણ્યા, જ્યાં દુનિયાની સહુથી પુરાતન સંસ્કૃિતનું પારણું ઝૂલ્યું એ મુલ્ક આંતરિક ટંટા ફિસાદ, સરમુખત્યારોના દમનકારી શાસન, લશ્કરી બળવા અને આતંકવાદીઓના ભય નીચે કચડાયેલો રહે છે.
જે કોમનવેલ્થના સભ્ય દેશો આવા સહકારથી ખેલ-કૂદના મહોત્સવનું આયોજન કરી શકે, એકબીજા પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખીને પણ સ્વચ્છ હરીફાઈ કરી શકે એ જ દેશના લોકો અંદર અંદર લડી ઝઘડી મરે કે પાડોશી દેશ સાથે કાયમનું વૈમનસ્ય પોષે તે કેમ ચલાવી લેવાય? સવાલ એ થાય કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણ માટે એ દેશો હિંસાત્મક રાહ અપનાવે છે જેને સારુ એ દેશો શસ્ત્ર સરંજામ આયાત કરે છે અને પોતાના જ દેશના નાગરિકો ભૂખમરાથી પીડાય, શિક્ષણ અને સ્વાસ્થ્ય વિના ટળવળે તો પણ વેર ભાવનાને છાંડતા નથી. અને ખરી મજા તો એમાં છે કે એમને શસ્ત્રો પૂરા પાડનાર એ જ દેશો છે જેમણે ભૂતકાળમાં એમના પર શાસન કર્યું હોય. એલા ભાઈ, પહેલાં પારકી ભૂમિ પર રાજ્ય કરવું, તેનું શોષણ કરવું, પછી એ બધાને રાજકીય સ્વતંત્રતા આપ્યા બાદ ‘ચાલો હવે આપણા બધાની સંપત્તિ સહિયારી ગણીએ’ કહીને ‘કોમનવેલ્થ’ની ભાવના જગાવવી (જેની પાછળનો એક હેતુ એ બધા દેશો તેમના ભૂતપૂર્વ શાસક સામે માથું ન ઊંચકે અને છતાં એમની સંપત્તિમાં થોડો ઘણો પણ હિસ્સો મળતો રહે તે પણ છે) અને સાથે સાથે મોતનો વેપાર કરતા હોય તેમ શસ્ત્રો પૂરાં પાડવા એ તે કેવી રીત?
એક વાત ચોક્કસ સમજાય છે કે હવે કોઈ એક દેશ બીજા દેશને ગુલામ બનાવે એ જમાનો પૂરો થયો તેવી જ રીતે ‘અમે ગુલામીમાં સબડયા એટલે …’ એવા ઓઠા નીચે પોતાના જ દેશમાં બે કોમ અને જાતિઓ વચ્ચે આંતર કલહની આતશ અખંડ સળગતી રાખવાનો અને પાડોશી દેશો સાથે અવિરામ લશ્કરી સંઘર્ષ ચાલુ રાખવાનો સમય પણ પૂરો થવો રહ્યો. જો કોમનવેલ્થના સભ્ય દેશો પહેલાં વિદેશી શાસન તળે કચડાયેલા હોવાના નાતે દુ:ખના સહભાગી હતા અને હવે જેમ આ ખેલ-કૂદમાં સહિયારો આનંદ લૂંટે છે તેમ જ એ તમામ દેશ પોતાના દેશમાં બે જાતિઓ અને કોમ વચ્ચે સુમેળ સાધવાની પ્રતિજ્ઞા લે, પાડોશી દેશો સાથે સરહદના પ્રશ્નો વાટાઘાટ દ્વારા હાલ કરવાનો નિર્ણય લે, અણુ શસ્ત્રો બનાવવાને બદલે પીવાના પાણીનો પૂરવઠો પૂરો પાડવો, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી અને શિક્ષણનું સ્તર સુધરવાને અગ્રતાક્રમ આપવો અને પોતાના દેશના તમામ નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ થશે એવા નિશ્ચય કરશે તે દહાડે એ દેશોના નાગરિકો ખરા અર્થમાં ‘કોમનવેલ્થ’ના ધણી થશે.
ખેલ-કૂદની સ્પર્ધામાં ભાગ લેવાં રમતવીરો-વીરાંગનાઓ એક કડક શિસ્તનું પાલન કરે છે, તાલીમ મેળવે છે અને બીજાને હાનિ પહોંચાડ્યા વિના પોતપોતાના ક્ષેત્રમાં અવ્વલ આવવાની પ્રમાણિકપણે કોશિશ કરે છે તેવી જ રીતે એ બધા દેશના નાગરિકો પોતપોતાની કારકિર્દી નિભાવવા અને નાગરિક ફરજો બજાવવા શિસ્તનું પાલન કરે, પોતાના કામ-ધંધા માટે ઉત્તમ તાલીમ મેળવે અને દેશબંધુ કે વિદેશી લોકોને બિલકુલ હાનિ પહોંચાડ્યા વગર ઉત્તમ સિધ્ધિઓ હાંસલ કરવા કૃતનિશ્ચયી બને તો કમ સે કમ આ ખેલ-કૂદની સ્પર્ધાઓમાં ભાગ લેનારા 72 દેશોમાં તો શાંતિમય વાતાવરણ રહે. એ બધા દેશોના રાજ્યકર્તાઓને ચાર વર્ષ સુધી કોઈ એક ખેલ માટે તાલીમ આપી, કોમનવેલ્થ ગેઈમ્સમાં ભાગ લેવા ફરજ પાડીએ અને પછી પોતપોતાના દેશનો વહીવટ કોમનવેલ્થ ગેઈમ્સના નિયમો મુજબ કરવા અનુરોધ કરી જોઈએ. કદાચ એમ કરવાથી નિષ્પક્ષ ન્યાય પદ્ધતિ, સુઘડ વ્યવસ્થાતંત્ર અને સ્વચ્છ વહીવટ આપીને સુરાજ્ય લાવી શકશે.
જે દેશમાં માનવ અધિકારોનું રક્ષણ થતું હોય, કોમી રમખાણો ન થતાં હોય અને જેનો પાડોશી દેશો સાથેનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હોય તેવા દેશોમાં કોમનવેલ્થ ગેઈમ્સ યોજવાનો નિર્ણય જો તેની કમિટી લઇ શકે તો કદાચ સભ્ય દેશો પોતપોતાનું આંગણું સાફ કરે અને શેરી-ગામને રૂપાળું કરવા પ્રેરાય અને માત્ર ખેલાડીઓ જ નહીં પણ એ બધા દેશોની આમ પ્રજા સુખ ચૈનથી જીવી શકે તેવું ઈચ્છીએ.
e.mail : 71abuch@gmail.com