આપણા દેશમાં ૧૯૬૩ પછી જન્મેલા દરેકે 'હમ હોંગે કામિયાબ …' ગીત તો જરૂર ગાયું જ હશે, ગાયું નહીં હોય તો સાંભળ્યું તો હશે. એક જુવાળ બનીને દુનિયામાં ફેલાયેલા આ ગીતમાં એક મુક્ત, ન્યાયી, આશાવાદી અને આનંદિત સમાજની રચનાનો પોકાર છે. આ ગીતના જનક એટલે અમેરિકન લોકગાયક પીટર સીગલ. એક એવા લોકગાયક કે જેમણે આખી જિંદગી લોકોના અધિકાર માટે ગળું ફાટી જાય ત્યાં સુધી ગાયું. એક ગીતમાં દુનિયાને બદલવાની તાકાત છે એ સાબિત કરનાર સીગરનું ગયા અઠવાડિયે ૯૪ વર્ષની ઉંમરે અવસાન થયું. વિયેતનામ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોના શોકમાં 'વ્હેર હેવ ધ ઓલ ફ્લાવર્સ ગોન?' જેવું માઇલસ્ટોન ગીત ગાનાર સીગરને જો એક જ વાક્યમાં અંજલિ આપવી હોયને તો આપણે પોતાને ફક્ત એટલું જ કહેવું પડે … હો હો મન મે હૈ વિશ્વાસ …
આજથી અડધી સદી પહેલાંનો સમય. વર્ષ ૧૯૬૩, સ્થળ કલકત્તાનું પાર્ક સરકસ મેદાન. શ્વાસની ગતિ પણ નારા જેવી લાગે તેવી વીસ હજારની મેદની અને આ મેદનીની વચ્ચે એક કલાકાર, એક ગાયક. દેખાવ સાદો-સીધો અને જોમ પહાડ જેવડું. આ મેદનીની વચ્ચે ગોરો લોકગાયક લલકારે છે 'રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ અને ‘હમ હોંગે કામિયાબ.’ સામે લોકો હામી ભરે છે "હમ હોંગે કામિયાબ એક દિન … ઓ હો હો મનમેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન."
અરે, આ તો સાવ પોતાનું ગીત લાગ્યું! હા, આ દરેકને પોતીકું લાગે અને બધી આશા ગુમાવી બેઠેલો માણસ દુઃખને ખંખેરી ફરી બેઠો થઈ જાય તેવું આ ગીત એટલે પીટર સીગરની ભારતીય ઓળખાણ. અલબત્ત, આ એક ગીત સિવાય પણ પીટર સીગરની ઓળખાણ બહુ લાંબી છે. ૧૭ વર્ષની ઉંમરથી લોકઆંદોલનોમાં જોડાનાર અને સમાજને બદલવાના અમોઘ શસ્ત્ર તરીકે સંગીતને વાપરનાર પીટર સીગલ એટલે આ સદીના લોકસંગીતના મહાનાયક. અંગ્રેજી માધ્યમમાં ભણનારા લોકો સિવાય કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે હમ હોંગે કામિયાબનું મૂળ અંગ્રેજી વર્ઝન એટલે 'વી શેલ ઓવરકમ.' મૂળ કોઈ હબસી પાદરીએ રચેલા આ ભજનને પીટર સીગલે જરાક ફેરફાર કરીને લલકાર્યું અને પછી જે બન્યું તે તવારીખી ઇતિહાસ છે. ૧૯૫૫થી ૧૯૬૮ દરમિયાન અમેરિકામાં નાગરિક અધિકારોની ચળવળની ઓળખ આ ગીત બન્યું. પછી આખી દુનિયામાં ફેલાઈ સ્વાતંત્ર્યનું વિશ્વગાન બન્યું.
પીટર સીગરનો જન્મ ૧૯૧૯માં થયેલો. સંગીત તેમના પરિવારનો વારસો હતું. તેમની પોતાની તાલીમ પણ શાસ્ત્રીય સંગીતની હતી, પણ સીગરનો મિજાજ નોખો હતો. ૧૭ વર્ષની ઉંમરે તેઓ કોમ્યુિનસ્ટ પાર્ટી સાથે લોકઆંદોલનોમાં જોડાયા. વીસ વર્ષની ઉંમરે તેમણે ગાવાનું શરૂ કર્યું. લોકઆંદોલનો સાથે સાથે લોકસંગીતમાં પણ રસ વધતો જતો હતો. કોલેજનો અભ્યાસ મૂકીને તે લોકસંગીતના અભ્યાસ તરફ વળ્યા. અમેરિકાનું લોકવાદ્ય બેન્જો લઈને તે પછી તો આખા અમેરિકામાં ફરી વળ્યા. લોકોનાં ગીતો, લોકોનું જીવન, લોકોની વેદના-સંવેદનાઓને જાણે કે પોતાના સૂરતાલમાં ઓગાળીને પી ગયા. આપણે ત્યાં લોકગીતો બાબતે ઝાઝી દરકાર કોઈને નથી પણ પીટર સીગરે અમેરિકામાં લોકગીત-સંગીતના પુનરુદ્ધારની આગેવાની લીધી. ફક્ત અમેરિકા જ નહીં દુનિયા આખીમાંથી તેમણે લોકગીતો ભેગાં કરવા માંડયાં, શીખવા માંડયાં, ગાવા માંડયાં અને રચવા માંડયાં. યુદ્ધવિરોધી ગીતો, હબસી ગુલામોનાં ભજનો, પીડિતોનાં ગીતો એવાં જાતજાતનાં ગીતો જ જાણે કે એમનું જીવન બન્યાં. પીટર સીગરની એક લોકગાયક તરીકેની મોટી વાત એ હતી કે તે પોતે ગાતા જ નહીં ગવડાવતા પણ ખરા. ૧૯૯૬માં “ભૂમિપુત્ર”ના અંકમાં પીટર સીગર વિશેના એક લેખમાં આપણા લોકગાયક-લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના કિતાબકર્મી પુત્ર મહેન્દ્ર મેઘાણીએ લખ્યું હતું કે, "ઇન્સાનિયત માટેની ઊંડી ખેવનાથી એમનું ગાન તરબતર છે. માનવ આત્માનું અવિજયપણું તેમનો મુખ્ય સૂર છે. સીગર ગીતો ગાય છે તેમ લખે છે પણ ખરા અને ઘણી વાર બીજાનાં ગીતોમાં જરાક ફેરફાર કરીને તેને પોતાની પરંપરામાં પરોવી લે છે." આ વાત આજે પીટર સીગર માટે યથાર્થ અંજલિ લાગે છે.
લોકસંગીત અને લોકસંવેદના
પીટર સીગર એટલે વંચિતોના અધિકારો માટે, માનવ ઐક્યની સ્થાપના માટે અને શાંતિના ગૌરવ ખાતર આજીવન મથનારા ગાયક. તેમણે બાવન સ્ટુડિયો આલબમ, ત્રેવીસ કમ્પાઇલેશન આલબમ, દસ લાઇવ આલબમ અને પાંચ સિંગલ્સ આપ્યાં. તેમનાં ગીતોની વિશેષતા એ જ કે તેમાં નક્કર રાજકીય વિચાર સાથે માનવસંવેદના એવી તો ઓતપ્રોત રહેતી કે તે દુશ્મનને અસર કરતી. વિયેતનામ યુદ્ધમાં અમેરિકાની સામેલીગીરીનો પીટર સીગરે આકરો વિરોધ કર્યો. આ યુદ્ધમાં માર્યા ગયેલા નવજુવાન સૈનિકો માટે તેમણે રચેલું 'વ્હેર હેવ ઓલ ધ ફ્લાવર્સ ગોન' આંખમાં આંસુ લાવી દેનારું અને શાંતિનો પોકાર કરનારું પ્રખ્યાત શોકગીત બન્યું. સીગરે અનેક ગીતો ગાયાં અને ધ વીવર્સની સ્થાપના કરીને લોકગીતોને ખરા અર્થમાં લોકપ્રિય બનાવ્યાં. ક્યૂબાના દેશભક્ત હોઝ માર્ટીએ સ્પેિનશ ભાષામાં લખેલાં ગીત 'ગ્વાન્તાનામેરસ'ને સીગરે ગાયું અને તે ગીતને જાણે કે પાંખ ફૂટી. આજે આખી દુનિયામાં તે ગવાય છે. તેઓ ફકત વિદ્રોહી લોકગાયક કે જનપ્રચારક નહોતા. તેમના સંગીતકાર પિતા ચાર્લ્સ સીગર અને તેમના સહકર્મી એલન લોમાક્સની જેમ જ પીટર સીગરે પેઢીઓની પેઢીઓએ સાથે ગીતો ગાયાં અને પોતાનો વારસો સતત વહેંચ્યો. છ દાયકાની લાંબી સંગીતયાત્રા દરમિયાન ૫૦ના દસકામાં તેમના વિદ્રોહી સંગીત માટે અમેરિકન સરકાર દ્વારા તેમનાં ગીતો પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો અને ધરપકડ પણ કરાઈ હતી. જો કે, સીગરનો બેન્જો અને ગળુ સતત ગાજતા જ રહ્યાં. ઈરાક યુદ્ધ હોય કે વોલસ્ટ્રીટ કલા ખાતર કલાની નફ્ફટ ચૂપકીદી એમણે કદી ન સ્વીકારી.
મહાનતા અને સાદગી
સીગર કુદરતના જબ્બર ચાહક હતા. ન્યૂયોર્કથી સોએક કિલોમિટર દૂર હડસન નદીને કાંઠે તેમણે બાંધેલા એક સાદા ઘરમાં તેઓ રહેતા. આ જ હડસન નદીને તેમણે પર્યાવરણ સામેની ઝુંબેશનું પ્રતીક બનાવી. હડસન રિવર સ્લૂપ ક્લીયર વોટર નામના પ્રોજેક્ટમાં તેઓ સંકળાયા. આપણે ત્યાં નદીઓનો મુદ્દો અવારનવાર ચગતો હોય છે ત્યારે સીગરે હડસન નદીને કાંઠેથી પોતાનાં ગીતો થકી લોકમાતાને બચાવવાનો લલકાર કર્યો. તેમના અવસાન બાદ હડસન નદી પરના પ્રખ્યાત ન્યૂયોર્ક બ્રીજને તેમનું નામ આપવાની માગણી થઈ છે. ૯૪ વર્ષે અવસાન પામનાર સીગર ૨૦૧૧માં થયેલી ઓક્યુપાય વોલસ્ટ્રીટ ચળવળમાં પણ સક્રિય હતા. અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન, દુનિયાભરમાં અનેક બહુમાનો તથા ત્રણ ગ્રેમી એવોર્ડના છોગું હોવા છતાં સીગર આખર સુધી એક સાદા-સરળ અને સામાન્ય માણસ તરીકે જ જીવ્યા. તેમને છેલ્લો ગ્રેમી એવોર્ડ ૨૦૧૧માં બાળકો માટેના સંગીતની શ્રેણીમાં 'ટૂમોરોસ ચિલ્ડ્રન' માટે એનાયત થયો હતો. માનવીય સંવેદનાઓને ઉજાગર કરી તથા એક ન્યાયી સમાજની સ્થાપના તેમના જીવનનું અને સંગીતનું આજીવન ધ્યેય બની રહ્યાં. સીગરે ગાયેલું રઘુપતિ રાઘવ રાજા રામ તથા બીજાં અનેક ગીતો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ચાલો એમની સ્ટાઇલ મુજબ સાંભળતાં સાંભળતાં આપણે પણ ગાઈએ.
mmehul.sandesh@gmail.com
'વિગતવાર' કટાર, અર્ધસાપ્તાહિક, “સંદેશ” 05 ફેબ્રુઅારી 2014 http://sandesh.com/article.aspx?newsid=290712
અા લેખમાં દર્શાવાયેલાં ત્રણેય ગીત અહીં સૌજન્યભેર સાદર છે :
https://www.youtube.com/watch?v=ICNVzQmd01M&feature=youtube_gdata_player
Raghupati Raghav Raja Ram performed by Mr. Pete Seeger at The Academy of Fine Arts, Calcutta, India, circa 1963.
https://www.youtube.com/watch?v=N-FmQEFFFko
Pete Seeger, in a conversation with Tim Robbins for Pacifica Radio, talks about the history of the song "We Shall Overcome" (2006)
https://www.youtube.com/watch?v=2b24Ewk934g
We shall Overcome
https://www.youtube.com/watch?v=1y2SIIeqy34
https://www.youtube.com/watch?v=7pZa3KtkVpQ
On July 26, 1956, the House of Representatives voted 373 to 9 to cite Pete Seeger and seven others (including playwright Arthur Miller) for contempt, as they failed to cooperate with House Un-American Activities Committee (HUAC) in their attempts to investigate alleged subversives and communists. Pete Seeger testified before the HUAC in 1955.
In one of Pete's darkest moments, when his personal freedom, his career, and his safety were in jeopardy, a flash of inspiration ignited this song. The song was stirred by a passage from Mikhail Sholokhov's novel "And Quie Flows the Don". Around the world the song traveled and in 1962 at a UNICEF concert in Germany, Marlene Dietrich, Academy Award-nominated German-born American actress, first performed the song in French, as "Qui peut dire ou vont les fleurs?" Shortly after she sang it in German. The song's impact in Germany just after WWII was shattering. It's universal message, "let there be peace in the world" did not get lost in its translation. To the contrary, the combination of the language, the setting, and the great lyrics has had a profound effect on people all around the world. May it have the same effect today and bring renewed awareness to all that hear it.